તમે કોને તહસનહસ કરવા માંગો છો?,
અડધી આલમને?
એ સર્જકને જેના ગર્ભકમળમાં તમે પાંગર્યાં અને ખીલ્યાં !
તમારી અન્નપૂર્ણા,
તમારી ધાત્રી,
તમારી પૂષા,
તમારી શક્તિ,
તમારી દુહિતા,
તમે આમને અદ્રશ્ય કરવા માંગતા હતા? !
અને એમની અસ્મિતાને પડકારવા માંગતા હતા?
જો તમે એમ જ કરતા રહેશો, તો
એ
ધરતીમાં સમાશે નહીં!
ધરતી જ ફાટી પડશે,
ત્યારે
એ
અગનપંખીની જેમ અંગારે પ્રગટશે !
ને
બમણા વેગે સુનામીની જેમ ત્રાટકશે
ને
એલાન કરશે કે
જાઓ,
હું મારી સર્જકતાનો ત્યાગ કરું છું!
ત્યારે,
શું તમે જ તહસનહસ નહીં થઈ જાઓ?
(અહીં સર્જકતાનો અર્થ દરેક સંદર્ભે અભિપ્રેત છે.)
વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 06