દરેક સમયમાં શાસન પોતાની વિચારસરણીનો પ્રભાવ વિસ્તારવા દરેક ક્ષેત્રના બૌદ્ધિકોને માન-અકરામ કે પદ દ્વારા નવાજીને પોતાના પ્રચારક બનાવે અને પ્રજાને લાભાર્થી બનાવી પોતાની આણ વર્તાવે એ તો બનતું જ આવ્યું છે, અંગ્રેજ સરકાર દ્વારા ‘લૉર્ડ’ કે ‘સર’ના ખિતાબ પામેલા અનેક મહાપુરુષો ને વંશજો સ્વતંત્ર ભારતના નેતા બની ગામેગામના ચાર રસ્તે ઊભા છે. તો વળી સ્વાતંત્ર્યોત્તર ગાંધીશાસન સાથે જોડાઈને અનેકો પોતપોતાના ક્ષેત્રમાં ટોચે પહોંચ્યા છે. દેશનો ગરીબ માણસ પ્રચારસામગ્રી બનતો ગયો અને એની પીડા હાંસિયામાં જ ધકેલાતી રહી. હવે નવા શાસનનો મધ્યાહ્ન તપે છે.
ગઈ સરકારના સમર્પિત એવા પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ જસ્ટીસ કાત્જુ પવન બદલાતા અચાનક પોતાનો શઢ નવી સરકારનાં વલણો તરફ ફેરવે અથવા રાજકીય હવામાનનો વર્તારો પામીને ચૂંટણી પૂર્વે એમ.જે. અકબર ‘કાંચળી-બદલે’ આ બધું ભલે મને-તમને આશ્ચર્ય કે આઘાત નથી પહોંચાડતું, ભલે વ્યવહારુ કે બુદ્ધિમત્તાભર્યું લાગતું હોય, પણ સૈદ્ધાાન્તિક રીતે બહુ કઢંગુ અને કુરૂપ લાગે છે, ઊંડે ઊંડે ખૂંચે છે પણ ખરું. ઇતિહાસને નામે તથ્યોની તોડ-મરોડ અને શિક્ષણને નામે પોતપોતાની પતાકાઓ લહેરાવવાની પ્રવૃત્તિ જે તે ક્ષેત્રના સિદ્ધાંતોને ખાઈમાં ધકેલી નવાં સોપાન સર કરતી જોવા મળે છે. આ અપસંસ્કૃિતના વિસ્તારનો યશ સ્વતંત્ર ભારતના કયા શાસનને આપવો એ સમજાતું નથી. નાગરિક અને સર્જક હોવાને નાતે આ બધી પીડાથી મૃત્યુપર્યંત મારો પીંડ નથી છૂટવાનો એ મારું સદ્દભાગ્ય છે. આ સદ્દભાગ્ય જ મારી સર્જનાત્મકતાનું ઉદ્દગમસ્થાન છે. અભિવ્યક્તિ માટેનાં ઓજાર મને મારો સમય પૂરાં પાડે છે.
હમણાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જવાનું થયું અને ઉપર્યુક્ત વિચારોએ રચનાનું સ્વરૂપ લીધું, એ રચના ‘નિરીક્ષક’ના મિત્રો માટે …
ટોડરમલ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસમાં
મને પ્રેમાનંદ દેખાયા હોત,
તો
હું
પોસ્ટમૉર્ડનિટીનું છોગું ફગાવીને
હાથમાં ભૂંગળ લઈ એવું બજાવત
કે
અ સા થૈ તા થૈ તા ભાઈ ભલા થઈ જાત,
મને મહર્ષિ થયા પહેલાના અરવિંદ દેખાત
તો
એમને ચોક્કસ કહેત
કે
કૅમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓને
ક્રાંતિના પાઠ ભણાવે.
બંધારણ ઘડ્યું
તે પહેલાના ભીમરાવ આંબેડકર દેખાયા હોત
તો એમને વિનંતી કરત
કે
વિદ્યાર્થી પાંખો વચ્ચે ચાલતી કબ્બડીને
રીલેરેસમાં બદલી આપે,
પણ
મને
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસમાં
દેખાયા ટોડરમલ. હા,
એ જ ટોડરમલ
જેમને
મોગલ શહેનશાહ અકબરે
ગુજરાત જીત્યા પછી
બનાવ્યા હતા
ગુજરાતના
પહેલા દીવાન
અને
ત્યાર પછી
બનાવેલા દિલ્લીના વજીર.
સમયની ખિસકોલી
નાજુક પળની એક ડાળ પરથી
બીજી ડાળ પર
સરી રહી હતી,
મને આશ્ચર્ય હતું એમના હોવાનું
પણ જનતાજનાર્દન
ગદગદ હતી
એમના હોવાથી
અને
પેલી ખિસકોલી
આગલા બે પગ ઊંચા કરી
સમગ્ર દૃશ્યને આંખમાં ભરી
ઊભી હતી
મારી સામે
ખડખડાટ હસતી.
ટોડરમલની
ચર્ચા હતી
ચારેકોર
સમાચારપત્રોમાં
ટેલિવિઝન ચૅનલો પર
સોશિયલ મીડિયામાં,
ઍન્સાઇક્લોપીડિયામાં,
ઇન્ટરનેટ પર
કોઈક કહે છેઃ
‘ટોડરમલ ઉત્તરપ્રદેશના લાહરપુર ખાતે
સામાન્ય ખત્રીપરિવારમાં જન્મ્યા હતા.
બાળપણમાં પિતાનું મૃત્યુ થયેલું.
આવકનું કોઈ સાધન નહોતું
શેરશાહ સુરીના સમયમાં
એક સામાન્ય છીપા તરીકે કૅરિયર શરૂ કરેલી
અને ….’
કોઈક કહે છે :
‘શેરશાહ સુરી વંશના રાજમાં
એમણે સામાન્ય કારકુન તરીકે કૅરિયર શરૂ કરેલી
પછી સુરીએ એમને બઢતી આપી,
મોગલો સામે લડવા મોકલ્યા
પણ
સુરીવંશના પતન પછી
મોગલવંશનું શાસન આવ્યું
અને
ટોડરમલે મહત્ત્વના કારભારી તરીકે કામગીરી ચાલુ રાખી.’
કોઈક કહે છેઃ
‘મોગલવંશના શાસન દરમિયાન
રાજપાટ છોડીને
એ હિમાલય ચાલ્યા ગયેલા
પણ
રસ્તામાં
શહેનશાહ જલાલુદ્દીન અકબરનો પત્ર મળ્યો,
જેમાં
લખ્યું હતું
તીર્થસ્થાન જવા કરતાં
લોકોની સેવા કરવી સારી,
એટલે
એ પાછા ફરેલા.’
તો
વળી કોઈક કહે છેઃ
‘અંગ્રેજ ઇતિહાસકારોના મતે
એમની જાતિ વિશે
અકબરનામામાં
શહેનશાહ જલાલુદ્દીન અકબરે પણ
કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો,
એટલે
એમની જ્ઞાતિ વિશે
સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે
પણ
કદાચ તેઓ કાયસ્થ હતા’.
એક વેબસાઇટ કહે છે :
‘અકબરના શાસન દરમિયાન
શહેનાઝ નામની બાંદીના બંને હાથ પકડીને
ટોડરમલ ઊભા હતા,
એવું દૃશ્ય મહારાણી જોધાબાઈએ જોયું હતું
અને
એમના પર સ્ત્રી ઉપર બળજબરી કરવાનો આરોપ મુકાયો હતો.
જો કે
શહેનશાહ જલાલુદ્દીન અકબરે
આ આરોપોને
રાજકીય ષડ્યંત્ર ગણાવ્યા હતા.’
એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે
ટોડરમલ એક વીડિયોગેમ છે,
જે ગૅમની કાલ્પનિક સભ્યતામાં
રાજાઓ
અને
ઈશ્વરો
મહાન વેપારીઓ છે,
જેમની લડાઈમાં
રમનાર પોતે
લડે છે
ટોડરમલ બનીને.
ઇતિહાસ કહે છે
કે
દિલ્લીમાં અકબરનું રાજ હતું,
ત્યારે ટોડરમલે
જમીન માપવાના માપદંડો
શોધેલા
અને
મહેસૂલપ્રથા દાખલ કરેલી.
જો કે
ઇતિહાસ એવી દલીલ પણ લાવે છે
કે
આ મોગલો આવ્યા પહેલાના સમયમાં
ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન
ચાણાક્યએ
જમીનમાપણી
અને
મહેસૂલ પ્રથા દાખલ કરેલી !
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં
એક વિદ્વત્તાભર્યું વ્યાખ્યાન આપતી વખતે
ટોડરમલે અનેક બહુમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા
પણ
એ સ્પષ્ટ ન કર્યું
કે
ઇતિહાસ
જનતાને કન્ફ્યૂઝ કેમ કરે છે ?
એમણે આઇસ્ક્રીમ ખાતા પત્રકારોને
એવો સંકેત જરૂર આપ્યો
કે
યુનિવર્સિટીના અભ્યાસક્રમો બદલવાની જરૂર છે .
કાળના પટ પર દોડતી ખિસકોલી
હસતી હતી
એ
આ મોગલ શાસકો
અને
બ્રિટિશરો કરતાંય વધારે જાણતી હતી ટોડરમલને
એટલે
મેં એના સૉર્સને વધારે ઑથેન્ટિક માનવાનું નક્કી કર્યું.
ખિસકોલીના પગ પર
દેખાતા હતા
ટોડરમલના કપડાના રંગ
અને
ધારીને જોવાથી
ટોડરમલના પૈરાહન પર
દેખાતી હતી
ખિસકોલીના પગની છાપ.
જો કે
આ વિશે
ટોડરમલ પોતે એવું
કહેતા
કે
આ તો છે
માબદૌલતે
ઉર્દૂમાં
લખી આપેલો ખિતાબ.
મારા મનમાં
એક પ્રશ્ન ચાલે છેઃ
સમય બડો
કે
બાદશાહ ?
વરસાદી રાતે યુનિવર્સિટી કૅમ્પસમાં
ઉઘાડા ડિલે ફૂટબૉલ રમતા વિદ્યાર્થીઓનો શોરબકોર
તમને અકળાવી મૂકે છે ટોડરમલ,
મધરાતે
આરક્ષિત વિસ્તારોમાં
બાઇકર્સ હુડદંગ મચાવે છે
અને
તમે વ્યથિત થઈ જાઓ છો,
ટોડરમલ,
તમે
સારી રીતે જાણો છો
કે
સુવિધાને બદલે
સ્વતંત્રતા પસંદ કરનારા લોકો
કોઈ પણ સત્તા માટે જોખમરૂપ હોય છે.
વિરોધી
વિપક્ષી
અને
વિદ્રોહી
ત્રણેની તમને બરાબર પરખ છે ટોડરમલ,
અને
એટલે જ
તમે એવી વ્યવસ્થા ઊભી કરી છે;
જેમાં વખત આવ્યે
તમે વિરોધી
અને વિપક્ષીને સાથે લઈ લો છો
અને …..
તો
ટો
ડ
ર
મ
લ
ભલે તમે એવાં તોલમાપ અમલી બનાવ્યાં
જે તમારી ઇચ્છા પ્રમાણે
હરકોઈને રાખે તમારી આણમાં,
ભલે
તમે
એવો ગજ શોધ્યો
જ્યાં કોઈનો ગજ ન વાગતો હોય,
ભલેને
તમે ઇતિહાસની એ પરિભાષા જાણતા હો
કે
‘હિસ્ટ્રી રિપીટ્સ’
છતાં
તમે
ગમે તેટલી વાર તમારા ઇતિહાસનું પુનરાવર્તન કરશો
પણ
આ સમયની ખિસકોલી
નાજુક પળની એક ડાળ પરથી
બીજી ડાળ પર સરકી રહી છે.
શું તમે
એનાથી
ડગલું ય આગળ જઈ શકશો ખરા ?
(રચના : “કવિલોક”, જુલાઈ-ઑગસ્ટમાંથી સાભાર)
e.mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 10-11