‘ઓપિનિયન’ના વાચકો પત્રકાર-લેખક અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પૌત્ર એટલે કે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તુષાર ગાંધીથી સારી રીતે પરિચિત હશે. તાજેતરમાં તેઓના બે પુસ્તકો ‘Let us kill Gandhi’ અને ‘Lost Diary of Kastur – my Baa’ની ભેટ આપણને મળી છે.
22મી સપ્ટેમ્બર રેંટિયા બારસ, ગાંધી જયંતી.
તે નિમિત્તે કેટલાંક લોકો તેમનાં પૂતળાં ઉપર કે રાજઘાટ ઉપર ફૂલોનો હાર પહેરાવવાની ચેષ્ટા કરશે.
મને તે પાવન દિવસે ચરખા પર સૂતર કાંતવાની સાથે, Manorama Newsમાં, 21 ઓગસ્ટ 2022માં પ્રગટ થયેલ તુષારભાઈના લેખનો અનુવાદ તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત કરવાનું વધુ મુનાસીબ લાગે છે. આજના ભારતના માહોલમાં કદાચ હિન્દુ ધર્મની આ વ્યાખ્યાની સહુથી વધુ જરૂર છે. જો યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા હિન્દુ અને મુસ્લિમ કોમનાં પહેલી અને બીજી પેઢીનાં માતા પિતાએ પોતાની બીજી કે ત્રીજી પેઢીનાં સંતાનોને પોતપોતાના ધર્મની સાચી ઓળખ આપી હોત, તો લેસ્ટરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો ન થયાં હોત.
— આશા બૂચ
•••
મોહનદાસ ગાંધી – બાપુ અવારનવાર ગૌરવથી કહેતા કે તેઓ હિન્દુ છે; માત્ર હિન્દુ નહીં પરંતુ સનાતની હિન્દુ હોવાનો દાવો કરતા.
વર્તમાન સમયમાં આ પ્રકારનો દાવો આપણામાંના મોટા ભાગના લોકોના રૂંવાડા ઊભા કરી જાય. હાલના સંયોગોમાં ‘સનાતની હિન્દુ’ શબ્દ એક ડરામણું દૃશ્ય ખડું કરી દે તેવું બને. હિન્દુ ધર્મની વિભાવનાનું હિન્દુત્વની રાજકીય અને નીતિભ્રષ્ટ દૃષ્ટિકોણ દ્વારા અપહરણ થઇ ગયું છે.
ભારતે આઝાદી હાંસલ કરી તેના થોડા દિવસ પહેલાં સનાતન હિન્દુ ધર્મની વ્યાખ્યા બાપુએ આપેલી તે તેમના જ શબ્દોમાં જોઈએ:
“સનાતન હિન્દુ ધર્મ એ કોઈ કૂવામાંના દેડકા જેવો મર્યાદિત અને બંધિયાર ખ્યાલ નથી. તે સાગર જેવો વિશાળ છે. એવું અર્થઘટન કરીએ તો એ પૂરી માનવજાતિની માલિકી છે, પછી તે ભલે ગમે તે નામે ઓળખવામાં આવે.” એમ.કે. ગાંધી. “હરિજન”, 10 ઑગસ્ટ 1947
તેઓએ આ વિધાન ત્યારે લખ્યું, જ્યારે ભારતનું વિભાજન થયું અને નવા રાષ્ટ્રના નિર્માણ સમયે દેશ હિંસાથી સળગતો હતો, જ્યારે ઉન્મત્ત થયેલી પ્રજા ભારતના ચારેય ખૂણે કોમી દાવાનળની આગમાં ભડકે બળતી હતી અને દેશને તેના નવજન્મ સમયે જ ભરખી જશે તેવો ભય હતો.
ધિક્કાર અને હિંસા ભારતને ભરડો લઇ રહી હતી તેની નિંદા કરવાની સાથે જ ગાંધીજીએ હિન્દુ પ્રજાને યાદ અપાવતાં લખ્યું,
“હિન્દુ ધર્મ સહુથી વધુ સહિષ્ણુ ધર્મ છે. તેણે ઈસાઈ ધર્મના ઉદ્દભવ સમયે સિતમનો ભોગ બનીને ભાગીને આવેલા લોકોને આશ્રય આપેલો, બેની-ઇઝરાયેલ નામથી ઓળખાતી પારસી પ્રજાને પણ યાતનામાંથી ઉગારી શરણ આપ્યું. મને એવા હિન્દુ ધર્મના અનુયાયી હોવાનું ગૌરવ છે જે બધાને પોતાનામાં સમાવી લે છે અને સહિષ્ણુતાનો સ્તંભ છે.”
એમ.કે. ગાંધી. “હરિજન”, 30 નવેમ્બર 1947
આપણે એ યાદ રાખવું ઘટે કે આ સમય દરમ્યાન બાપુ ભારતમાં રહેનાર તમામ લોકોને હિન્દુ ગણતા હતા, પછી ભલે તેઓ બીજા ધર્મના અનુયાયી હોવાનો દાવો કરતા હોય.
“હિન્દુ ધર્મ સત્ય અને અહિંસાના મજબૂત પાયા ઉપર આધારિત છે, અને તેથી બીજા ધર્મના લોકો સાથે સંઘર્ષ થવાની તેમાં કોઈ ગુંજાઈશ નથી.”
એમ.કે. ગાંધી. “હરિજન”, 25 માર્ચ 1939
જ્યારે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ભભકા અને શાનથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતના નાગરિકોને દેશના ઘડવૈયાઓએ જેને રાષ્ટ્રપિતા માન્યા હતા તેમના શબ્દોને યાદ અપાવવા જરૂરી છે.
મોહનદાસનો ઉછેર ખૂબ રૂઢિચુસ્ત ઉચ્ચ વર્ણના પરિવારમાં થયેલો, જેમાં હિન્દુ કુટુંબમાં પાળવામાં આવતા અસ્પૃશ્યતા સહિતના તમામ જૂનવાણી આચારો, પ્રતિબંધો અને નિયમોનું પાલન કરવામાં આવતું. મોહને અસ્પૃશ્યો મનાતા લોકો પ્રત્યેના અમાનવીય વર્તનથી થતા અન્યાય જોયા હતા. તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આવી પ્રથાઓ માટેની તેમની નફરત વધતી ગઈ અને યુવાન વયે આ પ્રથાઓનું ઉલ્લંઘન કરવાનો જાગૃતપણે નિર્ણય કર્યો. પણ આવી પ્રથાઓને વખોડવા છતાં પોતે હિન્દુ ધર્મનો ત્યાગ ક્યારે ય નથી કર્યો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓ ક્રિશ્ચિયન કલર્જીની નિકટ આવ્યા અને તેમના ઉપર ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે ખૂવ દબાણ આવ્યું ત્યારે તેઓ પોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહ્યા અને કબૂલ કર્યું કે હિન્દુ ધર્મમાં ઘણી ખોડ અને ખામીઓ છે, પરંતુ પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકારવાનું કોઈ કારણ તેમને ન જડ્યું. જેમ જેમ તેમનો બધા ધર્મના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ વધવા લાગ્યો તેમ તેમ તેમની ધર્મો વિશેની સમજ વિકસવા લાગી અને તેમને હિન્દુ ધર્મના સારની સાચી સમજણ લાધી.
“મારો ધર્મ હિન્દુ છે, જે મારે મન માનવતાનો ધર્મ છે અને હું જે ધર્મો વિષે જાણું છું તે બધાના ઉત્તમ અંશોનો તેમાં સમાવેશ થાય છે. મારા ધર્મ પરની શ્રદ્ધા સત્ય અને અહિંસા દ્વારા જળવાઈ રહી છે એટલે કે બહોળા અર્થમાં જોઈએ તો સર્વ પ્રત્યે પ્રેમ. હું ઘણી વખત મારા ધર્મને સત્યના ધર્મ તરીકે ઓળખાવું છું.”
એમ.કે. ગાંધી. ‘ફેલોશીપ ઓફ ફેઈથ’ – પાના નંબર 52
“મારી કલ્પનાનો હિન્દુ ધર્મ એ કોઈ સંકુચિત પંથ નથી. એ એક મહાન ઉત્ક્રાંતિ પામેલી પ્રક્રિયા છે જે કાળના ઉદ્ભવ જેટલી પુરાણી છે અને જે ઝોરોઅસ્ટર, મોઝીસ, ક્રાઈસ્ટ, મોહમ્મ્દ, નાનક અને અન્ય ધર્મોપદેશકોને સ્વીકારે છે, અપનાવે છે.”
એમ.કે. ગાંધી. “હરિજન”, 8 માર્ચ 1942
આજે હિન્દુ ધર્મને અનુસરનારાઓએ બાપુ જે ખરા હિન્દુ ધર્મમાં માનતા હતા, જેને તેઓ સનાતન હિન્દુ ધર્મ કહેતા હતા, તેનું પાલન કરતા હતા અને જેના માટે ગૌરવ અનુભવતા હતા તેને સમજીને તેનું પાલન કરવું જોઈએ; નહીં કે જેને રાજકીય હેતુસર કલુષિત કરીને નીતિભ્રષ્ટ, અસહિષ્ણુ અને હિંસક હિંદુત્વ તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે તેને અનુસરવું.
બાપુના સમયમાં બે વ્યક્તિઓ હિન્દુ ધર્મનું પાલન કરનારી હતી, એક હતા મોહનદાસ ગાંધી, જેઓ સત્ય, પ્રેમ અને કરુણામાં સમાવિષ્ટ હતો તેવા સનાતન હિન્દુ ધર્મનું પાલન કરતા હતા. બીજો હતો નથુરામ ગોડસે, જે પોતાને સનાતની હિન્દુ કહેવડાવતો હતો અને ક્રૂર, વેરવૃત્તિથી ભરપૂર અને પાશવી વર્તન કરતો હતો જે આજે હિંદુત્વના નામે ઓળખાય છે. આ બંને વ્યક્તિઓમાં વિસ્તીર્ણ ભિન્નતા છે, આપણે તે કદી ન ભૂલવું જોઈએ.
e.mail : 71abuch@gmail.com
મૂળ અંગ્રેજી લેખ :
https://www.onmanorama.com/news/opinion/2022/08/21/mahatma-gandhi-definition-sanatan-hindu-dharma-tushar-gandhi-column.html