Opinion Magazine
Number of visits: 9446890
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દો તો શ્રીલંકામાં જે બન્યું તે બને

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2022

જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી જવા માગે છે અને એવા અહેવાલ છે કે અમેરિકાએ તેને શરણ આપવાની ના પાડી દીધી છે. શ્રી લંકાના પ્રમુખ ગોટાયાબા રાજપક્સે નવમી તારીખે પ્રમુખપદેથી શરતી રાજીનામું આપ્યું હતું. શરત એવી હતી કે તેમનું રાજીનામું ૧૩મી જુલાઈથી અમલમાં આવે એ પહેલાં તેમને અને તેમના પરિવારને દેશ છોડીને જતા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. દાવેદાર દેશપ્રેમીઓની જ્યારે સમય કસોટી કરે છે, ત્યારે તે કેવા નમાલા પુરવાર થાય છે એનાં એક નહીં, સેંકડો ઉદાહરણ ઇતિહાસમાંથી મળી રહે છે. 

સમયનો ખેલ અજીબ છે. સમય જ્યારે કરવટ બદલે ત્યારે શું નથી થતું! ૧૩મી જુલાઈ ૧૯૮૩ની એ વરસાદી સાંજ મને યાદ છે. ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશવા માટે હું ‘જન્મભૂમિ’ના તંત્રી હરીન્દ્ર દવે પાસે ગયો હતો. મેં અરજી કરી હતી અને મને ઈન્ટરવ્યુ કૉલ નહોતો આવ્યો એ વાતનું મને આશ્ચર્ય થયું હતું. મેં હરીન્દ્રભાઈને આ કહ્યું ત્યારે તેમણે ચીફ સબ એડિટર મનુભાઈ ભટ્ટને કહ્યું હતું કે આ ભાઈની અનુવાદક્ષમતા તપાસી જુઓ. મનુભાઈએ મને પહેલો તાર અનુવાદ માટે આપ્યો હતો એ શ્રી લંકા વિશેનો હતો. એ દિવસે શ્રી લંકામાં અલગ થવા માટેનાં તમિલોનાં હિંસક આંદોલનના શ્રીગણેશ થયાં હતાં. શ્રી લંકા વિશેના મારા અનુવાદિત સમાચાર બીજા દિવસે એમને એમ કોઈ પણ પ્રકારના સુધારા વિના છપાયા પણ હતા, પણ મને નોકરી આપવામાં નહોતી આવી એ જુદી વાત છે. આ માણસ પરવડે એવો નથી એવી તંત્રીસાહેબને સલાહ આપવામાં આવી હતી. 

એ પછી થોડા મહિને મને ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશ મળ્યો હતો અને પાછળ વળીને જોઉં છું ત્યારે નજરે પડે છે કે ત્યારથી લઈને અત્યાર સુધી શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે. ચાર દાયકા થવા આવ્યા પણ આ ટચુકડો દેશ વૈશ્વિક મીડિયામાં ઝળકતો જ રહે છે. શ્રી લંકાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો સુધ્ધા જાન લીધો છે. 

શા માટે? શા માટે શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે? શું ત્યાંની પ્રજાની એકબીજા સામે લડવાની ખુમારી કે જીદને કારણે કે પછી સત્તા ખાતર પ્રજાને સતત લડાવતી રાખવાની શાસકોની પ્રવૃત્તિને કારણે? કોઈ પણ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો બલકે સત્તા જાળવી રાખવા તેને ગુંચવવાને કારણે?

આ જે છેલ્લું કારણ કહ્યું છે એ વધારે સાચું છે. કોઈ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો અને જ્યારે તમે કોઈ પ્રશ્નનો નિવેડો ન લાવો તો એ વધારેને વધારે ગુંચવાય. એ પછી તો નિવેડો લાવવો પણ અઘરો પડે. શાસકોની ભરોસાની દુનિયા ક્રમશઃ સંકોચાતી જાય. પહેલાં તમિલો સામે સિંહાલીઓ ઉપર મદાર હતો. એ પછી કેટલાક સિંહાલીઓએ સિંહાલી રાષ્ટ્રવાદથી ધરાઈને સુખાકારી તરફ નજર દોડાવી ત્યારે કોઈ પણ ભોગે તમિલોનું નખોદ કાઢવું જોઈએ એવું માનનારા તામસિક મનોવૃત્તિ ધરાવતા સિંહાલીઓ ઉપર ભરોસો સીમિત થયો. આ સિવાય નાસી જનારા ભરોસામંદ સિંહાલીઓ નાસી ન જાય એ માટે મુસલમાનો સામે નવો મોરચો ખોલવામાં આવ્યો. એ પછી ખ્રિસ્તીઓ અને એ પછી નાનીમોટી વાંશિક અથડામણો. બધા સિંહાલીઓને એકલા તમિલો માટે જ દ્વેષ હતો એવું થોડું જ છે! 

દૂરનું નહીં જોઈ શકનારા કે નહીં જોનારા સત્તાંધ રાજકારણીઓને એક વાત સમજાતી નથી કે સત્તા માટેનું રાજકારણ જ્યારે પ્રજાકીય થવા માંડે ત્યારે અથડામણો નિમ્ન સ્તરે (જમીની સ્તરે) અને નિમ્ન કક્ષાની થવા લાગે છે. છેક ગ્રામીણ સ્તરે લોકો જે તે અસ્મિતાઓનાં રાજકારણનો ઉપયોગ કરીને ‘બીજા’નો છેદ ઉડાડે છે. માત્ર ‘બીજા’ને જ નહીં, ‘પોતાના’ને પણ મોકો જોઇને રસ્તામાંથી દૂર કરવામાં આવે છે, એમ કહીને કે જે ‘પોતાનો’ છે એ હકીકતમાં પોતાનો નથી, પણ ગદ્દાર છે જે ‘બીજા’ને મદદ કરે છે. આવા ગદ્દારોને જીવવાનો અધિકાર નથી. આમાં નર્યો સ્વાર્થ હોય છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક હોય છે અને હિન્દી વાક્યપ્રયોગનો ઉપયોગ કરીએ તો ‘ઉલ્લુ સીધા કરને કી’ પ્રવૃત્તિ હોય છે. અસ્મિતા માટેની નિસ્બત તો એક બહાનું હોય છે. ભારતના વિભાજન વખતે આ વાતનો અનુભવ આપણને થયો હતો. જેમના વિષે કલ્પના ન કરી હોય એવા લોકોએ જાનવર જેવું વર્તન કર્યું હતું. 

માટે સમજદાર રાજપુરુષો પ્રશ્નોનો નિવેડો લાવે છે. એનો રાજકીય ઉપયોગ કરતા નથી ત્યાં તેને ગૂંચવવાની વાત તો દૂર રહી. આવા રાજપુરુષો ઇતિહાસમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. જે અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરે છે એવા રાજકારણીઓ બે પ્રકારના હોય છે. એક એવા જેને આગ સાથે કેટલું રમવું અને ક્યાં અટકવું એનું ભાન હોય છે. તેઓ સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દેતા નથી. તેમને ખબર છે કે આ જોખમી છે. આ વાઘસવારી છે જ્યાંથી ઊતરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે પ્રજા હિસાબ કરવા લાગે ત્યારે અરાજકતા પેદા થાય છે જે દેશને ચાર-પાંચ દાયકા પાછળ ધકેલી દે છે. અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરનારા બીજા પ્રકારના રાજકારણીઓને ક્યાં અટકવું એનું ભાન હોતું નથી. તેઓ કોકડું વધુને વધુ ગૂંચવાવે છે અને પછી ઉકેલી શકતા નથી. આને કારણે ઉપર કહ્યું એમ તેમના ઉપર ભરોસો રાખનારા સમર્થકોનો વર્ગ સંકોચાતો જાય છે. એક પ્રકારનું વિષચક્ર શરૂ થાય છે. સમર્થન ટકાવી રાખવા માટે વધુને વધુ હાડકાં નાખતા રહેવું પડે છે અને એ વધારે અરાજકતા નોતરે છે. પહેલા તમિલો સામે. એ પછી મુસલમાનો સામે. એ પછી ખ્રિસ્તીઓ સામે અને એ પછી વાંશિક પ્રજાઓ સામે. 

અને એક દિવસ એનો પણ અંત આવે છે. સમર્થકોનો છેલ્લો વર્ગ પણ અરાજકતા અને અવ્યવસ્થાથી ગળે આવી જાય છે ત્યારે શ્રી લંકા રચાય છે. આ મારું શ્રી લંકા વિશેનું ચાર દાયકાનું દર્શન છે. યોગાનુયોગ આજે લખ્યા તારીખ ૧૩મી જુલાઈ છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2022

Loading

2 August 2022 Vipool Kalyani
← ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 
મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved