Opinion Magazine
Number of visits: 9484476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારની કામ કરવાની રીત : થોડી હકીકત, જ્યાદા ફસાના

રમેશ ઓઝા|Opinion - Opinion|10 June 2021

ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો) કોરોનાપ્રતિકારક રસી તરફ નજર દોડાવી હતી. જો એમાં સફળતા મળી હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. દેશમાં અને વિદેશમાં તેમનો જયજયકાર થયો હોત. જગતની વસ્તીના દર પાંચમાં માણસને એક વરસમાં રસી આપી દેવી એ કોઈ જેવીતેવી સિદ્ધિ ન ગણાત. તેમના દુશ્મનોએ પણ એની કબૂલાત કરવી પડત. આ ઉપરાંત ભારતના પાડોશી દેશોને અને જગતના ગરીબ પછાત દેશોને પણ મદદ કરવાના મનોરથ હતા કે જેથી ભારતની અને વડા પ્રધાનની પ્રતિષ્ઠા વધત. અંગ્રેજીમાં કહીએ તો એ માસ્ટર સ્ટ્રોક હતો.

પાછો આ એક એવો મનોરથ હતો જે સાકાર કરવો મુશ્કેલ નહોતો. આગલી સરકારોની મહેરબાનીથી ભારત વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાનસંસ્થાઓની બાબતે નસીબદાર છે. ગાય-ગોબર અને ગોમૂત્રની આરાધના કરવામાં તેમણે આયખું નહોતું વિતાવ્યું. વિજ્ઞાન અને સંશોધનની બાબતે ભારત અને ભારતીયો આગળ છે એ વાતની જગત કદર કરે છે અને વિદેશમાં ભારતીય ‘બ્રેઈની’ તરીકે ઓળખાય છે. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારત સરકારે બે જ કામ કરવાનાં હતાં. ભારતની બે આરોગ્ય-સંશોધન સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ભારતમાં જે જે ખાનગી કે સરકારી કંપની/સંસ્થા રસીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપવાની હતી. એ જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને હમણાં કહી એવી સંસ્થાઓને આપી દેવાની હતી. આ ઉપરાંત ફાયઝર, જહોન્સન એન્ડ જહોન્સન જેવી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમ જ વિદેશી સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને વહેંચી આપવાની હતી. ઝાઝા હાથ રળિયામણા.

બીજો ઉપાય એ હતો કે ભારત સરકાર ગયા વરસે જ ૫૦ કરોડ રસીનો ઓર્ડર (સબ્જેક્ટ ટુ એપ્રુવલ એટલે કે રસી ક્લિનીકલ ટ્રાયલમાં પાસ થાય અને જે તે દેશની માન્યતા આપનારી ડ્રગ્સ કન્ટ્રોલર સંસ્થા માન્યતા આપે તો જ) જે તે સંસ્થા/કંપનીઓને આપી શકી હોત. અમેરિકા અને પશ્ચિમ યુરોપના અને બીજા વિશ્વના અનેક દેશોએ આ રીતે પોતપોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપી દીધા હતા.

આમ બધું બહુ જ સહેલું હતું. અમર થવું જરા ય મુશ્કેલ નહોતું. તમે જગતમાં એવો કોઈ દેશ જોયો જે રસી માટે વલખાં મારતો હોય અને પોતાના વિદેશ પ્રધાનને રસી માટે યાચના કરવા અમેરિકા મોકલવો પડ્યો હોય? ગરીબ દેશ પણ નહીં જડે. કારણ કે દરેકે પોતાની ઔકાદ મુજબ રસીની વ્યવસ્થા કરી લીધી હતી. કોઈકે વિકસાવી, કોઈકે લાયસન્સ ખરીદીને ઉત્પાદનમાં ભાગીદારીની વ્યવસ્થા કરી, કોઈકે ખરીદી અને કોઈકે આંતરરાષ્ટ્રીય વૈદકીય સમજૂતીની જોગવાઈનો ઉપયોગ કરીને સહાય તરીકે મફતમાં મેળવી. માત્ર ભારત જ આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું અને ચીન સામે નાક બચાવવા જતાં ઘર આંગણે અને જગતમાં નાક કપાવ્યું. આવું કેમ બન્યું? દેખીતી રીતે લાભનો સોદો નુકસાનમાં કેમ ફેરવાઈ ગયો?

કારણ કે આ એક તાળી-થાળી જેવો ખેલ હતો. એવું એક મનભાવન વિશ્વ (નેરેટિવ) રચવાનું જેમાં રાજ કપૂરના ‘જોકર’ ફિલ્મના ગીતમાં કહ્યું છે એમ થોડી હકીકત, જ્યાદા ફસાના હોય. લોકોને એમ લાગવું જોઈએ કે કાંઈક અનોખું અને અપૂર્વ બની રહ્યું છે. એ બનશે ત્યારે ભારત સામે કોઈ આંખ પરોવીને વાત કરવાની હિંમત નહીં કરી શકે. ‘કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે.’ ‘ભારત વિશ્વને કરોનામુક્ત કરવામાં પહેલી હરોળનો દેશ છે.’ ‘ભારત વર્લ્ડ ફાર્મસી છે.’ આવાં નિવેદનો કરવા માટે ખરેખર ૫૬ ઇંચની છાતી જોઈએ અને આપણા વડા પ્રધાન એવી છાતી ધરાવે છે. બીજું, મોટી સંખ્યામાં કઢીચટાઓ ઘાસના એક તણખલાને લીલા ઘાસના પૂળા તરીકે રજૂ કરતા હોય ત્યારે ઘેટાંની ચિંતા શા માટે કરવાની! એ ક્યાં નાસી જવાના છે. જે તૈયારી હતી એ ખેલ માટેની હતી, બોલ્યું પાળવા માટેની નહોતી. નોટબંધી પણ આવો જ એક ખેલ હતો. અધકચરો જી.એસ.ટી. પણ આવો જ એક ખેલ હતો. પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી પણ આવો જ એક ખેલ હતો. કાચા-અધૂરા પાયા ઉપર મનભાવન મહેલ બાંધવાનો અને મહેલ બંધાઈ ચુક્યો છે એવી જાહેરાત કરીને ઉત્સવો કરવાના. આગળનું કામ કઢીચટાઓ સંભાળી લેશે.

એક બીજો પણ વહેમ આવે છે. શા માટે ભારત સરકારે વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનો ઈજારો ભારત બાયોટેક નામની એક જ કંપનીને આપવામાં આવ્યો? પાછી આ કંપની બહોળા ઉત્પાદનની ક્ષમતા પણ નથી ધરાવતી! શા માટે બીજા રસી ઉત્પાદકોને ભારતમાં પ્રવેશ આપવામાં ન આવ્યો? શા માટે એક માત્ર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર મદાર રાખવામાં આવ્યો? કોઈ ડાહ્યા માણસને હાથમાં કેલ્ક્યુલેટર આપીને બાજુમાં બેસાડ્યો હોત તો એણે ગણતરી માંડીને કહ્યું હોત કે ભારતને રસીના કેટલા અબજ ડોઝની જરૂર પડશે અને કઈ કંપનીની ઉત્પાદનની કેટલી તાકાત છે. શા માટે દેશે વિકસાવેલી રસીની ફોર્મ્યુલા એક ખાનગી કંપનીને આપવામાં આવી અને એ પણ ઈજારાશાહી સાથે. જરૂર વહેમ આવે એવી વાત છે.

પ્રચંડ આત્મવિશ્વાસ સાથે નવનિર્માણનો લલકાર કરવાનો પણ તૈયારી બિલકુલ નહીં કરવાની એનું આ પરિણામ છે. નોટબંધી વખતે પણ આવું જ થયું હતું. નોટબંધી વખતે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી થઈ ગયું અને એમાં ખાનગી બેંકો અગ્રેસર હતી. તમને ખબર છે? ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે નોટબંધીને કારણે ભારતનું અર્થતંત્ર ખાડે જશે એમ કહ્યું ત્યારે સરકારે અને તેના કઢીચટાઓએ તેમને જવાબ તો નહોતો આપ્યો, ગાળો આપી હતી. આ વખતે ડૉ. મનમોહન સિંહે જ્યારે સરકારને સલાહ આપી કે ભારતની વસ્તીનું પ્રમાણ જોતા માત્ર બે કંપની રસી આપવામાં પહોંચી નહીં વળી શકે અને રસી બનાવનારા એકથી વધુ સંસ્થા / કંપનીઓને પ્રવેશ આપવો જોઈએ ત્યારે ભારતના આરોગ્ય પ્રધાને બદતમીઝીપૂર્વક ડૉ. મનમોહન સિંહને જવાબ આપ્યો હતો. આજે હવે સરકારે એ જ કરવું પડે છે જે ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પણ આકરી ટીકા કરી છે.

તો વાતનો સાર એ છે કે કામ ભલે નાનું કરીએ, પણ નક્કર કરવું જોઈએ. સાત વરસમાં આઠ વખત રડવાનું બન્યું એનું કારણ કાચા પાયા ઉપર અધૂરા મહેલની રચના છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 જૂન 2021

Loading

10 June 2021 admin
← આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ …
માસ પ્રમોશનને મામલે સરકારે અનિશ્ચિત અને અપ્રમાણિક સિદ્ધ થવાનું કૈં કામ છે? →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved