Opinion Magazine
Number of visits: 9504799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રી શ્રી રવિશંકરનો મોટો ભટકાવ અને ખોટો સરોકાર

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2016

આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે

વિવાદમાં : શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ત્રણ દિવસના વિશ્વ સંસ્કૃિત મહોત્સવ માટે યમુના નદીના પટમાં ચાલી રહેલું કામ. યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં જતાં એણે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.

બીજા કરતાં પોતાને આધુનિક ગણાવતા અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકર (નામની આગળ બે શ્રીનાં વિશેષણ શા માટે મૂકવામાં આવે છે એનો ખુલાસો તેમણે કોઈ જગ્યાએ કર્યો હોય એવું જોવામાં આવ્યું નથી, પરંતુ સંસ્કૃતના જાણકારો કહે છે કે બે શ્રી નોકર માટે વાપરવાની પ્રાચીન યુગમાં પરંપરા હતી. આના કરતાં શ્રી x ૧૦૦૮નું વિશેષણ વધારે સલામત ગણાય) દિલ્હીમાં બીજા ધર્મગુરુઓને ઝાંખા પાડે એવો અત્યાર સુધીનો મોટો ખેલ પાડવાના છે. તેમણે ૧૧ માર્ચથી ત્રણ દિવસ માટે વિશ્વ સંસ્કૃિત મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં વિશ્વભરમાંથી ૩૫ લાખ લોકો હાજર રહેવાના છે અને એની તૈયારીઓ ચાલી રહી છે.

૩૫ લાખ ડેલિગેશનનો આંકડો એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઑફ લિવિંગને ૩૫ વર્ષ થઈ રહ્યાં છે. કુલ ૧૫૫ દેશોમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન શાખા ધરાવે છે અને સત્તાવાર રીતે ફાઉન્ડેશન એવો દાવો કરે છે કે ગુરુજીના વિશ્વભરમાં ૩૭ કરોડ અનુયાયીઓ છે. ૩૭ કરોડ અનુયાયીઓમાંથી માત્ર ૩૫ લાખ અનુયાયીઓ દિલ્હી આવવાના છે. ધર્મને જાહેર દેખાડા સાથે અને મેળાવડા સાથે નાભિનાળ સંબંધ છે અને એ જ મુક્તિમાં બાધક છે એમ ગંગાસતીએ અનુભવ્યું હોવું જોઈએ. એટલે તેમણે પાનબાઈને સલાહ આપી હતી કે અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં. ગંગાસતીના ભજનમાંથી માત્ર આટલી પંક્તિ ટાંકુ છું:

હરિમય જ્યારે આ જગતને જાણ્યું

ત્યારે પ્રપંચથી રહેવું દૂર રે
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં


મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે … અભ્યાસ જાગ્યા પછી …

 

પાનબાઈ કહે છે કે મંડપ અને મેળા અધૂરિયાનાં કામ છે, બાકી જેણે પૂરું ભાળી લીધું છે એ મંડપ અને મેળાવડામાં ભટકતા નથી અને બીજાને ભટકાવતા પણ નથી. ખેર. શ્રી શ્રી રવિશંકર ૩૫ લાખ લોકોને ત્રણ દિવસના મેળાવડા માટે મંડપમાં બોલાવવાના છે.

 

ન્યુઝ એ નથી કે શ્રી શ્રી રવિશંકર અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો યોજવાના છે. ન્યુઝ એ છે કે એના માટે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશને દિલ્હીની યમુના નદીના પાત્રને અને એના કિનારાને ખેદાનમેદાન કરી નાખ્યું છે. યમુનાને મળતાં નાનાં-નાનાં વોકળાઓ અને જળાશયો બૂરી દેવામાં આવ્યાં છે. જ્યાં નદીનાં કુદરતી વળાંકો અને ઊંડાણો આવ્યાં છે એમાં માટી ભરીને લેવલિંગ કરવામાં આવ્યું છે. મહત્ત્વના મહેમાનો મોંઘીદાટ ગાડીઓ સાથે ફ્લાયઓવરથી સીધા સ્ટેજ નજીક પહોંચી શકે એ માટે રૅમ્પ બાંધવામાં આવ્યો છે અને એ માટે વૃક્ષો કાપવામાં આવ્યાં છે. સામાન્ય ભક્તો માટે ૬૫૦ ટૉઇલેટો નદીની બન્ને બાજુ બાંધવામાં આવ્યાં છે અને ભક્તો બન્ને બાજુનાં ટૉઇલેટોનો ઉપયોગ કરી શકે એ માટે પીપાપુલ બાંધવામાં આવી રહ્યા છે. સ્ટેજ અને મંડપ બાંધવા માટે નદીના પશ્ચિમ કિનારે ૫૦થી ૬૦ હેક્ટર જમીનને વૃક્ષો હટાવીને સાફ કરી છે અને માટી પૂરીને સમથળ કરી છે.

 

આ એવા ધર્મગુરુ અને સંસ્થા દ્વારા થઈ રહ્યું છે જે આધ્યાત્મિક વિકાસ ઉપરાંત સમાજ માટે સરોકાર હોવાનો દાવો કરે છે. આર્ટ ઑફ લિવિંગની ઑફિશ્યલ વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે તેઓ ડિઝૅસ્ટર રિલીફ, સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટ વગેરે ઉપરાંત એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેિબલિટી માટે કામ કરે છે. ચિરંતન અને ટકાઉ પર્યાવરણ માટે કામ કરનારાઓ યમુના નદીને લાંબા ગાળાનું અને કદાચ કાયમ માટે નુકસાન પહોંચાડી રહ્યા છે. યાદ રહે કે આવો આક્ષેપ કરનારા ઝોળાવાળા પર્યાવરણવાદીઓ નથી જેમને દરેક જગ્યાએ અનર્થ નજરે પડતો હોય અને આંદોલનો કરવાની આદત પડી ગઈ હોય. આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન યમુના નદીને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવાં જોઈએ એવી માગણી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કરી છે.

 

નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ભારત સરકારે ૨૦૧૦માં કાયદો કરીને કરી હતી. એનું કામ એન્વાયર્નમેન્ટ, ઇકૉલૉજી, જંગલ, નદીઓના રક્ષણનું છે. ગ્રીન ઇન્ડિયાને નુકસાન પહોંચતું હોય એવું કોઈને લાગે ત્યારે ભારતીય નાગરિક ટ્રિબ્યુનલમાં પિટિશન કરી શકે છે અને ટ્રિબ્યુનલ માત્ર આને લગતા જ કેસો સાંભળે છે. આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું હતું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.

 

જી હા, ૧૨૦ કરોડ રૂપિયા. દંડની રકમ જોઈને હવે ખાતરી થઈ ગઈ હશે કે આધ્યાત્મિક ભટકાવ કેવડો મોટો છે અને સરોકાર કેટલો ખોટો છે.

 

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 માર્ચ 2016

 

http://www.gujaratimidday.com/features/columns/sri-sri-ravi-shankars-art-of-living-to-cause-lasting-environmental-damage-say-activists-2

Loading

3 March 2016 admin
← ઇતિહાસમાં છવાઈ જાય યા વિશ્વભરમાં ફેલાઈ જાય
દેશભક્તિના દેકારા પછીની સૂર્યઘટના →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved