આચાર્ય યશવન્ત શુક્લ અને સૂર્યકાન્ત પરીખના પ્રેમાદેશથી પાલનપુર વિદ્યામંદિરની પ્રથિતયશ વ્યાખ્યાનમાળા સાથે અધ્યક્ષને નાતે સંકળાવાનું બન્યું એની એક મહદ્લબ્ધિ શિરીષભાઈ મોદીનો પરિચય થયો એ હતી.
એક સફળ ધારાશાસ્ત્રી, એથીયે વધુ કદાચ વિદ્યાનુરાગી અને ઉમદા શહેરી તરીકે એમની કંઈક કીર્તિ જો કે એમને મળ્યા પહેલાં પણ પહોંચેલી હતીઃ ૧૯૭૪-૭૫ના ગાળામાં યશવન્તભાઈ અને ઈશ્વરભાઈ પેટલીકર સાથે ગુજરાતમાં ઠેકઠેકાણે ફરવાનું થતું. પાલનપુરમાં અમે નાગરિક સભા માટે પહોંચ્યા ત્યારે સંદેશો મળ્યો કે શિરીષભાઈ તાવને કારણે સામેલ થઈ શકવાના નથી. મને લાગે છે ત્યારે સુધરાઈમાં એમનું આગળ પડતું નામ હશે કે કેમ, કાર્યકર મિત્રોનું કહેવું હતું કે એમના વગરની સભા અલૂણી લાગશે.
વ્યાખ્યાનમાળાનાં વરસોમાં પ્રત્યક્ષ પરિચય વધ્યો ત્યારે જાણ્યું કે એ બારના અધ્યક્ષ તો હતા પણ વિદ્યામંદિર ટ્રસ્ટ ઉપરાંત જી.ડી. મોદી કૉલેજના વિકાસથી માંડીને આગળ ચાલતાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિશે પણ વાતો થતી. રસિક માણસ, આ લખું છું ત્યારે સાંભરે છે, જૂના રાજભવનમાં વિલિયમ રેડિસની વિશેષ ઉપસ્થિતિમાં ભગતસાહેબે અને ભોળાભાઈએ રવીન્દ્ર-સ્મૃતિનું આયોજન કર્યું ત્યારે એ ચહીને હાજર રહ્યા હતા. એમની સાથે વાત નીકળતાં મેં જાણ્યું કે મુસ્લિમ વિદ્યાર્થીઓના શિક્ષણમાંયે ઠીકઠીક રસ લેતા. જે ચાવથી એ વાત કરતા હતા, મને ઈતિહાસવાંચ્યા એ દિવસો સાંભરતા હતા જ્યારે લાલશંકર ઉમિયાશંકર સરખા શહેરીએ અમદાવાદમાં અંજુમને ઈસ્લામને વિકસાવવામાં અંગત રસ લીધો હશે.
વચ્ચે એકવાર કારિયાસાહેબે યોજેલ કાર્યક્રમમાં એ બંધારણની વાત પોતાના એલ.એ. શાહ લૉ કૉલેજના છાત્રજીવનને સંભારીને જે લગાવથી કરતા હતા અને સમયને કારણે સંકેલવું પડ્યું હતું એ આ ક્ષણે સાંભરે છે. આદરની અવધિ તો હમણાં, હજુ પૂરું વરસ પણ થયું નથી, સાહિત્ય પરિષદના પાલનપુર સત્રમાં વિદ્યામંદિરના સ્થાનિક ટ્રસ્ટી તરીકે પ્રાસંગિક સ્વાગતવચનો ઉચ્ચારતાં એમણે જે રીતે પ્રહલાદનપુરની ગાથા આલેખી અને પોતાને જેમની પાસે ભણવાનો લહાવ મળ્યો હતો તે શૂન્ય પાલનપુરીને સંભાર્યા ત્યારે આવી હતી. એમાંયે એમની સંસ્કારી સદ્ગૃહસ્થાઈની મૂલ્યસક્રિયતાનો ઝબકારો તો ત્યારે થયો જ્યારે એમણે સહેજ લંબાયેલ વક્તવ્ય સમેટતાં, એક શિક્ષણ સંચાલક તરીકે વિદ્યાપ્રવૃત્તિની સ્વાયત્તતાનો તેમ અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન સંભાર્યો અને ઉમેદ પ્રગટ કરી કે સ્વાયત્તતા આંદોલનનો સત્વરે સકારાત્મક ઉકેલ આવે ત્યારે વળી એક વાર પરિષદ અમારે આંગણે મળશે.
અલવિદા, શિરીષભાઈ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 04
 ![]()



ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.