Opinion Magazine
Number of visits: 9564695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાર્કિકતાની હત્યા અને તાર્કિકતાનો અતિવાદ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 October 2015

તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો

પૌરાણિક ઇજિપ્તમાં તે સમયની સંસારની સૌથી મોટી લાઇબ્રેરી, સિકંદરિયાને (જેને અલેક્ઝાંડરિયા પણ કહે છે.) સળગાવી દેવાનો આદેશ આપતી વખતે ઇજિપ્તના નવા શાસક ખલીફ ઉમરે કહ્યું હતું, ‘યાહયા અલ નહવી.’ મતલબ કે ‘અગર આ પુસ્તકો કુરાન સાથે તર્ક કરતાં હોય તો આપણા માટે એની કોઈ જરૂર નથી અને જો કુરાન વિરોધી હોય તો એને નષ્ટ કરી દેવામાં આવે.’ આ કહાનીની સચ્ચાઈ વિવાદાસ્પદ છે, પરંતુ માનવ સભ્યતાના ઇતિહાસમાં રૂઢિવાદ કેવી રીતે તાર્કિકતાને પાછળ ધકેલી દઈને જીવતો રહે છે તે સમજવા માટે આ કિસ્સો એક રૂપક તરીકે રોચક છે.

વિચાર અથવા તર્ક અથવા જ્ઞાન જે સત્તામાં છે, જે શીર્ષસ્થ છે, જે ‘દેવના દીધેલ’ છે તેમને પસંદ નથી આવતું. જ્ઞાન યથાસ્થિતિને તોડે છે એટલે જે લોકોનો સ્થિતિ પર એકાધિકાર છે તેમના માટે જ્ઞાન ખતરો બની જાય છે. એકાધિકાર અને યથાસ્થિતિમાં માનનારા લોકો દૃઢ વિશ્વાસ કે દૃઢ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. જ્ઞાન તર્ક કરે છે, સંશય કરે છે, સવાલ-જવાબ કરે છે. ગેલીલિયો ગેલિલીએ જ્યારે કહ્યું કે બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી નહીં પણ સૂરજ છે અને પૃથ્વી એની આસપાસ ગોળ ઘૂમે છે ત્યારે કેથોલિક ચર્ચને ગેલિલીઓની વાત તૌહીન લાગી અને પરિણામ સ્વરૂપ એની કિતાબોનાં વેચાણ-વાંચન પર પાબંધી મૂકવામાં આવી હતી અને એને આજીવન નજરકેદમાં મૂકી દેવાયો હતો. ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રચ્યો ત્યારે ઇશ્વર-સર્જન (ક્રિયેશનિઝમ)માં વિશ્વાસ રાખતા ધર્મને ડાર્વિન નાસ્તિક લાગેલો અને એને એટલો પરેશાન કરેલો કે (આજે જેની ગણના માનવ ઇતિહાસના સૌથી મહાન પુસ્તક તરીકે થાય છે તે) ‘ઓરિજિન ઓફ સ્પિસીઝ’ ગ્રંથ ડાર્વિને 20 વર્ષ સુધી અપ્રગટ રાખેલો.

આગે સે ચલી આતી હૈ, પરંપરા કે ‘ઇશ્વર ઇચ્છા’ સામે આપત્તિ અને ચુનૌતીના અનેક દાખલા છે. ધર્મ હંમેશાં યથાસ્થિતિ બતાવી રાખવાના પક્ષમાં રહ્યો છે. જ્ઞાન હંમેશાં બદલાવની ઇચ્છા રાખે છે. રાજનીતિ અને ધર્મની ભેળસેળ ના થવી જોઈએ એવી આદર્શ સ્થિતિની કલ્પના છતાં હકીકત એ છે કે અધિકાંશ શાસકોએ પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે ધર્મનો (સીધો કે આડકતરો) સહારો લીધો છે. યથાસ્થિતિ બનાવી રાખવા માટે ધર્મ હંમેશાં પ્રભાવશાળી સાધન રહ્યો છે. ગઈ 30મી ઓગસ્ટે કર્ણાટકમાં કન્નડ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ રહી ચૂકેલા સાહિત્ય અકાદમી વિજેતા પુરાલેખ વિશેષજ્ઞ પ્રોફેસર મલીશવ્વા માધવીવલબા કુલબુર્ગી હત્યા થઈ ત્યારે એવા તમામ લોકોને આઘાત લાગ્યો જે લોકો ઉદારવાદી અને તર્કવાદી સમાજના પક્ષધર છે. કર્ણાટકના સશક્ત લિંગાયત સમાજ કુલબુર્ગીથી નારાજ હતો. લિંગાયત સમુદાયના જનક મનાતા 12મી સદીના ગુરુ બાસવાની અમુક પ્રથા-માન્યતાની કુલબુર્ગીએ ટીકા કરી હતી. એક વાર લિંગાયત નેતાઓના દબાવમાં આવીને તેમણે અમુક લખાણ પાછું ખેંચવું પડ્યું. તે વખતે તેમણે કહ્યું હતું, ‘પરિવારનો જીવ બચાવવા માટે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી છે.’

કુલબુર્ગીની હત્યા થઈ તે પછી ફેડરેશન ઓફ રેશનાલિસ્ટ એસોસિયેશનના અધ્યક્ષ નરેન્દ્ર નાયકે કહ્યું હતું, ‘77 વર્ષના એક માણસને એના વિચારો માટે મારી નાખવો એ બુઝદિલી છે. અમુક બાબતોને વ્યાખ્યાયીત કરવાનો એમનો આગવો વૈજ્ઞાનિક અભિગમ હતો. એમને મારી નાખવાથી એમના વિચારોને પણ મારી શકાય? એ એક સવાલ છે.’ બે વર્ષ પહેલાં રેશનાલિસ્ટ કાર્યકર નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં અંધશ્રદ્ધા સામે એમની ઝુંબેશના કારણે હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પહેલાં અન્ય એક સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે અને એમની પત્નીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાનસરે આંતરજાતિ લગ્નો, પુત્રકામેક્ષી યજ્ઞ અને નથુરામ ગોડસે જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લીને બોલતા હતા.

કાલબુર્ગી, દાભોલકર અને પનસારે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હતા પરંતુ ત્રણેય તર્કવાદી હતા અને અંધશ્રદ્ધા-રૂઢિવાદના વિરોધી હતા. આ ત્રણેની હત્યા પછી સમાજમાં એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે : શું હિન્દુ સમાજ વૈચારિક મતભેદના ક્ષેત્રમાં અસહિષ્ણુ બની રહ્યો છે? ભારત માટે કહેવાય છે કે એ ઉદાર અને ધર્મનિરપેક્ષ એટલા માટે છે કે એ હિન્દુ બહુમતી દેશ છે અને હિન્દુઓની ઉદારતા અને ધર્મનિરપેક્ષતાનો એક લાંબો ઇતિહાસ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુઓમાં પણ ભિન્ન મત પ્રત્યે એક પ્રકારનો હિંસક અભિગમ વિકસી રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. આ પ્રકારના અભિગમવાળા લોકો કે જૂથ જ્યારે સત્તામાં (સરકારમાં) કે શીર્ષમાં (ધર્મમાં) હોય ત્યારે સમાજમાં તર્ક અને જ્ઞાન પ્રત્યે નફરત કે ઘૃણા વધી જાય છે. આ બાબતમાં તમામ ધર્મોના કટ્ટરપંથીઓ એક સરખી જ સોચવાળા છે. એક કહાનીમાં ઇસ્લામનું ઘસાતું લખનાર સલમાન રશ્દીનું માથું કલમ કરવા આદેશ અપાયો હતો. આધુનિક અને પ્રગતિશીલ વિચારોવાળી તસલીમા નસરીને સંકુચિત વિચારોવાળા લોકોના નિશાના પર છે. પાકિસ્તાનમાં પ્રગતિશીલ નેતા સલમાન તાસીરે જીવથી હાથ ધોવા પડ્યા હતા.

તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો. બ્રાહ્મણો જ્યારે વેદોને દેવી ઉપલબ્ધિ ગણતા હતા ત્યારે ચાર્વકે કહેલું કે વેદ મારા-તમારા જેવા સાધારણ માણસોએ લખ્યા છે અને એ ઇશ્વરીય નહીં પણ સામાજિક ગ્રંથ છે. આ ‘અપમાન’ બદલ ચાર્વાકને પજવવામાંથી કંઈ બાકી રખાયું ન હતું. મહારાષ્ટ્રમાં તુકારામ જેવા સંતને તત્કાલીન શીર્ષસ્થ પુરોહિત સમુદાયે ખાસી યાતના આપી હતી. ભારતમાં આઝાદીના આંદોલન વખતે સામાજિક અને રાજકીય ચિંતન પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમવાળા ધુંઆધાર નેતાઓના હાથમાં હતું.

તે સમયના સમાજમાં ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્ય અને અન્ય બદીઓ એટલી વ્યાપક હતી કે અંગ્રેજોના વૈજ્ઞાનિક અને આધુનિક અભિગમમાં બહુ બધા લોકોને સુખ અને સંપત્તિ દેખાતી હતી. તે વખતે રૂઢિવાદ અને ધર્મને તાર્કિકતાની કસોટી પર કસવાની શરૂઆત થઈ હતી. તે વખતે પણ પુરોહિત સમાજે (બ્રાહ્મણવાદી, શીર્ષસ્થ અભિજાત વર્ગ) પ્રાચીનતા અને પરંપરા જ મહાન છે તેવો રાગ કાઢ્યો હતો. તે વખતે પણ આસ્થા આધારિત સોચ અને વૈજ્ઞાનિક તર્ક-સંદેહ સામસામે આવી ગયા હતા. સ્વતંત્રતા પછી પંડિત નેહરુ જેવા અત્યંત પ્રગતિશીલ નેતા પ્રધાનમંત્રી બન્યા તો સમાજમાં વૈજ્ઞાનિક સોચ અને શિક્ષણને પ્રોત્સાહન મળ્યું.

દેશની આ એક ટ્રેજેડી જ છે કે આઝાદીનાં માત્ર 50 વર્ષમાં જ આપણે પાછા રૂઢિવાદ અને આસ્થાના સહારે જતા રહ્યા છીએ. દેશ કે સમાજ સામે આઝાદી જેવો કોઈ મોટો ઉદ્દેશ નથી અને આપણે ખાધે-પીધે સુખી થઈ રહ્યા છીએ ત્યારે આપસી વૈચારિક વિરોધમાં અંતિમો પર જઈ રહ્યા છીએ. 2015માં આપણે પ્રાચીન ભારતમાં હવાઈ જહાજ ઊડતાં હતાં અને પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી જેવી સરોસર કપોળકથાઓ આધિકારિક મંચો પરથી રજૂ કરતા રહીએ છે ત્યારે એ સાંભળનારા ભોળા અનુયાયીઓ પાસેથી કુલબુર્ગીઓ અને દાભોલકરો અને પાનસરોને ‘નર્ક’માં પહોંચાડવા સિવાયના બીજા કયા કર્મની અપેક્ષા રખાય?

વિચાર કરો કે મૂર્તિપૂજાનો વિરોધ કરનાર અને કર્મકાંડોની ટીકા કરનાર આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી આજે જીવતા હોત તો! બંદૂકધારીઓએ એમને છોડી દીધા હોત? તાર્કિકતાની, વિચારની, સંશયની હત્યા એવા સમયે થઈ રહી છે જ્યારે દક્ષિણ એશિયામાં બહુસંખ્યક સમુદાયો પોતપોતાના ઇલાકાઓમાં ક્યાંક ધર્મ તો ક્યાંક સમાજના નામ પર સ્વતંત્ર અને ઉદાર અવાજોને ખામોશ કરી રહ્યા છે. કુલબર્ગીની હત્યા પહેલાં ઢાકામાં નિલય ચક્રવર્તી નામના બ્લોગરની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં છેલ્લાં બે વર્ષમાં પાંચ બ્લોગરોની હત્યા કરાઈ છે.

ટુ બી ફેર, તર્ક કે સંશય સાવ જ દૂધે ધોયેલા નથી. કંઈક અંશે રેશનાલિસ્ટો પણ એમની સોચમાં કટ્ટરવાદી હોય છે. ધર્મ સાથે વિજ્ઞાનનો ઝઘડો આજે પણ યથાવત્ છે એનું કારણ એ છે કે વિજ્ઞાન પોતે ઈશ્વરની જેમ સર્વે સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવાનો દાવો કરે છે. ઈશ્વરનું સ્થાન વિજ્ઞાને લીધું છે? એવો પ્રશ્ન પૂછવો અસ્થાને નથી. પ્રકૃતિમાં ઉદ્દેશ અને દિશા અને અર્થની ગેરહાજરીના કારણે ધર્મનો ઉદય થયો હતો. ધર્મોએ સમાજને એવો નકશો બનાવી આપ્યો છે જે લોકોને અર્થહીન, દિશાહીન જીવનને સમુંસૂથરું પાર પાડવામાં સહાયક બન્યો છે. ધર્મએ લોકોને બ્રહ્માંડના અ-વ્યાખ્યાઈત સુપર નકશામાં એક નિશ્ચિત સ્થાન અને ઓળખ પ્રદાન કરી છે. ધર્મની ટીકાથી સીધો પ્રહાર વ્યક્તિની ઓળખ પર થાય છે એવો સાદો તર્ક રેશનાલિઝમ ભૂલી જાય છે. રેશનાલિઝમ પોતે એક જજમેન્ટ પાસ કરે છે અને વૈકલ્પિક વિચારનો ઇન્કાર કરે છે. તર્કવાદી અને પરંપરાવાદી બંને ભિન્નતા કે વિવિધતાનો અસ્વીકાર કરે છે. ઇતિહાસમાં વિચારોનો સંઘર્ષ અંતિમવાદી, નિર્ણયાત્મક અભિગમથી પેદા થયો છે. આપણને જરૂર મધ્ય માર્ગની છે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2015

Loading

2 October 2015 admin
← નેતાજી સુભાષચંદ્ર બોઝ : વર્તમાનમાં સ્મરવાની વાતો
મજબૂતી કા નામ મહાત્મા ગાંધી →

Search by

Opinion

  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!
  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved