Opinion Magazine
Number of visits: 9446682
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યાપક પ્રજાકીય હિત માટે રસ્તા પર ઉતરનારા અને સંઘર્ષ કરનારા નાગરિક-હસ્તક્ષેપની પરંપરા જો વિકસાવી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2017

આજે સંકુચિત સ્વાર્થ માટે દબાવ પેદા કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિશાળ પ્રજાકીય હિત માટે સમગ્ર દેશ ઉદાસીન છે; પછી એ નાગરિક સમાજ હોય કે રાજકીય પક્ષો. આ સ્થિતિનું પરિણામ આપણી સામે છે

આઝાદી પછી કેટલાક ગાંધીજનો કૉન્ગ્રેસમાં ગયા અને બીજા કેટલાક રચનાત્મક કામમાં વળગ્યા. વિનોબા ભાવે તેમનું નેતૃત્વ કરતા હતા અને ભૂદાન/ગ્રામદાન આંદોલન વગેરે એ સમયે ગાંધીજનો દ્વારા થયેલાં મોટાં કામ હતાં. બન્યું એવું કે જે લોકો રચનાત્મક કામમાં લાગ્યા હતા એવા ગાંધીજનો રાજકારણમાં રસ નહોતા લેતા. રાજકારણ એ સ્વભાવત: સમાજમાં વિભાજન પેદા કરનારી પ્રવૃત્તિ છે એટલે ગાંધીજનોએ રાજકારણની બાબતમાં ઉદાસીન રહેવું જોઈએ એવી વિનોબા ભાવેની ભૂમિકા હતી.

ડૉ. રામ મનોહર લોહિયાએ વિનોબા ભાવેના આવા વલણનો વિરોધ કર્યો હતો. તેમની ભૂમિકા એવી હતી કે રાજકારણ એ કેવળ સત્તાકારણ હોતું નથી, એ સમાજકારણ કે પ્રજાકારણ પણ હોય છે. પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા માટે શાસકો પર દબાવ પેદા કરવો જરૂરી હોય છે અને એ સત્તાના રાજકારણમાં સીધો રસ ન ધરાવનારા નાગરિક-સમાજનું કામ છે. આ ઉપરાંત નાગરિક-સમાજે પ્રશ્નોને સમજવામાં અને એનો ઉકેલ શોધવામાં પણ રસ લેવો જોઈએ. આમાં સૌથી મહત્ત્વની ભૂમિકા હસ્તક્ષેપની છે. નાગરિક-હસ્તક્ષેપના અભાવમાં શાસકો બેજવાબદાર બની જાય છે.

તેમણે ગાંધીજી પછીના ગાંધીજનોના ત્રણ પ્રકાર ગણાવ્યા હતા. પહેલો પ્રકાર એ લોકોનો જેઓ શાસકો હતા. આવા ગાંધીજનોને લોહિયા રૉયલ ગાંધિયન તરીકે ઓળખાવતા હતા. બીજો પ્રકાર પ્રજાના દૈનંદિન પ્રશ્નોની ઉપેક્ષા કરીને કેવળ આશ્રમો કે સંસ્થાઓમાં બેસીને રચનાત્મક કામ કરનારા ગાંધીજનોનો, જેને લોહિયા મઠી ગાંધીવાદી તરીકે ઓળખાવતા હતા. ડૉ. લોહિયા પોતાને ત્રીજા પ્રકારના કુજાત ગાંધીજન તરીકે ઓળખાવતા હતા. એવા ગાંધીજન જે સત્તાના રાજકારણમાં પણ રસ લેતા હોય અને એ સાથે પ્રજાકારણ તેમ જ રચનાત્મક કામ પણ કરતા હોય. કુજાત એટલે બન્નેમાંથી એકે ય જાતમાં સંપૂર્ણપણે નહીં બેસનારા ગાંધીજન.

તેમણે રાજકીય પક્ષો માટે પણ ત્રણ કાર્યક્રમ આપ્યા હતા. એક સત્તાનું રાજકારણ જેમાં ચૂંટણી લડવાની. ચૂંટણીઓ હંમેશાં જીતવા માટે અને સત્તા મેળવવા માટે જ નથી લડવામાં આવતી, એ નાગરિકની રાજકીય સમજ વિકસાવવા માટે પણ લડવામાં આવે છે અને લડવી જોઈએ. એટલે તો જીતવાની કોઈ શક્યતા ન હોવા છતાં ડૉ. લોહિયા ચૂંટણી લડતા હતા અને સાથીઓને ચૂંટણીના મેદાનમાં ઊભા રાખતા હતા. ચૂંટણી વખતે અનેક પ્રજાકીય પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જેમાં નાગરિકોને ખબર પડે કે કયો રાજકીય પક્ષ કોઈ એક પ્રશ્ન વિશે શું વિચારે છે અને શું ઉપાય સૂચવે છે. બીજો કાર્યક્રમ તેમણે સંઘર્ષનો આપ્યો હતો. રાજકીય પક્ષ પ્રજાના પ્રશ્ને સતત સંઘર્ષરત હોવો જોઈએ. જેમ નાગરિક સમાજનાં સંગઠનોએ સતત રસ્તા પર ઊતરતા રહેવું જોઈએ એમ રાજકીય પક્ષોએ પણ સતત રસ્તા પર ઊતરવું જોઈએ. વિરોધ પક્ષનો કાર્યકર વરસમાં એક વાર જેલમાં ન જાય તો તે પ્રજાકીય પ્રશ્ને ઉદાસીન છે એમ માનવું જોઈએ. ત્રીજો કાર્યક્રમ તેમણે રચનાત્મક કામ કરવાનો સૂચવ્યો હતો. શિક્ષણ, આરોગ્ય કે બીજા જે કોઈ વિષયમાં રસ પડતો હોય એવાં રચનાત્મક કામ રાજકીય પક્ષોએ અને કાર્યકરોએ કરવાં જોઈએ.

દુર્ભાગ્યે બન્યું એવું કે જે લોકો જીવનસમર્પિત કરીને પ્રજાની સેવા કરતા હતા એ લોકો શાસકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડે કે વ્યવસ્થામાં સુધારા કરાવવા માટે મેદાનમાં આવવું પડે એવા પ્રશ્ને ઉદાસીનતા ધરાવતા હતા. પ્રજાકારણને રાજકારણ સમજીને તેમણે એના તરફ સૂગ કેળવી હતી જેને ડૉ. લોહિયા મોટી ભૂલ ગણાવતા હતા. બીજી બાજુ રાજકીય પક્ષો ચોવીસે કલાક સત્તાનું રાજકારણ કરવા લાગ્યા હતા અને એમાં ડૉ. લોહિયાના મૃત્યુ પછી તેમનો પક્ષ પણ અપવાદ નહોતો. કોની સાથે સમજૂતી કરવાથી કેટલો લાભ મળે કે કઈ જ્ઞાતિનો ઉમેદવાર ઊભો રાખવાથી કેટલો ફાયદો થાય કે પછી ચોક્કસ કોમ કે જ્ઞાતિના ઉમેદવારને અપક્ષ ઊભો રાખવાથી સામેવાળાના કેટલા મત કાપી શકાય કે પછી કોણ ચૂંટણી જીતવા માટે મોટા પ્રમાણમાં ધન લાવી શકે એમ છે એવી ગણતરીઓ કેન્દ્રમાં આવી ગઈ.

આજે સ્થિતિ એવી છે કે ગોરખપુરમાં ૭૦ બાળકો મરી જાય તો નથી કોઈ નાગરિક સંગઠનો રસ્તા પર ઊતરતાં કે નથી કોઈ રાજકીય પક્ષો ઊતરતા. એની જગ્યાએ જો કોઈ દલિત, જાટ, હિન્દુ કે મુસ્લિમ યુવતી સાથે છેડતીની ઘટના બને તો જ્ઞાતિકીય કે કોમી સંગઠનો રસ્તા પર ઊતરે છે અને તેમના મત મેળવવા રાજકીય પક્ષો પસંદગીના ધોરણે દોડી જાય છે. આનો અર્થ એવો નથી કે છેડતીની ઘટના ઓછી ગંભીર છે, પરંતુ ૭૦ બાળકોનાં મૃત્યુ જેટલી ગંભીર તો નથી જ. ભારતમાં સામૂહિક લોકકલ્યાણ માટે સમગ્ર સમાજ ઉદાસીન છે. આપણને કહેવાતો અન્યાય થતો હોય અથવા જોઈતો લાભ ન મળતો હોય રસ્તા પર ઊતરવાનું અને શાસકો પર દબાવ પેદા કરવાનો, પણ સમગ્ર સમાજના એકસરખા કલ્યાણની વાત આવે તો ઉદાસીનતા. ડૉ. રામ મનોહર લોહિયા સાત દાયકા પહેલા આવી સંભાવના ભાળી ગયા હતા એટલે તેમણે કૉન્ગ્રેસમાં ન ગયેલા ગાંધીજનોને કહ્યું હતું કે સત્તાનું રાજકારણ ભલે ન કરો, પણ વ્યવસ્થા સુધારવા માટે શાસકો પર દબાવ લાવનારું પ્રજાકારણ કરો અને રાજકીય પક્ષોને કહ્યું હતું કે સત્તાના રાજકારણની સાથે-સાથે પ્રજાકારણ કરવાનું ભૂલતા નહીં.

બન્નેમાંથી કોઈએ આ કર્યું નહીં. આજે સંકુચિત સ્વાર્થ માટે દબાવ પેદા કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિશાળ પ્રજાકીય હિત માટે સમગ્ર દેશ ઉદાસીન છે; પછી એ નાગરિક સમાજ હોય કે રાજકીય પક્ષો. આ સ્થિતિનું પરિણામ આપણી સામે છે. તમામ લોકસેવાઓને ગણતરીપૂવર્કા ખતમ કરવામાં આવી રહી છે કે જેથી એનું ખાનગીકરણ કરી શકાય. શિક્ષણ, તાર-ટપાલ, ટેલિફોન, રાજ્યપરિવહનસેવા, વિમાનસેવા એમ દરેક સરકારી લોકકલ્યાણની સેવાઓને જાણીબૂજીને માંદી પાડવામાં આવી રહી છે જેથી એના ખાનગીકરણ માટે બહાના તરીકે ઉપયોગ કરી શકાય. ગોરખપુરની ઘટના પછી ઘણા લોકો આરોગ્યસેવાના ખાનગીકરણની વકીલાત કરવા લાગ્યા છે. આપણે ત્યાં આરોગ્યસેવા માટે કેન્દ્રીય બજેટમાં કુલ ખર્ચમાં કેવળ ૧.૨ ટકો ખર્ચ કરવામાં આવે છે જે ચીનમાં ૨.૯ ટકા છે, બ્રાઝિલમાં ચાર ટકા છે અને અમેરિકામાં ૮.૫ ટકા છે. જો વ્યાપક પ્રજાકીય હિત માટે રસ્તા પર ઉતરનારા, સંઘર્ષ કરનારા નાગરિક-હસ્તક્ષેપની પરંપરા વિકસાવી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત. સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં વ્યાપક જનહિતના પ્રશ્ને ચર્ચા થતી હોત અને સરકાર સજાગ રહેતી હોત.

આજે સ્થિતિ એવી છે કે દલિતનો પ્રશ્ન હોય ત્યારે દલિત ઊહાપોહ કરે, પટેલોને વાંકું પડે ત્યારે પટેલો બોલે, હિન્દુઓને વાંકું પડે ત્યારે હિન્દુ બોલે; પણ ભારતના વ્યાપક હિત માટે બોલનારું કોઈ નથી ત્યાં સંઘર્ષ તો બહુ દૂરની વાત છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉગસ્ટ 2017

Loading

20 August 2017 admin
← એકાણુમે
ભાગલાની દાનવતા વચ્ચે માનવતાની મહાગાથા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved