છેલ્લાં આશરે દસેક વર્ષથી અમદાવાદ શહેરની સિકલ બદલવા માટે શહેરના મ્યુિનસિપલ કોર્પોરેશને જે પગલાં લીધાં છે તેમાં કેટલાંક એવાં છે જે પ્રજાહિત કરતાં વધારે તો ટાપટીપ કરીને સુંદર દેખાવના પ્રયત્ન કરવા સમાન છે. એક ઉદાહરણ કાંકરિયા તળાવ. ઇ.સ. ૧૪૫૧માં બંધાયેલા આ તળાવની ફરતી જે પથ્થરોની પાળી હતી તે બંધાયું ત્યારથી લગભગ એવી ને એવી ટકી રહી હતી. એમાં કદાચ સમારકામ થયું હશે તો પણ, સીદી સૈયદની મસ્જિદમાં કે હઠીસિંહનાં દહેરાંમાં કે જૂના કાળની અન્ય ઈમારતોમાં છે તેવા જ પીળા, સહેજ છિદ્રાળુ પથ્થરોથી થયું હશે. હવે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશને કાંકરિયા “સુંદર”(?) બનાવવા આધુનિક જમાનાના પથ્થરો જડી દીધા. વળી ચારે દિશાએથી તળાવે પહોંચવાના જે પાંચ-છ માર્ગ છે તે દરેકને લોખંડના દરવાજા લગાવી દીધા જેથી કરીને પૈસા આપીને ટિકિટ ખરીદ્યા સિવાય કોઈ તળાવે પહોંચી ન શકે. જે તળાવ લોકોપયોગ માટે છે, જ્યાં સામાન્ય કમાણી કરતો, માંડ માંડ રોટલો રળી શકતો માણસ પણ ક્યારેક બૈરી-છોકરાં સાથે આ તળાવે આવીને નાનીશી “સહેલ” લીધાનો સંતોષ લઈ શકતો તેને માટે હવે ૨૦-૨૫ રૂપિયા ખરચીને ટિકિટ વિના પ્રવેશ લેવાની પણ બંધી થઈ ! કાંકરિયા આમ બંધ થયું ત્યારે કેટલાક જાગૃત પ્રજાજનોએ તે સામે વિરોધ કરેલો, શાંત દેખાવો કરેલા, પરંતુ તેનું કશું પરિણામ આવે તે પહેલાં કોઈકે કોર્ટમાં વિરોધ નોંધાવી દીધો જેને લીધે “મેટર સબજ્યુડીસ” થઈ, મતલબ કે હવે કોઈ દેખાવો તો શું, કશું લખવું-બોલવું-કહેવું પણ કદાચ “કોર્ટના તિરસ્કાર”માં ખપે.
છેલ્લાં પાંચેક વર્ષ દરમ્યાન સાબરમતી નદીના પટને રૂપાળો બનાવીને સહેલગાહ માટે એક નવતર જગ્યા વિકસાવવાનું થયું છે. શાહીબાગમાં ભીમનાથ મંદિરવાળા ઓવારાની સહેજ ઉપરવાસથી લઈને વાસણા બેરેજ સુધી નદીના બેઉ કાંઠે સહેલગાહ માટેના પહોળા માર્ગ બનાવાયા છે. નદીકાંઠે નાની નાની ઓરડીઓ બનાવી તેમાં રહી મજૂરી કરતાં, નદીમાં ધોબીઘાટ ન હોવા છતાં ત્યાં કાપડ અને લૂગડાં ધોતાં કુટુંબોને ત્યાંથી ખસેડી નખાયાં છે. કહેવાય છે કે તેઓને વૈકલ્પિક વસવાટો અપાયા છે. પણ તે શું બરાબર છે? નાના છોડવા ઉખેડીને બીજે લઈ જઈ રોપાય, મોટાં થયેલાં ઝાડવાં એમ ઉખાડો તે શું બીજે ચોટી શકે ખરાં? અને વનસ્પતિ માટે જે કાળજી લેવાતી હોય છે તેનાથી પા ભાગની કાળજી પણ માણસો ખસેડતાં લેવાતી હોય છે ખરી? નર્મદા નદી આડે બંધ બાંધ્યો ત્યારે આવો પ્રશ્ન મોટા પાયે હતો, દુનિયાભરનું ધ્યાન ખેંચાયું તેટલો મોટો હતો; સાબરમતી નદીકાંઠે વસતાં કુટુંબોની સંખ્યા પ્રમાણમાં નાની; પણ તેથી શું એમની વેદના પણ નાની?
આ નદીને ઓવારે ઓવારે પ્રજાજનો જઈ શકતા, વારતહેવારે સ્નાન કરતા, શાળાઓ ઉજાણી કરવા આવતી ત્યારે બાળકો નદીમાં છબછબિયાં કરવા જઈ શકતાં; અરે, કદાચ ગાંધીજી પણ સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમને ઓવારે ઊતરીને સ્નાન કરવા ગયા હશે – આ બધી સામાન્ય પ્રજાજનોની જગ્યાઓ તે કોઈ પણ સત્તામંડળ પોતાને હથ્થુ કરી જ કેવી રીતે શકે? કયા અધિકારથી? નર્મદા નદીનાં પાણી સાબરમતીના પટમાં વહેવડાવી દીધાં એટલે શું નદી સરકારની માલિકીની થઈ ગઈ?
અને આ ખેલ માત્ર અમદાવાદ પૂરતો સીમિત ક્યાં છે? “વિકાસ” નામનું ગાજર લટકાવીને જૂજ ઉદ્યોગપતિઓ સાથે મળીને પ્રજાને વગર ડફણે હાંકવાની રસમ ગુજરાતમાં એકાધિક ઠેકાણે ચાલી રહી છે. આને શું કહીશું? “શહેરની સિકલ બદલી નાખી” કે “પ્રજાની પથારી ફેરવી નાખી”?
***
આજે એમ થાય છે કે શું માણેક બાવો સાચો હતો? સાંભળ્યું છે કે આશા ભીલનું અને બીજાં એવાં ગામો બહાર રાખીને અમદાવાદ નગર ફરતો કિલ્લો બંધાતો હતો તે રોકવા માણેકનાથ બાવાએ પોતાની કરામત વાપરી હતી. કિલ્લો દિવસે ચણાતો હોય ત્યારે બાવો સાદડી ગૂંથે અને રાતે ચણતર કામ બંધ હોય ત્યારે બાવો સાદડી ઉકેલી નાખે અને તેની સાથોસાથ દિવસભારનું ચણતર તૂટી પડે. દંતકથા કહે છે કે બાવાને પોતાની વિદ્યાનો ચમત્કાર બતાવવા પાદશાહે બોલાવીને પરીક્ષા લીધી; બાવાએ ગર્વથી સિદ્ધિ વાપરીને નાની માખીનું સ્વરૂપ લીધું અને નાનકડી ટબૂડીમાં પેસી ગયો. પાદશાહે ટબૂડી બંધ કરાવી દીધી અને માણેકનાથ બાવો કાયમ માટે – કે કદાચ કિલ્લો ચણાઈ રહે ત્યાં સુધી? – ટબૂડીમાં જ પુરાઈ રહ્યો.
આજે પ્રશ્ન થાય છે કે માણેકનાથ બાવાએ કેમ એવું કર્યું હશે? કદાચ એ કિલ્લો કરવા માટે તે ભૂમિના નિવાસીઓને પરાણે સ્થળાંતર કરવાનું હકૂમત તરફથી દબાણ હોય અને માણેકનાથે એના વિરોધમાં પોતાને જે સૂઝી તે હિકમત વાપરી હોય? એ વિષે કોઈ પાઠ્યપુસ્તકમાં કે દંતકથામાં કહેવાયું હોય તો મારી જાણમાં નથી. કદાચ એ વાત ઇતિહાસના અભ્યાસી વિદ્વાનો જાણે – સમજે; પણ મને થાય છે કે બાવો કદાચ સાચો હોઈ શકે.
ખેર. અહમદાબાદ તો વસ્યું જ. એ વાતને સાડીપાંચસો ઉપર વર્ષ વીત્યાં. કાળ પ્રમાણે પલટાતું અહમદાબાદ આજ અમદાવાદ બનીને ચોગરદમ પથરાયું છે. આ પલટતા નગરમાં અનેક ઈમારતો ઊભી થઈ છે – કાંકરિયા તળાવથી માંડીને શાહીબાગના મહેલો અને મહેલ જેવા બંગલા; અને હવે થવા લાગ્યા તે ફ્લાય-ઓવર પૂલવાળા રસ્તા તથા ધીમે ધીમે અજગર ગળતો હોય તેમ ગળાતાં જતાં અસારવા, મીઠાખળી, ભુદરપરા, વાસણાથી માંડી બોપલ, ઘુમા જેવાં ગામ અને ખેતરો – તે પર નજર નાખતાં એમ થાય કે જેને ‘પ્રગતિ’ કહીએ છીએ તે શું પ્રજાના અમુક હિસ્સાને ભોગે જ થતી હશે? “આથી હશે અન્ય ન કોઈ રસ્તો?”1 અમદાવાદમાં રિલીફ રોડ બન્યો ત્યાર પછી કોમી રમખાણો થયેલાં અને તે બેને સીધો સંબંધ હતો તેવું તે દિવસોમાં ચર્ચાતું સાંભળેલું.
પણ જેમ નિશાળમાં માણેકનાથ બાવા વિષે ભણેલા તેમ એક રાણી મીનળ દેવી વિષે પણ ભણેલા. ધોળકા ગામમાં મીનળ દેવી તળાવ ખોદાવતાં હતાં ત્યારે તે સૂચિત તળાવની ધાર પર જે ડોશીનું ઘર હતું તે તેણે ખાલી કરવા ના પાડતાં મીનળ દેવીએ એ ડોશીની જમીન જેટલો ભાગ જતો કરીને તળાવ બાંધવાની કામગીરી આગળ વધારેલી. સરવાળે, તળાવની ગોળાઈમાં મીનળ દેવીના અનુકંપાભર્યા કારભારના દાખલારૂપ એક વળાંક રહી ગયો. એટલું ન હોત તો આપણે તો એમ જ માનત ને – કે જે મનાવવા અનેક બધા “નગર-વિકાસ”ના સ્થપતિઓ, સત્તાપતિઓ, અને ધનપતિઓ, લખાણો, ભાષણો અને ભભકભર્યા ને આંજી નાખે તેવા અખબારી જાહેરખબરના દીવા કરી કરીને મથે છે – કે “સહુના વિકાસ માટે થોડાકે તો ત્યાગ કરવો જ પડતો હોય છે.” મનુષ્ય સમાજનો સાવ સાધારણ અભ્યાસી પણ આ વાત જાણે છે, જોઈ શકે છે કે હા, એવું બને છે. પ્રસ્તુત વાક્ય તે આવા નિરીક્ષણનું વિધાન છે. પરંતુ એ કોઈ ગુરુત્વાકર્ષણ જેવો વૈજ્ઞાનિક, વૈશ્વિક નિયમ નથી કે બધાના વિકાસ કરવા માટે થોડા જણે ત્યાગ કરવો જ પડે. અને વળી ધારો કે કોઈ સંજોગોમાં હોય તો પણ, તેવું કહેનાર અને માનનારાએ એ પહેલો કરવાનો હોય. આ તો, પોતે “ત્યાગ” કરવાને બદલે બીજાનો “ભોગ” લેવાની વૃત્તિ થઈ.
બળબળતે હૈયે અને કંપતી આંગળીઓએ આ લખાય છે તે આ વૃત્તિ જોઈને. આથી વધારે આજ કશું કહેવાનું નથી. હા, ક્યાંક મારી જાણકારીની મર્યાદા હશે; ક્યાંક હકીકતમાં થોડો ફેર હશે; કબૂલ; તે મારા ધ્યાન પર જરૂર લાવશો; પણ મહેરબાની કરીને મને દુનિયાદારીના દાખલા આપીને સાંત્વના ધરવાની કોશિશ મ કરજો.
***
સાબરમતી “રીવર ફ્રન્ટ”ના રાત્રિ સમયે લેવાયેલા ફોટા જોતાં.
• ‘ભભાઈ’ ભરત પાઠક
આટલા દીવા નીચે છે કેટલો અંધાર તે દેખાય છે?
કેટલી હૈયાવરાળોથી નદી ઊભરાય છે – દેખાય છે ?
બે દધીચી તપ તપ્યા’તા રેતના જે પટ ઉપર, ત્યાં તાપમાં
રોટલો રળતાં હતાં તે લોકને તગડી મૂક્યાં છે ક્યાં હવે? દેખાય છે?
“આપણું પેરીસ …! લંડન …!” એમ ખાતા વહેમ જે સહુ મ્હાલવા નીકળી પડ્યા છે,
એ બધાંનાં વસ્ત્ર ઉજળાં છે હજી જેના થકી તે લોક આમાં ક્યાંય તે દેખાય છે?
નર્મદાને આંતરી આ પટ ભીનો કરતાં વહાવ્યાં નીર છે કે લોહીભીનાં આંસુઓ?
જેમનાં ઘરબાર સત્તાધીશના હાથે વિંખાયાં તેમનાં રૂંવેરૂંવાં કકળાય છે – દેખાય છે?
ધૂળિયું જે ગામ કહેવાતું હતું તેની સૂરત આજે જુઓ કે પથ્થરોથી છે મઢાઈ,
સાહ્યબી ખાતર અહીંયાં કેટલી લાશો દટાઈ જીવતે જીવ પગતળે ચગદાય છે !- દેખાય છે?
“શાહ અહેમદ ! માફ કરજો, ભીલ આશાજી! અમોને (થઈ શકે તો),” એટલા બે બોલ આજે
કોઈના દિલમાં હજી ઊગે નહીં? ને હ્યાં ટબૂડીમા પુરાયો એકલો માણેક બાવો કેટલો હિજરાય છે !
દેખાય છે?
***
(c) ‘ભભાઈ’ ભરત પાઠક
ઓક્ટોબર ૨૫, ૨૦૧૪
e.mail : bhabhai@hotmail.com
![]()


કૉંગ્રેસમુક્ત ભારત એટલે શું ? કૉંગ્રેસ એટલે ફક્ત સોનિયા, ઇન્દિરા ગાંધી કે પંડિત નેહરુ નહીં. કૉંગ્રેસને તેનું બંધારણ છે, તેનો સ્વતંત્રતાના સંઘર્ષનો ભવ્ય વારસો છે. કૉંગ્રેસ ફક્ત નેહરુની ન હતી. કૉંગ્રેસમાં ગાંધી અને સરદાર પણ હતા. ચાલો, સોનિયા ગાંધીથી મુક્ત કૉંગ્રેસની વાત સમજ્યાં ! પણ કૉંગ્રેસમુકત દેશ એટલે શું ? તમારે દેશને નેહરુમુક્ત દેશ બનાવવો છે ? પણ એટલે શું ? નેહરુ તો ફક્ત વડાપ્રધાન ન હતા, તે સાથે એક વિચારધારા હતા. નેહરુએ સને ૧૯૪૭માં દેશને એક રાષ્ટ્રીય ફિલોસૉફી હોવી જોઈએ અને તે કેવી હોવી જોઈએ, તેના પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા.
અમે થોડાક મિત્રો, ભાઈ ઇન્દુકુમાર જાની, પ્રકાશભાઈ શાહ, ઉત્તમ પરમાર, મનીષી જાની અને હું, એકબીજા સાથે બૌદ્ધિક વેવલૅંથ પર એક પ્રકારની મથામણ અનુભવતા હતા. ૧૬મી મે, ૨૦૧૪ની ચૂંટણીના પરિણામ પછી મોદી સરકારના કાર્યકાળના એકસો દિવસ પૂરા થઈ ગયા છે. સરકારે ન્યાયતંત્ર, શિક્ષણ અને સામાન્ય વહીવટી ક્ષેત્રે જે નિર્ણયો લીધા છે અને સાથે આર.એસ.એસ. એક સંસ્થા તરીકે અને તેના વડા મોહન ભાગવત દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવે છે અને વર્તન બતાડવામાં આવે છે, તેના પરથી આ સ્પષ્ટ બહુમતીને આધારે લોકસભામાં ચૂંટાઈ આવેલો પક્ષ, દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે તે જાણવા માંગતા હતા. તટસ્થભાવે તે પ્રવાહોનો અભ્યાસ કરવા માંગતા હતા. આ ઉપરાંત ગુજરાતભરમાં ચારે ય ખૂણામાં ફેલાયેલી જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓનું વિકેન્દ્રિત નેતૃત્વ છે, તેના મિત્રો સાથે આ સંદર્ભમાં કોઈ પણ સંસ્થાના લેબલ કે મથાળા સિવાય એક કે બે દિવસ માટે વિચારવિમર્શની તક ઊભી થાય, તેવા ચિંતનમાં અમે બધા હતા. તે માટે અમે બે કામ હાથ પર લીધાં.
આજની આ વિચારગોષ્ઠિમાં મારા વિચારો રજૂ કરું તે પહેલાં આશરે પાંચ કે છ દાયકા પહેલાં અમે વડોદરા મુકામે પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ને ત્યાં લગભગ નિયમિત રીતે દર પંદર દિવસે મળતા હતા તે દિવસો યાદ આવ્યા. ત્યાં આવી જ વિચારગોષ્ઠિ આધારિત ચર્ચા કરતા હતા. અમે કોઈ વિચાર કે ઘટનાની તરફેણ કે વિરુદ્ધનો પક્ષ લેવાને બદલે તટસ્થ રીતે ઝીણી તપાસ વાસ્તવિક સત્ય અને તત્ત્વજ્ઞાનને આધારે કરતા હતા. ત્યાં સમગ્ર ચર્ચાનો અભિગમ વાદવિવાદ(પોલેમિક્સ)નો ન હતો પણ બૌદ્ધિક હતો. આવી વિચારગોષ્ઠિમાંથી રાવજી મોટાની એક ચોપડી (કલેક્ટેડ વર્ક્સ ઑફ આર. સી. પટેલ) બહાર કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવેલી છે. આજની વિચારગોષ્ઠિ પાછળ પણ બિપિનભાઈ શ્રોફ અને મારો અભિગમ એ જ છે અને રહેશે.
મારી ભીખુભાઈ સાથે આ મુદ્દા પર સંમતિ છે કે નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ બી.જે.પી.એ જે સ્પષ્ટ બહુમતી લોકસભામાં મેળવી છે, તેમાંથી ભવિષ્યમાં ઘણા પ્રવાહો પેદા થવાના છે. એક બૌદ્ધિક તરીકે મને રસ છે, તેના કરતાં વધારે જવાબદારી છે કે આ ચૂંટણીનાં પરિણામોએ કેવા ગતિશીલ પ્રવાહો પેદા કર્યા છે અને તે ગતિશીલ પ્રવાહો દેશને કઈ તરફ લઈ જશે, તેનું પૃથક્કરણ કરવાની ખાસ જરૂર છે.
નવી લોકસભાની ચૂંટણીના સૂચિતાર્થો અથવા તેનાં પરિણામોથી જે પ્રવાહો પેદા થયા છે, તે આંખોએ ઊડીને વળગે તેવા છે. એક, દેશમાં એક રાષ્ટ્રીય પક્ષ સ્વપ્રયત્ને છેલ્લાં પચીસ વર્ષ પછી લોકસભામાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો છે. અત્યાર સુધી જે રાજકીય પક્ષો વચ્ચે કામચલાઉ સત્તાનાં સમીકરણોનું ગઠબંધન ચાલતું હતું, તેનો અત્યારે અંત આવ્યો હોય તેમ લાગે છે. બીજું, આઝાદી પછી પહેલી વાર સૌથી ઊંચું મતદાન દેશના ૬૬ ટકા મતદારોએ કર્યું છે, જે મતદાનના ઇતિહાસમાં સૌથી વધારે છે. ત્રીજી બાબત ડાબેરી પરિબળોનું ધોવાણ થયું છે અને જમણેરી પરિબળો મજબૂત થયાં છે. મળેલા મતોના આધારે પૃથક્કરણ કરવામાં આવે, તો ભા.જ.પ.ને ફક્ત ૩૧ ટકા મતો મળ્યા છે. ભલે તે બહુમતી પક્ષ તરીકે ઊભર્યો હોય. આ ચૂંટણીમાં ભા.જ.પ.ના પોતાના ગઢ સિવાય અન્ય વિસ્તારોમાં પ્રભાવ વધ્યો છે.
મારા મત મુજબ હવે આ દેશમાં નથી બી.જે.પી. કે નથી આર.એસ.એસ.. જો કંઈ હોય તો તે મોદીત્વ છે. આ મોદીત્વ એવું છે કે તે આર.એસ.એસ.ના મોદી કરતાં સિનિયર પ્રચારક સંજય જોષીની પાછળ પડી ગયા, સંઘમાં જોષીને ઝીરો કરી નાંખ્યા, અને એટલી હદે કે જોષીને મુંબઈથી દિલ્હી જવું હતું, તો આ મોદીએ તે ગુજરાતમાં અમદાવાદ થઈને દિલ્હી ન જઈ શકે તેટલી દાદાગીરી કરેલી. બીજી વાત હું કરવા માંગું છું કે બીજી સપ્ટેમ્બરે મોદીને વડાપ્રધાનની ખુરશીમાં બેઠે એક સો દિવસ પૂરા થયા. આમ તો હું બીજા કોઈ સંજોગો હોય, તો આ એક સો દિવસોની ચર્ચા જ ન કરું. પણ બાબા રામદેવ હોય કે નરેન્દ્ર મોદી હોય તેઓએ સો દિવસની મર્યાદા બાંધી હતી કે અમારી સત્તા આવે એટલે દેશનું કાળું નાણું જે વિદેશની બૅંકોમાં જમા છે, તે સો દિવસમાં અમે પરત લઈ આવીશું. અમે સો દિવસમાં મોંઘવારી અને ભાવ-વધારો ઘટાડી દઈશું. આ બધું એ લોકોએ ગાઈ-વગાડીને કહેલું. માટે આપણને થયું કે આપણે આ સમયગાળાનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આ એક સો દિવસોમાં શું શું થયું ?
આ દેશના હિંદુધર્મ આધારિત ગ્રંથો વાંચી, સમજીને મારી માન્યતા બંધાઈ છે કે અમારા પૂર્વજો, જેમાં દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને સર્વ પ્રકારના વંચિતોની જો કોઈ ઓળખ હતી, તો તે ઉપલા વર્ગનાં હિતો સાચવવા માટેની પ્રજા કે રૈયતથી વધારે ન હતી. દેશના સમાજ-જીવનમાં આઝાદીની ચળવળ દરમિયાન માર્ક્સ, ગાંધી અને આંબેડકરના વિચારોને કારણે અમારી માનવીય ગૌરવવાળી ઓળખ ઊભી થઈ હતી. તે પહેલાં અમારી ઓળખ ભગવદ્દગીતાના શબ્દોમાં કહીએ, તો ઉપલા વર્ગ કે વર્ણોનાં હિતો સાચવવા ‘નિષ્કામ કર્મ’ એટલે કે ‘વેઠ’ કરનારી પ્રજા તરીકેની હતી. ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલને અમને નવું જીવન આપ્યું છે. જો આઝાદીનું આંદોલન સંઘ પરિવારના હાથમાં ગયું હોત તો આજે હું અને તમે અહીંયાં ન હોત. ગાંધી આવ્યા પછી મારા પૂર્વજો અને મારો ઇતિહાસ શરૂ થાય છે. આઝાદી પછી નેહરુકાળમાં સમગ્ર દેશમાં અને એકેએક રાજ્યમાં સામાજિક, આર્થિક અને રાજકીય રીતે જે બધા સર્વહારા હતા, તેમની ઓળખ ઊભી થઈ અને તે બધાના સ્વપ્રયત્નો અને રાજ્યના હકારાત્મક સહકારથી પોતાનું ભાવિ બદલી શકાશે, તેવી નક્કર આશા બંધાઈ.
ચૂંટણીનાં પરિણામો સાથે ભારતના ઐતિહાસિક લાંબા સ્વાતંત્ર્યસંગ્રામે પેદા કરેલાં રાષ્ટ્રીય મૂલ્યો આધારિત રાજ્ય સંચાલન માટેના પેદા થયેલા સર્વસંમતિના (કન્સેન્સસ) ખ્યાલને ભુલાય તેમ નથી. આ ઐતિહાસિક ફાળામાં કૉંગ્રેસનો એક પક્ષ કરતાં ચળવળ તરીકે જે ફાળો હતો, તે આજની રાજકીય સત્તાલક્ષી કૉંગ્રેસથી ભુલાઈ ગયો છે. વિસ્મૃત થઈ ગયો છે. બીજી બાજુએ આ ઐતિહાસિક સર્વસંમતિને બાજુ પર મૂકીને મોદી સરકાર આકાશમાં વિકાસની ખેતી અને ધરતી પર કોમવાદની ફસલ લણે છે. આખા ઉત્તરપ્રદેશમાં અમિત શાહ અને આદિત્યનાથ શું કરી રહ્યા છે ? આની સામે પેલી આઝાદીની ચળવળે પેદા કરેલ સર્વસંમતિવાળાં મૂલ્યોના આધારે વર્તમાન પ્રવાહોને તપાસ્યા કરવા જોઈએ. આટલા મોટા ઐતિહાસિક પ્રવાહોનો કોઈ એક છેડો પકડવાથી દેશનું દળદર ફીટે નહીં. ભાગ (પાર્ટ) એ પૂર્ણ (ફુલ) બની શકે નહીં, પૂર્ણ હોય તે ભાગ બની શકે નહીં. સ્વરાજ્ય સંગ્રામની જે વિરાસતમાં ગાંધી સાથે નેહરુ અને સરદારના સહિયારા પ્રયત્નોથી જે મૂલ્યો આધારિત સર્વસ્વીકૃતિ ઊભી થઈ હતી તે લક્ષમાં રાખીએ. હા, જરૂર પડે તેમાં સુધારાવધારા અવશ્ય કરીએ.
ગુજરાતમાં વ્યાપક સ્તરે ઇન્ટલેક્ચુઅલ-બૌદ્ધિક ને સેક્યુલર જેવા શબ્દોને ગાળ બનાવી દેવામાં આવ્યા છે, ત્યારે પ્રોફેસર પારેખ જેવાની બૌદ્ધિક દરમિયાનગીરીનું વિશેષ મહત્ત્વ છે. તેમણે જે રીતે મુદ્દા ઊભા કરી આપ્યા છે એ રીતે, મુદ્દાસર અને ઊંડાણથી ચર્ચા આગળ ધપાવવાની જરૂર છે. બાકી, અત્યાર લગી ઘણા વિદ્વાનો-ઍકૅડૅમિશિયનો ચંદ્રગુપ્તની ફરતા ચાણક્ય જેવા લાગ્યા છે. જે શાસક તેમની થિયરી સાકાર કરી બતાવે એવો લાગે, તેના બીજા મૂલ્યાંકનમાં આ ‘ચાણક્યો’ તટસ્થતા કે ધોરણ જાળવી શકતા નથી. તે સગવડે એવું માની લે છે કે બાકીની બાબતોમાં તો એ ‘સુધરી જશે’.
આ વિચારગોષ્ઠિમાં આપણે ૧૬મીએ પેદા કરેલા પ્રવાહોનું પૃથક્કરણ કરીએ છીએ ત્યારે મને શ્રીમતી થેચરની રૂઢિચુસ્ત પાર્ટી સતત એક પછી એક ચૂંટણી જીતતી હતી અને અમારી લેબર કે મજૂરપાર્ટી સતત ચૂંટણી હારતી જતી હતી તે દિવસો યાદ આવ્યા. તે સમયની ડિબેટ મને યાદ આવી. બ્રિટનના સર્વોચ્ચ (ટોપ મોસ્ટ) સમાજવાદી અને માર્ક્સવાદી બૌદ્ધિકોએ તારણ કાઢ્યું કે જો તમારી અંગત કે સામાજિક સમસ્યાનું નિદાન (ડાયગ્નોસીસ) ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. મને એમ લાગે છે કે આપણા રોગના નિદાન ઉપર આપણી પકડ આવતી નથી. અમે ઇંગ્લૅન્ડમાં થેચરની આર્થિક નીતિઓ સમજવામાં નિષ્ફળ ગયા. સને ૧૯૭૯માં થેચર સત્તા પર આવ્યાં ત્યારે તેમણે ખરેખર પોતાની આર્થિક નીતિ પહેલેથી ઘડી જ ન હતી. ‘થેચરોનૉમિક્સ’ જેવો તેમનો એજન્ડા જ નહોતો. અમારી લેબર પાર્ટીનો જે અર્થતંત્રનાં જુદાં – જુદાં ક્ષેત્રોનો રાષ્ટ્રીયકરણનો એજન્ડા હતો, તેને બદલે તેમણે ડીનેશનાલાઇઝેન કે તે ક્ષેત્રોનું ખાનગીકરણ શરૂ કર્યું. આ બની ગયું ‘થૅચરોનૉમિક્સ’. અમે લેબર પાર્ટીવાળાએ ધારી લીધું કે તેઓ મૂડીવાદી વિચારસરણીનું મૂર્ત સ્વરૂપ (ઍમ્બૉડીમેન્ટ) છે. અમે વડાંપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપ્યું હતું.
Bead Bai (ખોટા મોતી ના સાચા વેપારી) by Sultan Somjee
Basically, it is about the settlement of the Satpanth Ismaili Khoja community in East Africa with roots in the princely state of Kathiawar in British India, but Somjee has skilfully contextualised the tales of their arrival and venture into the hinterland with the art and craft of native bead making. He is an ethnographer by academic training and in this extraordinarily ambitious work he has used his learning and professional expertise, gained over many years` field work in Kenya, to perfection.