આંખ આડા કાન કરી લેવાથી કે મીઠાં સપનાં બતાડતા રહેવાથી વાસ્તવિકતા નથી બદલાતી એ નરેન્દ્ર મોદીના શાસનકાળનો નીચોડ છે. ૨૦૧૪માં યુ.પી.એ.નો પરાજય થયો એનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર નહોતું, પણ આર્થિક મંદીને કારણે લોકોની અંદર પેદા થયેલી હતાશા હતું. અનેક કૉન્ગ્રેસ વિરોધીઓ એના લાભાર્થી હતા, જેમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા લાભાર્થી હતા. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનો મેં ઉદ્ધાર કર્યો છે અને દેશનો કરી શકું એમ છું. લોકોએ તેમના પર ભરોસો કર્યો હતો.
એ પછી આપણે જાણીએ છીએ કે તેમની પહેલી મુદ્દતના પાંચ વરસ દરમ્યાન આર્થિક સંકટ દૂર તો થયું નહીં, પણ નોટબંધી અને જી.એસ.ટી.એ દેશને વધારે ઊંડા આર્થિક સંકટમાં ધકેલી દીધો. આબરૂ જાળવી રાખવા જી.ડી.પી.ની ગણતરીના માપદંડો બદલી નાખ્યા. બંને દિશામાં માપદંડો બદલવામાં આવ્યા હતા. પહેલાં યુ.પી.એ.ના વખતનો જી.ડી.પી. ઘટાડીને તેનું સ્કોરકાર્ડ બગાડ્યું અને પછી મોદી સરકારનો જી.ડી.પી.નો દર વધારીને પોતાનું સ્કોરકાર્ડ સુધારી લીધું. આ ઉપરાંત દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ, પાકિસ્તાન, એર સ્ટ્રાઈક જેવા માર્ગે હિંદુ મતદાતાઓનો વિશ્વાસ જાળવી રાખ્યો અને લોકસભાની ચૂંટણીમાં પહેલાં કરતાં પણ ભવ્ય વિજય મેળવ્યો. ખોળામાં બેઠેલા મીડિયાઓએ પણ મદદ કરી હતી.
ચૂંટણી તો જીતી લીધી, પણ પેલા આર્થિક સંકટનું શું? હવે પાણી નાક સુધી પહોંચવા માંડ્યું હતું એટલે પ્રજાનું ધ્યાન બીજે દોરવું કેવી રીતે? કાશ્મીર અંગે ઐતિહાસિક કહી શકાય એવું પગલું ભરવામાં આવ્યું હોવા છતાં આજે આપણે જોઈએ છીએ કે ચર્ચા આર્થિક સંકટની થઈ રહી છે. ભક્તો પણ અભિનંદન આપી દીધા પછી હવે આર્થિક મોરચે સરકાર કાંઈક કરે એવી અપેક્ષા રાખી રહ્યા છે. એક પછી એક ઉદ્યોગપતિઓ બોલવા માંડ્યા છે. અર્થશાસ્ત્રીઓ ચિંતા પ્રગટ કરી રહ્યા છે. અર્થતંત્રનું મૂલ્યાંકન કરનારી રેટિંગ એજન્સીઓ ભારતનો આંક નીચે ઊતારી રહ્યા છે. આ ઉપરાંત ભારતના સાચા વિકાસદર વિષે શંકા ઊઠાવવામાં આવે છે.
૩૦મી જુલાઈએ સરકારે સંસદમાં કબૂલ કર્યું હતું કે ભારતમાં રજીસ્ટર્ડ કંપનીઓમાંથી ૩૬ ટકા કંપનીઓ બંધ પડી ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૯૪,૧૪૬ કંપનીઓ રજિસ્ટર થઈ છે જેમાંથી ૬,૮૩,૩૧૭ કંપનીઓ બંધ પડી ગઈ છે અને ૪૩,૭૬૫ કંપનીઓએ બે વરસથી રીટર્ન નથી ભર્યા. જો બન્નેનો સરવાળો કરવામાં આવે તો ૩૮ ટકા કંપનીઓ ઊઠી ગઈ છે અને તેના પ્રમાણમાં દિવસોદિવસ વધારો થઈ રહ્યો છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં દસ મહિનાથી સતત વેચાણ ઘટી રહ્યું છે અને ગયા મહિનામાં ગયા વરસના જુલાઈ મહિનાની તુલનામાં સીધો ૩૧ ટકાનો ઘટાડો થયો હતો.
ગયા અઠવાડિયે નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશને તો સરકારનું અને મીડિયાનું બંનેનું એક સાથે નાક કાપ્યું. ન્યુઝ માટે ન્યુઝ પેપરો અને ટીવી ન્યુઝ ચેનલો પાસે જગ્યા નથી એટલે એસોસિએશને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ન્યુઝને – ન્યુઝ નહીં હાર્ડ ન્યુઝને – અખબારોમાં આખા પાનામાં કવર એડવર્ટાઈઝમેન્ટ તરીકે છપાવ્યા. સરકારને માફક ન આવે એવા નક્કર સમાચાર નહીં છાપવાના કે ચેનલ પર નહીં બતાવવાના પૈસા કોઈ જગ્યાએથી મળતા હોય તો લો, અમારી પાસેથી પણ પૈસા લઈ લો અને નક્કર સમાચારને જાહેરખબર તરીકે છાપો.
શું છે એ જાહેરખબરમાં? એમાં ઇન્ડસ્ટ્રીઝની આર્થિક હાલતનું બયાન કરવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે સૂતરની નિકાસમાં ગયા વરસની તુલનામાં આ વરસના એપ્રિલ મહિનામાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં ૩૦.૮ ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનામાં સીધો ૫૦.૧ ટકાનો ઘટાડો થયો છે અને એપ્રિલ-જૂનને સાથે લઈને સરેરાશ કાઢવામાં આવે તો ત્રણ મહિનામાં ૩૪.૬ ટકાનો ઘટાડો થયો છે. એ પછી એમાં સરકારે શું કરવું જોઈએ એની માગણી કરી છે. આ દેશમાં મીડિયા જ્યારે આઝાદ હતા ત્યારે આવા નક્કર સમાચાર સમાચાર તરીકે આવતા હતા અને એડવર્ટાઈઝમેન્ટ તરીકે જુઠાણાં આપવામાં આવતા હતા. હવેના યુગમાં ઊંધું થઈ રહ્યું છે. જુઠાણાંને સમાચાર તરીકે પીરસાય છે એટલે સમાચારને જાહેર ખબર તરીકે આવવું પડે છે. વાહ રે લોકતંત્ર!
અહીં જે દાખલાઓ આપ્યા છે એ તો સેંકડોમાં બે-ચાર છે. જી હાં, સેંકડોમાં. એમાં જરા ય અતિશયોક્તિ કરવામાં આવી નથી. દરેક ઉદ્યોગમાં મંદી છે. બેંકો, શેરબજાર સર્વત્ર. રોકાણ દેશમાંથી પાછું ફરી રહ્યું છે. નવું રોકાણ આવતું નથી. પાર્લેનાં ગરીબો માટેનાં બિસ્કીટના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં કાશ્મીર, પાકિસ્તાન, દેશપ્રેમ, છીછરી ધાર્મિકતા, મેળાવડાઓ અને મહોત્સવો, પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમીનું અર્થતંત્ર બનાવવાનાં વચનો વગેરે કેટલા સમય સુધી પ્રજાને કેફમાં રાખશે એ કહેવું મુશ્કેલ છે.
આવી સ્થિતિમાં રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સરકાર બે વાતની ગંભીરતા સમજતી નથી. એક છે વિકાસદર વિષે જગતમાં હોવી જોઈતી વિશ્વાસાર્હતા. તમારા દાવાઓને શંકાથી જોવામાં આવે અથવા હસી કાઢવામાં આવે એ બહુ ગંભીર બાબત છે. વિશ્વ ભક્તોનું બનેલું નથી. બીજો ગંભીર મુદ્દો હતાશાનો છે. હતાશા ક્યારે ય પણ કોઈ પણ માર્ગે પ્રકટ થતી હોય છે. રઘુરામ રાજને ભારત સરકારને સલાહ આપી હતી કે બહુ મોડું થાય એ પહેલાં સરકારે પગલાં લેવાં જોઈએ.
સરકાર રીઝર્વ બેંકની મરણ મૂડી વાપરવાની છે. આ પહેલાં રીઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રીઝર્વ બેંકની મરણમૂડી આપવાની ના પાડી દીધી હતી. જ્યારે સરકારે દબાણ કર્યું ત્યારે તેઓ રાજીનામું આપીને જતા રહ્યા હતા. તેમની જગ્યાએ ઇતિહાસમાં એમ.એ. કરેલા ભાઈને રીઝર્વ બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા. જે દેખીતી રીતે કરોડરજ્જુ નથી ધરાવતા. તેમણે જ્યારે મોટી રકમ સરકારને આપવાનો આગ્રહ કર્યો ત્યારે રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય રાજીનામું આપીને જતા રહ્યા. આ સિવાય ખાસ રચવામાં આવેલી બિમલ જલાન કમિટીએ પણ ૧.૭૬ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવાની ના પાડી દીધી હતી. આ રકમ પણ નાની નથી અને મહત્ત્વની વાત એ છે કે કોઈ દેશ આ રીતે ડોશીની મરણમૂડી સમાન રીઝર્વ બેંકની મૂડી વાપરતું નથી.
છેલ્લે, દેશ અત્યારે અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અર્થતંત્રની તમામ સંસ્થાઓ (મંત્રાલય સહિત) હેડીના અર્થશાસ્ત્રી વિનાની છે.
27 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2019
![]()


ભૂલ્યા ત્યાંથી પાછા ગણો એવી એક કહેવત છે, પણ એ રાજકીય પક્ષો માટે શક્ય છે? ભારતમાં જેને ગંભીર કહી શકાય એવા રાજકીય પક્ષો ખાસ ઉદ્દેશ માટે રચાયા હતા. પછી રાજકીય પ્રવાસમાં સત્તાની કે બીજી લાલચે ભટકી પડ્યા અને રાહ ચૂકી ગયા એવું લગભગ દરેક રાજકીય પક્ષની બાબતમાં બન્યું છે. જ્યાં સુધી સફળતા મળતી હતી ત્યાં સુધી સમાધાનો કરવામાં પાછા વળીને જોયું નહોતું. હવે જ્યારે સફળતા મળતી બંધ થઈ ગઈ છે અને અસ્તિત્વનું સંકટ પેદા થયું છે ત્યારે જ્યાંથી શરૂઆત કરી હતી અને જે ઉદ્દેશ માટે શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીને નવેસરથી શરૂઆત શક્ય છે?
હિન્દી કવિ રામધારીસિંહ દિનકરે તેમના વિખ્યાત પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ‘હિન્દુત્વ કી ખરલ’ એમ કહ્યું છે. દિનકરનું હિન્દુત્વ એ હિંદુ કોમવાદીઓનું હિન્દુત્વ નથી જે પૃથકતાવાદી છે, પણ દિનકરનું હિન્દુત્વ સર્વસમાવેશક છે અને એટલે તો તેને ખરલ તરીકે ઓળખાવ્યું છે. દિનકર જો આજે લખતા હોત તો તેમણે હિન્દુત્વની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપર્યો હોત, પણ એ વાત જવા દઈએ.
કવિ દિનકર એમ કહે છે કે ભારતની સાંસ્કૃતિક ખરલમાંથી હિંદુ પેદા થયો છે. એ જે હિંદુ પેદા થયો છે એ એક-જીનસ નથી. ભારતની એ વિશેષતા રહી છે કે તે અનેક જાતિઓને ખરલમાં વાટીને એક જાતિ બનાવી દે છે અને અનેક ધર્મોને વાટીને એક ધર્મ બનાવી દે છે. નીગ્રો, ઔષ્ટ્રિક, દ્રવિડ અને આર્યના મિલનમાંથી જે મહાજાતિ પેદા થઈ એ હિંદુ (જેમાં જૈન, બૌદ્ધ, સીખ વગેરેનો સમાવેશ થાય છે) અને વેદ તેમ જ ઉપનિષદો પછી જે વિચારધારાઓની સરવાણીઓ ફૂટી એ ભારતીયદર્શન. આમ કવિ દિનકરનો હિન્દુત્વનો અર્થ સાવરકરના હિન્દુત્વ કરતાં જુદો છે એ સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે. ખરલનો ઉપયોગ જ અનેકમાંથી એક બનાવવા માટે કરવામાં આવે છે અને એ એકને પાછો બીજા સાથે વાટીને અનેક બનાવવા માટે કરવામાં આવે છે. ખરલનો ઉપયોગ કોઈ ચીજ મીટાવવા માટે નથી કરવામાં આવતો, કાંઈક નવું રચવા માટે કરવામાં આવે છે. 