Opinion Magazine
Number of visits: 9448885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉપેક્ષા એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 July 2023

રમેશ ઓઝા

મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિરોધ પક્ષોને સલાહ આપી હતી કે મણિપુરની સ્થિતિ એટલી બધી ગંભીર છે કે તેણે મણિપુર વિષે સંસદમાં રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.

બોલો. આપણને તો આ વાતની ખબર જ નહોતી કે મણિપુરમાં સ્થિતિ ગંભીર છે. આપણને તો એમ લાગતું હતું કે વડા પ્રધાને ૭૯ દિવસ સુધી બોલવાની જરૂર ન પડી અને એ પછી મણિપુર વિષે માત્ર ૩૦ સેકન્ડ બોલ્યા તો સ્થિતિ સામાન્ય હોવી જોઈએ. એની વચ્ચે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો, સેંકડો ટન ફૂલ ઉડાડ્યાં, ગળું બેસી જાય એટલાં ભાષણ કર્યા, નવાં સંસદભવનનું ઉદ્ઘાટન કર્યું, વિદેશયાત્રાઓ કરી, ભારતની પૂર્વ દિશા તરફ મોઢું પણ ન કર્યું, મણિપુરના કોઈ પ્રતિનિધિમંડળને મળવાની જરૂર ન લાગી આ બધું જોતાં એમ લાગતું હતું કે મણિપુરની સ્થિતિ ગંભીર નહીં હોય. આપણા વડા પ્રધાન એટલા બધા અસંવેદનશીલ થોડા છે કે મણિપુરમાં સ્થિતિ ગંભીર હોય અને બોલે પણ નહીં!

આ જ રાહે આપણે એમ પણ માનીને ચાલવું જોઈએ કે ચીનની સરહદે પણ સ્થિતિ ગંભીર નથી અને ભારત ઉપર કોઈ જોખમ નથી. ચીન છાતી પર ચડીને બેઠું છે, ચીન કબજો કરેલ ભૂમિ ખાલી કરતું નથી, લદાખમાં ૬૪માંથી ૨૭ પેટ્રોલિંગ થાણાં ભારતે ગુમાવી દીધાં છે જ્યાં ભારતીય લશ્કર જઈ શકતું નથી, ચીને અરુણાચલ પ્રદેશનું અને તેનાં શહેરો અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, અરુણાચલ પ્રદેશના નવા નકશા બનાવ્યા છે, ભૂતાને ભારત સાથેની સમજૂતી તોડીને ભારતને બાજુએ મૂકીને સીધી ચીન સાથે સરહદી વાટાઘાટો શરૂ કરી છે, ભૂતાન બારોબાર ચીન સાથે સમજૂતી કરી રહ્યું છે, નેપાળે ભારતનાં પ્રદેશ પર દાવો કર્યો છે અને નકશા બદલી નાખ્યાં છે વગેરે વાતો થઈ રહી છે એ ખોટી હોવી જોઈએ. આપણા વડા પ્રધાન એટલા બધા બેજવાબદાર થોડા છે કે સરહદે આટલું બધું બની રહ્યું હોય અને એક શબ્દ બોલે પણ નહીં!

ના ના, એવું ન બને. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર વળી ક્યારેક ક્યારેક ચીન સાથેની સ્થિતિની ગંભીરતા વિષે અને ચીનની આડોડાઈ વિષે બોલે છે એ તેમનું ઉતાવળાપણું હોવું જોઈએ અથવા અજ્ઞાન. અમિતભાઈ પણ મણિપુરની સ્થિતિ વિષે વિશેષ જાણતા હોય એવું લાગતું નથી અથવા સ્વભાવ ઉતાવળો હોવો જોઈએ. બાકી આપણા વડા પ્રધાન અસંવેદનશીલ અને બેજવાબદાર ન હોઈ શકે.

આંખ ફેરવી લેવાથી અને મૂંગા રહેવાથી પરિસ્થિતિની ગંભીરતા આપોઆપ ઘટી જાય છે એવી રાજકીય સમજનો ભારતને પહેલીવાર અનુભવ થઈ રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે ઉપેક્ષા પણ એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ છે. માતા પણ પ્રારંભમાં બાળકની માગણીની, ફરિયાદની, જીદની, રુદનની ઉપેક્ષા કરે છે. એ તેની પ્રતિક્રિયા અને પ્રતિસાદ બન્ને હોય છે. પણ પ્રારંભમાં. જ્યારે તેને ખાતરી થવા લાગે કે બાળક પોતાની વાત છોડતું નથી કે ભૂલતું નથી ત્યારે માતા તેના તરફ ધ્યાન આપે છે. એમાં જવાબદાર માતાની સમજદારી અને વાત્સલ્ય બન્ને જોવા મળે  છે. કેટલી ઉપેક્ષા કરવી અને ક્યારે અને કેવો પ્રતિસાદ આપવો એનું ભાન હોવું જોઈએ. પણ એ ત્યારે જ બને જ્યારે સાચી નિસ્બત હોય.

પણ કોઈ માતા એમ કહે કે ગમે તે થાય નહીં બોલું તે નહીં બોલું, નહીં સામે જોઉં તે નહીં જ જોઉં, નહીં તેડું તે નહીં જ તેડું, નહીં બોકિયો લઉં તે નહીં જ લઉં તો એવી માતા વિષે તમે શું કહેશો? એમાં કયું તત્ત્વજ્ઞાન કામ કરે છે અથવા કઈ સમજદારી છે એ મારી સમજની બહાર છે! અને ત્યારે જ્યારે આખું ગામ એ રુદન કરતાં બાળક તરફ જોતું હોય, તેના માટે સહાનુભૂતિ ધરાવતું હોય, તેને સાંભળો, તેને કાન આપો એવી સલાહ આપતું હોય, પરાયા લોકો બાળકને છાનું રાખવાનો પ્રયાસ કરતા હોય, તેના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયાસ કરતા હોય ત્યારે પણ ગમે તે થાય નહીં બોલું … વાળો અભિગમ ધરાવવો એ જેવા તેવાનું કામ નથી. આપણા વડા પ્રધાન કોઈક ઊંડી આધ્યાત્મિક તાકાત ધરાવતા હોવા જોઈએ. આધ્યાત્મિકતાના આ સ્વરૂપનો જગતને પહેલીવાર પરિચય થઈ રહ્યો છે. એ અર્થમાં આપણા વડા પ્રધાન વિશ્વગુરુ છે.

ઉપેક્ષા એ શક્તિ છે, પણ મર્યાદિત પ્રમાણમાં. જો ઉપેક્ષા હદબહાર કરવામાં આવે તો એ વિસ્ફોટક બને છે. પરાજયની પીડા કરતાં ઉપેક્ષાની પીડા વધારે ચુભતી હોય છે. પરાજય માટે તો આપણે પણ જવાબદાર હોઈએ છીએ, પણ હળહળતી ઉપેક્ષા માટે ઉપેક્ષા કરનારા જવાબદાર હોય છે. અમારી સાથે વાત તો કરો! અમને અમારી ભૂલ તો બતાવો! અમારી પાસેથી શું ઈચ્છો છો એ તો કહો! પ્લીઝ પ્લીઝ વાત તો કરો! યાદ રહે, મણિપુર એક સરહદી રાજ્ય છે અને ચીન ઇશાન ભારતનાં ખાસ્સા મોટા હિસ્સા પર દાવો કરીને તેની ઉત્તરે છાતી પર બેઠું છે. અને બીજું નવ વરસથી મૂંગા રહેવાની અને આંખ ફેરવી લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈ ફાયદો થયો? અંગત અને સરકારની પ્રતિષ્ઠામાં વધારો થયો કે ઘટાડો?

અને છેલ્લે, આંખ મીંચી દેવાથી અને મૂંગા થઈ જવાથી વાસ્તવનો અંત આવે છે ખરો? આ ખોટનો સોદો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2023

Loading

27 July 2023 Vipool Kalyani
← ‘INDIA versus Bharat’ or ‘India that is Bharat’?
અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો રાજનીતિયુક્ત કે રાજનીતિમુક્ત ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved