Opinion Magazine
Number of visits: 9450529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વો સુબહ કભી તો આયેગીઃ લોકશાહીને ધ્રુવીકરણનો અપચો થશે ત્યારે ઘૃણાના રાજકારણનો તખ્તો ફેરવાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 February 2020

ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકો માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી, ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે.

લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું હથિયાર છે, આમ તો આ હથિયારની ધાર કાઢવી કે તેનો યોગ્ય ઉપયોગ કરવો નાગરિકોના હાથમાં જ હોય છે પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓને આ હથિયારનો દુરુપયોગ બહુ સારી પેઠે આવડે છે. પણ છતાં ય ચૂંટણી નામના આ હથિયારનો હાથો અંતે તો નાગરિકોના હાથમાં જ હોય છે. દિલ્લીની ચૂંટણી માથે છે ત્યારે ઓપિનિયન પૉલ્સમાં અરવિંદ કેજરીવાલની જીત સ્વાભાવિક હોઇ શકે છે તેવું દેખાઇ રહ્યું છે. જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો એ સાબિત થઇ જશે કે લોકોને સુશિક્ષિત, વિકાસલક્ષી અને સમાજનું ધ્રુવીકરણ ન કરે તેવી લોકશાહીમાં જ રસ છે. પાટનગરની ચૂંટણીના માહોલમાં એક નવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે, ‘પૉલિટિક્સ ઑફ હેઇટ’ અને આવું રાજકારણ એ લોકશાહી માટે ઊધઇ સાબિત થાય છે. મૂળ તો એ મુદ્દાની વાત કરવાની છે કે સાત દાયકાથી આપણે જે લોકશાહી જીવી રહ્યા છીએ તે આમ તો ઉદારમતવાદી હોવી જોઇએ, ન કે જ્યાં માત્ર બહુમતીનું શાસન ચાલતું હોય અને ધ્રુવીકરણનું રાજકારણ ટોચ પર હોય. ઉદારમતવાદી લોકશાહી નાગરિકોના મૂળભૂત અધિકાર, લઘુમતી અને સામાજિક રીતે વંચિતોના રક્ષણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જૂદા પડતાં જૂથોની વાજબી સ્વાયત્તતા આ તમામનું રક્ષણ કરી શકે તેવું સ્વતંત્ર ન્યાયતંત્ર અને આ આખા ય માળખા પર ચાંપતી નજર રાખી શકે, કોઇપણ દબાણ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવો લોકશાહીનો ચોથો પાયો એટલે કે મીડિયા.

છેલ્લા સાત દાયકામાં વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર્યથી માંડીને લોકોના અધિકારોની વાતને મામલે આપણી લોકશાહીને બેલનશીટમાં એક કરતાં વધારે વાર અસંતુલન જોવા મળ્યું છે. સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી અને નાગરિકોના અધિકાર છીનવી લીધા. રાજકીય ઇતિહાસકારોના મતે આ બંધારણીય રીતે શક્ય હતું જેને પગલે રાષ્ટ્ર અને નાગરિકોના અધિકારોને શક્તિશાળી-સત્તાધારી કેન્દ્ર ધારે તો પોતાના હાથમાં લઇ શકે. બંધારણનાં બ્રહ્માસ્ત્રનો સરકારે સરિયામ દુરૂપયોગ કર્યો. પણ નાગરિકોને ત્યારે જ યાદ આવ્યું કે તેમના હાથમાં ચૂંટણી નામના શસ્ત્રનો હાથો છે અને તેમણે તેનો ઉપયોગ કર્યો. ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી, એ વાત અલગ છે તે કૉન્ગ્રેસ ફરી સત્તા પર આવી પણ પછી ઘણું બધું બદલાયું પણ. લોકશાહીને અંદરથી ખોતરીને પાંગળી કરતા રાજકરાણીઓને આવડ્યું જ છે. નરેન્દ્ર મોદીની ભા.જ.પા. આ મામલે બધી હદ પાર કરી ચૂકે એ સ્તરે પહોંચી છે. લોકશાહીને સતત પોલી કરતા રહે એવાં શક્ય એટલા બધા બેફામ નિર્ણયો, આડેધડ જાહેરાતો અને વિધાનો ઉચ્ચારવામાં આ સરકાર આંખનું મટકું પણ નથી મારતી.

૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ફલક પર રાજકારણી તરીકે પગ મૂક્યો ત્યારે તેમની છબી એક એવા માણસ તરીકે ખડી કરાઇ જેણે ગુજરાતનો ચહેરો બદલ્યો હતો અને તે બાકી રાષ્ટ્રમાં પણ એવો વિકાસ લાવી શકશે. વળી તેમના સામાન્ય બેકગ્રાઉન્ડને, તેમની જાતને પણ વારંવાર નાગરિકો સામે મુકવામાં આવ્યું એટલે લોકોને લાગે કે આ તો આપણામાંનું જ કોઇ છે. મોદીની સરકાર સત્તા પર આવી અને આર્થિક સફળતાનાં બધાં વચનો પોકળ સાબિત થયાં, બેરોજગારી વધી, રોકાણને નામે બધું તળિયે બેસી ગયું. કમનસીબે આ મુદ્દાઓ બધા ગૌ રક્ષા, બીફ બાન, ટ્રીપલ તલાક એ બધી બુમરાણમાં ઊંચા અવાજે અને સ્પષ્ટ ચર્ચાયા જ નહીં. ૨૦૧૯માં જ્યારે બીજી ટર્મ માટે ચૂંટણી લડવાની આવી ત્યારે રાષ્ટ્રવાદ, સામાજિક કલ્યાણ અને મોદીવાદ આગળ ધરાયા જેને કારણે ધ્રુવીકરણ વધ્યું, મીડિયાનું પક્ષપાતી વલણ વધારે ધાટું બન્યું અને ભા.જ.પા.ના સદ્દનસીબે વિરોધપક્ષ કોઇ આદર્શ પડકાર ન મેળવી શકવાને કારણે ભા.જ.પા. ૨૦૧૪ની ચૂંટણીમાં મેળવી હતી તેના કરતા કંઇક ગણી મોટી જીત મેળવી.

ઉદારમતવાદી લોકશાહીની સ્થિતિ આખી દુનિયામાં ચકાસણી માગે તેવી હાલતમાં છે પણ આપણે તો ઘરભણી જ નજર કરવી રહી. દિલ્હીની ચૂંટણીમાં જો કેજરીવાલની સરકાર આવે તો એ સાબિત થઇ જશે કે ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકોને માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી (રાજકારણમાં કશું ય પૂરેપૂરું પારદર્શી નથી હોતું), ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે. દિલ્હીની આસાપાસના જ રાજ્યોમાં જોઇએ તો ત્યાં નાગરિકોને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવે છે અને તેનું સૌથી મોટું કારણ છે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. ભણેલા-ગણેલા, મેટ્રો સિટીઝમાં રહેતા લોકોને ધર્મ, જાતિ, ઊંચ-નીચના રાજકારણમાં રસ નથી જ એવું કહી દેવું યોગ્ય નથી, પણ તેમને માટે આ મુદ્દાઓ જીવન-મરણનો સવાલ નથી. તેમને રસ છે એવી સત્તામાં જે તેમને કામ કરવા દે, જેની કામગીરીને કારણે વિરોધ પ્રદર્શનોના આવેગમાં શક્તિ ન ખર્યાય, લાઇટ-પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે અધધધ પૈસા ચૂકવ્યા બાદ પણ કરવેરાના બોજમા ખાલી ન થઇ જવું પડે, એવી સરકાર જ્યાં તેમને પોતે અમુક ધર્મનાં હોય તો ભેદભાવનો ભોગ ન બનવું પડે. કમનસીબે આવો વર્ગ ભારતમાં હોવા છતાં ય નિરક્ષરતા અને ઝનૂન એક બહુ મોટા વર્ગ પર અસર કરતો રહે છે. બહુમતીની સરકાર ચલાવનારાઓ માટે આ વર્ગને મેનેજ કરવો બહુ અઘરો નથી કારણ કે અહીં તેમણે વિવાદી-જોશ ઉછાળતા વિધાનો કરવાના છે અને વૉટ્સઅપ એક્ટિવિસ્ટ્સને કામે લગાડવાના છે. બહુ મોટો વર્ગ જે હવે સેલફોન ધારી છે તેને માટે ફોન પર ફેલવવામાં આવેલી બધી જ માહિતી સાચી છે અને તેમને તેની ખરાઇ કરવાની જરૂર તો શું વિચાર સુદ્ધાં નથી આવતો. ભારતીય ઇતિહાસને લગતી ધડ-માથાં વગરની ચર્ચાઓ ચલાવવામાં આ સેલફોનધારી ભક્તો મચી પડે છે અને તેમને લાગે છે કે તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. રાજકારણીઓનાં ઠાલાં વચનો તેમનું પેટ ભરી દેશે, દેશને સાફ કરી દેશે (લઘુમતીથી પીછો છોડાવીને) તેવું વિચારનારા આ વર્ગને લોકશાહીનું સત્વ નથી સમજાતું. આ પાછું આખી દુનિયામાં લાગુ પડે છે, પછી આ મોદી ભક્તો હોય, બ્રેક્ઝીટને ટેકો આપનારા હોય, બ્રાઝીલિયન પ્રેસિડન્ટ જેર બોલ્સોનારોને ટેકો આપનારા હોય કે ટ્રમ્પ પ્રેમીઓ હોય.

CAA સામેના વિરોધે જ્યારે ગતિ પકડી ત્યારે ઘણાંને ઉત્કંઠા હતી કે સરકાર શું કરશે? સરકાર આ વિરોધો જેમ ચાલે છે તેમ ચાલવા દેશે કે પછી તેમને ડામી દેશે? પણ ભા.જ.પા. જેમાં માહેર છે એ જ કરી રહ્યો છે અને આ વિરોધોનો ઉપયોગ તેઓ કોમવાદ અને હિંસા ફેલાવવામાં જ કરશે, જે દિલ્હીના ચૂંટણી પ્રચારમાં દેખાઇ જ રહ્યું છે. ભારતીય લોકશાહી પરનો આ બહુ મોટો ધબ્બો છે કે સંજોગાવસાત હિંસાનો ઉપયોગ મત ભેગા કરવામાં હંમેશાં કરવામાં આવે છે. આપણે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ કે હિંસાનું રાજકારણ કે ધિક્કારનું રાજકારણ હવે કામ નથી કરતું. જેને આ ફાવે છે તેઓ તેનો બિંધાસ્ત ઉપયોગ કરે છે. કટ્ટરવાદને કાબૂમાં લેવા માટે માત્ર ચૂંટણી કામ ન આવી શકે, ભારતીય રાજકારણનું માળખું, લોકશાહીની રચના બદલાઇ રહી છે. પરંતુ તેની સામે એ પણ એટલું જ સાચું છે કે અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન સાથે જોડવા, તેમને આતંકવાદી કહેવા, શાહીનબાગની વાત કર્યા કરવા જેવા આંડબરી વિધાનો કેટલા પોકળ છે એ લોકોને ખબર પડે જ છે.

અમિત શાહ, યોગી આદિત્ય નાથ કે અનુરાગ ઠાકુર (બધાની રાશિ તો પાછી મેષ જ છે) આ બધા માત્ર દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરી રહ્યા, તેઓ તેમના પક્ષની મર્દાનગીનું પ્રદર્શન કરવામાં એક્કા છે અને હજ્જારો યુવાનોને આવું બળવાન લાગતું સ્વમાન માફક આવે છે. હિંસાનો તર્ક બદલાઇ રહ્યો છે, લોકશાહી નહીં પણ બહુમતીના રાજકારણમાં આ તેનો પ્રભાવ વર્તાય જ છે. પણ છતાં ય દિલ્લી ચૂંટણીનું પરિણામ શિક્ષિત વર્ગની પસંદગી સ્પષ્ટ કરનારું સાબિત થશે, બસ, મત ગણતરીમાં બને એટલી પારદર્શિતા રહેવી જોઇએ. આ કહેવું જ પડે છે કારણ કે ઝનૂની રાજકારણનાં દાવપેચમાં કશું પણ અણધાર્યું બની જ શકે છે.

બાય ધી વેઃ

લોકશાહીની નક્કરતા જળવાય તે અંતે તો નાગરિકોના હાથમાં જ છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા હોવા છતાં ય બહુ મોટા હિસ્સાને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવવા માંડ્યું છે જે લોકશાહી માટે બહુ મોટું જોખમ છે. લોકશાહી માત્ર મોહરું રહી જાય તેવું ન બનવું જોઇએ કારણ કે અંતે તે આપણી ઓળખ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણને ઝનૂનમાં નહીં પણ એક શાંત, સ્થિર, હળીમળીને રહેતા હોય એવા સમાજમાં રસ છે. સાત દાયકા સુધી લોકશાહી શ્વસેલું આપણું રાષ્ટ્ર, કટોકટી જેવા સંજોગોની સામે પણ જીતેલી આપણી લોકશાહી ‘વિવિધતામાં એકતા’વાળા સૂત્રને તાંતણે ટકી રહી છે, ગણ્યાગાંઠ્યા લોકોની સત્તા ભૂખને પગલે આપણે તેને પોકળ ન થવા દઇએ તે નાગરિક તરીકે આપણી જવાબદારી છે. દિલ્હીની ચૂંટણી ત્યાંના વહીવટને બહેતર બનાવવા માટે થઇ રહી છે તેમાં પાકિસ્તાન, કીચડ ઉછાળ માનસિકતા કે કટ્ટરવાદીઓને જ સાંભળવી ગમે એવી વાતો માટે નથી જ થઇ રહી. આ ચૂંટણીને CAA સાથે પણ લેવાદેવા નથી. રાજ્ય કક્ષાએ પક્ષે રસ્તા, પાણી, વાહન વ્યવહાર, પ્રદૂષણ, હેલ્થકેરની વાતો કરવાની છે અને લોકોને એ સમજાય છે. મજાની વાત એ છે કે લોકોની સમજણ અંગે અમુક રાજકારણીઓને ગતાગમ નથી અને તેઓ પોતાના ઘોંઘાટમાં મસ્ત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020 

Loading

9 February 2020 admin
← Hind Swaraj : a relook
Manufacturing Hate and Violence: Anurag Thakur’s ‘Shoot the Traitors’ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved