“અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે. અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાં ય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલાં વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'.
– આ શબ્દો છે અમેરિકાવાસી ગુજરાતી લેખિકા પન્ના નાયકના. અને એ લખાયા છે એમની વેબસાઈટના હોમ પેજ પર. યુરપ અમેરિકાના લેખકોને પોતાની વેબસાઈટ હોય એ વાતની હવે નવાઈ રહી નથી. પણ ગુજરાતી લેખકોની વેબસાઈટ હજી ગણીગાંઠી જ જોવા મળે છે. પન્નાબહેનની આ વેબસાઈટ પાંચ મુખ્ય ‘પેજ’માં વહેંચાયેલી છે. ‘મારા વિષે’માં તેમનો પરિચય અપાયો છે, વ્યક્તિ તરીકે કરતાં વધારે લેખિકા તરીકેનો. તેમાં તેમણે કહ્યું છે: “મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
બીજા બે પેજીસ તેમના હાઈકુ સંગ્રહ ‘અત્તર અક્ષર’ વિષે અને ગીતોની ઓડિયો સીડી ‘વિદેશિની’ વિષે છે. પણ સૌથી વધુ ધ્યાનપાત્ર તો છે ‘માય ઈ બુક્સ’ પેજ. કારણ તેમનાં એક-બે નહિ પણ પૂરાં દસ પુસ્તકો ઈ બુક રૂપે સુલભ બનાવ્યાં છે. આ બધી જ ઈ બુક્સ ક્યાંથી ખરીદી શકાય તે પણ જણાવ્યું જ છે. ફરી, ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી લેખકે આમ કર્યું હશે. પહેલા કાવ્ય સંગ્રહ ‘પ્રવેશ’થી માંડી ને સાવ નવા ‘અત્તર અક્ષર’ સુધીનાં બધાં જ પુસ્તકો આ રીતે તેમણે ઉપલબ્ધ કર્યાં છે.
સાદી અને સરળ રીતે તૈયાર થયેલી આ વેબસાઈટ પર એક જ વસ્તુ ખૂટતી લાગે છે. બીજી ભાષાના લેખકોની વેબસાઈટ પર એક વિભાગ તેમના ફોટાઓનો અચૂક હોય છે. અહીં નથી. હોવો જોઈએ. આજે નહિ તો આવતી કાલે આપણા લેખકોએ ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનું મહત્ત્વ સ્વીકાર્યા વગર છૂટકો નથી. તો પન્ના નાયકની જેમ આજે જ કેમ સ્વીકારી ન લેવું?
આ વેબ સાઈટનું એડ્રેસ છે: http://pannanaik.com
સૌજન્ય : દીપક મહેતા, ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 18 નવેમ્બર 2013
e.mail : deepakbmehta@gmail.com
![]()


નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઇ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો. એમનું નામ રતિલાલ ચંદરિયા. ૧૯૨૨ના ઓક્ટોબરની ૨૪મી તારીખે નાયરોબીમાં જન્મ. ગયે અઠવાડિયે ૧૩મી ઓક્ટોબરે અવસાન. કોલેજનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો. કુટુંબનો ધંધો સંભાળીને તેને ખૂબ વિકસાવ્યો, ઉદ્યોગપતિ બન્યા. દુનિયાના ૬૨ દેશોમાં તેમની કોઈ ને કોઈ કંપનીની શાખા છે. પણ એમની શાખ તો પ્રસરેલી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં. ખાસ્સી મોટી ઉંમરે તેઓ પ્રેમમાં પડયા – ના, ના. કોઈ વ્યક્તિના પ્રેમમાં નહિ, કમ્પ્યુટરના પ્રેમમાં. બીજાની થોડી અને પોતાની ઝાઝી મહેનતથી કમ્પ્યુટર વાપરતા થયા. પણ સ્ક્રીન પર બધું અંગ્રેજીમાં જ જોવા મળે, એ જમાનામાં. રતિભાઈને થયું : મારી ગુજરાતી ભાષા કમ્પ્યુટરના સ્ક્રીન પર કેમ નહિ? આજે તો માન્યામાં ન આવે તેવા ખાંખાંખોળાં કર્યાં, મથામણો કરી, પરસેવો પાડ્યો. પણ ધીમે ધીમે સાથીઓ મળતા ગયા. દિશા સૂઝવા લાગી. અને જન્મ થયો ‘ગુજરાતીલેક્સિકન ડૉટ કોમ’નો. આપણી ભાષાનો પહેલો ઓનલાઈન શબ્દકોશ. કોઈ પણ ગુજરાતી શબ્દની જોડણી જાણવા, અર્થ જાણવા, તેનો અંગ્રેજી પર્યાય શોધવા હવે મોટાં મોટાં થોથાં ઉથલાવવાની જરૂર નથી રહી. માઉસની એક ક્લિક કરો, જોઈતી જોડણી, અર્થ, પર્યાય જાણો. કહેવાય છે કે સંતોષી નાર સદા સુખી. પણ રતિભાઈનો જીવ જરા ય સંતોષી નહિ. એક ડીક્ષનરીથી કેમ ચાલે? ગુજરાતીનો સૌથી મોટો, સર્વગ્રાહી શબ્દકોશ કયો? ભગવદ્ગોમંડળ કોશ. તે આખેઆખો તેમણે મૂકાવી દીધો વેબસાઈટ પર. પછી પણ વખતો વખત તેમાં નવો ને નવો ઉમેરો થતો જ ગયો છે. હજી થોડા દિવસ પહેલાં જ, તિથિ લેખે રતિભાઈના જન્મ દિવસે ‘જંબલ-ફંબલ’ નામની રસપ્રદ કહેવત–રમત અને ગુજરાતી સુવિચારો ઉપરાંત ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરવામાં આવી છે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’નો જન્મ ૧૯૧૪ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. આવતી કાલથી (15 અૉક્ટોબર 2013) તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. મનુભાઈ વિદ્યાપુરુષ હતા, સમાજપુરુષ હતા, પણ સૌથી વધુ તો તેઓ શબ્દપુરુષ હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા આપણી ભાષાના તેજસ્વી નવલકથાકારોની હરોળમાં આપકર્મે સ્થાન મેળવનાર નવલકથાકાર હતા. તેમની ‘દીપનિર્વાણ’ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. બે હજાર વર્ષ પહેલાંના ભારતને પશ્ચાદભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ નાજુકાઈથી આલેખ્યો છે. આજે અહી ‘દીપનિર્વાણ’ની વાત રજૂ કરી છે, તેના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાના શબ્દોમાં.