Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 April 2024

રમેશ ઓઝા

કેન્દ્રના ડેરીવિકાસ અને પશુપાલન ખાતાના પ્રધાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે એક વાત કરી જેને કારણે વિવાદ જાગ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જ્યારે મુસલમાનોનું અને અંગ્રેજોનું રાજ હતું ત્યારે ક્ષત્રિયોએ સમાધાનો કર્યા હતા. તેમને મદદ કરી હતી અને કેટલીકવાર તો રાજ ટકાવી રાખવા સાટામાં દીકરી પણ પરણાવી હતી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે તેમણે એટલે કે પટેલોએ સમાધાનો કર્યાં નહોતાં. રૂપાલાસાહેબના આ નિવેદનથી ક્ષત્રિયો નારાજ થયા છે.

આ ભારત છે અને ભારતમાં “અમે” અને “તમે”ની ભાષામાં વાત કરવામાં ન આવે એવું તો ભાગ્યે જ બને, અને વળી રૂપાલાસાહેબ જે વૈચારિક પરિવારમાંથી આવે છે ત્યાં તો અમે અને તમે ગળથૂથીમાં શીખવાડવામાં આવે છે.

અહીં ક્ષત્રિયોનો બચાવ કરવાનો ઈરાદો નથી. કોઈ કોમ આખેઆખી શ્રેષ્ઠ હોય અને કોઈ કોમ આખેઆખી અધમ હોય એવું બનતું નથી. વ્યક્તિ સારી કે નઠારી હોય છે. જે તે સમયે અંગત સ્વાર્થ જોઇને કે પછી ડરીને જે તે લોકોએ સમાધાનો કર્યાં હતાં તો એને માટે આખી કોમ જવાબદાર નથી હોતી. બીજું, રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ હમણાંની વિચારધારા છે અને તેને ઇતિહાસમાં થયેલાં પાત્રો અને ઘટનાઓ પર માથે મારવામાં આવે એ બરોબર નથી. તેમણે જ્યારે નિર્ણયો લીધા ત્યારે નહોતું તમારું રાષ્ટ્ર અને નહોતો રાષ્ટ્રવાદ. તેમણે પોતાનો સ્વાર્થ, પોતાની શક્તિ અને પોતાની મર્યાદા જોઇને નિર્ણય લીધા હતા. ૧૮૫૭ના વિદ્રોહ વખતે અનેક હિંદુ રાજવીઓએ અંગ્રેજોને મદદ કરી હતી. ગ્વાલિયરના સિંધિયા આમાં અગ્રેસર હતા અને તેમનાં વારસ બે પેઢીથી હિંદુ રાષ્ટ્રના પુરસ્કર્તાઓ છે. રાજમાતા વિજયા રાજે સિંધિયા ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ હતાં, તેમની પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં અને જ્યોતિરાદિત્ય સિંધિયા પરમ હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભા.જ.પ.માં છે. આવા તો બીજા અનેક દાખલાઓ આપી શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કંપની સરકારને કહ્યું હતું કે તેમનાં દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપવામાં આવે. જો કંપની સરકારે લક્ષ્મીબાઈના દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપી હોત તો કદાચ ઝાંસીની લડાઈ થઈ ન હોત. તેમનાં શૌર્યને સો સો સલામ, પણ તેમની લડાઈ અંગત હતી, તેને રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી.

બીજું, જેને ગુમાવાનું હોય અથવા લાભ મળે એમ હોય એ સમાધાનો કરે કે ડરે. જેને કાંઈ ગુમાવાનું જ ન હોય કે લાભ નજરે પડતો ન હોય એને ડરવાનો કે સમાધાનો કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ યુગમાં અમે સમાધાનો નહોતાં કર્યાં એમ જ્યારે રૂપાલાસાહેબ કહે છે તો ત્યારે કણબીઓ, પાટીદારો અને બીજી પ્રજાઓ ખેતી કરતી હતી અથવા ખેતમજૂરી કરતી હતી. તેમની પાસે ત્યારે એવું કશું જ નહોતું કે સમાધાનો કરવા પડે કે ડરવું પડે. પણ અત્યારે? અત્યારે લાભ લેવા માટે પટેલો અને બીજાઓ સમાધાનો નથી કરતા? ડરીને નથી જીવતા? પત્રકારો, કટારલેખકો, કહેવાતા બૌદ્ધિકો, ન્યાયમૂર્તિઓ, સરકારી અધિકારીઓ, કેળવણીકારો, માસ્તરો, ધર્મગુરુઓ જે પ્રમાણમાં ડરીને સમાધાનો કરી રહ્યા છે અથવા વેચાઈ રહ્યા છે એ લોકો શું ક્ષત્રીય છે અથવા વિદેશી કૂળના છે? અને બીજું, કોણ ડરાવે છે? કોણ ખરીદે છે? કોણ સમાધાનો કરવા મજબૂર કરે છે? વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ છે? પુરુષોત્તમ રુપાલાને આ પ્રશ્ન પૂછવો જોઈએ.

ઉપર કહ્યું એમ આખેઆખી કોમ સારી કે ખરાબ હોતી નથી, પણ આખેઆખી વિચારધારા સારી કે ખરાબ હોઈ શકે. એમાં માનનારાઓ લગભગ એક સરખાં લક્ષણો ધરાવતા હોય એવું બને. આપણે ડરવાની કે સમાધાનો કરવાની રૂપાલાસાહેબની જ વાત આગળ વધારીએ. દેશપ્રેમથી પ્રેરાઈને દેશને આઝાદ કરવા જ્યારે લોકો સમાધાનો કર્યા વિના નિર્ભયતાપૂર્વક જાનની બાજી લગાડતા હતા, ખપી જતા હતા, પોતાનું સર્વસ્વ હોમી દેતા હતા ત્યારે, એ ખરાખરીના યુગમાં રૂપાલાસાહેબના વૈચારિક પરિવારના લોકો એટલે કે હિન્દુત્વવાદીઓ ક્યાં હતા? કોણે ત્યાગ કર્યો? કોણે હિંમત બતાવી? કોણે જેલ વેઠી? કોણ શહીદ થયું? એક નામ તો બતાવો. ઊલટું જેલમાંથી છૂટવા ઉપરાઉપર માફીઓ માગી. આઝાદીનાં આંદોલનોમાં ભાગ  નહીં લેવાની અને ઉપરથી અંગ્રેજોને મદદ કરવાની લેખિત બાંયધરીઓ આપી. ૧૯૪૨ની લડત વખતે આંદોલનનો અમે વિરોધ કરીએ છીએ એવો પત્ર લખીને આપ્યો. ગાંધીજીનું આંદોલન કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય તેનું અંગ્રેજોને માર્ગદર્શન આપ્યું. ગાંધીજી અને કાઁગ્રેસીઓ જ્યારે જેલમાં હતા, ત્યારે હિંદુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે મળીને બંગાળ, સિંધ અને સરહદ પ્રાંતમાં સરકાર બનાવી હતી. જનસંઘ / ભા.જ.પ.ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના નાણાં પ્રધાન હતા.

આઝાદીની લડતની વાત જવા દો. ઇન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને તેમના ૨૦ કલમી કાર્યક્રમનું અમે સ્વાગત કરીએ છીએ અને સરકારને મદદ કરવા આતુર છીએ એવો પત્ર કોણે લખ્યો હતો? મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે. બસ, અમને જેલમાંથી છોડો અમે તમારી સાથે છીએ. વીતેલા યુગના ક્ષત્રિયોની ક્યાં વાત કરો છો, તમારા પોતાના વૈચારિક પરિવાર પર એક નજર કરી જુઓ. શૂરવીરતાની મોટી વાતો કરવાની અને શૌર્ય બતાવવાનો વખત આવે ત્યારે મોઢું ફેરવી લેવાનું. પીઠ બતાવવા છતાં ય જો નસીબ ખરાબ હોય અને કારસામાં આવીએ તો માફી માગી લેવાની. એક નજર પોતાના ઇતિહાસ પર કરી જુઓ.

દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરેબાહિરે’ નામની નવલકથા વાંચી જવાની મારી ભલામણ છે. એમાં ધગધગતા રાષ્ટ્રવાદીના તકલાદી શૌર્યની વાત કહેવાઈ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2024

Loading

25 April 2024 Vipool Kalyani
← વોર રુકવા દી, પાપા : લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?
પોતાને મારવા માટે પથ્થર ભાજપને કોંગ્રેસ સામેથી આપે છે… →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved