દિવાળીના રસથાળની શરૂઆત સાર્થક પ્રકાશનના ‘જલસો’ના પાંચમા અંકથી થઈ. લખનાર માટે લાંબા લેખો લખવાનો જલસા કરાવવાની પરિપાટી મુજબના ચાર લેખો છે : ‘ઐતિહાસિક ભૂલોનો અંબાર : એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ’ (ઉર્વીશ કોઠારી), સંસ્થાકથા ‘ઓએસિસ – એક ઝરણું જ્યારે ઘૂઘવતી નદી બન્યું’ (ક્ષમા કટારિયા), ‘ગાંધીના અધ્યાત્મિક વારસ વિનોબાને પામવા-સમજવાની મથામણ’ (રમેશ ઓઝા), ધારાશાસ્ત્રી ગિરીશ પટેલની મુલાકાત ‘મળતાં મળે એવા વંચિતોના વકીલ’. અન્ય વાચનસામગ્રીમાં છે અનામત-સમસ્યા પરનાં ત્રણ લખાણો, એક પ્રવાસવર્ણન, બે વ્યક્તિચિત્રો, સર્વેલન્સ સંસ્કૃિત પરનો વિચારલેખ, નલિન શાહના સંગીત વિશેના આગામી પુસ્તકના એક પ્રકરણનો અનુવાદ. (અલબત્ત, આ યાદી સંપૂર્ણ નથી). આરતી નાયરનો સ્ત્રીના ભાવવિશ્વ પરનો આ બીજો લેખ ‘તું તારી મમ્મી જેવી છે : ભારતીય મા-દીકરીની વિટંબણા’ મહિલાઓને ખાસ નજીકનો લાગ્યો છે. ધૈવત ત્રિવેદીનો સૌરાષ્ટ્રની ભાષા વિશેનો લેખ આ લખનારને સહુથી વધુ ગમ્યો છે. અમદાવાદના અંધજનમંડળમાં ચાલતા, પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સહસંવેદન પ્રેરી શકે તેવા એક ઉપક્રમ વિશેનો આશિષ કક્કડનો લેખ સહુએ વાંચવા જેવો છે.
જાણીતા ગુજરાતી લેખક બી. કેશરશિવમની આત્મકથા ‘પૂર્ણસત્ય’માંથી એક સંભારણાનો વડોદરાનાં સુધાતાઈ બોડાએ કરેલો મરાઠી અનુવાદ સમાજવાદી સાપ્તાહિક ‘સાધના’ના સાતમા બાળકુમાર વિશેષાંકમાં પ્રસિદ્ધ થયો છે. સાને ગુરુજીનાં ભત્રીજી અને સંનિષ્ઠ સામાજિક કાર્યકર્તા સુધાતાઈએ પંચ્યાશીની ઉંમરે મરાઠીમાં ઉતારેલી આત્મકથા ચોવીસ ડિસેમ્બરે બહાર પડશે. બાળકો માટેના હિસ્સાની સાથે સુંદર રંગીન ચિત્રો છે, એટલું જ નહીં, લેખકના પરિચયમાં એમના નામનો અર્થ પણ સમજાવેલો છે ! ‘સાધના’ના બીજા યુવા વિશેષાંકની સામગ્રી તેના નામને છાજે તેવી છે. નરેન્દ્ર દાભોલકરના પુત્ર હમીદે તેના નામ અન્દ હમીદ દલવાઈના જીવનકાર્ય વચ્ચે તેને પોતાને ત્રણ તબક્કે સમજાયેલા સંબંધ વિશે લખ્યું છે. સદાશિવ અમરાપુરકરની દીકરી રિમાએ તેના ‘બાબા’ એટલે કે પિતાનું સ્મૃિતચિત્ર આલેખ્યું છે. શ્રીલંકાના ક્રિકેટર કુમાર સંગકારાએ એના દેશનાં સ્થિત્યંતરો અને અસ્મિતાના સંદર્ભે ક્રિકેટનો વિચાર કરીને આપેલું ભાષણ રામચન્દ્ર ગુહાના ભારતીય ક્રિકેટના ઇતિહાસ વિશેના એક ભાષણની યાદ આપાવી જાય છે. ‘સાધના’નો દિવાળી અંક હજુ મળ્યો નથી. પણ મરાઠી ભાષાની એક અનોખી સિદ્ધિ સમા દિવાળી અંકો વિશે ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ(૧૫/૧૧)માં વાંચવા મળે છે – આઠસોએક દિવાળી અંકો નીકળે છે! ‘લલિત’ના ઑક્ટોબરના અંકમાં ચાળીસેક દિવાળી અંકોનો આગોતરો પરિચય છે. મહારાષ્ટ્રના ઇતિહાસની બાજીરાવ મસ્તાનીની પ્રેમકથા પર સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મમાં ‘પિંગા’ નામનું એક ગીત છે. એ ગીતમાં મહારાષ્ટ્રના વારસાની કેવી અયોગ્ય રજૂઆત થઈ છે, તે અંગે અભ્યાસીએ નોંધાવેલા વિરોધ વિશે ‘અમદાવાદ મિરર’(૧૯/૧૧)માં વાંચવા મળે છે. બિનરાજકીય જણાતા આ વિરોધમાં એક વાત આપણે ધ્યાનમાં લેવા જેવી છે. ભણસાળીની ‘રાસ-લીલા’ ફિલ્મમાં ગુજરાતી સંસ્કૃિતની અનેક રીતે ખરાબ રજૂઆત થઈ હતી, પણ ગુજરાતમાંથી એની સામે ભાગ્યે જ કોઈને વાંધો પડ્યો હતો !
સઇદ જાફરી વિશે બે ઓછી જાણીતી વિગતો ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ના તંત્રીલેખમાંથી જાણવા મળી. વિક્રમ શેઠની મોટી નવલકથા ‘સુટેબલ બૉય’ના બીબીસી રૂપાંતરમાં તેમણે તમામ છ્યાંશી પાત્રોને વાંચ્યાં હતાં. તેમની આત્મકથામાં તેમના કામજીવનનું ભરપૂર વર્ણન છે. તે વિશે ઇન્ટરનેટ થકી ‘આઉટલુક’માં પણ વાંચવા મળ્યું.
‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ લોકશાહી અને માનવ-અધિકારોનું પ્રહરી રહ્યું છે, તે આમ તો રોજેરોજ જાણવા મળે છે. જેમ કે, ચોથી નવેમ્બરથી પાંચ દિવસ તેણે આભડછેટ વિશે ‘કીપિંગ દલિત્સ આઉટ’ નામની લેખમાળા કરી. તેમાં આપણે ત્યાંના પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં દલિતો માટેની અલગ આંગણવાડી હોવાના સમાચારને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.
દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં જેની આણ પ્રવર્તે છે, તે આસામ રાઇફલ્સ સામે નાગાલૅન્ડનાં ત્રણ છાપાંએ સોળમી નવેમ્બરના કોરા તંત્રીલેખો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. એટલા માટે કે આ લશ્કરી દળે તાજેતરમાં આ વિસ્તારના સમાચાર આપવા પર અંકુશ મૂકતો હુકમ માધ્યમોને આપ્યો છે. આ લશ્કરશાહી વલણ સામે ‘એક્સ્પ્રેસે’ ઓગણીસ નવેમ્બરના તંત્રીલેખ અને તેની બાજુના લેખમાં લખ્યું છે. સામેના પાને કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલનો લેખ છે. તેમાં, અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ પરના રાજદ્રોહના આરોપના પગલે, સેડિશનના કાયદાના બિનલોકશાહી સ્વરૂપની સમજૂતી આપવામાં આવી છે. [એક્સ્પ્રેસે રાજદ્રોહનો કાયદો ‘કાઢી નાખો’ એવો તંત્રીલેખ (૧૦/૧૧) કર્યો હતો.]
ગિરીશ પટેલ આપણા જાહેરજીવનના બૌદ્ધિક છે. તેમના કુળના માણસો વિશેનું રોમિલા થાપરનું પુસ્તક ‘ધ પબ્લિક ઇન્ટેલક્ચ્યુઅલ ઇન ઇન્ડિયા’ તાજેતરમાં બહાર પડ્યું છે. સહેજ વિગતે બ્રાઉઝ કરતાં તે આ અઘરું પણ મહત્ત્વનું પુસ્તક લાગ્યું. તેમાં ત્રણ લેખો થાપરના છે અને ત્રણ અન્ય અભ્યાસીઓના છે. થાપરે પોતે પશ્ચિમના અને ભારતના જે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સની વાત કરી છે, તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર નથી (ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ માં સમાજ-અગ્રણીઓની યાદી અહીં યાદ આવે). પણ જાવેદ નકવીનો લેખ બાબાસાહેબના પ્રદાનની ચર્ચા કરે છે. આંબેડકર સવાસોમાં ગુર્જર પ્રકાશન તરફથી બે પુસ્તકો મળે છે. રાજમોહન ભટનાગરની હિંદી જીવનચરિત્રાત્મક નવલકથા ‘યુગપુરુષ આંબેડકર’ છાયા ત્રિવેદી ગુજરાતીમાં લાવ્યાં છે. ‘સમતાના સેનાની ડૉ.આંબેડકર’ નામે , દલિત વિષયના અભ્યાસી ચંદુ મહેરિયાએ કરેલા સંપાદનમાં ચાળીસ લેખો છે. પૅરિસ હુમલાની બાબતે અમાપ લખાઈ રહ્યું છે. એ વાંચતા રહેવું ઘટે.
મરાઠીમાં કહે છે ‘વાચાલ તર વાચાલ’ એટલે કે વાંચશો તો બચશો. દુનિયામાં ચાલી રહેલા કટોકટીના માહોલમાં આ વધારે પડતું લાગે છે નહીં ? !
૨૦ નવેમ્બર, ૨૦૧૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 08
![]()


પ્રેરણાદાયી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જન્મશતાબ્દી વર્ષ આવતી કાલે [15 અૉક્ટોબરે] પૂરું થશે. આ વર્ષ દરમિયાન પણ – અત્યાર સુધીની જેમ જ – દર્શકના ‘અંતિમ અધ્યાય’ (1983) પુસ્તકની જવલ્લે નોંધ લેવાઈ. આ નાટ્યસંગ્રહ હિંસક અહિષ્ણુતાના સાંપ્રત ભારતમાં બહુ પ્રસ્તુત છે. તેમાં ત્રણ નાની કૃતિઓ છે – ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’. આ નાટકોનો વિષય ગુજરાતી સાહિત્યના મોટાભાગના અભ્યાસીઓને માફક આવે તેવો નથી. તે હિટલરના નાઝીવાદની ભીષણતા અને તેની સામે મૂળભૂત માનવતાના પ્રસંગો પર આધારિત છે. દર્શક લખે છે : ‘ … ત્રણે નાટકોને એકસૂત્રે બાંધતો વિચાર છે નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસ્ત્ર થયેલ નથી. તેને સંભરતાં ત્રાસ છૂટે તેવું છે, પણ તેની સ્મૃિત સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે.’
‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.