આપણને જે નિર્ણયથી સફળતા મળી હોય તેવા નિર્ણયો બદલવા મુશ્કેલ હોય છે; પરન્તુ એ નિર્ણયો બદલવાનું કારણ, મળેલી સફળતાથીયે વધારે પ્રતિતિકર હોય તો નિર્ણયો બદલવામાં કોઈ પ્રતિકુળતા અનુભવવી પડતી નથી. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ એક માણસ તમારા વિચારવાના – સમજવાના, આ દુનિયાને જોવાના દૃષ્ટિકોણને બદલી નાખતો હોય છે.
મારા કિસ્સામાં એ વ્યક્તિ હતી મારી જીવનસંગિની અજ્જુ કે જેણે થોડાક સમય પહેલાં જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. અહીં રાંચીમાં હું વીઝા માટે દોડધામ કરી રહ્યો હતો, ત્યાં તો એ કરાંચીમાં આ નશ્વર દુનિયાથી મુક્ત થઈ ગઈ ! અંતિમ ઘડીએ તેને મળવાની વાત તો દૂર રહી; પણ બે મુઠ્ઠી માટી પણ તેની કબર પર વાળી શક્યો નહીં ! છેવટે તે એક જુદા જ દેશમાં ગુજરી ગઈ હતી. એની તબિયત બગડતાં જ કરાંચીથી મારા દીકરાઓએ મને જાણ કરી દીધી હતી. આ જ કારણે વીઝા મેળવવા મેં એડી–ચોટીનું જોર લગાવ્યું; પરન્તુ પરિણામ શૂન્ય આવ્યું. વીઝા આપનારાઓનું કહેવું હતું કે, ‘તમે તો રાંચી–કરાંચી હંમેશાં આવ-જા કરો છો; વળી, થોડાક દીવસ પહેલાં જ તમે કરાંચીથી આવ્યા છો.’ આ વાત સાચી હતી. હું ગયો હતો તો એક મહિના માટે; પણ રહી ગયો ત્રણ મહિના સુધી. હું એ લોકને કેવી રીતે સમજાવી શકું કે ભલે મારું દિલ રાંચીમાં વસતું હોય; પણ એ દિલમાં વસનારાં બધાં કરાંચીમાં વસે છે ! ખેર, કરાંચી જવાનો વીઝા મને મળ્યો નહીં; એ કારણે ઈચ્છા હોવા છતાં, હું મારી અજ્જુ પાસે જઈ શક્યો નહીં.
દરઅસલ ૯૦ના દશકામાં પાકિસ્તાનમાં રહેતા મારા નજીકના કુટુમ્બીજનનું મુત્યુ થયું હતું અને એમની સઘળી જમીનજાયદાદ – સમ્પત્તિનો વહીવટ સંભાળવાનું અમારે ભાગે આવ્યું હતું. ઘણી મથામણ–વિચારણાને અન્તે મારી પત્ની અજ્જુ અને બાળકો સહિતનો પરિવાર મારા કુટુમ્બીજનની જમીનજાયદાદ સંભાળવા માટે પાકિસ્તાન ગયો હતો અને હું અહીં રાંચીમાં રહી ગયો. આમ છતાં એ દૂરતા મને ક્યારે ય દૂરતા જેવી લાગી ન હતી. દરરોજ કલાકો સુધી હું અજ્જુ સાથે વાતચીત કરી દૂરતાને નજીકતામાં પરિવર્તિત કરતો હતો. અમે બન્નેએ વયના આ મુકામ પર આવીને કમ્પ્યુટર વાપરવાનું શીખી લીધું હતું. હું ૬૫નો ને મારી પત્ની મારાથી બે વર્ષ મોટી ૬૭ વર્ષની હતી. સ્કાઈપને કારણે અમે બન્ને કલાકો સુધી વાતો કરી શકતાં હતાં. કેટલાક મહિના પહેલાં જ્યારે હું કરાંચીથી રાંચી આવવા નીકળતો હતો ત્યારે અજ્જુએ મને નજીક બોલાવી ધીરે રહીને કહ્યું હતું, ‘હુસૈન, કમ્પ્યુટર શીખી લેજો; હું પણ શીખી રહી છું.’ સ્કાઈપ પર દિવસ દરમિયાન થતી વાતોનો સાર એક જ હતો – ચેરિટી, ચેરિટી અને ચેરિટી. રાંચીમાં હું લોજ ચલાવું છું. એ મને હંમેશાં સમજાવતી કે, ‘હુસૈન, ધંધામાં વધુ ને વધુ નફાની અપેક્ષા ક્યારે ય રાખવી નહીં. કોઈ ઓછા પૈસા આપે તો પણ એને લોજમાં આશરો આપવો. કોઈ પૈસા આપી શકે એમ ન હોય તો એને પણ આશરો આપવો.’
આજ દિન સુધી હું મારા મિત્રોને પણ એ વાત સમજાવી શક્યો નથી કે શા માટે દસેક વરસ પહેલાં મેં અચાનક મારી હૉસ્પિટલ બન્ધ કરી અને આ ભીડભાડવાળા વિસ્તારમાં ઓછી સગવડવાળી આ લૉજ ખોલીને બેસી ગયો હતો. એક દસકા પહેલાં મેં એક સાંજે અચાનક હૉસ્પિટલનું બોર્ડ હટાવી દીધું ત્યારે આખા શહેરમાં હું ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકો પૂછવા લાગ્યા કે આટલી સરસ રીતે ચાલતી હૉસ્પિટલ શા માટે બન્ધ કરો છો ? હું મૌન રહ્યો. માત્ર એટલો જ જવાબ આપ્યો કે મારી મરજી ! હું આ બધાને ‘મારી પોતાની’ મરજી બતાવી રહ્યો હતો; પરન્તુ આ મરજી હતી અજ્જુની. અજ્જુ ત્યારે કરાંચીથી રાંચી આવી હતી. એ જાણતી તો હતી જ કે મેં રાંચીમાં હૉસ્પિટલ શરૂ કરી છે; પરન્તુ એણે મારા આ ધંધા વિશે જુદી જ ધારણા સેવી હતી. એક બપોરે તે હૉસ્પિટલના કાઉન્ટર પર કલાકો સુધી બેઠી હતી. સાંજે અમે ચા પીવા બેઠાં તો એણે કહ્યું, ‘હુસૈન, તમે આ કેવો ધંધો કરી રહ્યા છો ? રોકકોળ કરતા લોકો પાસેથી પૈસા લ્યો છો. મને તો એવું હતું કે તમે ચેરિટી હૉસ્પિટલ ચલાવી રહ્યા હશો; પરન્તુ તમે હૉસ્પિટલના બહાને ધંધો કરી રહ્યા છો !’
અજ્જુની વાત મેં સાંભળી. મેં એને કશું કહ્યું નહીં. નીચે હૉસ્પિટલમાં ગરમાગરમી હતી. હું સીધો બહાર આવી ગયો અને હૉસ્પિટલનું બોર્ડ હટાવી દીધું. મારા સ્ટાફને કહી દીધું કે હવે કોઈ નવા દર્દીને દાખલ કરશો નહીં જે દર્દીઓ છે તેઓનો જ ઈલાજ કરવાનો છે. મારા બધા સાથીઓ અને ડૉક્ટરો પણ અચંબામાં પડી ગયા. તેજીથી ચાલી રહેલા આ ધંધાના ભવિષ્ય વિશે વિચારણા કરવામાં બધા મગ્ન હતા. હું બધાની વાતો સાંભળી રહ્યો હતો. બધા જ જૂના દર્દીઓએ વિદાય લીધી, તે પછી મેં એક નાનકડું બોર્ડ બનાવરાવ્યું. જેના ઉપર લખ્યું હતું : ‘કૅપિટલ લૉજ’.
ત્યારથી હું આ લૉજ ચલાવી રહ્યો છું. પાંચ વરસ પહેલાં પણ અજ્જુ આવી હતી. તે લૉજ જોઈને સંતુષ્ટ થઈ હતી. મારી સાથે મેનેજર તરીકે રેહાના કામ કરે છે. અજ્જુએ ફરી મને સમજાવ્યું કે, ‘તમે રેહાનાની પાસે માત્ર મેનેજરની રૂએ જ શા માટે કામ લો છો ? રાત–દહાડો એ કામ કરે છે; તો તમારા ધંધામાં એને પણ ભાગીદાર બનાવો. એના રહેવાની વ્યવસ્થા ન હોય તો તે પણ કરો. એના ભવિષ્યની ચિન્તા તમને થવી જ જોઈએ.’
આવી શિખામણ મને અજ્જુ જ દઈ શકતી હતી. એવી શિખામણ આપવા માટે સાહસ અને વિવેક બન્ને હોવાં જોઈએ. મારી અજ્જુ જેટલી ખૂબસૂરત હતી તેટલી જ સાહસિક ને વિવેકી હતી. તે હવે મારી સાથે નથી; પરન્તુ તેને હું વિશ્વાસ સહિત એ કહેવા માગું છું કે મારી શેષ જિન્દગીમાં હું એના ચીંધેલા માર્ગે જ ચાલતો રહીશ.
(હુસૈન કચ્છી હાલ સામ્પ્રત સંસ્કૃિત પર કાર્યરત છે. તેઓ રહે છે રાંચીમાં અને પરિવાર રહે છે કરાંચીમાં ! સૌજન્ય : ‘તહલકા’ 30 એપ્રિલ, 2014)
અનુવાદક સમ્પર્ક : રમણ વાઘેલા, પ્લૉટ–652/2, સેક્ટર–8, ગાંધીનગર–382 007 eMail : raman.vaghela@gmail.com
(આ લેખ અમે તા. 16/08/2014ના ‘નયા માર્ગ’ના અંકમાંથી, અનુવાદક રમણ વાઘેલા અને ‘નયા માર્ગ’ના તંત્રી ઈન્દુકુમાર જાનીની પરવાનગીથી સાભાર પ્રકાશીત કર્યો છે … ‘નયા માર્ગ’ના જૂના અને નવા અંકો વાંચવા જોતા રહો ‘નયા માર્ગ’નો નવો બ્લોગ : http://nayamarg.wordpress.com/ .. ઉત્તમ ગજ્જર..)
♦●♦
સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 309 – November 16, 2014