
રમેશ ઓઝા
૧૧મી માર્ચે આખું અમદાવાદ શહેર જાગતું હતું, સૂતો હતો માત્ર એક જ માણસ; મોહનદાસ કરમચંદ ગાંધી. બીજા દિવસે પરોઢે ગાંધીજી સાબરમતી આશ્રમથી (ત્યારનું નામ સત્યાગ્રહાશ્રમ) દાંડી કૂચનો આરંભ કરવાના હતા અને લોકો એ અનુપમ ઘટનાને નજીકથી જોવા માગતા હતા, તેનાં સાક્ષી બનવા માગતા. ગાંધીજીના માર્ગમાં બન્ને તરફ લોકો ગોઠવાઈ ગયા હતા અને કેટલાક યુવાનો ઝાડ પર ચડી ગયા હતા. ઉમાશંકર જોશી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો પણ એમાં હતા અને તેમણે એ ઘટનાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. જેમ જેમ કૂચ આગળ વધી એમ એમ તેણે લોકોનાં દિલનો એવો કબજો લીધો કે કનૈયાલાલ મુનશી અને ઇન્દુલાલ યાજ્ઞિક એ સમયે ગાંધીજી સાથે નહીં હોવા માટે રુદન કરતા હતા. મુનશી ગાંધીજીના કઠિન જનઆંદોલનથી દૂર રહેતા હતા અને ઇન્દુલાલ ગાંધીજીથી રિસાઈને ગુજરાત છોડી મુંબઈ જતા રહ્યા હતા. બન્નેને અનુક્રમે એમ લાગતું હતું કે એવી તે કેવી સુવિધાપરસ્તી અને એવી તે કેવી રીસ કે અત્યારે તેઓ યુગપુરુષની સાથે નથી.
ખેર, ગાંધીજીએ કૂચ આરંભતા પહેલાં એક પ્રતિજ્ઞા કરી હતી કે સ્વરાજ લીધા વિના તેઓ આશ્રમ પાછા નહીં ફરે. “સ્વરાજ વિના આશ્રમનું દર્શન હું કરવાનો નથી. કાગડા-કૂતરાને મોઢે હું મરીશ, સ્વરાજની ઝંખના કરતો રઝડીરવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી જ.” આ જે પ્રસિદ્ધ વાક્ય ટાંકવામાં આવે છે એ તેમણે દાંડીકૂચના અઢારમાં દિવસે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામ નામના ગામમાં લોકો સમક્ષ બોલતા કહ્યું હતું.

મીઠાના સફળ સત્યાગ્રહ પછી મે મહિનામાં ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ભારતના એ વખતનાં વાઇસરોય લોર્ડ ઈરવીન સાથે સમજૂતી થઈ અને ગાંધીજી બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા. યુરોપથી પાછા ફર્યા એ પછી તેમની પાછી ધરપકડ કરવામાં આવી અને જેલવાસ દરમ્યાન જ તેમણે પૂનાની યેરવડા જેલમાં અલગ મતદાર સંઘની જોગવાઈનો વિરોધ કરવા ઉપવાસ કર્યા અને ડૉ. આંબેડકર સાથે સમજૂતીના કરાર થયા જે પૂના કરાર તરીકે ઓળખાય છે. જેલવાસ દરમ્યાન જ ૮મી મે ૧૯૩૩ના દિવસે તેમણે આત્મશુદ્ધિ માટે ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા અને સરકારે પરિણામથી ગભરાઈને એ જ દિવસે તેમને છોડી મૂક્યા. ગાંધીજીએ પૂનામાં જ લેડી પ્રેમલીલા ઠાકરસીના ‘પર્ણકુટી’ નામના યેરવડાની જેલ નજીક આવેલા બંગલામાં રહીને ૨૧ દિવસના ઉપવાસ પૂરા કર્યા. ત્યાંથી જ તેમણે ૧૮મી જૂન ૧૯૩૩ના દિવસે આશ્રમવાસીઓને એક સંદેશો મોકલ્યો કે, “આજ સુધી ગાળ્યું છે તેનાં કરતાં વધારે શુદ્ધ જીવન ગાળજો.” આ સલાહ સૂચક હતી.

ગાંધીજીએ દાંડીકૂચ માટે ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ છોડ્યું હતું એ પછી ત્રણ વરસે ૧૯મી જુલાઈ ૧૯૩૩ના રોજ અમદાવાદ ગયા અને શેઠ રણછોડલાલના ઘરે મહેમાન થયા. એ દિવસે આશ્રમ ગયા અને ૨૨મી તારીખે તેમણે જમનાલાલ બજાજ અને દેવદાસ ગાંધીને લખ્યું કે તેમણે આશ્રમ વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ સમયે તેમણે અલગ અલગ શબ્દ વાપર્યા છે. આશ્રમ ભાંગી નાખવાનો, આશ્રમ વિસર્જિત કરી દેવાનો, આશ્રમ હોમી દેવાનો, ફૂંકી મારવાનો, બલિદાન કરવાનો, સરકારને સોંપી દેવાનો, વગેરે.
આવો નિર્ણય લેવાનું શું કારણ? એક તો એ કે સરકાર વિઘોટીને નામે આશ્રમવાસીઓને હેરાન કરતી હતી અને જે તે વસ્તુ જપ્ત કરતી હતી. ૨૫મી જુલાઈના દિવસે તેમણે એસોસિટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાના પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “લડતમાં ભાગ લેતા સેંકડો બલકે હજારો માણસોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. ગામડાંના લોકોએ વીરતાપૂર્વક વેઠેલાં કષ્ટોની વાત સાંભળીને મને થયું કે મારે કોઈ આકરું પગલું લેવાની જરૂર છે. હું શાનો ભોગ આપી શકું? મારું કહેવા જેવું આ પૃથ્વી ઉપર કાંઈ નથી; પણ મારી પાસે એવી કેટલીક વસ્તુઓ છે જે મારી ગણી શકાય અને એવી કિંમતી વસ્તુઓમાં આશ્રમ કદાચ સૌથી વધુ કિંમતી છે અને મને થયું કે મારે મન મારા જીવનનું નવું અને પવિત્ર કાર્ય (હરિજનસેવા) શરૂ કરવા પહેલાં મારે મારા આશ્રમના સાથીઓને મારી સાથે જોડવા …”
૨૬મી જુલાઈએ ગાંધીજીએ મુંબઈ સરકારના ગૃહસચિવને પત્ર લખીને આશ્રમનો કબજો લેવાની ભલામણ કરી અને આગળ લખ્યું: “જો કોઈ પણ કારણસર ઉપર જણાવેલી મિલકતનો કબજો સરકાર નહીં લે તો આશ્રમવાસીઓ તો લડતની મોકુફીની મુદ્દત પૂરી થયે એટલે કે ૩૧મી તારીખ પછી આશ્રમનો ત્યાગ કરીને ચાલ્યાં જશે.” આશ્રમ પાસે અગિયારેક હજાર પુસ્તકોનું પુસ્તકાલય હતું જે ગાંધીજીએ અમદાવાદની મહાનગરપાલિકાના વાંચનાલયને આપી દીધું હતું. મહેતલ વીતી જવા છતાં સરકારે આશ્રમ કબજે કર્યો નહીં અને છેવટે આશ્રમ ગાંધીજીએ હરિજન સેવક સંઘને આપી દીધો હતો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 માર્ચ 2024
![]()



મુસ્લિમ સ્ત્રીઓની આબરૂનું રક્ષણ કરનારા શિવાજી મહારાજ નબળા હતા? જો નબળા હોત તો તેમણે આગ્રાની જેલમાંથી છૂટવા માટે ઔરંગઝેબની માફી માગી હોત, જે રીતે સાવરકરે આંદામાનની જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની એક વાર નહીં, ઉપરાઉપર અનેકવાર માફી માગી હતી. શિવાજી મહારાજની બહાદુરી, સંકલ્પસિદ્ધિ, કૃતનિશ્ચયતા વિષે કોણ નથી જાણતું? એ માણસે ઔરંગઝેબને હંફાવી દીધો હતો અને દક્ષિણ છોડીને દિલ્હી પાછો જવા નહોતો દીધો. લાંબો સમય સુધી દિલ્હીની બહાર રહેવાને કારણે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને છેવટે તેનું પતન થયું હતું. અને હજુ એક વાત. આગળ જતાં આ જ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યનું પતન મરાઠાઓની મર્દાનગીના અભાવને કારણે નહોતું થયું, પણ પેશ્વાઓની ઐયાશીના કારણે, તેમની જીવન મૂલ્યો સાથેની શિથિલતાને કારણે, મર્યાદાલોપને કારણે થયું હતું. ટૂંકમાં મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. બન્ને એકબીજાને વધારે સમૃદ્ધ કરે છે. દીપાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામ કાયર હતા?
એક પ્રસંગ ટાંકુ છું. બોરસદના સત્યાગ્રહમાં વિજય મળ્યો એ પછી ૧૨મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. એ સભામાં વલ્લભભાઇ પટેલે કહ્યું હતું: “એક મહિનાની ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. તેમાં દરબારસાહેબની (દરબાર ગોપાળદાસ) પંડ્યાજીની (મોહનલાલ પંડ્યા) કે મારી, કોઈની બુદ્ધિચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી; પણ આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. એમણે આપેલી દીક્ષાની ગુરુદક્ષિણા તો હજી આપણે આપવી બાકી જ છે, આ તો એમના ઋણનું વ્યાજ માત્ર આપણે પાછું વાળ્યું છે.” આગળ કહે છે : “ … મેં જાણ્યું કે તમે ફતેહની ઉજાણી કરવાના છો. તે ભલે ઉજવો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તિ કરવા આવનારાઓને પણ ભાગ લેવા બોલાવો. આપણી લડત આસૂરી નથી, એટલે દુ:શ્મને જ્યારે હથિયાર હેઠાં મૂકયાં ત્યારે તમારે તેમની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજાણીમાં ભાગ લેવા બોલાવવા.”