વડા પ્રધાન કાર્યાલયની સીધી નિગેહબાની નીચે ગુજરાત સરકારે ગાંધી આશ્રમના કથિત નવીકરણનો પ્રકલ્પ ઉપાડ્યો તે હવે એક નિર્ણાયક તબક્કા લગોલગ હોય એવી છાપ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ હેવાલ (૧૯-૧-૨૦૨૨) પરથી પડે છે. આ હેવાલ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ નામનું નવું ટ્રસ્ટ સરકારી રાહે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રીસિંક્ટ ડેવલપમેન્ટની ગવર્નિંગ કાઉન્સિલે એનું મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન બહાલ રાખ્યું તે પછી ગયા સપ્ટેમ્બરમાં તે ૫ડમાં પ્રવેશ્યું પણ વચલા મહિનાઓ તે આપણાથી ઓઝલ રહ્યું. આ હેવાલ સંદર્ભે ગાંધી આશ્રમ તરફથી કોઈ અધિકૃત પ્રતિભાવ અને સ્પષ્ટીકરણ આ લખાય છે ત્યાં સુધી આવ્યાં નથી. માત્ર, હેવાલ અંતર્ગત કાર્તિકેય સારાભાઈએ એક ટ્રસ્ટીને નાતે કહેલી વાત નોંધાઈ છે કે વડા પ્રધાને પોતે જ કહ્યું છે કે સરકારીકરણની કોઈ વાત નથી.
ઊલટ પક્ષે, જોવાનું એ છે કે ૧૯મી જાન્યુઆરીના પ્રસ્તુત હેવાલ મુજબ ૧૮૬૦ના સોસાઇટી ઍક્ટ અને ૧૯૫૦ના બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ઍક્ટ મુજબ અહીં જાળવણી, વિકાસ, મ્યુઝિયમ, ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી વગેરે પ્રસ્તુત ટ્રસ્ટ અને ગવર્નિંગ કાઉન્સિલ મારફતે હાથ ધરી શકાશે. બલકે, સપ્ટેમ્બર ૨૦૨૧ના સરકારી ઠરાવ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ પોતાના હેતુઓ પ્રભાવકપણે પાર પાડી શકે તે માટે ‘corporate associate, cooperative organisations, advisory societies’ વગેરે જરૂરી જણાય તે બધુ acqiure કરશે. ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલ છે તે શું શું કરી શકશે – sell, lease, transfer, dispose of, hire or give on rent all or any assets of the society. આ વ્યાપ જોતાં અમે સરકારીકરણ નથી કરવાના એવા એક ઉદ્ગાર પર મદાર બાંધવો તે કદાચ નાનીનમણી ખીંટી પર મોટો દઈત કોથળો ટિંગાડવા જેવું તો નથી ને?
કુમાર પ્રશાન્તે આશ્રમ વડાં (એસ.એ.પી.એમ.ટી. એટલે કે સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ) ઇલાબહેન ભટ્ટ સાથે શરૂ કરેલી ચર્ચાથી તેમ ગણેશ દેવી અને આનંદ પટવર્ધન સાથે મળીને આ લખનારે વ્યાપક અનુમોદના સહ લખેલ પ્રગટ પત્રને પગલે એમના પ્રતિભાવ પરથી પડેલ છાપ એ હતી કે આશ્રમનાં નાનાંમોટાં છયે ટ્રસ્ટો – સંગ્રહાલય ટ્રસ્ટ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, હરિજન સેવક સંઘ, ગોશાળા ટ્રસ્ટ અને ખાદી ગ્રામોદ્યોગ મંડળ – સંકલિત થઈને કામ કરશે. વળી સરકારે ઊહાપોહને પગલે આશ્રમ પાસે જે વિભાવના નોંધ (concept note) માગી છે તે નાગરિક સમાજની સહભાગિતાથી તૈયાર કરશે. આમાં કોઈ સુવાંગ સરકારી અખત્યારનો અલબત્ત સવાલ જ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, છયે ટ્રસ્ટો, સ્થાનિક રહેવાસીઓ, મુલાકાતીઓ, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સમાનધર્મા સંસ્થાઓ – પરિબળો, તજ્જ્ઞો અને નાગરિક સમાજ કર્મશીલો, સૌ વચ્ચે સંકલન સાધવામાં, તેમને સહાયરૂપ થવામાં કોઈ સરકારી કબજાની રીતે અવકાશ નથી. પણ નવા ટ્રસ્ટ અને ગવર્નિંગ કાઉન્સિલનાં અખત્યાર ને કામગીરીનાં ક્ષેત્રોની જે તપસીલ ઉપર આપી એ સરકારીકરણ નથી તો શું છે, કોઈ તો કહો.
નવા ટ્રસ્ટે સૂચક રીતે ૨૦૦૨ની નકો નકો તપાસની રણભૂમિ અગર રંગભૂમિ સદૃશ ટ્રાન્સફરી હોસ્ટેલમાં હાલ ડેરાતંબૂ તાણ્યાં છે. સુભાષ પુલ કનેની આ હંગામી વ્યવસ્થા છે, અને અનુકૂળ સમયે અતિસૂચક રીતે તે સાબરમતી આશ્રમનાં આંગણામાં ઑફિસબધ્ધ થશે. ટૂંકમાં, જમણે અંગૂઠેથી પ્રવેશ, બીજું શું.
એસ.એ.પી.એમ.ટી. દેશપરદેશના વિવિધક્ષેત્રના નિસબત ધરાવતા મહાનુભાવો સાથે પ્રશ્નોત્તરી મારફતે દિશાસૂચન માગવા ઈચ્છે છે એવા સંકેતો ગાંધી આશ્રમ ભારતવર્ષની ઓળખરૂપ એક પ્રજાસૂય તીર્થ છે અને તેની જાળવણી કેવળ છ ટ્રસ્ટબધ્ધ અગર સરકારબધ્ધ નથી એવી લાગણીને હૈયાધારણ આપતા નથી એવું તો નહીં કહું. આ સૂચનો પ્રજાસમસ્ત માટે ખુલ્લાં મુકાય એવો ખયાલ પણ વિચારાતો સંભળાય છે એથી મને લગીર સારું લાગે છે એમ કહેતાં પણ હું નહીં ખચકાઉં. એક્સપ્રેસ સંવાદદાતાએ મને પૂછ્યું (જો કે એ છપાયું જણાતું નથી) ત્યારે મેં આ પ્રગટ પ્રશ્નચર્યામાં એક ઝાંખુંયે આશાકિરણ હોઈ શકે એમ જરૂર કહ્યું હતું.
પણ આ આશાકિરણ રા થતો દીવો છે કે ઓલવાતે ઓલવાતે ઝાઝું ઝબૂકતો દીવો છે એવી આશંકા સસ્થાને છે, સિવાય કે છયે આશ્રમ ટ્રસ્ટ આ મિનિટે એકસ્વરે એવી ભૂમિકા લે કે સરકાર અમારી સાથે રહે, રિપીટ, સાથે – નહીં કે માથે. આશ્રમનો વારસો જોતાં એ પોતે થઈને આવું કેમ ન કહી શકે? નહીં તો, નાગરિક સમાજે વધુ મોડું થાય તે પૂર્વે દરમિયાન થવું રહેશે.
૨૮ જાન્યુઆરી, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 01-02