
રમેશ ઓઝા
ગાંધીજીના જીવનનો એક પ્રસંગ તો જાણીતો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા એ પછી તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના સામે કિનારે બેરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના બંગલામાં આશ્રમની સ્થાપના કરી હતી, જે કોચરબ આશ્રમ તરીકે ઓળખાય છે. સાબરમતીનો અત્યારનો જે આશ્રમ છે એ જમીન ગાંધીજીએ પછીથી ખરીદી હતી અને આશ્રમ ત્યાં ગયો હતો. ગાંધીજીએ અમદાવાદમાં વસવું જોઈએ એમ કેટલાક લોકોનો આગ્રહ હતો અને આર્થિક સહાય કરવાનું પણ વચન આપ્યું હતું. પણ એમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાપાતનો અનુભવ થયો હતો. ગાંધીજીએ જાહેર કર્યું હતું કે તેઓ આશ્રમમાં એક અંત્યજ (હરીજન શબ્દ પાછળથી ગાંધીજીએ પ્રયોજ્યો હતો) પરિવારને રાખવા માગે છે જે આશ્રમના નિયમો મુજબ રહેવા તૈયાર હોય. ગાંધીજીનો આશ્રમ રૂઢ અર્થમાં ધાર્મિક આશ્રમ નહોતો.

અંબાલાલ સારાભાઈ બહેન સાથે, 1952
આશ્રમની હજુ તો સ્થાપના થઈ ન થઈ ત્યાં કસોટીનો વખત આવી ગયો. મુંબઈથી ઠક્કરબાપાનો પત્ર આવ્યો કે મુંબઈનો એક અંત્યજ પરિવાર આશ્રમમાં અંતેવાસી તરીકે રહેવા તૈયાર છે. ગાંધીજીએ દરખાસ્ત મંજૂર રાખી અને હોબાળો શરૂ થયો. કસ્તૂરબા, મગનલાલ ગાંધીનાં પત્ની અને બીજા આશ્રમવાસીઓએ તો વિરોધ કર્યો જ, પણ આશ્રમ માટે આર્થિક મદદ કરનારાઓએ મદદ કરવાનું બંધ કર્યું. આશ્રમ હજુ તો શરૂ થતાની સાથે જ આર્થિક સંકટમાં આવી ગયો.
એમાં એક દિવસ આશ્રમવાસી બાળકે ગાંધીજીને કહ્યું કે આશ્રમની બહાર એક મોટર ઊભી છે અને તેમાં જે શેઠ બેઠા છે એ આપને મળવા બોલાવે છે. ગાંધીજી તેમની પાસે ગયા તો એ શેઠે આશ્રમને આર્થિક મદદ કરવાની ઈચ્છા બતાવી. ગાંધીજીએ કહ્યું કે આશ્રમમાં એક અંત્યજ પરિવાર રહે છે અને ગમે તે થાય તેને હું આશ્રમમાંથી દૂર કરવાનો નથી. શેઠે કહ્યું કે એ વાતની મને જાણ છે. હું આવતીકાલે એટલા વાગે આવીશ.
બીજા દિવસે શેઠ આવ્યા અને ગાંધીજીના હાથમાં તેર હજાર રૂપિયા મૂકતા ગયા. ૧૯૧૫માં ૧૩ હજાર રૂપિયા એ ઘણી મોટી રકમ હતી. ગાંધીજીએ એ પ્રસંગ માટે કહે છે : “મારી ઉપર આ ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી છે.” ગાંધીજીએ તેમની આત્મકથામાં એ શેઠનું નામ લખ્યું નથી, પરંતુ એ શેઠ હતા, જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ. ગાંધીજીએ આત્મકથામાં તેમનું નામ એટલા માટે નથી લખ્યું કે તેમને આર્થિક અને સામાજિક રીતે નુકસાન ન પહોંચે. હિંદુઓ પહેલેથી જ સંસ્કારી હતા અને આજે પણ છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.
ખેર, આ વાત થઈ ૧૯૧૫ના જૂન-જુલાઈ મહિનાની. એ પછી દોઢ વરસે શેઠ અંબાલાલ સારાભાઈ ગાંધીજીને મુંબઈમાં મળે છે અને વિનંતી કરે છે કે મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચે વેતન અને બોનસના પ્રશ્ને ચડભડ ચાલી રહી છે જેમાં આપે (ગાંધીજીએ) મધ્યસ્થી કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું કે હું મજૂરોનો પક્ષ સાંભળ્યા પછી નિર્ણય લઇશ. અમદાવાદમાં ગાંધીજીએ મજૂરોના આગેવાનોને સાંભળ્યા અને મજૂરોના પક્ષે ઊભા રહ્યા. આંદોલન થયું, હડતાલ પડી, ગાંધીજીએ ઉપવાસ કર્યા અને છેલ્લે મિલ માલિકોએ ઝૂકવું પડ્યું તેનો લાંબો ઇતિહાસ છે, પણ અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે અંબાલાલ સારાભાઈનાં સગાં બહેન અનસુયા સારાભાઈ ગાંધીજી સાથે મજૂરોના પક્ષે ભાઈ સામે ઊભા રહ્યાં હતાં. અંબાલાલ સારાભાઈનાં મોટાં પુત્રી મૃદુલા સારાભાઈ પણ આજીવન ગાંધીજીનાં વિચારો અને કામને સમર્પિત હતાં.
જે શેઠ શામળિયો બનીને આવે એ શેઠની સામે ગાંધીજી સત્યાગ્રહ કરે અને મિલ બંધ કરાવે. સગી બહેન આ માણસથી પ્રેરાઈને સગા ભાઈ સામે ઊભી રહે. કલ્પના કરો એ કેવી ખુદ્દારી હશે, કેવી ખુદવફાઇ હશે, કેવી સત્યનિષ્ઠા હશે અને કેવો એ ડંખ વિનાનો સ્નેહ હશે! ૧૯૧૫થી સારાભાઈ પરિવાર ગાંધીજીને વરેલો પરિવાર હતો અને આજીવન રહ્યો. અમદાવાદમાં વસવા માટે ગાંધીજીએ અંબાલાલ સારાભાઇ પાસે રહેઠાણ માગ્યું હોત તો સારાભાઈ શેઠે તેમને બંગલો આપી દીધો હોત, પણ તો ગાંધીજી લડી ન શક્યા હોત!
*****
હવે બીજું દૃશ્ય: સાલ ૨૦૨૪
૮મી મે ૨૦૨૪ના રોજ તેલંગાણામાં વેમુલવાડા ખાતે એક રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અંબાણીએ અને અદાણીએ એક ટેમ્પો ભરીને રોકડું કાળું નાણું કાઁગ્રેસને આપ્યું છે એટલે હવે શાહજાદા (રાહુલ ગાંધી) તેમની ટીકા કરતા બંધ થઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યારે બોલે છે ત્યારે તેમની જૂની રંગભૂમિની યાદ અપાવે એવી ભાવ-ભંગીમાઓથી આપ પરિચિત છો. કોથળા ભરી ભરીને રૂપિયા લીધા હોવાનો અને બે ઉદ્યોગપતિઓએ આપ્યા હોવાનો ખુદ વડા પ્રધાને આરોપ કર્યો હતો. એવા વડા પ્રધાન જે પોતે જ પોતાના મુખે દાવો કરે છે કે તેઓ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓની બાબતે અસહિષ્ણુ છે. આપણા વડા પ્રધાનની એક વાત સારી છે, એ પોતે જ પોતાનાં વખાણ કરી લે છે. કોઈ બીજાને વખાણ કરવાનો મોકો આપતા નથી.
એ પછી ચૂંટણીનાં પરિણામ આવ્યાં. નરેન્દ્ર મોદી ત્રીજી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા. ભક્તોએ કદાચ વિચાર્યુ હશે કે હવે અદાણી અને અંબાણીનું આવી બનવાનું. કોથળા ભરી ભરીને કાળું નાણું ઘરમાં રાખે અને મુક્ત તેમ જ ન્યાયી ચૂંટણીને પ્રભાવિત કરવા ટેમ્પોમાં ભરીને એ પૈસા રાજકીય પક્ષને આપે એ સ્વચ્છ અને ભડવીર એમ બન્ને ગુણ ધરાવતા ચોકીદારથી બચે! ભોળિયાઓ તો રાહ જોતા હતા અને મનોમન ફાળ અનુભવતા હતા કે રહે, આ બે કાળાં નાણાંનાં કુબેરપતિઓ ધરપકડ પહેલાં દેશ છોડીને નાસી ન જાય.

રાહુલ ગાંધી
ભક્તો ધરપકડની અપેક્ષા અને નાસી ન જાય એની અકળામણ સાથે એક એક દિવસ પસાર કરતા હતા ત્યાં તો બેમાંથી એક શેઠજીએ દીકરાના લગન લીધાં અને તેમાં ભગવાનનાં દર્શન થયાં. આખી ગુજરી ભરાઈ હતી, માત્ર એક માણસ નહોતો, નામે રાહુલ રાજીવરત્ન ગાંધી. જવાહરલાલ નેહરુનો વારસદાર. જેના પર આ બે ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ પાસેથી કોથળા ભરીને કાળું નાણું લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અહીં કહેલી બે ઘટનાઓ વચ્ચે તુલના કરી જુઓ. એકનાં ચરણોમાં ઉદ્યોગપતિઓ બેસતા હતા અને બીજા ઉદ્યોગપતિઓનાં ચરણોમાં બેસે છે. ખેલ કરીને મહાન નથી થવાતું, મહાનતા હોય તો મહાન થવાય છે. કોણ નહોતું ત્યાં? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પણ અલગથી તેમનાં મૂકેશ અંબાણીના ઘરે જઇને આશીર્વાદ આપી આવ્યા હતા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2024
![]()


નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામીઓમાં પડકારોનો સામનો ઇન્દિરા ગાંધીને કરવો પડ્યો હતો અને એ પણ એક કરતાં વધુ વખત અને અલગ અલગ પ્રકારના પડકારો. ઇન્દિરા ગાંધીનો ૧૯૬૬થી ૧૯૭૭ એમ ૧૧ વરસનો વડા પ્રધાનપદનો પહેલો દોર હતો અને બીજો ૧૯૮૦ના પ્રારંભથી ૩૧ ઓકટોબર ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યાં સુધીનો લગભગ પાંચ વરસનો. એની વચ્ચે અઢી વરસ વિરોધ પક્ષમાં રહીને પક્ષની અંદર સુદ્ધાં ઝંઝાવાતોનો સામનો કર્યો હતો. જેલમાં પણ ગયાં હતાં. એમાં આ ૧૧ અને પાંચ એમ કુલ ૧૬ વરસનાં શાસનમાં ઇન્દિરા ગાંધી અલગ અલગ હતાં. ૧૯૬૬થી ૧૯૬૯ સુધી કાઁગ્રેસના દિગ્ગજ નેતાઓથી ડરનારાં અને ઓછો આત્મવિશ્વાસ ધરાવનારાં હતાં. ડૉ. રામમોહન લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. ૧૯૭૧થી ૧૯૭૪ સુધી તેઓ દુર્ગાનો અવતાર હતાં. ૧૯૭૪થી ૧૯૭૭નાં વર્ષોમાં ભાવવધારો, ભ્રષ્ટાચાર અને વિરોધ પક્ષોના સામૂહિક હુમલા સામે તેઓ કોઈ પણ માર્ગે લડતાં હતાં અને તેમાં ઈમરજન્સી લાદવાનો અને વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં પૂરવાનો પણ સમાવેશ થતો હતો. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં પંજાબ અને આસામમાં દેશની અંદરથી પ્રજાકીય પડકારો પેદા થયાં હતાં અને દેશની એકતા અખંડતાનો પ્રશ્ન હતો. દેશને પહેલીવાર ત્રાસવાદનો પરિચય થયો હતો. સંજય ગાંધીનાં અવસાનને કારણે અંગત ખાલીપો અનુભવતાં હતાં. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી કઠોર પણ વાત્સલ્યમૂર્તિ નજરે પડતાં હતાં. પ્રજા અને પક્ષ એ બે અલગ ચીજ છે એ તેઓ જાણતાં હતાં.