
હિમાંશુ કુમાર
મારો જન્મ થતાં જ મને હિન્દુ, મુસ્લિમ કે ફલાણાો-ઢીંકણો બનાવી દેવામાં આવ્યો. મારા જન્મ પહેલાં જ મારા દુ:શ્મનો નક્કી થઈ ગયા હતા. મારા જન્મ પહેલાં જ મારી જાતિ નક્કી થઈ ગઈ હતી.
મારા જન્મ પહેલાં જ આ નક્કી થઈ ગયું હતું કે મારે કઈ બાબતો પર ગર્વ અને શેના પર શરમ મહેસૂસ કરવી !
હવે, એક સારા નાગરિક થવા માટે, મારે કેટલાકને દુ:શ્મનો માનવા અને ભ્રામક ગર્વથી ભરેલા હોવું જરૂરી છે !
આ નફરત અને આ ગર્વ મારા પૂર્વજોએ એકત્રિત કર્યું છે, છેલ્લાં દસ હજાર વર્ષોમાં. અને હું અભાગી છું, આ દસ હજાર વર્ષનો બોજ મારા માથા પર ઊંચકવા માટે.
અને હવે હું આ ભાર મારાં માસૂમ, ભોળા બાળકોને સોંપીશ !
હું મારાં બાળકોને ભણાવીશ. નકલી નફરત, નકલી ગર્વ, હું તેમને ઝંડો પકડાવી દઈશ. હું તેમને બીજાના ઝંડાઓથી નફરત કરતા શીખવીશ.
હું મારાં બાળકોની પસંદગીઓ પણ નક્કી કરીશ. જેમ મારી પસંદગીઓ નક્કી થઈ ગઈ હતી ! મારા જન્મ પહેલાં પણ, હું કયા મહાન પુરુષોને મારા આદર્શ માની શકું અને કોને નહીં !
ક્યા પ્રકારનું સંગીત પસંદ કરવાનું છે આપણા ધર્મને માનનારાઓએ. અને કયો રંગ શુભ છે? અને કયો રંગ ખરેખર વિધર્મીઓનો છે?
એવું લાગે છે હું હજુ પણ એક કબીલામાં રહું છું, હરીફ કબીલાઓ સામે લડવું પરંપરાગત રીતે નક્કી છે; શિકારનો ઈલાકો અને ભોજન એકત્ર કરવાનો ઇલાકો, હવે રાષ્ટ્રમાં ફેરવાઈ ગયો છે !
બીજા કબીલા સાથે આ ઇલાકાના કબજા માટે લડવા માટે બનાવેલ છે લડાયક સૈનિકો, તે હવે મારી રાષ્ટ્રીય સેના કહેવાય છે ! મારે આ સેના પર ગર્વ કરવાનો છે. જેથી આપણા શિકાર ઈલાકાને બચાવી શકાય. પડોસના ભૂખ્યાંઓ સાથે લડવું આપણા શિકાર ઇલાકા માટે તે હવે રાષ્ટ્રરક્ષા કહેવાય છે.
લડાઈના બહાના પહેલાથી જ નક્કી થઈ ગયા છે; પાડોશીનો ધર્મ, તેનો અલગ ઝંડો, તેમની અલગ ભાષા, બધું ઘૃણાસ્પદ છે.
આપણા પડોશીઓ ક્રૂર અને દુષ્ટ છે. એટલા માટે આપણી સેનાને તેમનો વધ કરવાનો પૂરો અધિકાર છે.
દસ હજાર વર્ષની બધી ધૃણા, બધી પીડા હું તમને આપતો જઈશ, મારાં બાળકો !
પણ હું અંદરથી ઈચ્છું છું કે તમે મારી અવગણના કરો, મારાં બાળકો ! મારા કોઈ ઉપદેશ સાંભળશો નહીં. એ પણ માનશો નહીં જે હું તમને ધર્મ અને સંસ્કૃતિના નામે સડેલાં મૂલ્ય તમને આપવા ઈચ્છું !
તમે તેને ઠોકર મારો. હું ઈચ્છું, મારાં બાળકો, તમે પોતાની તાજી અને ચોખ્ખી આંખોથી આ દુનિયા જૂઓ ! તમે જોઈ શકશો કે કોઈને અલગ માનવાનું કોઈ કારણ નથી. લડવાનું કોઈ કારણ નથી. કદાચ તમે એવી દુનિયા બનાવી શકો, જેમાં કોઈ સેના, શસ્ત્રો, યુદ્ધ અને જેલ ન હોય !
જેમાં માણસો દ્વારા ઊભી કરેલ ભૂખ, ગરીબી અને નફરત ન હોય. જેમાં માણસ ભૂતકાળમાં નહીં, પણ વર્તમાનમાં જીવતો હોય !
[સૌજન્ય : હિમાંશુ કુમાર, 30 એપ્રિલ 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


‘ફુલે’ ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ, જોતિરાવ ફુલેના જન્મદિવસે રજૂ થવાની હતી, પરંતુ સેન્સરબોર્ડે ફિલ્મમાં સુધારા સૂચવ્યા તેથી હવે 25 એપ્રિલના રોજ રજૂ થશે. સેન્સરબોર્ડના વાંધાઓ બાબતે ઊહાપોહ થયો છે. ભૂતકાળમાં લઈ જનારી ‘સત્તા’ને ફુલેના પ્રગતિશીલ વિચારો પચે નહીં તેવા હતા. અલગ અલગ બ્રાહ્મણવાદી સંગઠનોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક છે અનંત નારાયણ મહાદેવન. પટકથા લેખક છે દારબ ફારુકી. મુખ્ય ભૂમિકામાં પ્રતીક ગાંધી અને પત્રલેખા છે.
જોતિરાવ કહે છે : “આ પુસ્તક લખવાનો મારો હેતુ ફક્ત એ બતાવવાનો જ નથી કે બ્રાહ્મણોએ કેવી રીતે શૂદ્રોનું શોષણ કર્યું પણ સરકારની આંખો ખોલવાનો પણ છે કે અત્યાર સુધી સતત ઉપલા વર્ગને શિક્ષણ આપવાની જે નીતિ ચાલી રહી છે એ શાસન માટે ખૂબ જ વધારે વિનાશકારી અને મુશ્કેલીભરેલી છે. અંગ્રેજ શાસનના કારણે ભારતમાં પશ્ચિમી સભ્યતા અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, પણ એનો લાભ ફક્ત ઉપલા વર્ણનાં લોકો અને એમાં પણ ખાસ કરીને બ્રાહ્મણોમાં ઉચ્ચશિક્ષિત નવા વર્ગનું નિર્માણ થયું છે, જે વર્ગ અંગ્રેજ શાસન ચલાવવા માટે નોકરશાહીના રૂપે મદદ કરી રહ્યો છે. ધર્મના માધ્યમથી ‘બ્રાહ્મણ પુરોહિતશાહી’ અને સરકારના માધ્યમથી ‘બ્રાહ્મણ નોકરશાહી’ એવાં બેવડાં શોષણચક્રમાં શૂદ્ર-અતિશૂદ્રો ફસાઈ ગયા છે. હાલના શાસન દ્વારા ફક્ત ઉપલા વર્ગને શિક્ષિત કરવાનું એ પરિણામ રહ્યું છે કે સરકારમાં લગભગ બધા જ ઊંચા હોદ્દાઓ પર ફક્ત બ્રાહ્મણ બેઠા છે. જો મહેનતુ ખેડૂતોના કલ્યાણની કોઈ ચિંતા સરકારને હોય તો સરકારની આ જવાબદારી છે કે એ અગણિત કુકર્મોને રોકે અને આ પદો ઉપર રહેવાનો જે એકાધિકાર બ્રાહ્મણોએ મેળવ્યો છે એને ઓછો કરે. અને થોડાક સાર્વજનિક હોદ્દાઓ બીજી જાતિના લોકોને પણ આપે. તેથી સરકારે શૂદ્રોના શિક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે શૂદ્ર આ દેશના સ્નાયુ અને પ્રાણ છે. પ્રશાસનમાં યોગ્ય નોકરીઓ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતે શૂદ્રો-અતિશૂદ્રોને શોષણમાંથી મુક્ત કરવા જોઈએ.”
“શૂદ્રો રોદણાં રડે છે કે ‘બ્રાહ્મણ કુલકર્ણીના કારસ્તાનને કારણે બ્રાહ્મણ મામલતદારે મારી અરજી યોગ્ય સમયે સ્વીકારી નહીં, આથી મારા વિરોધીએ મારા બધા સાક્ષીઓને ફોડી, ઊલટો મને જ જામીન મેળવવા માટે વિવશ કર્યો.’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધા બાદ આજ સુધી દબાવીને રાખી મૂકી છે. પણ મારા વિરોધીની અરજી બીજા દિવસે લઈને જ એની સુનાવણી કરી દીધી અને મારા અધિકારો સમાપ્ત કરી મને ભિખારી બનાવી દીધો.’ કોઈ વળી એમ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારા કહેવા પ્રમાણે મારી જુબાની લખી નથી અને પછી એ જ જુબાની ઉપરથી મારી ફરિયાદના વિષયને એવો ગૂંચવડાભર્યો બનાવી દીધો કે હવે હું ગાંડો બની જઈશ એવું લાગે છે.’ કોઈ કહે છે કે ‘મારા વિરોધીઓએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારા ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે મેં તરત જ એ બ્રાહ્મણ મામલતદાર પાસે જઈ એની સાથે નમ્ર થઈ જમીન ઉપર હાથ અડાડતાં દંડવત પ્રણામ કર્યા અને એની સાથે એક શબ્દ પણ ન બોલતા એના હાથમાં મારી અરજી આપી અને ચાર-પાંચ ડગલા પાછળ હટીને બે હાથ જોડી એની સામે ધ્રૂજતા ઊભો રહ્યો. એટલામાં એ યમદૂતે મારા ઉપર નીચેથી ઉપર સુધી નજર ફેરવી તરત એ અરજી મારી ઉપર ફેંકતા કહ્યું કે તે કોર્ટનું અપમાન કર્યું છે અને એમ કહેતાની સાથે જ મને દંડ કર્યો. એ દંડ ભરવાની મારી ત્રેવડ ન હોવાથી મારે કેટલાયે દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. બીજી તરફ મારા વિરોધીએ ખેતરમાં બીજની વાવણી કરી મારું ખેતર પોતાના કબજામાં લઈ લીધું એના માટે મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજીઓ આપી. પણ ત્યાં પણ મારી અરજી બ્રાહ્મણ બાબુ એ ક્યાં દબાવીને રાખી દીધી એની કંઈ જ ખબર નથી પડતી ત્યારે હવે આના માટે શું કરવું? ક્યાં જવું?’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ કર્મચારીએ કલેક્ટર સાહેબ સમક્ષ મારી અરજી વાંચી અને કહ્યું કે આ તો ખૂબ ફરિયાદ કરનાર વ્યક્તિ છે.’ વળી કોઈ કહે છે કે ‘ભગવાનની પૂજાના નિર્ધારિત સમય અનુસાર બ્રાહ્મણના ઘરોમાં વસ્તુઓ પૂરી પાડતાં પડતાં મારું ઘરબાર વેચાઈ ગયું, ખેતરો ગયાં. અનાજ ગયું અને મારા ઘરની દરેક વસ્તુ ખલાસ થઈ ગઈ. મારી ઘરવાળીના શરીરનું એક તૂટેલું ઘરેણું પણ ન બચ્યું. અને જ્યારે છેવટે અમે બધા ભૂખે મરવા લાગ્યા ત્યારે મારા નાના ભાઈઓએ છૂટક મજૂરીનો ધંધો કરી, તેઓ સડક બનાવવાના કામમાં માથે વજન ઊંચકવા લાગ્યા. પણ ત્યાં પણ બધા બ્રાહ્મણ સાહેબો કોઈ પણ કામને હાથ લગાડતા નહીં, ફક્ત રોજ સવાર સાંજ એકવાર આવી, હાજરી પૂર્યા બાદ કોઈ મરાઠી સમાચાર પત્રોમાં કોઈ અંગ્રેજે ધર્મની હાંસી ઊડાવી હોય એવા સમાચાર જતાં જતાં સંભળાવી પોતપોતાના ઘરે ચાલ્યા જતા હતા. સરકાર આ બ્રાહ્મણોને છૂટક મજૂર કરતા બમણો પગાર આપતી હતી છતાં જો પગાર થયા બાદ કોઈ શ્રમિકે એમને કંઈક ઉપલક નાણાં ન ચૂકવ્યાં હોય તો તરત જ બીજા દિવસે એમના ઉપરી સાહેબને એ શ્રમિકની અનેક પ્રકારની ચૂગલી કરી એની હાજરી ભરતાં નહીં.’ આવી અનેક પ્રકારની બ્રાહ્મણો દ્વારા અપાતી તકલીફોનાં કારણે શૂદ્રો ઘેર જઈ દંડ દંડ આંસુ પાડે છે. આ બધા બ્રાહ્મણો અઢાર વર્ણોના ગુરુ છે, એટલે એ જેવું પણ વર્તન કરે, આપણે શૂદ્રોએ એક પણ શબ્દ ન કહેવો જોઈએ, શૂદ્રોએ એમની આલોચના ન કરવી જોઈએ, આવું એમના ધર્મશાસ્ત્રો કહે છે.”
ફુલે : “જ્યારે મેં બ્રાહ્મણ અને સંલગ્ન સમુદાયોની છોકરીઓ માટે શાળાઓ ખોલી ત્યારે સરકારે મારું સન્માન કર્યું. પરંતુ પછીથી મને અતિશૂદ્રોના છોકરાઓ અને છોકરીઓ માટે શાળા ખોલવાની ખૂબ જ જરૂર સમજાઈ. તેથી મેં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સભ્યોની નોંધણી કરાવી, આ કાર્ય માટે તેમનો સહયોગ મેળવ્યો અને તે બધી શાળાઓ તેમને સોંપી દીધી. ત્યારબાદ, મેં 1851માં અતિશૂદ્ર સમુદાયના છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શાળાઓ ખોલી. ઘણા અંગ્રેજ સજ્જનોએ મને ઉદારતાથી મદદ કરી. મહેસૂલ કમિશનર Reeves સાહેબની મદદને હું ક્યારે ય ભૂલીશ નહીં. આ પરોપકારી અંગ્રેજ વ્યક્તિએ મને સમયસર મૂલ્યવાન દાન આપીને મદદ કરી, પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને અતિશૂદ્ર બાળકો માટે આ શાળાઓની મુલાકાત લેતા અને વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ વિશે પ્રેમથી પૂછતા. તેઓ આ સારા કાર્યને પ્રોત્સાહન આપતા. હું કેટલાક અન્ય પરોપકારી અંગ્રેજોનો પણ આભાર માનું છું જેમણે મારા શૈક્ષણિક કાર્યમાં મને શક્ય તેટલી મદદ કરી. મેં મારા કેટલાક બ્રાહ્મણ મિત્રોનો સહકાર મારા કાર્ય માટે લીધો હતો. પરંતુ જ્યારે મેં મારી શાળાઓમાં બ્રાહ્મણોના પૂર્વજો દ્વારા લખાયેલા બનાવટી ધાર્મિક પુસ્તકોમાં સમાવિષ્ટ છેતરપિંડીને