ગુજરાતી છાપાંઓને તો આવા સમાચારોમાં રસ ક્યાંથી પડે?
પણ થોડા દિવસ પહેલાં અંગ્રેજી છાપામાં ય ખૂણેખાંચરે એક સમાચાર છપાયા હતા. મેંગલોર ખાતે વર્લ્ડ કોંકણી સેન્ટરની એક બેઠક મળી હતી. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોંકણી ભાષામાં પ્રગટ થયેલાં બધાં પુસ્તકો એકઠાં કરવાં અને તેમને સ્કેન કરીને ડીજિટલ ફોર્મમાં મૂકવાં, જેથી હવે પછીની પેઢીઓ માટે આ ગ્રંથભંડાર સચવાઈ રહે. કર્ણાટક, ગોઆ, અને કેરળમાંથી આવેલા કોંકણી ભાષાના લેખકો, વિદ્વાનો અને સંશોધકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
અલબત્ત, આવાં કામ તબક્કાવાર જ કરવાં પડે. એટલે સૌથી પહેલાં મૌખિક સાહિત્યને લિખિત રૂપે રજૂ કરતાં પુસ્તકો (એટલે કે સાદી ભાષામાં કહેવું હોય તો લોકસાહિત્યનાં પુસ્તકો, પ્રાચીન ગ્રંથોને આધારે લખાયેલા ગ્રંથો, છેલ્લાં એક સો વર્ષમાં પ્રગટ થયેલાં અને ‘ક્લાસિક’નો દરજ્જો પામેલાં પુસ્તકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ દિશામાં કેન્દ્ર સરકાર પણ કામ કરવાની છે, પણ તેની રાહ જોયા વગર આ સંસ્થાએ પોતે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. બીજો મહત્ત્વનો નિર્ણય એ લીધો છે કે આ બધાં પુસ્તકોને માત્ર ડીજિટલ સ્વરૂપે જ ન સાચવતાં તેની સાથોસાથ ‘વોઈસ-ઓવર’ ટેકનિકનો પણ ઉપયોગ થશે. એટલે કે એ પુસ્તકો માત્ર વાંચી જ નહિ શકાય, સાથોસાથ સાંભળી પણ શકાશે. (આ ટેકનિકમાં માનવ-અવાજમાં રેકોર્ડીંગ કરવાની જરૂર નથી હોતી. કમ્પ્યુટરના સ્ક્રીન પર જે લખાણ હોય તે સોફ્ટવેરની મદદથી સાંભળી શકાય. આમ કરવું એટલા માટે જરૂરી છે કે અત્યારે કોંકણી ભાષા એક નહિ પણ ચાર જુદી જુદી લિપિમાં લખ્યા-છપાય છે : દેવનાગરી, કન્નડ, મલયાલમ, અને રોમન. પણ તેને પરિણામે ભાષા એક જ હોવા છતાં બધા કોંકણીભાષીઓ બધાં કોંકણી પુસ્તકો વાંચી શકતા નથી. વોઈસ-ઓવરને પ્રતાપે આ મુશ્કેલી દૂર થશે. ઉપરાંત અંધ જનો, બાળકો, નિરક્ષર લોકો વગેરેને પણ આ સગવડથી લાભ થશે.
છેલ્લા કેટલાક દાયકાથી જ કોંકણી ભાષા ઠરીઠામ થઈ છે. આજે તો તે ગોઆની રાજ્યભાષા છે, પણ અગાઉ પોર્તુગીઝ શાસન દરમ્યાન કોંકણી ભાષાને દબાવી દેવાના વ્યવસ્થિત પ્રયત્નો સરકારી રાહે થયા હતા. બાકીના દેશ કરતાં ગોઆને આઝાદી મોડી મળી. તે પછી કેટલાંક વર્ષો મરાઠી ભાષા સાથે ઝગડો ચાલ્યો. તે વખતે મરાઠીભાષીઓ કોંકણીને અલગ ભાષા તરીકે જ સ્વીકારવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે કોંકણી તો મરાઠીની એક બોલી છે. આની પાછળનું એક કારણ એ હતું કે જો આ વાત સ્વીકારાય તો ગોઆ મહારાષ્ટ્રનો ભાગ બને. પણ પહેલાં દિલ્હીની સાહિત્ય અકાદેમીએ અને પછી દેશના બંધારણે કોંકણીને અલગ ભાષાનો દરજ્જો આપ્યો. બીજો ઝગડો ચાલ્યો લિપિ અંગેનો. ચારે લિપિવાળાઓ પોતપોતાની તરફ આ ભાષાને ખેંચવા માગતા હતા. પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો તે પછી રોમન લિપિમાં કોંકણી લખવાનું તો ઘણું ઓછું થઇ ગયું. પણ બાકીની લિપિઓ ચાલુ રહી. દેવનાગરી જ તેની સત્તાવાર લિપિ હોવી જોઈએ એવી માંગ ઊઠતી રહે છે, પણ લોકો આજે પણ જુદી જુદી લિપિ વાપરે છે. મરાઠી કે ગુજરાતીની સરખામણીમાં કોંકણીમાં પુસ્તકો, છાપાં, સામયિકો, વગેરે ઘણી ઓછી સંખ્યામાં પ્રગટ થાય છે. અને આમ થાય એ સ્વાભાવિક છે, કારણ કોંકણી બોલનારાઓની સંખ્યા આજે પણ પચ્ચીસ લાખ કરતાં વધારે નથી. આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે હવે કોંકણી ભાષા પગભર થઈ છે. અને તે આવતી કાલનો વિચાર કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તત્પર થઈ છે.
પણ ખરી મજાની વાત તો હવે આવે છે. મેંગલોરમાં જે બેઠક મળી તેના પ્રમુખસ્થાને કોણ હતું? જાણીતા ઉદ્યોગપતિ અને આઈટી નિષ્ણાત ટી.વી. મોહનદાસ પાઈ. અને જે યોજના ઘડાઈ છે તેમાં તેમનો મોટો આર્થિક ટેકો પણ રહેવાનો છે. હા, આપણા કેટલાક દાઢીવાળા ખેરખાંઓ ચીસ પાડશે : ભાષા-સાહિત્યના કામમાં તે વળી ઉદ્યોગપતિનું શું કામ? ભાષા અને સાહિત્ય માટે શું સારું, શું નરસું, શું કરવું, શું ન કરવું એ નક્કી કરવાવાળા અમે બેઠા નથી, તે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસવાનું? પણ જરા વિચાર કરો.
ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતના ટોચના દસ ધનવાનોમાંથી પાંચ ગુજરાતી છે. આ પાંચે સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, મંદિરો બંધાવે છે, તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પણ ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કોઈએ એક પણ નક્કર કામ કર્યું? કોઈએ નવી લાયબ્રેરી ઊભી કરી? અરે, નવીની વાત જવા દો, કોઈ લાયબ્રેરીને દત્તક લીધી? ગુજરાતી પુસ્તકો, સામયિકો વેચવા માટેની સગવડ પોતાનાં વેચાણ-કેન્દ્રો પર આપી? હા, જલસા જેવા સાહિત્યના કે સંગીતના કાર્યક્રમો માટે પૈસા આપે, સુવિનરોમાં કે સામયિકોમાં જાહેર ખબરના ટુકડા ફેંકે, પણ ભાષા કે સાહિત્યનું નક્કર કામ કરવામાં કોઈએ ક્યારે ય રસ લીધો? કેમ? બધો વાંક એમનો નથી. ‘ભાષા-સાહિત્યવાળાઓ’નો પણ છે.
ગુજરાતીને કોઈ મોહનદાસ પાઈ મળશે? ક્યારે? કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014
![]()


૧૮૧૯ના નવેમ્બરની પહેલીએ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈ ઇલાકાના ગવર્નર બન્યા અને હોદ્દાની રુએ સોસાયટીના પ્રમુખ બન્યા. પાઠયપુસ્તકો અંગેની મુશ્કેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે નકકી કર્યું કે પાઠયપુસ્તકો પણ આપણે જ તૈયાર કરીએ. એ માટે તેમણે નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી શરૂ કરી એટલું જ નહીં, પોતાની અંગત આવકમાંથી તેમણે તત્કાળ રૂ. ૬૦૦ એ કમિટીને આપ્યા જેથી કામ તરત શરૂ થઈ શકે. કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ આ કમિટીનો સેક્રેટરી બન્યો. ૧૮૨૨ના ઑગસ્ટની ૨૧મી તારીખથી આ સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે કુલ છ ગુજરાતી પાઠયપુસ્તકો પ્રગટ કર્યાં હતાં. ૧ લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઇઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સિસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઇઝ ઑન ધ મેનેજમેન્ટ ઑફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલ શબ્દકોશ રૂ. ૧૨ (વાર્ષિક અહેવાલમાં નામ અંગ્રેજીમાં છાપ્યાં છે, પણ આ પુસ્તકો છપાયાં હતાં ગુજરાતીમાં.)
ડિમાઈ કદનાં લગભગ ૪૬૦ પાનાં. તેમાં દોઢ સો જેટલાં ચિત્રો, ઘણાં તો બહુરંગી. ૧૮૬૬માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. બીજે જ વર્ષે, ૧૮૬૭માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. એ વખતે ‘ગુજરાતી ભાષા બચાવો’નું આંદોલન ચાલતું નહોતું, છતાં અંગ્રેજી અખબારો અને મેગેઝીનોમાં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો પણ પ્રગટ થતાં. ૧૮૬૬ના જુલાઈની ૧૬મી તારીખે “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં અને અને ચોથી ઓગસ્ટના “બોમ્બે સેટરડે રિવ્યુ”ના અંકમાં એ પુસ્તકનું અવલોકન પ્રગટ થયેલું. “બોમ્બે સેટર ડે રિવ્યુ”એ લખેલું કે છાપકામની દૃષ્ટિએ આના કરતાં વધુ સુંદર હોય તેવું બીજું કોઈ પુસ્તક મુંબઈના કોઈ પણ છાપખાનામાં આજ સુધીમાં છપાયું નથી. આ પુસ્તકનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયેલો, ૧૮૬૬માં જ.