મુંબઈમાં એક સ્થળે બોલતા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એવું કહ્યું કે મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સિંહફાળો છે અને જો તેઓ મુંબઈ છોડીને જતા રહે તો મુંબઈ-થાણેમાં કોઈ પૈસો જ બચે નહીં. તેમના આ નિવેદનના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં હોબાળો મચ્યો છે, તે ત્યાં સુધી કે મહારાષ્ટ્રના બી.જે.પી.ના નેતાઓ પણ તેમના પોતાના રાજ્યપાલની મદદે આવતા નથી, બલકે ટીકા કરી છે એટલે રાજ્યપાલે માફી માગવી પડી છે.
હવે સત્ય શું છે એની વાત કરતાં પહેલાં બીજા એક સત્યની વાત કરી લઈએ. તમે જોયું, ગર્વ સે કહો હમ હિંદુ હૈ એમ કહેનારા હિંદુઓમાં તકરાર પડી. હજુ મહિના પહેલા કેટલાક શિવસેનાના વિધાનસભ્યોને અચાનક જ્ઞાન થયું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના હિન્દુત્વનો રસ્તો ચાતરી ગઈ છે, પુત્રએ પિતા બાળાસાહેબનો દ્રોહ કર્યો છે અને માત્ર બી.જે.પી. જ સેનાસહોદર હોઈ શકે; જે હિંદુ હોવાનો ગર્વ નથી અનુભવતા એવા કાઁગ્રેસ અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ નહીં. રાજ્યપાલે પણ રાજ્યપાલ હોવાનું ભાન અને વિવેક ભૂલીને ઉદ્ધવ ઠાકરેને સંભળાવ્યું હતું કે તમે હિંદુદ્રોહી છો. અંતે હિંદુ-હિંદુ એક થયા, ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડવામાં આવી અને મહારાષ્ટ્રમાં હિંદુરાજ્ય સ્થાપવામાં આવ્યું.
તો પછી ઝઘડી કેમ પડ્યા? શું ગુજરાતીઓ અને મારવાડીઓ હિંદુ નથી? મુંબઈના વિકાસમાં જે ગુજરાતીઓ અને મારવાડીઓએ યોગદાન આપ્યું છે એમાંથી ૯૯ ટકા લોકો હિંદુ કે જૈન છે. રાજ્યપાલે મુંબઈના વિકાસનો શ્રેય અફઘાનોને, તુર્કોને, ઈરાનીઓને કે યવનોને તો આપ્યો નથી; આપણા પોતાના હિંદુબાંધવોને જ આપ્યો છે. ગુજરાતીઓ અને મારવાડીઓને શ્રેય આપવામાં આવે એમાં મરાઠીઓને શા માટે પેટમાં દુઃખવું જોઈએ, જ્યારે આપણે પહેલા અને છેલ્લા હિંદુ છીએ? અને જો પેટમાં દુઃખતું હોય તો “આપણે પહેલા હિંદુ”નું હિન્દુત્વ ક્યાં ગયું? મરાઠી હોવાપણાએ સરસાઈ કેમ મેળવી? રાજ્યપાલે ‘પરાયા હિંદુ’ઓની પ્રસંશા કરી એટલે ‘આપણા ઘરના’ હિંદુઓ નારાજ થયા.
ભારતમાં સરેરાશ ભારતીય સરેરાશ દસેક જેટલી ઓળખો લઈને જીવે છે. તે ઓછામાં ઓછો ભારતીય છે અને બાકીની ઓળખો સમય અને જરૂરિયાત મુજબ બદલાતી રહે છે. તે ક્યારેક હિંદુ કે મુસલમાન થઈ જાય, ક્યારેક ગુજરાતી કે મરાઠી થઈ જાય, ક્યારેક તે વૈષ્ણવ કે શૈવ થઈ જાય, ક્યારેક જ્ઞાતિગરવીલો થઈ જાય, ક્યારેક પેટા-જ્ઞાતિનો બંદો થઈ જાય, જો કોઈ દક્ષિણ ભારતીય હોય તો તે ક્યારેક દ્રવિડ બની જાય અને તેની સામે બીજો ઉત્તર ભારતીય આર્ય બની જાય, શુદ્ધ હિન્દીમાં એક વાક્ય ભલે ન બોલી શકે પણ તે ક્યારેક હિન્દીરક્ષક બની જાય, તો હિન્દીની જોહુકમીનો વિરોધ કરનારો માતૃભાષાપ્રેમી અને રક્ષક થઈ જાય, દેશનો સામાન્ય નાગરિક જે સરળ હિન્દુસ્તાની ભાષા બોલે છે તેનો વિરોધ કરીને સંસ્કૃતમિશ્રિત હિન્દી ભાષાનો સૈનિક બની જાય, સ્ત્રીના અધિકારની વાત આવે તો પુરુષ બની જાય અને જો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમાતી હોય તો ભારતીય થઈ જાય. ભારતીય એ માત્ર ક્રિકેટમેચ પૂરતો જ બને છે. ખરું પૂછો તો હિંદુ પણ એ ત્યારે જ બને છે જ્યારે સામે મુસલમાન હોય. ટૂંકમાં સરેરાશ ભારતીય સામેવાળાને જોઇને પોતાની ઓળખ બદલતો રહે છે.
અને માણસ? સરેરાશ ભારતીય માણસ હોવાની તસ્દી ઓછી લે છે, કારણ કે માણસ બનવું પડે છે, એ એક તપશ્ચર્યા છે. માણસ હોવાની ઓળખ આપોઆપ વગર મહેનતે જન્મ સાથે નથી મળતી. ઊલટું માણસ બનવા માટે માણસાઈને કુંઠિત કરતી ઓળખો છોડવી પડે છે. એક વાર માણસ બનવાનો જરાક પ્રયાસ કરી જુઓ, તમને ખાતરી થવા લાગશે કે ઓળખો એમાં કેવી વિઘ્નરૂપ છે. માણસ, માણસ બનતા ડરે છે, કારણ કે તેમાં એકલા પડી જવાની નિશ્ચિત સંભવના છે. ડરપોક માનવી ઓળખનો પાલવ પકડીને ટોળાંમાં આશ્રય મેળવે છે, જેનો નેતાઓ અને ધર્મગુરુઓ લાભ લે છે.
તો વાત એમ છે કે સરેરાશ ભારતીય; માણસ બનવાથી તો સાવ ભાગે છે, ભારતીય પણ એ પાકિસ્તાન સામેની ક્રિકેટમેચ પૂરતો જ બને છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે હિંદુ પણ એ મુસલમાન સામે હોય તો જ બને છે. મોટી ઓળખ એ ત્યારે જ અપનાવે છે જ્યારે સામે મોટો દુશ્મન (વાસ્તવિક, કાલ્પનિક કે બીજા દ્વારા પકડાવેલો) હોય.
મહારાષ્ટ્રમાં અત્યારે આ જ બની રહ્યું છે. રાજ્યપાલને કડવો અનુભવ થઈ રહ્યો છે કે તેમણે એક પ્રાંતના શહેરનો વિકાસ કરનારા બીજા પ્રાંતના હિંદુઓનો મહિમા કર્યો એમાં લાભાર્થી પ્રાંતના હિંદુઓને હિંદુ હોવા માટે ગર્વ અનુભવવાની જગ્યાએ કે ઓશિંગણ ભાવ અનુભવવાની જગ્યાએ માઠું લાગ્યું. મરાઠી હિન્દુત્વવાદીઓએ તો ગર્વ લેવો જોઈતો હતો કે હિંદુ પ્રજા કેટલી મહાન છે, કે તે પોતાની વહાલી જન્મભૂમિ છોડીને, હાથમાં દોરી લોટો લઈને, કષ્ટ ઉઠાવીને પરાયા પ્રાંતનો વિકાસ કરવા જેટલી ઉદારતા ધરાવે છે. હિદુ હો તો ઐસા!
પણ એવું બન્યું નહીં. હિન્દુત્વવાદીઓમાં તકરાર પેદા થઈ છે. એક હિંદુ બીજા હિન્દુનો શ્રેય નકારે છે. ઓળખ આધારિત કૃત્રિમ એકતા કેટલી તકલાદી હોય છે એનો આ નમૂનો છે. માટે તો ઓળખનું રાજકારણ કરનારાઓએ ઓળખને ખીલે બાંધેલાં ઘેટાંઓને રોજ ઓળખનો ચારો નીરતા રહેવું પડે છે.
પહેલા સત્યની વાત કર્યા પછી હવે બીજા સત્યની વાત. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને મારવાડીઓનો ફાળો ઘણો મોટો છે, એ સાચી વાત છે?
જવાબ છે; નિ:સંદેહ હા. ૧૭મી સદીથી લઈને વીસમી સદી બેઠી ત્યાં સુધી મુંબઈનો વિકાસ મુખ્યત્વે ગુજરાતીઓ થકી થયો છે. ગુજરાતીઓમાં પણ પારસી અગ્રેસર. મુંબઈ શું, કરાચીનો વિકાસ પણ ગુજરાતીઓ થકી થયો હતો. મુખ્યત્વે કચ્છ, હાલાર, ઘેડ અને સોરઠના ગુજરાતી હિંદુઓ અને મુસલમાનો થકી. ભારતનાં વિભાજન પહેલાં ૧૯૪૧ની વસ્તીગણતરી મુજબ કરાચીમાં ગુજરાતીઓની વસ્તી ૫૫ ટકા હતી.
ગુજરાતીઓ મુંબઈ શા માટે આવ્યા એનાં પણ કારણો છે. એ સમયે સુરત ધીકતું બંદર હતું, પણ અંગ્રેજો સુરતની જગ્યાએ મુંબઈનું બારું વિકસાવવા માગતા હતા. એક તો ખંભાતનો અખાત છીછરો થતો જતો હતો જેને કારણ ખંભાતનું બંદર બિનઉપયોગી થઈ ગયું હતું અને સુરતનું બંદર થવામાં હતું. એની સામે મુંબઈની ખાડી કુદરતી રીતે એટલી ઊંડી હતી કે મોટાં વહાણોને છેક કિનારે લાંગરી શકાતાં હતાં, પણ સમસ્યા એ હતી કે મુંબઈનું હવામાન અને ભૌગોલિક રચના પ્રતિકૂળ હતાં. મુંબઈને કિનારે પાણી નહોતું, પાણીમાં મુંબઈ હતું. એક સમયે અંગ્રેજોએ મુંબઈનો વિકાસ કરવાનું પડતું મૂકીને સામે કિનારે ઉરણમાં બંદર વિકસાવવાનું પણ વિચાર્યું હતું. આઝાદી પછી ઉદ્યોગધંધા વધતાં મુંબઈનું બારું ટૂંકું પડવા લાગ્યું ત્યારે ભારત સરકારે ઉરણમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ(જે.એન.પી.ટી.)ના નામે નવું બંદર વિકસાવ્યું છે. તો ગુજરાતીઓ (એ સમયે મુખ્યત્વે પારસીઓ) મુંબઈ આવવા લાગ્યા એનું એક કારણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો મુંબઈનો વિકાસ હતું. મુંબઈમાં ધંધાની તકો પેદા થવા લાગી હતી.
ગુજરાતીઓ સુરત છોડીને મુંબઈ આવ્યા અથવા ગુજરાત-કાઠિયાવાડનાં ગામડાંઓના ગુજરાતીઓ સુરતની જગ્યાએ મુંબઈ આવવા લાગ્યા એનું બીજું એક કારણ મરાઠાઓનો ત્રાસ હતો. ઈ.સ. ૧૬૬૪ની સાલમાં પહેલી વાર અને ૧૬૭૦માં બીજી વાર, શિવાજી મહારાજે સુરત લુંટ્યું હતું. એ પછી વેપારીઓએ મરાઠા સરદારોને અને સૈનિકોને લાગો આપવો પડતો હતો, એનો કોઈ ઠરાવેલો દર નહોતો, મરાઠાઓની મનમાની ચાલતી હતી અને સૌથી મોટું કારણ કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ નહોતી. ટૂંકમાં ગુજરાતના પારસી અને હિંદુ વેપારી ભાઈઓ મરાઠા હિંદુ ભાઈઓના રોજેરોજના રંજાડથી ત્રાસેલા હતા અને માટે તેઓ મુંબઈ આવવા લાગ્યા હતા.
માનવઇતિહાસ વાંચતા આવડવો જોઈએ અને જો તે વાંચતા ન આવડે તો કોઈ આપણો હથિયાર તરીકે ઉપયોગ કરે અને આપણે જીવતા બોમ્બ બનીને સમાજની વચ્ચે ફરીએ. “આપણે” શ્રેષ્ઠ અને આપણાં લોકો આપણું અહિત કરે જ નહીં અને અહિત કરનારા “પરાયા” જ હોય છે એવી સમજ ભોળી સમજ છે. એક સર્વગુણસંપન્ન હીરો અને બીજો ગામના ઉતાર જેવો વિલન એ સિનેમા થિયેટરનું અને પોલિટીકલ થિયેટરનું મન બહેલાવનારું કલ્પન છે. સિનેમા થિયેટરમાંથી તો પ્રેક્ષકનો ત્રણ કલાક પછી છુટકારો થાય છે, પણ પોલિટીકલ થિયેટરમાં જે ઘુસી જાય છે તેનો બાપડાનો જિંદગી આખી છુટકારો થતો નથી. તો ઇતિહાસસિદ્ધ હકીકત એ છે કે ગુજરાતી વેપારીઓ ઉદ્યમી યવનોએ જીદપૂર્વક મુંબઈ બંદર વિકસાવતા હતા તેમાં તક નજરે પડતા અને મરાઠા હિંદુ ભાઈઓના રંજાડથી બચવા મુંબઈ આવવા લાગ્યા હતા.
સામે મુંબઈના ટાપુઓ ઉપર ખાસ કોઈ વસ્તી નહોતી અને જે હતી એ કોળી અને માછીમારોની હતી. તેઓ મુંબઈનો વિકાસ થતો નિહાળી રહ્યા હતા, પણ તેમાં કોઈ પણ રીતે ભાગીદાર નહોતા, લાભાર્થી તો જરા ય નહોતા, ઊલટું તેઓ તેમની હકની જગ્યા ગુમાવી રહ્યા હતા અને તેની સામે ખ્રિસ્તી મિશનરીઓ તેમને ઈસાઈ ધર્મ પકડાવતા હતા. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે શહેરોનો વિકાસ માનવ દ્વારા માનવના કરવામાં આવતા શોષણના પાપ દ્વારા અને હિંસા (સુક્ષ્મ અને સ્થૂળ બન્ને) દ્વારા જ થાય છે. રહી વાત બાકીના મહારાષ્ટ્રના મરાઠીઓ માટે મુંબઈમાં આવીને વસવાનો તો તેઓ વેપારવણજ કરતા નહોતા એટલે તેમને મુંબઈ જેવા દુર્ગમ શહેરમાં આવવા માટે કોઈ કારણ નહોતું. તેઓ ત્યારે આવતા થયા જ્યારે મુંબઈમાં વહીવટી નોકરીઓ અને વકીલાત જેવી તક વિકસી. એમ કહી શકાય કે ઈ.સ. ૧૮૨૦-૩૦ પછી. આનો અર્થે થયો કે આખી સત્તરમી, અઢારમી અને ઘણા પ્રમાણમાં ઓગણીસમી સદીમાં મુંબઈનો પાયાનો વિકાસ અંગ્રેજો અને ગુજરાતીઓએ મળીને કર્યો હતો. તેમણે પ્રચંડ સંઘર્ષ કર્યો હતો.
હા, કોંકણના મુસલમાનો તેમાં અપવાદ હતા. કચ્છ-કાઠિયાવાડના મુસલમાનોની માફક કોંકણી મુસલમાન દરિયાખેડુ પ્રજા હતી અને વહાણવટું કરતા હોવાથી તેમને મુંબઈના વિકાસમાં ધંધાની તક નજરે પડી હતી. ચીનમાં અફીણની નિકાસ કરીને જમશેદજી જીજીભાઈ અને મોતીશાહ શેઠની માફક તેઓ ખૂબ કમાયા હતા. નૈતિકતા પણ સમયસાપેક્ષ હોય છે. એક જમાનામાં ગુલામોનો અને અફીણનો વેપાર અનૈતિક નહોતો ગણાતો. પણ કોઈ હિંદુ મરાઠીએ કોંકણી મુસલમાનોને મુંબઈના વિકાસમાં આપેલા ફાળાનો શ્રેય આપ્યો છે? ક્યાંથી આપે? મુસલમાન છે.
મુંબઈમાં મારવાડીઓ મુખ્યત્વે વીસમી સદીમાં આવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા પોતાના વતનથી મુંબઈ કમાવા આવ્યા ત્યારે તેમણે જોયું કે મુંબઈમાં ગુજરાતીઓનો દબદબો છે અને તેમાં જગ્યા બનાવવી એ થોડું અઘરું કામ છે એટલે તેઓ કલકત્તા ગયા હતા અને ત્યાં તેમણે જગ્યા બનાવી હતી. અને રહી વાત મરાઠીઓની તો મુંબઈના આર્થિક વિકાસમાં મરાઠીઓનો ફાળો ફૂટનોટમાં સમાવેશ પામે એટલો જ છે.
અને છેલ્લું સત્ય. મહારાષ્ટ્રમાં પ્રાદેશિક અસહિષ્ણુતા કટ્ટરપંથી મુસલમાનો કરતાં અને હિન્દુત્વવાદીઓ કરતાં જરા ય ઓછી નથી. ઉદારમતવાદી પ્રગતિશીલ લોકોએ પણ સંભાળીને બોલવું પડે છે અથવા કહેવાતા મરાઠી ગર્વને પોષવો પડે છે. કેટલાક તો પોષે પણ છે. આમ દરેક રીતે ઉદારમતવાદી, પણ થોડી મરાઠીઅસ્મિતા માટેનો આગ્રહ આવી જાય. ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધ કરનારા વિનોબા (ભાવે)ને માકડોબા (વાંદરો) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને મરાઠી થઈને ગુજરાતીમાં લખનાર કાકાસાહેબ કાલેલકરને ફીતુર તરીકે માફ કરવામાં નથી આવ્યા.
માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે ભારતમાં કોઈ ભારતીય છે જ નહીં. ચામડી ખતરોડો તો અસ્મિતાઓના ભૂત નાચવા લાગશે. અને માટે મારો આગ્રહ છે કે જો કોઈ એક ઓળખ પાળવી જ હોય તો માણસ હોવાની પરમ ઓળખ કેમ નહીં? એ નરવી અને નિર્વિરોધ ઓળખ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2022
![]()


આઝાદીનો અમૃતમહોત્સવ લગભગ કોઈ ગણનાપાત્ર ઉત્સવ મનાવ્યા વિના પૂરો થઈ રહ્યો છે. આમાં આશ્ચર્ય માટે કોઈ કારણ નથી. ગાંધીજીની સાર્ધ-શતાબ્દી પણ આ રીતે જ ઉજવવામાં આવી હતી. વર્તમાન શાસકો જે વિચારકુળમાંથી આવે છે એ કુળને ભારતની આઝાદી સાથે કોઈ હાર્દિક સંબંધ નથી. નહોતો પહેલાં કે નહોતો અત્યારે. કારણ એ હતું કે આઝાદીનાં આંદોલન વખતે ભાવિ ભારત(આઈડિયા ઑફ ઇન્ડિયા)ની જે કલ્પના કરવામાં આવી હતી એ તેમને મંજૂર નહોતી. તેમનો પ્રતિકાર તેઓ કરી શક્યા નહોતા, કારણ કે ગાંધીજી સામે રાજકીય રીતે ટકવું ત્યારે મુશ્કેલ હતું. ખુદ લોકમાન્ય તિલક જેવા તિલકે તેમના અનુયાયીઓને કહ્યું હતું કે હવે વિકલ્પ બે જ બચ્યા છે; કાં ગાંધીનું નેતૃત્વ સ્વીકારો અને કાં જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. મને ગાંધીનું નેતૃત્વ સ્વીકારવામાં કોઈ વાંધો નથી એમ કહીને તેમણે તેમના અનુયાયીઓને સલાહ આપી હતી કે તેમણે ગાંધીને સાથ આપવો જોઈએ. કારણ? કારણ કે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે. પાછળથી ગાંધીજીએ જેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું એ વલ્લભભાઇ પટેલે પણ ગુજરાત ક્લબમાં ચેસ રમતા રમતા ઉદ્ગાર કાઢ્યા હતા કે, “માવલંકર, આ માણસ દેશને આઝાદી અપાવી શકે એમ છે.” તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન વખતે ગાંધીજીએ આપેલું મર્દાનગીની મિસાલ જેવું, પણ સંયમ અને સભ્યતાથી તરબોળ ભાષણની વિગતો છાપામાં વાંચી હતી અને તેમના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા.
આ વસ્તીમહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતીનું અર્થતંત્ર. એના દ્વારા ચીજવસ્તુ તો ઠીક, હાસ્યથી લઈને હિંસા (જી હાં, હિંસા) સુધી કાંઈ પણ વેચી શકાય છે. મનોભાવ પણ વ્યાપાર માટેની જણસ છે. વપરાશકારને તેની જરૂર ન હોય તો પણ તેને જરૂરતનો અહેસાસ કરાવી શકાય છે અને વાપરતો કરી શકાય છે. બીજી ચીજ છે સેવાઓનું વ્યવસાયીકરણ અર્થાત્ ખાનગીકરણ. જગત આખામાં કલ્યાણરાજ્યનો અંત આવી રહ્યો છે. સરકારોએ લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી છોડી દીધી છે અને તેને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે. કેળવણી, આરોગ્ય, તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, સસ્તા અનાજનો પુરવઠો એમ દરેક સેવા હવે સેવા નથી રહી; ખાનગી હાથોમાં સોંપવામાં આવેલો ધંધો છે. આ જ્યાં સુધી સેવા હતી અને શાસકો સેવા કરવાનો ધર્મ સમજતા હતા ત્યાં સુધી એ જવાબદારી હતી. એ જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં સુધી શાસકો તેને એક પ્રકારનો બોજો સમજતા હતા, અને માટે વસ્તી ઘટાડવાની વકીલાત કરતા હતા. હવે આ બધી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે શાસકો જવાબદારીમુક્ત થઈ ગયા છે. ખાનગી માલિકી માટે પ્રત્યેક માણસ ગ્રાહક છે. જેટલા ગ્રાહકો વધુ એટલો ધંધો બહોળો.