Opinion Magazine
Number of visits: 9449490
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષી : સ્મરણો – ૧ ને ૨

સુમન શાહ|Opinion - Literature|10 September 2020

મુમ્બઇવાસી મિત્રો કમલ વોરા અને નૌશિલ મહેતાની નિશ્રામાં ચાલતા સાહચર્ય-મિત્રજૂથ સમક્ષ તારીખ ૩૧ ઑગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે (૨૦૨૦) મેં વાર્તાલાપ કરેલો. એ ટાણે અનેક મિત્રો ઉપરાન્ત, વિશેષ આનન્દની વાત એ કે મારા વડીલમિત્રો સુનીલ કોઠારી અને ગુલામમોહોમ્મદ શેખ પણ ઉપસ્થિત હતા.

વાર્તાલાપમાં મેં સુરેશ જોષી વિશેનાં મારાં સ્મરણો અને કેટલીક નવી વાતો રજૂ કરેલી તેનું આ લેખ-સ્વરૂપ છે …

ઍસ.ઍસ.સી. પછી વડોદરામાં હું ઍમ.ઍસ. યુનિવર્સિટીમાં કૉમર્સમાં જોડાયેલો. જો કે કૉમર્સમાં બે વાર નાપાસ થયેલો. એટલે પછી વતન ડભોઇમાં હું આર્ટ્સમાં જોડાયેલો ને ત્યાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથેની સાહિત્યવિષયક ગોષ્ઠિઓમાં સુરેશભાઈનું નામ પહેલી વાર સાંભળેલું – ૧૯૫૯. ત્યારથી હું સુરેશભાઈની અનોખી વ્યક્તિતા અને સાહિત્ય વિશેની એમની સાવ જ જુદી વાતોથી આકર્ષાયેલો.

૧૯૬૨-૬૪માં એ જ ઍમ.ઍસ.માં મેં ઍમ.એ. કર્યું. એ બે વર્ષ દરમ્યાન એમની પાસેથી જે ભણવા મળ્યું એણે મારી કારકિર્દી બદલી નાખી, કહેવું તો એમ જોઈએ કે એથી જ મારી કારકિર્દીનો શુભારમ્ભ થયો. એ બે વર્ષ એમના સાન્નિધ્યમાં રહેવા મળ્યું એ મળ્યું. એ પછીનાં વરસોમાં તૂટક તૂટક મળવાનું નિરન્તર ચાલ્યું. મને બરાબર યાદ છે કે વડોદરા ગયો હોઉં ને એમને મળ્યો ન હોઉં એવું એક પણ વાર બન્યું નથી.

ભણવાની ખૂબ જ મજા આવતી. પહેલે દિવસે બ્લૅકબૉર્ડ પર પુસ્તકોનાં નામ લખે ને ક્હૅ – લખી લો આ નામો. અમે લખી લઈએ એટલે બૉર્ડ પરનાં એ નામોની ઉપર લખે : નહીં વાંચવાનાં પુસ્તકોની યાદી : અમે ખડખડાટ હસી પડીએ. કહે : મુનશી એક જ નવલકથાના નવલકથાકાર છે : અમને થાય, મુનશીએ તો કેટલી બધી નવલકથાઓ લખી છે, સાહેબ આવું કેમ બોલે છે. તરત જણાવે : એમની પાસે એક જ બીબું છે, મુનશી બધું એમાં ઢાળ્યા કરે છે : સુરેશભાઈના વ્યંગ ધારદાર હોય પણ એ સાથે પ્રગટતું હાસ્ય જ્ઞાનમાં વધારો કરનારું હોય. એક વાર તો એટલું બધું હસવા મળેલું કે હું વર્ગની બહાર નીકળી ગયેલો. ‘પારેવડું રડતું હતું’ જેવું દૃષ્ટાન્ત આવે તો કહેતા ‘ઉં ઉં’-નું પુનરાવર્તન નૉંધો ને જુઓ કે કેટલું તો કાર્યસાધક છે. મેં એમને કદાચ ત્યારથી જ મારા ગુરુ માની લીધેલા.

એમના વિદ્યાર્થી તરીકે વર્ગ ઉપરાન્તનાં બે સ્થળો મને ખાસ યાદ છે : એક ભોગીલાલ ગાંધીને ત્યાંની દર ગુરુવારની બેઠકો. એમાં સુરેશભાઈ રિલ્કે કે કાફ્કા વગેરેમાંથી કશુંક વાંચે ને પછી મિત્રો ચર્ચાએ ચડે. પ્રબોધ ચૉક્સીએ પશ્ચિમનું ઘણું વાંચ્યું હશે તે ટક્કર ઝીલતા એવું યાદ છે. એમના ભૂદાન પ્રવૃત્તિ-કેન્દ્રી ‘ક્ષિતિજ’-માં સુરેશભાઈ લખતા ને પછી એ ‘ક્ષિતિજ’ સાહિત્યનું અને વિશ્વસાહિત્યની વાતો કરતું સામયિક બની ગયું. ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં ‘ક્ષિતિજ’ એક પ્રકરણ માગી લે એટલું સમૃદ્ધ થયેલું – આપણે જાણીએ છીએ. બીજું સ્થળ તે સલાટવાળાનું થીઓસૉફિકલ સોસાયટી. દર શુક્રવારે સુરેશભાઈ ત્યાં વાર્તાલાપ આપતા. આમ તો, અઠવાડિયા દરમ્યાન પોતે જે વાંચ્યું-વિચાર્યું હોય તેની વાતો, પણ ખૂબ પ્રેરણા મળતી. મને એવું યાદ છે કે કામૂના અવસાનથી વ્યથિત હતા ને કામૂ વિશે ખૂબ સરસ બોલેલા.

હું ભણતો એ દરમ્યાનનો એક પ્રસંગ છે. રૂમમાં મને કંઈક ઉચાટમાં દેખાયા. મેં પૂછ્યું, સુરેશભાઈ – અમે સુરેશભાઈ કહેતા – બધું બરાબર છે? : હા પણ નરવસનેસ છે, અંગ્રેજી વિભાગના મિત્રો આગળ રિલ્કે વિશે વ્યાખ્યાન આપવાનું છે : પછી ચૂપ હતા, એટલે મેં આગળ કશું પૂછેલું નહીં. હું એમની સાથે ગયેલો. ગુરુ રિલ્કે પર અદ્ભુત બોલેલા. મેં કહ્યું, તમે કંઈ નરવસ ન લાગ્યા. તો કહે : શરૂમાં નરવસ થવાય એ સારી વસ્તુ છે, સારા વક્તાનો સદ્ગુણ કહેવાય : તે દિવસથી મને પોતાને નરવસનેસ ન થતી હોય તો પણ થાય છે એવો ભાવ ધારણ કરીને પછી શરૂ કરું છું.

સુરેશ જોષી ઓગણત્રીની વયે : (સૌજન્ય : Wikimedia Commons)

મને એમની ‘માનવીનાં મન’ કૉલમ બહુ ગમતી. મને ગમેલો મુદ્દો હું એમને પોસ્ટકાર્ડ લખીને પ્હૉંચાડતો. મારો ઍમ.એ.માં ફર્સ્ટ ક્લાસ આવેલો. મેં એમને જણાવેલું તો તરત મને પોસ્ટકાર્ડમાં અભિનન્દન લખેલાં પણ એમ પણ લખેલું – કે પી.એચડીની ઉતાવળ ન કરતો. મેં ઘણાં વરસો લગી ઉતાવળ નહીં કરેલી. મને સાલ બરાબર યાદ નથી પણ હું ‘ઉદ્ધવસંદેશને લગતાં કાવ્યો’ પર પી.એચડી કરવા નીકળેલો, પણ તરત જ પાછો નીકળી ગયેલો. ૧૯૭૨-૭૩ દરમ્યાન મને કોઈ ધન્ય ક્ષણે સૂઝી ગયેલું કે મારે સુરેશભાઈની સૃષ્ટિ વિશે જ પી.એચડી કરવું જોઈએ. પણ વિચિત્રતા એવી કે એમને વિષય તરીકે સ્વીકારવા કોઈ માર્ગદર્શક હા પાડે જ નહીં. નામ નથી આપતો પણ એ પ્રખર વિદ્વાને આશ્ચર્યથી કહેલું કે સુરેશ જોષી પર? એમને માટે રાહ જોવી જોઈએ. મેં કહેલું, સર, મારે રાહ નથી જોવી. તો હસીને ક્હૅ, ભલે ભલે … છેવટે, ગુજરાત વિદ્યાપીઠમાં મોહનભાઈ પટેલે હા પાડેલી. મને ચાર વર્ષ લાગેલાં. રોજ રાતે ૮થી ૨ મચી પડતો. રાધેશ્યામે એક ટૅબ્લેટ બતાવેલી જેથી ઉજાગરો ઉજાગરો ન લાગે ને મૉડી રાત લગી સ્વસ્થ રહી શકાય.

હમેશાં સાદાં કપડાંમાં હોય. એક વાર ગાંધીનગર ટાઉનહૉલમાં વ્યાખ્યાન હતું તે ઝભ્ભામાં હતા. ક્યારેક પાન ખાતા. કોઈ વાર હાથમાં નાનું ફૂલ હોય. એક વાર જયન્ત પારેખે એમને લાલ રંગનું ઝીણી કાળી ચૉકડીવાળું ખમીસ સાગ્રહ ભેટ કરીને પ્હૅરાવેલું. હસતા’તા. આમ બાળસહજ પણ ક્યારેક ગુસ્સામાં વાણી જોશમાં આવી ગઈ હોય. બગાસું ખાતી વિદ્યાર્થિની માટે કહેલું : હું માતા જસોદા નથી મને બ્રહ્માણ્ડ બતાવવાની જરૂર નથી. કોઇ વિદ્યાર્થિની હમેશાં ક્લાસ શરૂ થયા પછીની પાંચેક મિનિટ પછી જ આવે. એક વાર શરૂમાં જ પ્રવેશી. તો સુરેશભાઈ કહે, ૧૦.૩૦ની બસ આજે સમયસર આવી ગઈ લાગે છે.

એક વાર કોઇએ ‘ઊહાપોહ’ પોસ્ટ કરવાનું માથે લીધેલું ને સમજ્યા વગર મોટી રકમની ટિકિટો ચૉડી આવેલો, સુરેશભાઇ ગુસ્સે થઈ ગયેલા. એ પછી એ જણ ફરક્યો જ નથી. પણ તમને કહું, જે વ્યક્તિ એમના સ્વભાવથી તો ઠીક પણ લખાણથી ભડકીને ભાગી ગઈ તો ગઈ સમજો, પણ પછી જો એ પાછી આવે તો નક્કી કે એ કદી પાછી જશે જ નહીં. એમના શબ્દની મોહિનીને જીરવવા માટે માણસ પાસે હિમ્મત અને સાચી લગન જોઈએ …

થીસીસ પુસ્તક રૂપે તૈયાર થયો એટલે એની એક નકલને રેશમી વસ્ત્રમાં લપેટીને હું અને રશ્મીતા એમને અર્પણ કરવા વડોદરા ગયેલાં. મેં લખેલું : દુનિયાનું એક માત્ર પુસ્તક જે તમારે સાદ્યન્ત વાંચવું રહ્યું. મરક મરક હસતા પાનાં ફેરવતા’તા. કહે, આખું વાંચીશ પણ ક્યારે તે નથી કહી શકતો. શીર્ષક તને સારું સૂઝ્યું છે. મેં કહેલું હા, રોલાં બાર્થનું પણ એક પુસ્તક એમ છે. જોગાનોજોગ તે દિવસે એક પરિસંવાદ યોજાયેલો. કદાચ સુરેશભાઈ પોતે હેડ થયા એ પછી એમણે જ યોજેલો. તે દિવસે હું એમની જ વાર્તા ‘એક મુલાકાત’ વિશે સંરચનાવાદની રીતે બોલેલો. મેં કહેલું – હસમુખ ત્રિવેદી શ્રીપતરાયની મુલાકાતે જાય છે પણ લેખકે મુલાકાતનો હેતુ નથી દર્શાવ્યો અને એમ પોતાની સર્જકતા માટે જગ્યા બનાવી છે. એ સભામાં કદાચ સાંડેસરાસાહેબ પણ હતા. કોઈ કોઈ મને ક્હૅ, તમને ખબર છે શ્રીપતરાય કોણ છે? અને એ ભાઈએ સાંડેસરા ભણી ઇશારો કરેલો. મને સુરેશભાઈ પૂછે, મુલાકાતનો હેતુ ખરેખર નથી? : મેં કહેલું : હા, તમારા એક સન્નિષ્ઠ વાચક તરીકે કહું છું, ભૂલ કબૂલવા તૈયાર છું … એ દિવસ આમ ધન્યતાનો દિવસ હતો.

ઉમાશંકરે ભલે એવા મતલબનું કહેલું કે સુરેશ હશે ત્યાં લગી એમની જોડે કોઇ-ને-કોઇ નામે સામયિક હશે. પણ સુરેશભાઈ સામયિકોનાં લખાણો બાબતે ચિન્તિત રહેતા. એક વાર કહે, રસિક ને જયન્ત તો નથી લખવાના, સુમન, આપણે જ ચલાવવું પડશે. વ્યથિત તો રહેતા જ. અમદાવાદમાં એમના વ્યાખ્યાનને અન્તે અધ્યક્ષે એમ કહેલું કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈ એ મ્હૅણું સાંભળીને બહુ દુખી થયેલા. મને કહે અધ્યક્ષના બોલ પછી આપણાથી શું બોલાય … પણ આ સંદર્ભમાં મેં એક વાર લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે એનો મહિમા છે.

વડોદરામાં મારા સાળાનાં લગ્ન હતાં મેં બહુ જ આગ્રહ કરેલો કે તમારે ને મા-એ – ઉષાબેને – આવવાનું છે, હું લેવા આવીશ. તો કહે : તો હું નહીં આવું : અને લગ્નસ્થળ નજીક હતું તે બન્ને ચાલતાં આવેલાં. હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ થયો તે વર્ષે મને એમ કે એમને બોલાવું જ. મને શી મતિ સૂઝી કે વાર્ષિકોત્સવમાં બોલાવ્યા. સારી એવી જાહેરાત કરેલી. સભામણ્ડપમાં લોક સમાય નહીં. મારી અકળામણનો પાર નહીં. મેં કહેલું – સૉરિ, મને આવી ખબર ન્હૉતી. તો ક્હૅ, ચિન્તા છોડ. અને એમણે એવું તો જાદુઈ સંભાષણ આપેલું કે લોક મન્ત્રમુગ્ધ થઈ ગયેલું. બધાં એમને એકચિત્તે સાંભળતાં’તાં. મને જે હાશ થયેલી, ન પૂછો વાત.

હું અમદાવાદમાં ભાષાભવનમાં ૧૯૭૭માં જોડાયેલો. એક વાર મેં એમને વ્યાખ્યાન માટે બોલાવેલા. તે જ દિવસે સવારથી એકાએક જ રિક્ષાવાળાઓ હડતાળ પર ઊતરી ગયા. એમને રેલવે સ્ટેશને રીસિવ કરવા હું બસમાં પ્હૉંચી ગયેલો. એ જ વાતે ચિત્ત ચોળાતું હતું કે સુરેશભાઈને બસમાં બેસવા શી રીતે કહીશ. મને કહે : હડતાળ છે તો શું થઈ ગયું, બસો તો ચાલુ છે ને ! : મારે ‘હા’ કહેવી પડેલી. એક પણ સીટ ખાલી ન્હૉતી. સામેથી જ બોલેલા – હમણાં કો’ક ઊતરશે. ત્યાંલગી દાંડો પકડીને ઊભેલા. તમે કલ્પી શકો, મારા અપરાધભાવની યાત્રા … તે સાંજે ઘરે જમવામાં સાથે ભાયાણીસાહેબને પણ નિમન્ત્રણ આપેલું. રશ્મીતાએ અડદપાક બનાવેલો તે પીરસેલો. ભાયાણી સાહેબ કહે : સુરેશ, સુમનને તો વ્યવસ્થા છે, આ ખાઈને આપણે ક્યાં જશું? : સુરેશભાઈ ભાયાણીની રસવૃત્તિને તીખી નજરે માપી રહેલા …

એક વાર અમે બસમાં દાહોદ જતા’તા. સુરેશભાઈ બારી પાસે બેસેલા. નદી આવે વૃક્ષો આવે તે મને પૂછે, જાણે છે, એનું નામ. એકાદ વાર તો મેં ડરતાં ડરતાં કહેલું સાચો પડેલો. પણ પછી કહેલું : મને સુરેશભાઈ, પ્લીઝ ના પૂછશો, કશી ખબર નથી : તો કહે, એમ કેમ ચાલે … એક વાર પોરબંદર જવાનું હતું. વડોદરા-સ્ટેશને ટ્રેન આવી ચિક્કાર ગીરદી હતી, ક્હૅ – ચાલ પાછા, નથી જવું. પણ કાર્યક્રમવાળા રાહ જોશે : તો કહે, એ લોકો મને જાણે છે. હું એમના આવા લાક્ષણિક સ્વભાવ વિશે ટીપ્પણી નથી કરતો, પણ તમે તારવી શકો છો.

હું ‘શબ્દસૃષ્ટિ’-નો પહેલો માનાર્હ તન્ત્રી થયેલો. એ રાજી ન્હૉતા. મને કહે : એ સરકારી તન્ત્રમાં તું શું કરી શકવાનો? : મેં કહેલું : મને મળેલી જગ્યામાં કોઈ ન પ્રવેશે એવી મેં બાંહેધરી લીધી છે. ને જે દિવસે દખલ થશે તે દિવસે ચાલુ ગાડીએ ભુસકો મારવાની મારી તૈયારી છે : એ પછી જ્યારે જ્યારે વડોદરા જઉં ત્યારે ત્યારે જરૂર પૂછે, પેલો ભુસકો ક્યારે મારે છે? : અને ઉમાશંકરે ત્યારે જગવેલા સ્વાયત્તતાના મુદ્દે સમર્થનમાં મેં જાહેરમાં લખેલું એનો અકાદમીને વાંધો પડેલો, ને મેં ભુસકો મારેલો ..

આપણા સાહિત્યકારોએ ઉજો સુજો એવી છાવણીઓ કલ્પી લીધી પણ સરખું યુદ્ધ તો કદી કર્યું જ નહીં. ઉમાશંકર વડોદરા ગયા હોય ત્યારે હમેશાં એમને મળ્યા છે. એમના ઇન્ટર્વ્યુ વખતે કહેલું – તમે માઈલો લગી જશો પણ સુરેશ સમો સાહિત્યકાર મળશે નહીં. સુરેશભાઈના અવસાન વખતે ઉમાશંકર મારે ત્યાં આવેલા, અમદાવાદના ઘરે. કહે, સુમન, ખરખરો કરવા તરત તો ક્યાં જવું …

બધું ઘણું યાદ આવે છે. આવી જ એક સ્મૃતિસભા નીતિન મહેતાએ યોજેલી. મેં ત્યારે કહેલું કે જે લોકોને જ્યાં જ્યાં સુરેશભાઈ અગમ્ય લાગે છે ત્યાં ત્યાં ચૉકડા મારો ને શેષનું અનુધાવન કરો. આજે આ જન્મશતાબ્દી વર્ષમાં પણ એ જ કહેવાનું છે. બાકી પુનર્મૂલ્યાંકન તો એ કરી શકે જેને મૂલ્ય શું અંકાયું છે એની ભલા પ્રકારે પતીજ પડી હોય.

ટૉળટીખળ બહુ કરે. મને કહે : તને દુશ્મનોની છાવણીમાં મોકલ્યો છે, યોગક્ષેમનું ધ્યાન રાખજે. એક વાર એમના રૂમમાં ઘણા છોકરાછોકરી એકઠાં થઇ ગયેલાં, કહે : ઇમોશનલ ટ્રબલ સમજી શકું છું મોશનલ હોય તો સંભાળજો. મોડાસામાં પહેલું જ્ઞાનસત્ર હતું, બધા બેઠેલા. એમનો ઑટોગ્રાફ લેવા આવનારને કહે, પેલા સામે બેઠા છે એ છે સુરેશ જોષી. સભામાં મારો હાથ ઝાલી ચૂંટી ખણે, કહે જોઈએ : વક્તાશ્રી ડિસ્ટર્બ થાય છે કે કેમ : વગેરે ઘણું …

માંદગી વધી ગયેલી. વડોદરાની હૉસ્પિટલમાં હતા. અમે બધાં વારાફરતી મળવા ગયેલાં. મને કહે, તું ક્યાં હતો, ડભોઈથી આવ્યો. મેં ડોકું હલાવી હા પાડેલી. બબડવા જેવું બોલેલા : મારી પ્રાણઘાતક વેદનાનું શુ થશે … નડિયાદમાં હરીશ મીનાશ્રુ ભારતી દલાલ હું અમે સૌ અધ્ધરજીવ હતાં. સમાચાર મળતાં ભાંગી પડેલાં. સ્મશાનમાં મારું રડવું રોક્યું રોકાતું ન્હૉતું, મને રસિકભાઈએ છાતીએ વળગાડીને સાંત્વન આપેલું.

સુરેશભાઈ કલામર્મજ્ઞ તો હતા જ પણ એમના વ્યક્તિત્વની મને પાંચ ઓળખ મળી છે : ૧ : અતિ સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.

મને ખાતરી છે કે he loved me. અને એને હું મારી કારકિર્દીનું મહામૂલું સંભારણું ગણું છું.

આપણી વચ્ચે એમના અમર શબ્દ રૂપે હાજર છે એ વાતનો સંતોષ લઈએ, સૌનો આભાર.

•••

સુરેશ-સ્મરણો – ૨ :

ગઈ કાલની આપણી સાંજ રસપ્રદ અને ઘણી અર્થપૂર્ણ રહી. કમલ અને નૌશિલભાઈએ અભિનન્દન પાઠવ્યાં તે ગમ્યું. તેમ જ ગુલામમોહમ્મદ અને સુનીલ કોઠારીએ, મારા એ વડીલ મિત્રોએ, મને અભિનન્દન પાઠવ્યા એથી પણ મને સારું લાગ્યું. પ્રબોધે મારી સાથે અરધો કલાક કેટલીક ખૂબ જ ઉપકારક ઑફલાઈન વાતો કરી એ પણ મને ગમ્યું.

એ પછી મારું વિચારચક્ર મૉડી રાત લગી ચાલ્યા કર્યું ને હું તમસરખા આટલા બધા સારા શ્રોતામિત્રો પાસે મૂકવાની હિમ્મત કરી શકું એવા મને કેટલાક વિચારો સૂઝ્યા છે. એ તમારી સમક્ષ મૂકું અને પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ.

સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં એ પહેલાં એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા.

૧ :

જેમ કે, સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું – ઇટ વૉઝ અ શૉર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન ઑર રીપોર્તાજ.

સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિ કર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા.

૨ :

ત્યારે બધું સાહિત્ય છેલ્લે મનગમતા અને સરળતમ માનવતાવાદમાં ઠરતું હતું. સાહિત્યકાર તત્સમ વૃ્ત્તિનો જીવ જ નહીં. એનો ‘ના’ પાડનારી વ્યક્તિ તરીકેનો જે બેઝિક અને પ્રાઇમ રોલ છે એ પરથી ધ્યાન ઊઠી ગયેલું. સુરેશભાઈની સમગ્ર વિચારધારાનાં મૂળ સાહિત્યકારના આવા જીવનકર્તવ્યમાં રોપાયેલાં છે. ગોવર્ધનરામે ‘સાક્ષરજીવન’-માં સાક્ષરનાં ધ્યેય પોતાની રીતેભાતે વર્ણવ્યાં છે એની મને સહજ યાદ આવી જાય છે.

૩ :

એટલે, સાહિત્યકાર ઇતિ સિદ્ધમ્ કરીને બેસી જાય, ઇનામ-અવૉર્ડ મળ્યા પછી જીવનધ્યેય પાર પડી ગયું, એવો સંતોષ ધારણ કરે, એ શી રીતે ચાલી શકે? એથી શું બને છે, આપણે ત્યાં એની એક મૂઠી-ઊંચેરા સારસ્વત તરીકેની છબિ ઊભી થાય છે. એ ‘ના’ પાડનારો નથી રહેતો, સંસ્કૃતિનો રખેવાળ ને ક્યારેક તો ભાટચારણ બની જાય છે. એથી એક બહુ જ વરવા સ્વરૂપની ઉચ્ચાવચતા – હાયરાર્કી – સૅટ થઈ જાય છે. એથી પ્રજા કાં તો વિભૂતિપૂજામાં સરી પડે છે અથવા પ્રજામાનસનો સાહિત્યપદાર્થ સાથે સમ્યક સમ્બન્ધ જ નથી રચાતો. એક બીજું પરિણામ એ કે સર્વ વાતોનું સ્થિતસ્ય સમર્થનમ્ થાય છે. સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં મૂલ્યોની તપાસ નથી થતી. કયાં જર્જરિત ને ફાગાવી દેવાજોગ છે તે નથી પરખાતું.

એટલે તો એમણે પોતાના કથાસાહિત્યને મોટે ભાગે સમાજનિરપેક્ષ રાખ્યું છે – એસોશ્યલ. એમનાં પાત્રો સ્ત્રી-પુરષ કે નર-નારી હોય છે, માનવીય અસ્તિત્વ રૂપે હોય છે.

હું વિવરણ અને સમજૂતીઓ નહીં કરું, તમે સૌ મિત્રો સુજ્ઞ છો.

૪ :

આમ સાહિત્યકારનો ધર્મ એ છે કે એણે ઈનામ-અવૉર્ડ જેવી કહેવાતી સફળતાઓથી બચવું. સુરેશભાઈએ એ રીતે ઠરીઠામ થઇ જનારાની સફળતા માટે સાર્ત્રના શબ્દો વાપર્યા છે. એમ કે એ તો ‘ઍબ્સ્યૉલિટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ’ છે. બાબુએ, બાબુ સુથારે, સુજોસાફો-આયોજિત જન્મશતાબ્દીઉત્સવના ‘આત્મનેપદી’ ઍપિસોડમાં આ મુદ્દે બહુ વિસ્તારથી વાત કરેલી. સુરેશભાઈનું તાત્પર્ય એ છે કે સંતોષ ધારણ કરીને સ્થગિત થઇ જવું ઠીક નથી, સાત્ત્વિક અસંતોષ ધારણ કરીને પ્રવહમાણ રહેવું જરૂરી છે. સુરેશભાઈના શબ્દો છે કે પોતે બધું સમતોલ કરવામાં નથી માનતા, એવું સંતુલન તો કૉમ્પ્લેસન્સિમાં પરિણમે અને આપણે એમ વિચારતા થઈ જઈએ કે ચાલો હવે કશું ડામાડોળ નથી … તો ડામાડોળ તો હોવું જોઈએ. એમના શબ્દો છે – મને તો એ નથી સમજાતું કે why should we feel shy of saying things plainly. પૂછ્યું છે કે ટાઇટ રોપ વૉકિન્ગ કરવાનું આ જાતની પ્રવૃત્તિ માં શા માટે હોવું જોઈએ?

એમણે દાખલા ટાંક્યા છે કે

— તે જમાનામાં પણ બ.ક.ઠા. અને ખબરદાર વગેરે સમકાલીન હોવા છતાં એકબીજાંના દૃષ્ટિબિન્દુઓની કડકમાં કડક ટીકા કરતા હતા.

— નાનાલાલને બ.ક.ઠા.એ સ્વીકાર્યા નથી અને પ્રેમાનંદનું રેપ્યુટેશન પણ એમણે ચૅલેન્જ કરેલું જ છે.

— રમણભાઈએ (નીલકંઠે) ગોવર્ધનરામની નવલકથાને ‘નવલકથા’ કહી નથી. પણ આ બધું બહાર નથી આવતું, વિષ્ણુપ્રસાદની પ્રશંસા બહાર આવે છે.

બાબુએ, બાબુ સુથારે, એ ચર્ચા પરથી સુરેશભાઈમાં ‘શોધ’ કેવી રીતે સૅટ થઈ છે તેના પણ ઇશારા આપેલા.

સુરેશભાઈનો પ્રશ્ન જ એ છે કે આપણો સર્જક કશી શોધમાં વ્યસ્ત હોય છે ખરો ..

શોધને હું સર્જન અને જીવન બન્નેને ઉપકારક એવા ક્રીએટિવ વૉલિશનની, સર્જકસંકલ્પની, શોધ ગણું છું. કશા એવા આકર્ષક લિટરરી ઇડિયમની શોધ ગણું છું. જેમ કે, સર્રીયાલિસ્ટ પેઇન્ટિન્ગ; જેમ કે, ઍબ્સર્ડ થીએટર. તેમ જ એને હું કશા આવકાર્ય દૃષ્ટાન્તની – ઍપિટોમની – પણ શોધ ગણું છું. જેમ કે, રવીન્દ્રસંગીત. સંગીતકાર અનુસરણ કરી શકે. જેમ કે, માઇકલ જૅક્શન-પ્રણિત બ્રેક ડાન્સ. નૃત્યકાર અનુસરણ કરી શકે. એટલું જ નહીં, એવાં દૃષ્ટાન્તો ક્રમે ક્રમે પ્રજાજીવનમાં ઑગળી જાય છે. લોક-સાહિત્યોનાં મૂળ એમાં જોવા મળે. તમે જુઓ, ‘જનાન્તિકે’-ના નિબન્ધે એ કાળે આપણા નિબન્ધકારને સર્જક નિબન્ધનું ઘૅલું લગાડેલું એટલે લગી કે કેટલાક દાખલાઓમાં ‘નિ’ એટલે કે વિચાર જ ભૂલાઇ ગયેલો.

— ‘જનાન્તિકે’ને હું એમના તરફથી મળેલું એવું એક ઇડિયમ કે ઍપિટોમ ગણું છું – એક ઍક્ઝામ્પલ.

— સરસ્વતીચન્દ્ર’માં આકારનો પ્રશ્ન છેડીને એમણે એ દાખલો બેસાડ્યો છે કે લૂઝ પ્રકાર ગણાઈ ગયેલી નવલકથામાં પણ આકારની ખેવના કરવી જ જોઈશે.

— સાહિત્ય એના વિવેચકોથી નથી જીવતું, ઘણી વાર તો એ લોકો જ એના હત્યારા હોય છે. સાહિત્યને જીવતું રાખે છે, આસ્વાદકો. ઘણી વાર તો ગાંઠનું ગોપીચન્દન કરીને પણ તેઓ કૃતિના આત્માને ખોલી આપે છે. એમનું ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ એવું જ એક દૃષ્ટાન્ત છે.

— મેં થીસિસમાં એમની પૂરક પ્રવૃત્તિઓ પર એક અલગ પ્રકરણ કર્યું છે. એમાં સાહિત્યિક પત્રકારત્વ અને એમની અનુવાદ પ્રવૃત્તિ નું વિવરણ છે. ‘વિદેશિની’ અને ‘પરકીયા’નાં દૃષ્ટાન્તે, મને એમ પણ લાગે છે કે એમણે એમ પણ સૂચવ્યું છે કે કૃતિનું ‘સઘન વાચન’ અનુવાદ કરીએ ત્યારે જ થતું હોય છે. પોતાની ભાષાની મર્યાદાઓ ને ખૂબીઓની પણ ત્યારે જ ખબર પડે છે.

૫ :

આ શોધ-તત્ત્વ સુરેશભાઇમાં ‘પ્રક્રિયા’ રૂપે ઠર્યું છે. કેમ કે શોધમાત્ર માણસને પ્રક્રિયામાં દોરી જાય. પ્રક્રિયા માણસને ઠરવા ન દે. અનેક વસ્તુઓ સૂઝે, છેડા ન મળે. અન્તિમો – ઍક્સ્ટ્રીમ્સ – સતાવે. અન્તિમોથી તણાવ સરજાય, અન્તિમોને ઑગાળીને એનો પિણ્ડ બાંધવાનું કામ મુશ્કેલ બની રહે. પ્રક્રિયા સર્જકને એવા વિરોધાભાસ સૂઝાડે ને સત્યો વિરોધાભાસમાં દેખાય. મેં થીસિસમાં આ ‘પૅરેડોક્સિકલ ટ્રુથ’-નો ક્યાંક નિર્દેશ કર્યાનું મને યાદ આવે છે. સુરેશભાઈની સૃષ્ટિની હું એને એક પાયાની સંરચના ગણું છું, બૅઝિક પૅટર્ન પણ કહી શકાય.

જુઓ,

— પ્રેમ અને મૃત્યુ અન્તિમો છે. ‘છિન્નપત્ર’ પ્રેમની કથા છે, ‘મરણોત્તર’ મૃત્યુની.

— આનન્દવર્ધન આદિ કાવ્યશાસ્ત્રીઓએ કરેલી કાવ્યમીમાંસાનો અર્ક સમજીને બેઠા’તા, પણ એમાં સુઝાન લૅન્ગર કે વાલેરી ઉમેરાય છે.

— ઍમ.એ.માં અમારે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ’ ભણવાનું હતું. અંગ્રેજી અનુવાદમાં, મોટું થોથું. ત્યારે મંજુલાલ મજમુદારની દીકરી શ્રદ્ધા અમારી સાથે ભણતી’તી. એણે મારી સાથે એમ રાખેલું કે એણે હંસા મહેતા લાઈબ્રેરીમાંથી ચૉપડીઓ લઈ આવવાની અને બદલામાં મારે એને મારી નોટ્સ આપવાની. પણ ‘ક્રાઇમ૦’ માટે મારી હિમ્મત મને ના પાડતી’તી. મેં સુરેશભાઈ આગળ ફરિયાદ કરેલી – આવાં ભારે ભારે પુસ્તકો શું કામ મુકાય છે, તો કહે – ભારે છે એટલે જ મુકાય છે. એમણે એમ પણ કહેલું કે આમાં ગુનો અને સજાના ચીલાચાલુ અર્થસંકેતો જ બદલાઈ ગયા છે. અને પછીના જ ‘ક્ષિતિજ’માં એમણે ‘ક્રાઇમ૦’ પરનો પોતાનો સુન્દર લેખ પ્રકાશિત કરેલો. ગુરુ પાસેથી અમને મદદ મળી ગયેલી.

— મેં કહ્યું એમ મેધાવી ચિન્તક છે પણ સમગ્ર સર્જનમાં કલ્પનનિષ્ઠ છે.

— પ્રિય સાહિત્યકારો : રવીન્દ્રનાથ છે તો બૉદ્લેર પણ છે.

— વ્યાખ્યાનોની રૅન્જ જુઓ : ઍડમણ્ડ ઝાબે અને કર્ણ.

— કથાસાહિત્યમાં સામાન્યપણે ટૅમ્પોરલ નેરેટિવ હોય એમણે સ્પાસિયલ દાખલ કર્યું. દાખલો છે – ટૂંકીવાર્તામાં જક્સ્ટાપોઝિશનનો. સામાન્યપણે હિસ્ટરી હોય તેની સ્ટોરી થાય. એમણે કથાચક્રમાં ભૂતકાળ અને વર્તમાનને સાથે સાથે ચલાવ્યા છે.

— ‘બે સૂરજમુખી’ ‘અને મરણ’ તથા ‘પદ્મા તને’ એ ત્રણેય ટૂંકીવાર્તાઓમાં ફૅન્ટસીતત્ત્વ છે. તો ‘કપોલકલ્પિત’ અને ’રાક્ષસ’માં પરીકથામાં હોય એ અદ્ભુત રસ છે.

— છેલ્લાં વર્ષોમાં ફીનૉમિનોલૉજી તરફ વળ્યા એ યાત્રા ફૉર્માલિઝમ પછીની જરા જુદી દિશા હતી.

બીજી બે વાતો અહીં ઉમેરવાજોગ છે :

૧ : સાહિત્યના ઇતિહાસને વિશેની એમની દૃષ્ટિ જુદી હતી. એ એમ માનતા કે સાહિત્યસ્વરૂપોના વિકાસને આધારે ઇતિહાસ લખાવા જોઈએ. સર્જકતા જ્યારે, દાખલા તરીકે, ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે, ત્યારે ટૂંકીવાર્તા એક સાહિત્યપ્રકાર તરીકે વિકસે છે. ગુજરાતી ટૂંકીવાર્તા એમના કારણે મરી નથી ગઈ, પ્રાણતત્ત્વ પામી છે.

૨ : ત્યારે ઉજો-સુજો જોડી બનાવાયેલી એમ નિરંજન-સુરેશ પણ બનાવાયેલી. આ બધું સુથારીકામ વધારે તો અમદાવાદમાં જ થયેલું. એક પ્રશસ્ત અમદાવાદી કવિ કહેતા – તમારી પાસે સુરેશ જોષી છે, તો અમારી પાસે નિરંજન છે.

એક પ્રસંગ કહેવો જોઈએ : મેં સુજોસાફોના ઉપક્રમે ‘સર્જકતા’ પર એક પરિસંવાદ નીતિનને ત્યાં બૉમ્બે યુનિવર્સિટીમાં કરેલો. એ પછી, અમદાવાદમાં મેં બૉદ્લેર પરનો બે-દિવસીય પરિસંવાદ યોજેલો. મને એમ કે બૉદ્લેર પર પરિસંવાદ હોય તો નિરંજન ભગત વિના તો કેમ હોય. પણ ભાષાભવનના મારા હિતૈષીઓ કહે, સુજોસાફો-આયોજિતમાં નિરંજનભાઈ ન આવે. મેં બીજી જ સવારે નિરંજનભાઈને ફોન જોડ્યો ને કીધું આ લોકો આવું કહે છે. તો ક્હૅ, એ બધા મૂરખા છે, સુરેશભાઈ મારા દુશ્મન થોડા છે ! હું જરૂર આવીશ. પોતાને તે જ દિવસે લન્ડન જવાનું હતું તો પણ મજાનું સરસ વ્યાખ્યાન આપીને ગયેલા.

મને ગઈ રાતે પ્રબોધે સરસ વાત કરી : સુરેશ જોષી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, એ ત્રણેયને રવીન્દ્રનાથ ગમે અને એ દરેક પોતપોતાની રીતે અનુવાદ કે વ્યાખ્યાન કરે. પ્રબોધ કહે, એથી ગુજરાતને પોતાના રવીન્દ્રનાથ મળ્યા છે.

મને વળીને અહીં પેલું શોધ-તત્ત્વ યાદ આવે છે. રવીન્દ્રનાથ તો બરાબર પણ આપણા એ ત્રણેય સાહિત્યકારો કલાપદાર્થ શોધતા’તા ને ગુજરાતને તેનો પરિચય આપવા ચાહતા’તા. જયદેવના ‘ગીતગોવિન્દ’-નો અનુવાદ કરનાર રાજેન્દ્રભાઈ શું કરવા ‘ડિવાઇન કૉમેડી’-નો અનુવાદ કરે?

મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વ સાહિત્યની ક્ષિતિજો બતાવી. આજે એ ક્ષિતિજો અળપાઈ ગઈ છે એનું જેણે વિસ્તરતી જોઈ હોય એને તો થાય કે નહીં?

અસ્તુ.

= = =

Loading

10 September 2020 admin
← જી.ડી.પી. તળિયે : બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી
મારો વાલુડો મગનો બનશે મગનભાઇ જીવતા માણહ જેવો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved