Opinion Magazine
Number of visits: 9446167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુંદરલાલ બહુગુણાના ત્રણ A : ઑસ્ટેરિટી, ઑલ્ટર્નટિવ, અફોરેસ્ટેશન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 June 2021

અમેરિકાની એક યુનિવર્સિટીમાં ફિલોસોફીનો પ્રોફેસર જ્યોર્જ જેમ્સ, ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લામાં રહેતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યો હતો. પ્રોફેસરે સુંદરલાલના જંગલ પ્રેમ અને તેને બચાવવાની તેમની ચળવળની વાતો સાંભળી હતી. મળતાં વેંત તેણે પૂછ્યું, "મને ખબર છે તમે વ્યસ્ત માણસ છો, એટલે હું સીધો જ મુદ્દા પર આવી જાઉં. મને ખબર છે કે તમે લાંબા સમયથી પર્યાવરણ માટે લડી રહ્યા છો અને તેના માટે ઉપવાસો પણ કર્યા છે. મીડિયામાં એ બહુ આવ્યું છે. હું ફિલોસોફીનો પ્રોફેસર છું. મને જીવનની ફિલોસોફી અને જીવનની ગતિવિધિઓ પાછળની પ્રકૃતિની ફિલોસોફીમાં રસ છે. તમને શેનામાંથી પ્રેરણા મળે છે? તમારામાં આવાં અસાધારણ પગલાં ભરવાનું સાહસ ક્યાંથી આવે છે? પ્રેસમાં આવું બધું કોઈ પૂછતું નથી."

"મારું સમગ્ર ચિંતન," સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, "ત્રણ 'એ' અને પાંચ 'એફ' પર ટકેલું છે. પહેલો 'એ' ઑસ્ટેરિટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો 'એ' એટલે ઑલ્ટર્નટિવ (વિકલ્પ) : કરકસર શક્ય ન હોય તો વિકલ્પો શોધવા જોઈએ." સુંદરલાલ બોખા મોઢે હસ્યા અને પ્રોફેસરને પૂછ્યું કે સમજ પડે છે ને.

"મને સમજાય છે, " પ્રોફેસરે કહ્યું હતું.

"ત્રીજો 'એ' અફોરેસ્ટેશન (વનીકરણ) માટે છે”. તેમણે બીજા હાથની આંગળીના વેઢા ગણતાં ચાલુ રાખ્યું, "પાંચ 'એફ' આપણા જીવન માટે અનિવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે. ફૂડ (ખોરાક) ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઇંધણ), ફર્ટીલાઈઝર (ખાતર) અને ફાયબર (રેશા)."

પ્રોફેસરને એટલું સમજાયું કે સુંદરલાલ અગાઉ પણ આ કહી ચુક્યા હોવા જોઈએ, પણ મીડિયામાં વાંચવા મળ્યું ન હતું. તેણે કેમરા બેગ ફંફોસીને એક ટેપ રેકોર્ડર કાઢીને પૂછ્યું, "હું આપણી વાતો ટેપ કરી લઉં તો ચાલશે?"

'હા, હા," સુંદરલાલે કહ્યું, અને પછી એ વાતચિત દિવસો, મહિનાઓ અને બીજા વર્ષ સુધી લંબાતી ગઈ. એમાંથી જે સુંદર પુસ્તક આવ્યું, તેનું નામ હતું – ઇકોલોજી ઈઝ પર્મેનન્ટ ઈકોનોમી (પર્યાવરણ કાયમી અર્થનીતિ છે).

પ્રોફેસર જ્યોર્જ જેમ્સે આ પુસ્તકમાં સુંદરલાલ બહુગુણાને ભારતની પર્યાવરણીય ચેતનાના પ્રથમ ગુરુ ગણાવ્યા હતા. ગઈ ૨૧ તારીખે, ૯૪ વર્ષના આ 'વૃક્ષમિત્ર'નું, કોરોનાની મહામારીમાં અવસાન થઇ ગયું. સ્વતંત્ર ભારતમાં, ગાંધીજીમાંથી પ્રેરણા લઈને, અનેક અહિંસક ચળવળો અને સત્યાગ્રહો આવ્યાં છે. સુંદરલાલ બહુગુણાની 'ચિપકો ચળવળ' આઝાદ ભારતનો એવો જ એક સત્યાગ્રહ હતો. સુંદરલાલ બહુગુણાના અવસાન સાથે એક એવો અવાજ પણ બંધ થઇ ગયો છે, જેની મારફતે ગાંધીજીની ચેતના અને ચિંતન જીવતું હતું.

૧૯૨૭માં, ટિહરી ગઢવાલના એક ગામમાં જન્મેલા સુંદરલાલ ૧૩ વર્ષની ઉંમરે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. એ પહેલીવાર ગાંધીજીને મળ્યા ત્યારે તેમની એક પેટીનું તેમને કુતૂહલ હતું. ગાંધીજીએ એને ખોલીને બતાવી તો એમાં યરવડા રેટિયો હતો, જે તેમણે યરવડા જેલમાં બનાવ્યો હતો. સુંદરલાલ પછી કૉન્ગ્રેસના રાજકારણમાં સક્રિય થઇ ગયા હતા. આઝાદી પછી ગાંધીજીએ કૉન્ગ્રેસને વિખેરી નાખવાનું સૂચન કર્યું હતું, ત્યારે સુંદરલાલ ટિહરીમાં કૉન્ગ્રેસના મહામંત્રી હતા, અને આદિવાસી-પછાત લોકો માટે રાત્રીશાળા ચલાવતા હતા.

૧૯૪૯માં, તે ગાંધીજીનાં સાથીદાર મીરાં બહેન અને ઠક્કર બાપાના સંપર્કમાં આવ્યા, પછી સમાજસેવા અને પર્યાવરણની સેવા તરફ વળ્યા હતા. ગુજરાત સહિત ભારતમાં આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરતા મૂળ ભાવનગરના ગાંધીવાદી સેવક અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાએ સુંદરલાલને કહેલું કે તમે જેને શાળામાં ભણાવો છો તે લોકો કેવી ખોલીઓમાં રહે છે તે ખબર છે? સુંદરલાલે માથું ધુણાવ્યું. ઠક્કર બાપાએ તેમની ટેકણ લાકડી બતાવીને કહ્યું હતું કે મેં આનાથી હજારો અંધારી-ગોબરી ખોલીઓ માપી છે જેમાં સમાજના આ સેવકો રહે છે. તેના પરથી પ્રેરણા લઈને સુંદરલાલે ટિહરીમાં એક સ્વસ્છ આવાસ યોજના બનાવી હતી, જે આજે ઠક્કર બાપા હોસ્ટલના નામથી પ્રચલિત છે.

ગાંધીજીનાં ‘અંગ્રેજી બોલતાં’ શિષ્યા મીરાંબહેને ઋષિકેશમાં પશુલોક આશ્રમ સ્થાપ્યો હતો. ૧૯૪૯માં ગંગામાં પૂર આવ્યું અને આશ્રમને તહસનહસ કરી ગયો. પૂરનું કારણ જાણવા મીરાંબહેન ઘોડા પર બેસીને પહાડોમાં ગંગોત્રી તરફ ગયાં હતાં. એમાં એમણે બે બાબતો જોઈ : એક, જંગલોની કટાઈ અને બે, પહોળાં પાંદડાવાળાં ઓક વૃક્ષોનાં વનની સ્થાને ધંધા માટે ફાયદાકાર ચીર-પાઈન વનનો વિકાસ.

મીરાંબહેને પશુલોક આશ્રમ સમેટી લીધો અને જીઓનલિ નામના ગામમાં ગાયોની સેવા કરવા માટે ગોપાલ-આશ્રમ સ્થાપ્યો. ટિહરી ગઢવાલ ત્યારે ભારતનો સૌથી ગરીબ પ્રદેશ હતો. જંગલો હતાં, પણ બિનઉપયોગી હતાં. મીરાંબહેન ત્યાંની જમીનને ઉપજાઉ બનાવવા માંગતાં હતાં, પણ એમાં નહેરુ સરકારની અમલદારશાહી આડી આવતી હતી. છેવટે તેઓ ટિહરી છોડી દઈને કાશ્મીરમાં સ્થાયી થઇ ગયાં.

મીરાંબહેન ગયાં, પણ પાછળ એક વિરાસત અને એક સ્વપ્ન મૂકીને ગયાં હતાં, જે સુંદરલાલે અને તેમનાં પત્ની વિમલાબહેને ઉપાડી લીધું. એમાંથી ધીમે-ધીમે જંગલો બચવવાની ભારતની સૌથી સફળ ચળવળ શરૂ થઇ, જેને આપણે ‘ચિપકો આંદોલન’ તરીકે જાણીએ છીએ. એ આંદોલનમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ આંદોલનમાં વૃક્ષોને કપાતાં બચાવવાં માટે મહિલા અને પુરુષો વૃક્ષોને વળગી જતાં હતાં, જેથી તેનું નામ ‘ચિપકો આંદોલન’ પડ્યું હતું.

જંગલોની કપાઈ સામે ગામે-ગામ લોકોને જાગૃત કરવા માટે સુંદરલાલ બહુગુણાએ ૧૯૮૧થી ૧૯૮૩ સુધી ૫,૦૦૦ કિલોમીટર લાંબી ટ્રાંસ-હિમાલય પદયાત્રા કરી હતી. હિમાલયમાં એક હજાર મીટરથી વધુના જંગલની કપાઈ સામે તેઓ ૧૯૮૧માં આમરણ અનશન પર બેઠા હતા. આ અંદોલનનું પરિણામ એ આવ્યું કે ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીએ ૧૫ વર્ષ સુધી જંગલોની કપાઈ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

અમેરિકાના પ્રોફેસર જ્યોર્જ જેમ્સને પેલા ઇન્ટરવ્યૂમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું, “અમારી પરંપરામાં દરેક ચીજમાં દિવ્યતા છે. દિવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં, પણ પંખીઓમાં, પશુઓમાં, નદી-ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેકનોલોજી છે. આપણે ડેમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે, અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું : સૌની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિમાં પૂરતું છે, પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 મે 2021

Loading

3 June 2021 admin
← ધ બક સ્ટોપ્સ હીયર: નૈતિક જવાબદારી ક્યા ટેબલ પર આવીને અટકે?
બારમું પત્યું કે તેરમું ચાલુ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved