Opinion Magazine
Number of visits: 9447098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તા એક સાધન છે, પણ સાધ્ય બની અનર્થ સર્જે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2021

૨૦૧૪ની સાલમાં જે વ્યક્તિ પોતાની જાતને દેશની દરેક સમસ્યાના ઈલાજ તરીકે પ્રોજેક્ટ કરતી હતી એ વ્યક્તિ અત્યારે ભારતની લગભગ દરેક વકરેલી સમસ્યાનું કારણ છે. નોટબંધી કરીને દેશના નાના માણસના ટૂંકી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ગયા વરસે શું કહીશું જંગલી લોકડાઉન કરીને ઉદ્યોગ જગતનાં મોટી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ચીનના વિસ્તારવાદી નાગાઈ સામે આંખ આડા કાન કરીને ચીનને ભારતમાં પ્રવેશ આપ્યો. ચીન ભારતની ભૂમિ ઉપર કબજો કરીને બેઠું છે એ હકીકત સ્વીકારવામાં સાહેબને શરમ આવે છે. તેમની જગ્યાએ ઇન્દિરા ગાંધી હોત તો રોકકળ કરીને ભારતની તરફેણમાં જગતને જગાડ્યું હોત. ભારતના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો તળિયે ગયા છે. અને હવે તાળી-થાળીના ખેલ કરીને પ્રજાને મોતના મોંમાં ધકેલી દીધી છે.

આવું શા માટે થયું? તેમનો દુશ્મન પણ એમ નહીં કહે કે આવા કોઈ બદઈરાદા સાથે તેઓ વડા પ્રધાન થયા હતા. જરૂર, તેમના મનોરથ જવાહરલાલ નેહરુથી એક ડગલું ચડે એવા મહાન શાસક થવાના હશે. પણ થયું એનાથી ઊલટું. શા માટે? આનો ઉત્તર બહુ આસાન છે.

આ રેખાંકન "ગુજરાતમિત્ર"ના સૌજન્યથી અહીં સાદર

મહાન શાસકો સત્તાના રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવે છે. સત્તા (કે વગ) સુધી પહોંચવું, પ્રતિસ્પર્ધીની સત્તા છીનવી લેવી, પ્રતિસ્પર્ધી રોજ માટે નહીં તો બને એટલો લાંબો સમય સત્તામાં પાછા ન ફરે તેની તજવીજ કરવી, પોતાની જગ્યા પકડી રાખવી એ રાજકારણ છે. આવું રાજકારણ દરેક વ્યક્તિ કરે છે. વેપાર-ધંધામાં અને સામાજિક વ્યવહારમાં પણ લોકો પોતાની જગ્યા બનાવવા, વિસ્તારવા અને પકડી રાખવા પ્રયાસ કરતા હોય છે. આઝાદી પહેલાં આઝાદી માટેની લડત વખતે પણ કૉન્ગ્રેસના અને બીજા નેતાઓ વગનું રાજકારણ કરતા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ પણ એકબીજાની સામે સત્તાનું અને વગનું રાજકારણ કરતા હતા. આમાં કાંઈ જ ખોટું નથી. જે માણસ પોતાની મૂલ્યવાન જિંદગીનું જે ક્ષેત્રમાં રોકાણ કરે છે ત્યાં બને એટલી ઊંચાઈ ઉપર સફળતા સાથે લાંબો સમય ટકી રહેવા પ્રયત્ન કરતો જ હોય છે. આમાં હમણાં કહ્યું એમ કાંઈ જ ખોટું નથી.

ખોટું ત્યારે બને છે જ્યારે માણસ ચોવીસે કલાક માત્ર અને માત્ર રાજકારણ કરતો હોય. રાતદિવસ પોતાની જગ્યા બનાવવા, પકડી રાખવા, બીજાની જગ્યા છીનવી લેવા, બીજાને દબાવી રાખવા પ્રયત્ન કરતો હોય. પોતાને સારા શાસક સિદ્ધ કરવા માટે સત્તા એક સાધન છે, પણ કેટલાક લોકો માટે એ જ સાધ્ય બની જાય છે અને અનર્થનું કારણ બને છે. આવો માણસ પોતાને મોટો દેખાડવા માટે લાજશરમ છોડીને પ્રયત્નો કરે છે અને પ્રતિસ્પર્ધીને ખતમ કરવા માટે માણસાઈની મર્યાદા ઓળંગવા લાગે છે. આવો માણસ સારો શાસક બની શકતો નથી, કારણ કે પ્રજાકીય હિતનું શાસન તેના એજન્ડામાં જ હોતું નથી. એ શાસનનો ઉપયોગ પણ પોતાની જગ્યા બનાવવા અને બીજાની છીનવી લેવા માટે કરતો હોય છે જેમ નોટબંધીની બાબતે બન્યું હતું.

courtesy : "The Deccan Chronicle", 15 May 2021

એક ઉદાહરણ ઇતિહાસમાંથી તપાસીએ તો કેમ? મુઘલ સમ્રાટ અકબરને મહાન શાસક તરીકે ઓળખાવવામાં આવે છે જ્યારે ઔરંગઝેબને અધમ શાસક તરીકે. આનું કારણ એ છે કે અકબરે રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવ્યું હતું. જરૂર પડે તો લડાઈ કરીને બીજાની જગ્યા છીનવે પણ પોતાનો મોટા ભાગનો સમય તે શાસનને આપતો હતો. તેને એટલું ભાન હતું કે પ્રદેશો જીતીને જમીન એકઠી કરવાથી મહાન શાસક નથી થવાતું. મહાન શાસક પ્રજાના કલ્યાણ દ્વારા થઈ શકાય છે. બીજાની જમીન છીનવી લેવી અને પકડી રાખવી એ સૈનિકનું કામ છે, શાસકનું નથી. અકબરથી ઊલટું ઔરંગઝેબે શાસન તરીકેની જિંદગીનાં થોડાંઘણાં નહીં, ૨૬ વરસ પોતાની જમીન પકડી રાખવા અને બીજાની જમીન છીનવી લેવા દિલ્હીની બહાર વિતાવ્યા હતા. ઔરંગઝેબ શાસક મટીને સૈનિક બની ગયો હતો. આનું પરિણામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ઔરંગઝેબ એક નબળા અને અધમ શાસક તરીકે કુખ્યાત છે અને વખત જતાં મુઘલ સલ્તનત પડી ભાંગી. અત્યારે દેશમાં આવું જ થઈ રહ્યું છે નહીં? રાજ્યોને પડાવી લો અને જીતી લો.

તો વાતનો સાર એ કે સારા શાસકો શાસન અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવતા હોય છે. જો જવાહરલાલ નેહરુએ અને સરદાર વલ્લભભાઇ પટેલે ચોવીસે કલાક એકબીજાને પછાડવાનું રાજકારણ કર્યું હોત તો તેઓ અમર ન થયા હોત. અમર થવા માટે થોભતા આવડવું જોઈએ. બીજાની જગ્યાનો આદર કરતાં આવડવું જોઈએ. બીજાની આવડતનો સ્વીકાર કરતા આવડવું જોઈએ. જતું કરતા આવડવું જોઈએ. નેહરુની સફળતામાં સરદારનો હાથ હતો અને સરદારની સફળતામાં નેહરુનો હાથ હતો. આ વિવેકનો પ્રદેશ છે, સત્તાકીય ભૂખના અકરાંતિયાપણાનો પ્રદેશ નથી.

નરેન્દ્ર મોદીની નિષ્ફળતાનું કારણ સત્તા અને શાસન વચ્ચેના સંતુલનનો અભાવ છે. તેઓ તેમની પૂરી તાકાત પોતાને સ્થાપવામાં અને બીજાને ઉથાપવામાં ખર્ચે છે. તેમનો પૂરો સમય વિરોધ પક્ષોને તોડવામાં, તેના વિધાનસભ્યો ખરીદવામાં, રાજ્ય સરકારોને તોડવામાં, ચૂંટણીઓ જીતવામાં, લોકતાંત્રિક સંસ્થાઓને તોડવામાં, ભિન્ન મતને દબાવવામાં ખર્ચાય છે. પોતાના સિવાય બીજા કોઈ પાસે રાજકીય જગ્યા જ ન બચવી જોઈએ. પોતાના પક્ષના લોકો પાસે પણ નહીં. સત્તા સત્તા અને માત્ર સત્તા અને એ પણ તેમની એકલાની સત્તા.

નક્કર વાસ્તવિકતા સ્વીકારવામાં તેઓ નાનપ અનુભવે છે. નાનપ નહીં ભોંઠપ અનુભવે છે. કોઈની સલાહ લેવામાં અને કોઈ સલાહ આપે તો તેનો સ્વીકાર કરવામાં પણ તેઓ નાનપ અનુભવે છે. પોતાનાથી વધુ શક્તિશાળીથી તેઓ દૂર ભાગે છે અથવા તેને દૂર રાખે છે. આવાં લક્ષણો જોઇને જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. જો શાસન તેમની પ્રાથમિકતા હોત તો આમ ન કરત. શાસન કરવા માટે વાસ્તવિકતા સ્વીકારવી પડે. પરિસ્થિતિનું નીરક્ષીર આકલન કરવું પડે. આકલન કરી શકનારાઓને સાથે રાખવા પડે. તેમને સાંભળવા પડે. જીદ છોડવી પડે. બે ડગલાં પાછળ ખસવું પડે. પ્રજાને સાંભળવી પડે. ટીકા કે આલોચનાના જવાબ આપવા પડે. ખુલાસાઓ કરવા પડે. વખત આવ્યે ભૂલ પણ સ્વીકારવી પડે. આખા જગતના કોઈ પણ યુગના સારા શાસકોનાં આ લક્ષણો છે જે આપણા સાહેબ ધરાવતા નથી.

કારણ? કારણ કે તેમને શાસનમાં રસ નથી સત્તામાં રસ છે અને તે પણ તેમની એકલાની.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 મે 2021

Loading

16 May 2021 admin
← દલા તરવાડીની વાડી
ભાગવતનું ભેંશ આગળ ભાગવત … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved