વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે
બે અઠવાડિયા પહેલાં અમેરિકાના કોલંબસ સિટીમાં મૂળ નડિયાદના એક ગુજરાતી યુવકની હત્યા થઇ. બૅંકમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવકની લૂંટ ઇરાદે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું. આ ખબરને ભારતના, ખાસ કરીને ગુજરાતી મીડિયા દ્વારા ‘ગુજરાતી યુવકની USAમાં હત્યા’ પ્રકારના હેડિંગ સાથે પ્રકાશિત કરાઇ. ઘણા રિપોર્ટમાં એમ પણ લખાયું કે આ રીતે ગુજરાતીઓની હત્યા ત્યાં – U.S.A.માં અવારનવાર થતી રહે છે. વાત એ જ મુદ્દાની કરવી પડે એમ છે કે શું ખરેખર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે? અમેરિકામાં થતા લૂંટના પ્રયાસ કે ગન ક્રાઇમની વાત આવે ત્યારે ગુજરાતીઓને નિશાને રાખીને આ બધું કરવામાં આવે છે; એ વાતમાં કેટલો દમ છે?
જરા હળવાશથી વાત કરીએ તો મૂળ અમેરિકનો સ્વકેન્દ્રી પ્રજા છે, તેમને પોતાના દેશની બહારની દુનિયાની કોઇ પરવા નથી. આમ કહીએ તો એમને ઘણીવાર એ ખ્યાલ પણ નથી હોતો કે અમેરિકા સિવાય પણ એક બહુ મોટી દુનિયા છે. આ અતિશયોક્તિ લાગી શકે છે પણ છે નહીં, સાવ સાચું છે. હવે સોશ્યલ મીડિયાના વિસ્તારને કારણે આ હકીકતમાં થોડો ફેર પડ્યો છે પણ છતાં ય અમેરિકન્સને કંઇ ફેર પડતો નથી. આ એક વાસ્તવિકતા છે. બીજા વાસ્તવિકતા એ છે કે ગુજરાતીઓને શોધી શોધીને ઉડાડી દેવાની જહેમત અમેરિકન્સ શું કામ કરે? માત્ર ગુજરાતીઓ જ અમેરિકામાં લૂંટ અને હત્યાનો ભોગ બને છે એ વાતમાં કોઇ દમ નથી. ગુજરાતીઓના સ્ટોર્સ કે મોટેલ્સ લૂંટાય છે, એવી વાત જો તમારે માનવી હોય તો એ પણ સમજો કે ગુજરાતી ડાયસ્પોરા આકરી મહેનત કરીને કમાય છે, પૈસા એકઠા કરે છે અને વિદેશના અર્થતંત્રમાં તેમનું યોગદાન હોય છે – એ ત્યાંનું નાગરિકત્વ સ્વીકારે પછી તો ચોક્કસ. એ યોગદાન હજારો લાખો કરોડોમાં નહીં હોય પણ વિચારો કે કેટલા ગુજરાતીઓની મોટેલ્સ હશે, કેટલા ગુજરાતીઓ સ્ટોર ચલાવતા હશે અને તે બધું રોજિંદી જિંદગીનો ભાગ હશે ઘણાયને માટે. ગુજરાતીઓ NRI થાય અને ત્યાં જઇને તનતોડ મહેનત કરે જેથી પૈસા કમાઇને બચાવી શકે, આગલી પેઢીની જિંદગી બહેતર કરી શકે. ટૂંકમાં, ત્યાં ગુજરાતીઓ પૈસે ટકે સ્થિર હોય કારણ કે એ જ તેમનું ફોકસ હોય. હવે કોઇ પણ લૂંટફાટ કરનારાની દૃષ્ટિએ જુઓ તો તમે એને જ લૂંટો જેની પાસે પૈસા હોય. સ્ટોર ચલાવનારાના ગલ્લામાં પૈસા હોય તે સ્વભાવિક છે, બૅંકમાંથી આવ જા કરનારા પાસે રોકડ રકમ હોય તે પણ સ્વાભાવિક છે. તો લૂંટ કરનારા આવા જ લોકોને લૂંટવાનો પ્લાન કરે. લૂંટવા માટે માણસ ગુજરાતી છે કે નહીં એ જોવા કોઇ નથી બેસતું, આને માટે જ એવું માનવું કે એમ વાત ચલાવવી કે ગુજરાતીઓને USAમાં ટાર્ગેટ કરાય છે એ તદ્દન પાયા વગરની વાત છે.
હવે જરા વધારે બહોળા દૃષ્ટિકોણથી વાત કરીએ તો USAમાં ગન કલ્ચર – ગન ક્રાઇમ અને રંગભેદ નવા પ્રશ્નો નથી. ત્યાં ગન કલ્ચરને મામલે વોટ બૅંક્સનું રાજકારણ ખેલાય છે. વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે. USAની વાત કરીએ તો ૨૦૧૭માં એક જ વર્ષમાં ફાયરઆર્મથી જેને શૂટ કરી દેવાયા હોય કે પછી આ કારણે ઇજા થઇ હોય તેવા લોકોની સંખ્યા ૧ લાખ ૩૪ હજાર હતી. ગન ક્રાઇમ્સમાં થતી હિંસા પાછળ સામાજિક અને આર્થિક પરિબળો બહુ મોટો ભાગ ભજવે છે. અમેરિકા જેવા દેશોમાં આસાનીથી વેચાતાં હથિયારો માનવ અધિકાર પર બહુ મોટું જોખમ છે. અમેરિકામાં હાઇ સ્કૂલ શૂટિંગના કેસિઝ પણ ઓછા નથી. આખી દુનિયામાં સૌથી વધુ ગન ક્રાઇમ્સ યુ.એસ.એ.માં જ થાય છે. આ પાછળ મોટે ભાગે લૂંટનો ઇરાદો હોય છે, તો બીજું સૌથી મોટું કારણ છે રંગભેદ.
છેલ્લા ૧૨ વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઇમ્સની સંખ્યા વધી છે અને તેની પાછળનું કારણ છે અશ્વેત અને એશિયન અમેરિકન્સ સાથે આચરાતો ભેદભાવ. હેટ ક્રાઇમ્સ એટલે હંમેશાં ગન ક્રાઇમ્સ નહીં. દાખલા તરીકે ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત માણસની ધરપકડ કરવા ગયેલા અમેરિકન અધિકારીએ તેને ગળે સાથળનું દબાણ એ હદે આપ્યું કે તેનો જીવ નીકળી ગયો. આ હેટ ક્રાઇમ છે પણ અહીં ગન ક્રાઇમ નથી. હેટ ક્રાઇમની વાત કરીએ તો એક ડેટા અનુસાર ૨૦૨૦માં એશિયન્સ સામેના હેટ ક્રાઇમમાં ૭૦ ટકા વધારો થયો તો અશ્વેતોના વિરોધમાં થતા હેટ ક્રાઇમનો આંકડો ૪૦ ટકા જેટલો વધ્યો છે. મુસલમાન અને યહૂદીઓના વિરોધમાં થતા હેટ ક્રાઇમ્સ પણ વધ્યા છે. ‘વોશિંગટન પોસ્ટ’ના એક તાજા અહેવાલ અનુસાર ભારતીય મૂળના અમેરિકન્સને હિંસા અને રંગભેદનો સામનો કરવો પડે છે. વળી ભારતીય જો મહિલા હોય, તેમાં વળી મુસ્લિમ હોય તો વધુ ભેદભાવ અને પૂર્વગ્રહો તેમને વેઠવા પડે છે. ત્વચાના રંગને કારણે ભારતીય અમેરિકનોએ સૌથી વધુ ભેદભાવ વેઠવા પડે છે. જે ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપતા હોય તેમને પણ આ ભેદભાવનો સામનો કરવો પડે છે. ભારતીય અમેરિકન્સ રિપબ્લિકન પાર્ટીની લઘુમતિ પ્રત્યેની અસહિષ્ણુતાને કારણ કે ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે
બાય ધી વેઃ
ગન ક્રાઇમનો ભોગ અમુક જ લોકો બને છે એમ નથી. ગન ક્રાઇમની પાછળનાં કારણો સામાજિક-આર્થિક છે અને તેમાં પાછો રંગભેદની માનસિકતાનો અમેરિકન પૂર્વગ્રહ. હથિયારો બનાવનારાઓની લૉબીનો પ્રભાવ અમેરિકન અર્થતંત્ર પર બહુ મોટો છે અને એટલે જે તેમની સામે આકરાં પગલાં લેવા કે કોઇ આકરો પ્રતિબંધ જાહેર કરવો પણ આસાન નથી. વાત ત્યાં આવીને જ અટકે છે કે વ્હાઇટ હાઉસમાં બેઠેલાઓ કઇ રીતે ગન કલ્ચર પર કાબૂ લાવી શકે છે. ગન કલ્ચરને લગતા કાયદા બદલાય તો બેફામ હથિયારો ખરીદનારાં ઘટે અને ગન ક્રાઇમમાં ઘટાડો થાય. આપણે ગુજરાતી અને ભારતીય તરીકે એ વાત માનવી અને ફેલાવવી અટકાવવી જોઇએ કે ગુજરાતીઓ પર વધારે હુમલા થાય છે કારણ કે આપણા કોઇ જ્યોર્જ ફ્લોઇડને ગળું રૂંધીને મારી નથી નખાયો, આપણે કલ્પના કરીએ તેના કરતાં કંઇક ગણી વરવી પરિસ્થિતિ છે. બાય ધી વે, આપણે ત્યાં જય શ્રીરામ ન બોલનારાને રહેંસી નખાયા હોય કે દલિતોએ આત્મહત્યા કરવી પડી હોય કે તેમને મારી નાખી ઝાડે લટકાવી દેવાયા હોય, ઢોર માર મારાયા હોવાના કિસ્સા પણ છે. આપણે એક સુસંસ્કૃત રાષ્ટ્ર તરીકે આ બધું યાદ કરી લઇને નજર શરમથી ઢાળવી તો પડે જ, હં.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2021
![]()


પહેલાં તો બિપિન રાવત વિશે થોડી વધુ વિગતો જાણીએ અને પછી ચર્ચા કરીએ એવા રાજકીય મૃત્યુઓની જે આજે પણ એક રહસ્ય છે, ખાસ કરીને એર ક્રેશમાં ગુજરી ગયેલા મહત્વનાં રાજકીય ચહેરાઓ!
સંજય ગાંધીઃ ૨૩મી જૂન ૧૯૮૦માં સંજય ગાંધી જે જનરલ ઇલેક્શન્સને પગલે ફરી સત્તા પર આવ્યા હતા તે એર ક્રેશમાં માર્યા ગયા. દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે આ ઘટના ઘટી. જે ટ્રેનર તેમની સાથે હતા, તેનું પણ આ ઘટનામાં મોત થયું હતું. નજરે જોનારાઓનું કહેવું હતું કે નાનકડા એરક્રાફ્ટમાં પાયલટ તરીકે તાલીમ પામેલા સંજય ગાંધી કોઇને કોઇ કરતબ કરી રહ્યા હતા અને એમાં એરક્રાફ્ટ ધસમસતું નીચે આવ્યું અને તેના ફુરચા ઊડી ગયા. કન્સપિરસી થિયરીઝના મતે સંજય ગાંધીના વધતા પ્રભાવને કારણે તેમણે રાજકારણમાં ઘણા દુશ્મનો ખડા કર્યા હતા, જેમણે તેમના મોતનો કારસો ઘડ્યો હતો. બીજા એરક્રાફ્ટ ક્રેશ થાય તો ભડકે બળે એવું આ કિસ્સામાં નહોતું થયું બલકે એરક્રાફ્ટ જમીન તરફ ધસ્યું અને ગોળ ગોળ ફરતું ફરતું જમીન પર પડ્યું. કહેવાય છે કે દીકરો ગુમાવ્યાના આઘાતમાં ઘટના સ્થળે પહોંચેલા ઇંદિરા ગાંધીએ દીકરાની ઘડિયાળ અને કિ રિંગ્ઝ શોધવાની કોશિશ કરી, પણ એ પણ કોઇ સગું લઇ ગયું હતું.
બાર્બાડોસ એક એવો દેશ જેનું નામ તમે સાંભળ્યું તો હશે જ પણ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી એને હજી સો વર્ષ નથી થયા, પણ છતાં ય જાણે આપણને એ ઇતિહાસને ઉછાળીને વિવાદો ખડા કરવાની મજા આવે છે. આ બન્ને વાતો વચ્ચે શું સંબંધ એવો વિચાર તમે કરો તે પહેલાં એ સ્પષ્ટતા કરવાની કે બાર્બાડોસ જે કેરેબિયન દેશ છે તેને હમણાં, એટલે કે સાવ હમણાં ગયા અઠવાડિયે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. અંગ્રેજોના સંસ્થાનવાદનો શિકાર રહેલા બાર્બાડોસમાં પહેલું અંગ્રેજ જહાજ ૪૦૦ વર્ષ પહેલાં પ્રવેશ્યું હતું અને ત્યારથી જે તેઓ અંગ્રેજોને તાબે હતા. આમ તો બાર્બાડોસને ૧૯૬૬ના નવેમ્બરમાં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી, પણ ત્યાં હજી સુધી અંગ્રેજોની સંપ્રભુતા યથાવત હતી. આઝાદી મેળવવાના રસ્તે તેમણે ધીમે પગલે અંગ્રેજોના પ્રભુત્વને ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. જેમ કે બ્રિટિશ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બદલે તેમણે પોતાની વ્યવસ્થાઓ વાપરવાનું શરૂ કર્યું. ૨૦૦૫માં ન્યાય તંત્ર માટે લંડનની પ્રિવી કાઉન્સિલને બદલે ટ્રિનિદાદની કેરેબિયન કોર્ટ ઑફ જસ્ટિસમાં બાર્બાડોસની ન્યાયિક કામગીરી થવા માંડી. ૨૦૦૮માં પ્રજાસત્તાક દેશ બનવા માટેની હલચલ શરૂ કરાઇ પણ આખરે ગયા વર્ષે બંધારણિય રાજાશાહીનો અંત લાવવાની દેખતી હલચલ શરૂ થઇ જેમ કે નેશનલ હીરોઝ સ્ક્વેરમાંથી અંગ્રેજ વાઇસરોય એડમિરલ હોરેશિયો નેલ્સનની પ્રતિમા હટાવવાની જાહેરાત કરાઇ. હવે બાર્બાડોસમાં રોયલ કે ક્રાઉન જેવા શબ્દો કોઇ સત્તાવાર જાહેરાતમાં નહીં વપરાય. રોયલ બાર્બાડોસ પોલીસ સર્વીસ અને ક્રાઉન લેન્ડ્ઝમાંથી રોયલ અને ક્રાઉન શબ્દો વાપરવાનું બંધ થશે. ગણતંત્ર દેશ બનેલા બાર્બાડોસને પ્રિન્સ ચાર્લ્સે પણ ભવ્ય સમારંભમાં શુભેચ્છાઓ પાઠવી અને બ્રિટનના રાજવી પરિવાર સાથેના સંબંધો ગાઢ રહેશે તેમ પણ કહ્યું.