Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 September 2018

સમાનતાવાદી સમાજ માટે મથનારાં કર્મશીલો અને જૂથો સામે સરકારે યુ.એ.પી.એ. કાયદાનો ફરી એક વાર  દુરુપયોગ કર્યો છે ત્યારે ડૉ. વિનાયક સેન અને કબીર કલા મંચને યાદ કરવા જેવા છે

ગઈકાલે સર્વોચ્ચ અદાલતે, મહારાષ્ટ્ર પોલીસે જેમની ધરપકડ કરી હતી એવાં, પાંચ કર્મશીલોની હાઉસ ઍરેસ્ટની મુદ્દત બુધવાર સુધી લંબાવી અને આ ધરપકડો બાબતે પોલીસે 31 ઑગસ્ટે યોજેલી પ્રેસ કૉન્ફરન્સ અંગે પોલીસની ઝાટકણી પણ કાઢી. અદાલતે હાઉસ ઍરેસ્ટના આપેલા આદેશના બીજા જ દિવસે પોલીસે કૉન્ફરન્સ યોજીને ધરપકડોને ટેકો આપતા કથિત પુરાવા માધ્યમોમાં મૂક્યા હતા. ન્યાયમૂર્તિએ કહ્યું: ‘આ મૅટર અમારી સામે હોય ત્યારે અમારે પોલીસ પાસેથી સુપ્રિમ કોર્ટ ખોટી છે, આવું સાંભળવાનું ન હોય.’ આ પૂર્વે 6 સપ્ટેમ્બરે મુંબઈની વડી અદાલતે પણ પોલીસને આ રીતે પત્રકાર પરિષદ યોજીને કેસને લગતી માહિતી બહાર પાડવા માટે ઠપકો આપ્યો હતો.

સરકારે અઠ્ઠ્યાવીસ ઑગસ્ટે દેશના જુદાં જુદાં શહેરોમાંથી પાંચ કર્મશીલોની ધરપકડો કરાવી હતી. તેમની પર પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથે જોડાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પોલીસે બે કર્મશીલોનાં ઘરો પર છાપા પણ માર્યા હતા. પોલીસે આ કારવાઈ યુ.એ.પી.એ. એટલે કે ‘અનલૉફુલ ઍક્ટિવિટિઝ(પ્રિવેન્શન)ઍક્ટ’ હેઠળ કરી છે. ‘દેશની એકતા અને સાર્વભૌમતાનું રક્ષણ’ કરવાના હેતુથી 1967માં ઘડવામાં આવેલો આ કાયદો  પોલીસને ‘આતંકવાદી કામ કે ગેરકાનૂની પ્રવૃત્તિને ટેકો આપવાના’ શક પરથી કોઈ વ્યક્તિ પર છાપો  મારવાની અને વૉરન્ટ વિના તેની ધરપકડ કરવાની સત્તા આપે છે. આરોપી જામીન માટે અરજી કરી શકતા નથી. આ કાયદાનો સહુથી વાંધાજનક હિસ્સો એ છે કે તે સરકાર જેને ‘ગેરકાયદેસર મંડળો, આતંકવાદી ટોળકીઓ અને સંગઠનો’ ગણે છે તેનાં સભ્યોની ધરપકડ કરવાની સત્તા પોલીસને આપે છે.

આ કાનૂન હેઠળ મહારાષ્ટ્ર પોલીસે કરેલી તાજેતરની ધરપકડોનો દેશભરમાં વ્યાપક વિરોધ થયો. પાંચ ખૂબ સન્માનિત ઍકેડેમિક્સે આરોપીઓ વતી કરેલી જામીન અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે 29 ઑગસ્ટે પાંચેય આરોપીઓને જેલમાં નહીં પણ તેમનાં ઘરમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો. વળી, સહુથી મહત્ત્વની વાત એ કે અદાલતે સરકારને કહ્યું કે ‘વિરોધ એ લોકશાહી માટેનો સેફટી વાલ્વ છે. જો વિરોધને જગ્યા નહીં આપવામાં આવે તો પ્રેશર કૂકર ફાટી જશે.’ પછીના દિવસે પોલીસે પત્રકાર પરિષદમાં, ધરપકડો માટેના પુરાવા તરીકે કહ્યું કે  આરોપીઓનાં ઘરોમાંથી મળેલી હાર્ડ ડિસ્ક્સમાં એવા ‘હજારો પત્રો’ છે કે જેમાં પ્રતિબંધિત સંગઠન કમ્યુિનસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માઓઇસ્ટ(સી.પી.આઈ.-એમ.) માટે આઠ કરોડ રૂપિયાના ગ્રૅનેડ લૉન્ચર્સ તેમ જ ઍમ્યુિનશન ખરીદીને લગતી અને ‘રાજીવ ગાંધીની હત્યા પ્રકારનાં’ કાવતરા વિશેની માહિતી છે. જો કે આરોપીઓએ પ્રતિવાદ કર્યો છે કે પોલીસ પત્રકારોને સબ જ્યુડિસ કેસની સંવેદનશીલ વિગતો આપીને મીડિયા ટ્રાયલ ચલાવી રહી છે. આ પહેલાં 5 જૂને પણ ભા.જ.પ. શાસિત મહારાષ્ટ્રની પોલીસે પાંચ કર્મશીલોની આ રીતે જ ધરપકડ કરી હતી. પોલીસે કર્મશીલોનાં કાવતરાની શોધ કરી છે. તો બીજી બાજુ આ બધાંએ વર્ષોથી કરેલાં કામની વિગતો માધ્યમોમાં મળે છે. તેઓ સરકાર અને કૉર્પોરેટનાં ગઠબંધનથી આદિવાસીઓનાં જળ-જંગલ-જમીન, અને કોમવાદી સરકારમાં દલિતોના નાગરિક અધિકારો ન છિનવાઈ જાય તે માટે લોકસંગઠન અને કાનૂની રાહે કપરી લડતો ચલાવી રહ્યાં છે. તેમાંથી મોટા ભાગનાં એવાં છે કે જેમણે, ઉજળી શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાય કૌશલથી મળી શકે તેવી, એષ-આરામની જિંદગી છોડીને, ઊંડી સામાજિક નિસબત સાથે જાહેર સંઘર્ષ અને નવરચનાનાં કાર્યોમાં ઝંપલાવ્યું છે.

આવા કર્મશીલોની, લોકશાહી પર કલંકરૂપ ધરપકડ, અને અદાલતો દ્વારા તેમની મુક્તિના કેટલાક કિસ્સાઓમાંથી દુનિયાભરમાં જાણીતો કિસ્સો છત્તીસગઢના ડૉક્ટર વિનાયક સેનનો છે. નક્ષલવાદગ્રસ્ત અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી તબીબી સેવા કરનારા સેન નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનનાં કાર્યકર્તા પણ હતા. તેની રુએ તેમણે, ભા.જ.પ.ની રાજ્ય સરકારે નક્ષલવાદને ખાળવા માટે સ્થાનિક લોકોને શસ્ત્રો આપીને બનાવેલાં સાલવા જુડુમ નામનાં લડાયક દળની સામે મોરચો માંડ્યો. સેનની સહાયથી સંગઠને કરેલી તપાસમાં સાલવા જુડુમે આચરેલા ભયંકર હિંસાચારના સંખ્યાબંધ બનાવો બહાર આવ્યા. સર્વોચ્ચ અદાલતે સાલવા જુડુમને ગેરકાનૂની ગણીને વિખેરી નાખવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો. એ જ અરસામાં સરકારે સાઠ વર્ષના સેનની પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથેનાં જોડાણ તેમ જ રાજદ્રોહના આરોપો હેઠળ ધરપકડ કરી અને છત્તીસગઢની વડી અદાલતે તેમને જનમટીપની સજા ફટકારી. ડોક્ટર સેન એક માઓવાદી કેદીને રાયપુર જેલમાં મળવા જતા હતા એ હકીકત સરકાર માટે નિમિત્ત બની. અર્થાત્‌ સેનની આ મુલાકાતો પોલીસના મંજૂરી જાપ્તા હેઠળ થતી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ એચ.એસ. બેદી અને સી.કે. પ્રસાદે 15 એપ્રિલ 2011ના રોજ સેનને જામીન આપતાં કહ્યું : ‘આપણે લોકશાહી દેશમાં છીએ. ડો. સેન નક્ષલવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવતા હોઈ શકે પણ એનાથી તે રાજદ્રોહના ગુનેગાર બનતા નથી. શું કોઈને ત્યાંથી મહાત્મા ગાંધીની આત્મકથા મળે તેનાથી એ ગાંધીવાદી ઓછા બની જાય છે?’

યુ.એ.પી.એ. કાનૂન હેઠળ કૉન્ગ્રેસના શાસનકાળમાં ધરપકડ થયેલા પુનાના કબીર કલા મંચના ચાર કલાકારોને પણ મહારાષ્ટ્રની વડી અદાલતે 5 ફેબ્રુઆરી 2013 ના રોજ જામીન આપ્યા હતા. આ મંચ સરકારની લોકવિરોધી નીતિઓ, ભેદભાવ, અન્યાય અને શોષણનો વિરોધ કરતાં મરાઠી ગીતોના જાહેર કાર્યક્રમ કરતો રહ્યો છે. હચમચાવી દે તેવા શબ્દો અને રજૂઆતમાં ક્રાન્તિનો સંદેશ હોય  છે. જામીન આપતાં ન્યાયમૂર્તિ  અભય ઠિપસેએ કહ્યું : ‘માત્ર ક્રાન્તિ જ સામાજિક માળખામાં બદલાવ લાવી શકે છે એ મતલબનાં મંતવ્યની અભિવ્યક્તિ અપરાધ ગણાય નહીં.’ ન્યાયમૂર્તિએ એ વાત માટે પણ ‘આશ્ચર્ય’ વ્યક્ત કર્યું કે ‘ભ્રષ્ટાચાર નાબૂદી, સામાજિક અસમાનતા, શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ, ગરીબોનું શોષણ જેવા વિષયોની વાત કરવા માટે’ મંચના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ‘આવા વિષયો અંગે રજૂઆત કરવામાં કશું ખોટું નથી’, એમ પણ તેમણે જણાવ્યું. ન્યાયાધીશે ચૂકાદામાં આ મતલબનું નોંધ્યું છે : ‘ કબીર કલા મંચ જે પ્રકારના મંતવ્યો વ્યક્ત કરે છે તેવા વિચારો અનેક રાષ્ટ્રીય અને અગ્રણી નેતાઓ વ્યક્ત કરે છે. આવા મંતવ્યોની અભિવ્યક્તિને કારણે કોઈ વ્યક્તિ પર સી.પી.આઈ.(એમ.)ના સભ્ય હોવાનો થપ્પો મારી શકાય નહીં. ઊલટું, આવું રિઝનિંગ એ બતાવે છે કે સાચા અને યોગ્ય મુદ્દાની વાત સી.પી.આઈ.(એમ.) સિવાય કોઈ કરતું નથી. એનો અર્થ એ થયો કે બીજાં પક્ષો અને સામાજિક સંગઠનોને સમાજની આ સમસ્યાઓની કોઈ પરવા નથી. કાર્લ માર્ક્સની શીખામણોમાં શ્રદ્ધા હોવી કે માઓવાદી તત્ત્વજ્ઞાનમાં કેટલોક વિશ્વાસ હોવો એ ગુનાઇત બાબત નથી. પ્રતિબંધિત રાજકીય પક્ષનું સાહિત્ય રાખવું એ પણ અપરાધ નથી.’ વધુમાં આઇ.પી.સી. અને યુ.એ.પી.એ.ની જુદી જુદી કલમોનો ફોડ પાડીને તેમણે કહ્યું : ‘પ્રતિબંધિત સંગઠનનું માત્ર સભ્યપદ કોઈ વ્યક્તિને ગુનેગાર બનાવતું નથી, સિવાય કે એ હિંસા આચરે કે લોકોને હિંસા આચરવા માટે ઉશ્કેરે.’

આ જ શબ્દો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ માર્કન્ડેય કાટ્જુ અને જ્ઞાન સુધાએ 4 ફેબ્રુઆરી  2011ના રોજ નોંધ્યા હતા. એ ચૂકાદો તેમણે, કૉન્ગ્રેસ સરકારના કાળમાં, ગૌહાતીની ‘ટાડા’ (હવે નાબૂદ થયેલ ‘ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ ઍક્ટ’) કોર્ટે પ્રતિબંધિત ‘ઉલ્ફા’ નામના વિઘટનવાદી સંગઠનના સભ્યપદ માટે ગુનેગાર ઠારાવાયેલા કર્મશીલ અરુપ ભૂયાનની તરફેણમાં આપ્યો હતો. કૉંગ્રેસના કાર્યકાળમાં, કેરળની વડી અદાલતે માઓવાદી હોવાના આરોપ હેઠળ ગિરફ્તાર કરેલા વાયનાડના વિદ્યાર્થીને 22 મે 2015 ના રોજ નિર્દોષ જાહેર કરતાં ચૂકાદામાં નોંધ્યું હતું :‘માઓવાદીની રાજકીય વિચારધારા આપણી બંધારણીય રાજ્યવ્યવસ્થા સાથે બંધબેસતી આવતી નથી, છતાં ય માઓવાદી હોવું એ ગુનો નથી.’ અદાલતે એમ પણ કહ્યું કે ‘આકાંક્ષા હોવી એ લોકોનો પાયાનો માનવ અધિકાર છે.’ એણે રાજ્યની ટીકા કરતાં કહ્યું કે આ ધરપકડમાં ‘કાયદાનું ગણવેશધારી પતન જોવા મળે છે કે જેમાં રક્ષક ભક્ષક બન્યા છે’  અત્યારે પણ આ જ બની રહ્યું છે.

*********

07 સપ્ટેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 સપ્ટેમ્બર 2018 માટે 

Loading

7 September 2018 admin
← એક જિંદગી કાફી નહીં; અલવિદા, કુલદીપ નૈયર
ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે ત્યારે વડા પ્રધાન ચુપ કેમ છે? અરુણ જેટલી નાણા ખાતાના પ્રધાન નથી, નાણા ખાતાના વકીલ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved