વંશપરંપરાની દૃષ્ટિએ એમની ઓળખાણ આપવી હોય તો તેઓ હતા ઝવેરચંદ મેઘાણીના પુત્ર. અભ્યાસની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો હતા સાયન્સના ગ્રેજ્યુએટ. વ્યવસાયની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો તેઓ હતા પુસ્તક વિક્રેતા. પણ વૃત્તિની દૃષ્ટિએ – અને સાચી દૃષ્ટિએ – તેમની ઓળખાણ આપવી હોય તો કહેવું જોઈએ કે તેઓ હતા એક અઠંગ પુસ્તકપ્રેમી. નામ હતું નાનક મેઘાણી. પુસ્તક વેચાય એના કરતાં વધુ આનંદ એમને કોઈ સાચા પુસ્તકપ્રેમી સાથે પોતાનો અને પુસ્તકનો મેળાપ થાય તેમાં આવતો. ૮૨ વર્ષના આયુષ્યમાંથી પાંચ દાયકા જેટલો લાંબો સમય તેઓ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૬૧માં રાજકોટમાં ‘સાહિત્ય-મિલાપ’ની સ્થાપના કરી અને ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ શરૂ કર્યું. ઉત્તમ પુસ્તકો વાચકો સુધી, અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમને માટે આજીવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. પછીથી ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં ‘ગ્રંથાગાર’ ખસેડાયેલું. પણ બે-એક વર્ષ પહેલાં નબળી તબિયતને કારણે તેમ જ નબળા પ્રતિસાદને કારણે નાનકભાઈએ સ્વેચ્છાએ તેને સમેટી લીધું હતું. મોટા ભાઈ અને પુસ્તક-મહર્ષિ મહેન્દ્ર મેઘાણી સાથે મળીને નાનકભાઈએ ‘કોન-ટિકિ’ અને ‘તળાવડીને આરે’ જેવાં પુસ્તકોના અનુવાદ પણ આપ્યા હતા. મહેન્દ્રભાઈ, નાનકભાઈ અને જયંતભાઈ મેઘાણી જેવી પુસ્તકપ્રેમી ત્રિમૂર્તિ આપણી ભાષામાં જ નહિ, દેશની બીજી ભાષાઓમાં પણ વિરલ હશે.
સૌજન્ય : િટૃબ્યૂટ, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014
![]()


હાલના ગુજરાત રાજયમાં આવેલા વિસ્તારોમાં પહેલવહેલું ગુજરાતી છાપખાનું સુરતમાં શરૂ થયું. એ શરૂ કરનાર હતા લંડન મિશનરી સોસાયટીના બે પાદરી રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઇવી. ૧૮૧૫માં ઇંગ્લન્ડથી સુરત આવ્યા પછી તેમણે પહેલું કામ ગુજરાતી ભાષા શીખવાનું કર્યું. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પુસ્તિકાઓ (ટ્રેક્ટસ) ગુજરાતીમાં લખીને મુંબઈમાં છપાવી. તે પછી તેમણે બાઇબલનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું. બાઇબલ જેવા મોટા ગ્રંથનો અનુવાદ સુરતમાં રહીને મુંબઈમાં છપાવવો એ કામ મુશ્કેલ હતું. એટલે તેમણે સુરતમાં જ છાપખાનું શરૂ કર્યું, ૧૮૨૦માં. મુંબઈનાં છાપખાનાંની જેમ આ છાપખાનું પણ મુવેબલ ટાઈપ વાપરતું હતું, તે શિલાછાપ (લિથોગ્રાફ) પધ્ધતિનું નહોતું. આ માટેના ગુજરાતી ટાઈપ તેમણે કયાંયથી મેળવ્યા કે પોતે બનાવ્યા તે જાણી શકાયું નથી.
અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની ! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને !