Opinion Magazine
Number of visits: 9449039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદેશોમાં ભારતના શ્રમિકોની માંગ : ગિરમીટ પ્રથાનું પુનરાગમન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 January 2024

ચંદુ મહેરિયા

લગભગ એક જ સમયગાળાના આ ત્રણ સમાચારોમાં રહેલું સામ્ય અને વિરોધ નોંધપાત્ર છે. દુનિયાના વિકસિત દેશોમાં શ્રમિકોની મોટી તંગી હોઈ તે દેશોમાં ભારતના શ્રમિકોને મોકલવા ભારત સરકાર દ્વિપક્ષીય સમજૂતી કરવાની છે. ભારતીય જનતા પક્ષના લોકસભા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ વિદેશ મંત્રીને પત્ર લખી સાઉદી અરબમાં ફસાયેલા ૪૫ ઝારખંડી મજૂરોની મુક્તિ માટે વિનંતી કરી છે. આ કામદારો કામની તલાશમાં એજન્ટો મારફત ગયા હતા અને હવે ફસાઈ ગયા છે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને પાંચ માસનું વેતન મળ્યું નથી અને તેઓ દિવસમાં એક વાર માંડ ખાવાનું પામે  છે. ૩૦૩ ભારતીયોને લઈને નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ માટે ફ્રાન્સમાં રોકાયું ત્યારે ફ્રાન્સને માનવ તસ્કરીની શંકા લાગતા તપાસ કરતાં દલાલો આ ભારતીય પ્રવાસીઓને નિકારાગુઆના માર્ગે ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હતા .. આ વિમાનમાં ઘણાં ગુજરાતીઓ હતા, ઓછું ભણેલા અને અર્ધ કુશળ હતા. તે સૌ મોટા વેતનના કામની ખોજમાં ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા.

દુનિયાના અમીર અને વિકસિત દેશોમાં કામદારોની તીવ્ર તંગી છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધને કારણે જે એકાદ લાખ પેલેસ્ટિની કામદારો ઈઝરાયલમાં હતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. યુદ્ધ પહેલાં ૨૦,૦૦૦ ભારતીય શ્રમિકો ઈઝરાયલમાં હતા. હવે તેને બીજા ૪૦,૦૦૦ કામદારોની જરૂર છે. ગ્રીસને ૧૦,૦૦૦, તાઈવાનને ૧,૦૦,૦૦૦, જર્મનીને ૨૪,૦૦,૦૦૦  કામદારોની જરૂર છે. ઈટલીને પણ ભારતીય કુશળ, અકુશળ મજૂરોની આવશ્યકતા છે. વિકસિત દેશોમાં કામદારોની અછતનું કારણ આ દેશોમાં કામને લાયક ન રહી હોય તેવી વૃદ્ધ વસ્તીનું મોટું પ્રમાણ છે.

ટ્રક, કેબ ડ્રાઈવર, હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્ટોરમાં કામદારો, ફુડ સર્વિસ, કૃષિ કામદારો, રસોઈયા, સુથાર, પ્લમ્બર, નર્સિંગ સર્વિસ, આરોગ્ય કર્મી, બાંધકામ અને  મેન્યુફેકચરિંગ , વૃદ્ધો, વિકલાંગો અને દર્દીઓની દેખભાળ તથા તે પ્રકારનાં બીજાં કામો માટે ભારતના કામદારોની વિદેશોમાં આવશ્યકતા છે. ભારતે દુનિયાના આશરે ચાળીસ દેશો સાથે કામદારોની સેવા માટે સમજૂતીઓ કરી છે.  ૨૦૧૫ થી ૨૦૨૩માં ભારતીય શ્રમજીવીઓની સેવા માટે વિકસિત અને જરૂરિયાતમંદ દેશો સાથે ૧૭ સમજૂતી કરી હતી. એમ્પલોયમેન્ટ મોબિલિટી એગ્રીમેન્ટ અને Flurry of mobility and migrantion agreement ને કારણે ભારતીય કામદારોને રક્ષણ મળે છે. ભારત સરકાર તેના વ્યાપાર ભાગીદાર દેશો સાથેની અન્ય સમજૂતીઓ વખતે કામદારોની આવજા અંગે પણ સ્પષ્ટતા કરે છે. હાલમાં ગ્રીસ, ડેન્માર્ક, સાઉથ કોરિયા, તાઈવાન અને નેધરલેન્ડ સાથે કામદારોની આવજા અંગેના એગ્રીમેન્ટ ચર્ચામાં છે.

છેલ્લા સરકારી શ્રમબળ (વર્કફોર્સ) સર્વેક્ષણ પ્રમાણે દેશમાં કોઈ અન્ય કામના વિકલ્પના અભાવે ટોટલ વર્કફોર્સના ૫૭ ટકા સ્વરોજગારમાં છે. ૨૧ ટકા હંગામી મજૂરો છે અને ૧૮ ટકા નાના ગૃહ ઉદ્યોગોના સહયોગી છે. દેશમાં ૧૮થી ૨૫ વરસની યુવા વસ્તી ૪૪ ટકા છે. આ વિશ્વનું સૌથી મોટું યુથ વર્ક ફોર્સ છે. વરસે સવા કરોડ યુવાનો રોજગારીને લાયક હોય છે. પરંતુ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનું જોબ પોર્ટલ સરકારી અને ખાનગી ક્ષેત્રની ખાલી નોકરીઓની સંખ્યા ૨.૨૦ લાખ દર્શાવે છે. જે રાજ્યોના સૌથી વધુ લોકો વિદેશોમાં કામની તલાશ કરે છે તે પૈકીના પંજાબમાં ૨૦થી ૩૦ વરસના ૨૮ ટકા યુવાનો બેરોજગાર છે. તેમાં ૬૧ ટકા શિક્ષિત બેકાર છે. આ સૌની નજર દેશમાં નહીં તો વિદેશમાં કામની ખોજ પર છે. એટલે જ્યારે વિકસિત દેશો સરકાર પાસે બાકાયદા શ્રમિકોની માંગ કરે તો તે રૂડો અવસર છે. કેમ કે ભારતમાં મોટાપાયે શિક્ષિતો બેરોજગાર છે તો અર્ધશિક્ષિત અને અકુશળ કે અર્ધકુશળ માટે રોજી મેળવવી ઓર કઠિન છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ૯૦ લાખ ભારતીય કામદારો ખાડી દેશોમાં કામ કરે છે. કામની શોધમાં લેભાગુ દલાલો મારફત વિદેશોમાં જનારાની સંખ્યા ઘણી મોટી છે અને તેમને ઘણા ખરાબ અનુભવો થાય છે. ડોલરિયો દેશ અમેરિકા ઘણાંને આકર્ષે છે પરંતુ પ્રવેશ સરળ નથી એટલે ઘૂસણખોરીનો માર્ગ અપનાવે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે નવેમ્બર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ના અગિયાર મહિનામાં  અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ બદલ ૯૬,૯૧૭ ભારતીયો પકડાયા હતા. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં રોજગારની શોધ બીજા દેશોમાં કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં અનેક ગણી વૃદ્ધિ થઈ છે.

વિદેશોમાં કામની તલાશમાં જતાં લોકોને ઘી કેળાં છે એવું નથી. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૧થી ડિસેમ્બ ૨૩ સુધીમાં વેતન ન મળવું, વેતનની ચુકવણીમાં વિલંબ, પાસપોર્ટ રાખી લેવો, કામની અને રહેઠાણની ખરાબ સ્થિતિ, માલિકનો દુર્વ્યવહાર અને અત્યાચાર, કામના અમર્યાદિત કલાકો જેવી ૩૩,૨૫૨ ફરિયાદો સરકારને મળી હતી. હાલમાં જેની ચર્ચા છે તે સમજૂતી હેઠળ જે કામદારો વિદેશમાં જાય તેમની મુશ્કેલીઓનો હલ સરકાર માટે સરળ છે પરંતુ પોતાની મેળે કે દલાલો મારફત જતા કામદારોને મદદ કરવી અઘરી છે. દેશમાં મજૂરી નથી કે જે છે તે મજૂરીના દર ઓછા છે એટલે શ્રમિકોને વિદેશ જવું પડે છે. વિશ્વગુરુ બનવા મથતા કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાના બણાગાં ફૂંકતા શાસકો માટે ભારતીય શ્રમિકોની નિકાસ કલંક રૂપ છે.

ઘરઆંગણે રોજીના અભાવે લાચારીવશ બીજા દેશોમાં કામ માટે જતાં લોકોને ગિરમીટિયા કહેવાતા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, “ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલા મજૂરો.” (પૃષ્ઠ ૩૯૦) આ ગિરમીટ પ્રથાને ગાંધીજી ‘અર્ધ ગુલામગીરી’ ગણાવતા હતા. દેશની આઝાદી પછી ગિરમીટિયાઓને દેશમાં પરત ફરવા સરકારે યોજના ઘડી ત્યારે પણ મોટાભાગના પરત આવ્યા ન હોય એ બાબત ચિંતાજનક છે. આજે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારત તેના નાગરિકોને રોજી અને પૂરતું વેતન આપતું નથી તેને કારણે વિદેશ વસવાટનો ક્રેઝ અને લાચારી છે તે સમજવાની જરૂર છે.

વિદેશોમાં આઈ.ટી. પ્રોફેશનલ્સની બોલબાલા છે. બીજા પણ કેટલાક  વ્યવસાયીઓને વિદેશોમાં ઊંચા પગારની સારી નોકરીઓ મળે છે. તેમને સહેલાઈથી વર્કિંગ  વિસા અને થોડા વરસે વિદેશી નાગરિકતા મળી જાય છે. ભારતીય ધનપતિઓ નાણાં ખર્ચીને ગોલ્ડન વિસા મેળવી લે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં વસી જવું મુનાસિબ માન્યું હતું. આઝાદીના અમૃતકાળના વરસોમાં (૨૦૨૨માં) ૭,૫૦૦ અમીરોએ ભારતની નાગરિકતા ત્યાગી હતી. એટલે ગિરમીટ પ્રથાથી ગોલ્ડન વિસા સુધીની આપણી વિદેશ વસવાટની કહાણી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

26 January 2024 Vipool Kalyani
← 75મું પ્રજાસત્તાક પર્વ પ્રજા પર સટ્ટા રમવાનું પર્વ છે …
રામની અયોધ્યા :  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved