નાત જાત ગત ઊંચનીચનું હિંદમહેણું જ્યારે એક ગોરા મુલકમાં ભાંગે છે.
આંબેડકરજયંતી ઊઘલી ન ઊઘલી ત્યાં તો આંતરરાષ્ટ્રીય મોરચે, સમતા સંઘર્ષની દિશામાં, એ વધામણાં આવી મળ્યાં કે બ્રિટનમાં જે સમાનતા કાનૂન હાલ પ્રવર્તે છે, એના ક્ષેત્રમાં હવે જ્ઞાતિઆધારિત ભેદભાવના મુદ્દાનો પણ સમાવેશ થશે. નીચલું ગૃહ (હાઉસ ઓફ કોમન્સ) અને બ્રિટનની સરકાર લાંબા સમય લગી આ સુધારા માટે તૈયાર નહોતાં. અગાઉ ઉપલાગૃહે (હાઉસ ઓફ લોર્ડ્ઝ) આ દિશામાં ભોં ભાંગવાની કોશિશ કીધી, ત્યારે પણ હાઉસ ઓફ કોમન્સનો (અને સરકારનો) પ્રત્યાઘાત એ હતો કે જ્ઞાતિઆધારિત ભેદભાવની વાતને સમાનતા કાનૂનમાં આવરી લેવાનો ખયાલ દુરસ્ત નથી. પણ ઉપલાગૃહે વળી પોતાની ભૂમિકા દોહરાવી એટલે નીચલાગૃહ સમક્ષ (અને સરકાર સમક્ષ) ‘ઘુમ જાવ’ કહેતાં ‘એબાઉટ ટર્ન’ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં, અને આ એક રોમહર્ષક વાત બની આવી.
આટલે લગી, મુખડો બાંધ્યા પછી, જો કે જરી ચોખારીને કહેવું જોઈએ કે મામલો શો છે. ભાઈ, જ્ઞાતિઆધારિત ભેદભાવ એ લગરીક ગિલેટબંધ પ્રયોગ છે. મામલો ઊંચનીચ અને આભડછેટનો, એનાં નવરૂપનો છે – અને વિનોબા બચાડા કે’દીના કહી ગયેલા તેમ ‘જો ‘જાતી’ હી નહીં વો ‘જાતિ’ હૈ.’ ગૌરવ ગરબડગ્રસ્ત ભારતવંશીઓ જ્યાં પણ જાય ત્યાં આ લઈને જ જાય છે, અને ગોરાકાળાના ભેદ સામે ઊછળી ઊછળીને બોલતે છતે ઘરઆંગણની અસમાનતા બાબતે જાતમાં ઝાંખવાપણું જોતા નથી.
જ્યાં સુધી પશ્ચિમ કહેતાં યુરોપ-અમેરિકાનો સવાલ છે, એમને સારુ હિંદુ ધર્મના અંતર્ગત ભાગરૂપ બની ગયેલ ઊંચનીચ અને સ્પૃશ્યતા-અસ્પૃશ્યતાનો એ એક ન્યારો પદારથ છે. મુદ્દે, ‘કલાસ’ની સરખામણીએ ‘કાસ્ટ’ એ ખાસી કાઠી વાત છે, અને ગોરાકાળાનો અગર વંશીય ભેદભાવનો મુદ્દો પ્રમાણી ક્રમશ: એ મોરચે સમતાલક્ષી હિસાબ આપતા થયેલા પશ્ચિમને, તે બધો વખત નયે પકડાય. થોડાં વરસ ઉપર મળેલી ડરબન પરિષદમાં, જો સરેરાશ સાથી-ગુજરાતીને સ્મરણ હોય તો, એ સ્તો મહત્ત્વનો મુદ્દો હતો કે દલિત પ્રશ્નને વંશીય ભેદભાવને ધોરણે ઘટાવી શકાય કે નહીં.
ગમે તેમ પણ, ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બ્રિટનના આઠ લાખથી વધુ હિંદુઓના લગભગ અડધોઅડધ એટલે કે ચાર લાખ જેટલા દલિતોને સારુ આ જરૂર આનંદઓચ્છવના નહીં તો પણ આશા અને ધરપત બંધાવતા સમાચાર છે. તેઓ કાળક્રમે ગોરી પરજ થકી નહીં, એટલો ભેદભાવ સ્વધર્મબાંધવ એવી ભૂખરી પરજ થકી અનુભવવાની સ્થિતિમાં મુકાતા ચાલ્યા હતા. આ ભૂખરી પરજનાં વગદાર તત્ત્વો અને ગૌરવર્ણી રાજકીય અગ્રવર્ગના ઠીક ઠીક હિસ્સા વચ્ચે ચોક્કસ સમજૂતી અને સંવનન કેટલાં ગાઢ હશે તે હાઉસ ઓફ કોમન્સે હમણાં માર્ચમાં જ દાખવેલ વિપરીત વલણ પરથી સમજાઈ રહે છે. જો કે, એંગ્લો-સેક્સન અગ્રવર્ગની દલીલ મૂલત: સમાનતાવિરોધી નહોતી એટલું અહીં અવશ્ય નોંધવું જોઈએ. એમની દલીલ એ હતી કે આવી બાબતોમાં લોકશિક્ષણ જેવો ઉત્તમ અપાય એકે નથી, માટે કાયદાબાજીથી પરહેજ કરવી ઘટે છે.
વીરા મોરા, ભાઈ ગોરા, તારે ત્યાંની જ તવારીખમાં જરી નજર માંડ ને કાયદો અને સુધારાની ચળવળ બેઉ સાથેલગાં ચાલ્યાં ત્યારે કંઈકે વાત બની. ભારતવંશીઓ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં બેસતા થયા એ તો ઠીક; પણ બરાક હુસેન ઓબામા જેવો મુસ્લિમ મધ્યનામી અને આફ્રિકી અમેરિકન પિતાનો પુત્ર વ્હાઈટ હાઉસનો લાગટ બીજી વાર ભાડુઆત બની શકે છે. સુધારાની હિલચાલ, લોકશિક્ષણ અને કાનૂન સંધું મળીને આ બને છે.
દિલ્હી-અમદાવાદ છેડે જોવાનું એ છે કે વરભૂમિ (પ્રોમિસ્ડ લૅન્ડ) અને અવસર ભૂમિએ ખાબકી બે પાંદડે થઈ રાજકાજ જાહેર જીવનમાં પૂછાતા થયેલા ભારતવંશી ભાઈલોગ ત્યાં જે હક ભોગવે છે, તે ત્યાં જ પોતાની મંડળીમાં કથિત નીચલી પાયરીના જણને સારુ જોગવવા રાજી નથી. ઈંગ્લંડમાં સમતાવાદી ‘કાસ્ટ વાચ’ની સક્રિયતા હોય નહીં, અને સુધારા સામેની ‘હિંદુ એલાયન્સ’ની હિલચાલ પાછી પડે નહીં. ‘હિંદુ એલાયન્સ’ તરફથી બીજું તો ઠીક પણ, સૂચિત સુધારા સબબ અંગ્રેજ સરકાર સામે ભળતીસળતી દલીલો ન થઈ હોત તો પણ શોભીતું થયું હોત: તમે એશિયનોને કેવા લૂંટયા છે, શોષ્યા છે, તમારે ત્યાં જુલમ નથી, તમે કોણ અમને કહેનાર, વગેરે.
‘હિંદુ એલાયન્સ’ની વાતમાં ખેંચાવું નહીં, એવું કહેવાનું એક તબક્કે એક શીખ મંડળીને ફાળે આવ્યું ! સાંખ્યયોગની શોધમાં હિંદુસમાજ શીખોને પોતાના ભેગા ગણાવવા ઇચ્છે છે (‘હિંદે લો’ની સામાજિક પરિધિમાં તે સમજી પણ શકાય છે), પણ હિંદુત્વ સમીકૃત રાષ્ટ્રવાદ જેમ ઘરઆંગણે, તેમ દેશ બહાર પણ ભયાવહ સંમશિ્ર સંકેતો આપે છે અને શીખોને) અલાયદી ઓળખઝુંબેશના ‘અતિ’ સારુ હવા આપે છે. (અહીં અલબત્ત ખાલીસ્તાનની હિમાયતનો ખયાલ નથી.) જો કે, શીખ વર્તુળોને પણ કોઈકે કહેવું ઘટે છે કે હિંદુ ઊંચનીચ તમે જોડે લઈ ગયા નથી એવું નથી. બંધારણસભામાં અનામતની ચર્ચા દરમિયાન મજહબી શીખોએ પણ માગણી કરી તે હિંદુ-ઈતર ધર્મખોજમાં પડેલા આંબેડકરને સારુ સાક્ષાત્કારક ક્ષણ હતી એ સાંભરે છે. ક્યાંક ઉજિળયાત અને દલિત ખ્રિસ્તીઓનાં અલગ અલગ દેવળો પણ છે, તે આપણી નાતજાતપ્રથાનો અને ખ્રિસ્તીઓના ‘ભારતીયકરણ’નો એક આબાદ દાખલો છે.
…પણ, આ ક્ષણે તો એ વાતે રાજીપો કે વૈશ્વિક સમતા સંઘર્ષમાં મનુષ્ય જાતિ ઈંચ બ ઈંચ આગળ વધી રહી છે.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે. અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2013