Opinion Magazine
Number of visits: 9447404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સઈદ અખ્તર મિર્ઝાને ગુસ્સો કેમ આવે છે?

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|18 October 2018

ગત રવિવારે એટલે કે તારીખ 10 ઓક્ટોબર, 2018ના રોજ શહેરની જાણીતી ‘દર્પણ એકેડમી’ ખાતે ડી ટોક (દર્પણ ટોક) હેઠળ દેશના જાણીતા લેખક અને ફિલ્મ દિગ્દર્શક સઈદ અખ્તર મિર્ઝા સાથેની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા હેઠળ મલ્લિકાબહેન સારાભાઈની સાથે સઈદ અખ્તર મિર્ઝાએ દેશના વિવિધ પ્રશ્નોથી લઈને તેમના હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક Memory in the Age of Amnesia: A personal history of our Timesની ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોની વચ્ચે દર્પણ એકેડમીમાં ફોરમ થિયેટર(ફોરમ થિયેટર કે જેમાં નાટ્ય કલાકારો પ્રેક્ષકોની વચ્ચે જઈને નાટકના જે-તે વિષયને પરફોર્મ કરે છે)નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તે ફોરમ થિયેટરના ભાગરૂપે તેના કલાકારોએ પ્રેક્ષકોની વચ્ચે જઈને દેશની ગરીબી, સ્ત્રીઓ સાથે થતા અન્યાય, વધી રહેલી ગુંડાગીરી, મજૂરોના વેતન અને બેરોજગારીના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ સાથે જ સઈદ અખ્તર મિર્ઝાનો પ્રવેશ થતા જ સૌ પ્રથમ તેમની વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન'ના કેટલાક અંશો પડદા પર દેખાડવામાં આવ્યા હતા અને સઈદ મિર્ઝા સાહબની ફિલ્મ નસીમનો કૈફી આઝમીનો જાણીતો સંવાદ પણ રજૂ કરાયો હતો. આ પ્રોગ્રામની શરૂઆત સઈદ અખ્તર મિર્ઝાએ વિશ્વના જાણીતા સાહિત્યકાર મિલાન કુંદેરાનો જાણીતો ક્વોટ કોઈ પણ માણસનો પાવર સામેનો સંઘર્ષ એ ભૂલવાની સામે યાદશક્તિના સંઘર્ષ જેવો છે ટાંકીને કરી હતી. આ ચર્ચામાં સઈદ અખ્તર મિર્ઝાએ જો કોઈ વ્યક્તિ લેખક બનવા માંગતુ હોય તો તેને સલાહ આપવાના ભાગરૂપે કહ્યું હતું કે લેખક બનવા માટે પ્રથમ તો વાંચો અને પછી જે કંઈ પણ મનમાં આવે તે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વિના લખી નાખો, જેટલું વધુ લખશો તેટલા વધુ સારા લેખક બનશો.

સઈદ અખ્તર મિર્ઝા દેશના જાણીતા લેખક અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. દેશમાં જ્યારે સિનેમાનાં માધ્યમમાં સમાંતર એટલે કે ન્યૂ વેવ સિનેમાનો વાયરો ફૂંકાયો હતો ત્યારે તેમણે ઘણી અર્થપૂર્ણ ફિલ્મ્સની રચના કરી હતી. તેઓ સલીમ લંગડે પે મત રો, અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન, મોહન જોષી હાઝિર હો, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા કયોં આતા હે અને નસીમ જેવી સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ફિલ્મ્સ અને દૂરદર્શન પર આવતી ક્લાસિક ટેલિવિઝન સિરિયલ નુક્કડ બનાવી ચૂક્યા છે. આ સિવાય સઈદ અખ્તર મિર્ઝા નોવેલ, નિબંધો અને પોતાના ઇતિહાસની વાત રજૂ કરતાં પુસ્તકો પણ લખી ચૂક્યા છે.

હવે સઈદ મિર્ઝાએ ફિલ્મ્સ બનાવવાનું છોડી દીધુ છે અને તેમના પ્રખર સુધારણાવાદી અને વિક્ષેપકારક વિચારોને પુસ્તકનાં માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. સઈદ અખ્તર મિર્ઝાનો જન્મ તારીખ 30 જૂન 1943ના રોજ મુંબઈમાં થયો અને તેઓ બોલિવૂડના જાણીતા ફિલ્મ લેખક અખ્તર મિર્ઝાના પુત્ર છે. સઈદ મિર્ઝાએ તેમની કારકિર્દીની શરૂઆતના થોડાં વર્ષો એડવર્ટાઈઝિંગના ક્ષેત્રે કાર્ય કર્યું અને ત્યાર બાદ ફિલ્મમેકર બનવા માટે દેશની જાણીતી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂના તરફ પ્રયાણ કર્યું. તેઓ વર્ષ 2011થી 2014 દરમિયાન આ ઇન્સ્ટિટ્યૂટના ચેયરમેન પણ રહી ચૂક્યા છે. વર્ષ 1976માં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે પ્રથમ તો કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ તૈયાર કરી અને ત્યારબાદ પોતાની પહેલી ફિચર ફિલ્મ અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન બનાવી.

એક ઇન્ટરવ્યૂમાં સઈદ મિર્ઝા બોલિવૂડના પ્રચલિત અને વ્યવસાયિક સિનેમાથી અલગ પોતાના સિનેમા વિશે વાત કરતાં જણાવે છે કે હું કોઈ અસાધારણ જ્ઞાન ધરાવતી વ્યક્તિ નથી, મારી ફિલ્મો મારી આસપાસનાં વાતાવરણનું પ્રતિબિંબ છે. આપણે એક એવી રાજકીય અને અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરી લીધો છે કે જે આપણને કોઈ પણ વસ્તુની ખાતરી નથી આપતી, મેં થોડાં વર્ષો પહેલાં દૂરદર્શન માટે નુક્કડ નામની સિલિયલ બનાવી હતી કે જેમાં દેશના મોટા શહેરોમાં રહેતા કંટાળી ગયેલા અને હતાશ યુવાનોની વ્યથા રજૂ કરી હતી, ત્યારે આટલાં વર્ષો બાદ પણ હું જોઉં છું કે યુવાનોની સ્થિતિ હજુ ત્યાંની ત્યાં જ છે. પરંતુ, હવે અત્યારની ફિલ્મ્સમાં ભાગ્યે જ ગંભીર વિષયોના મુદ્દે ચર્ચા થતી જોવા મળે છે, વૈશ્વિકીકરણે વ્યક્તિને વધારે પડતો સ્વાર્થી બનાવી દીધો છે.

સઈદ મિર્ઝાની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નસીમમાં જાણીતા કવિ અને ગીતકાર કૈફી આઝમીએ અભિનય કર્યો હતો, આ વિશે વાત કરતાં મિર્ઝા સાહબ જણાવે છે કે કૈફી આઝમી મારા મિત્ર હતા અને તે સમયે હું મારી ફિલ્મ નસીમમાં માંદગીમાં સરી પડેલા એક દાદાજીના પાત્ર માટે અભિનેતા શોધી રહ્યો હતો અને એક દિવસ મેં કૈફી આઝમીને પૂછ્યું કે શું તેઓ મારી આગામી ફિલ્મ નસીમમાં દાદાજીનું પાત્ર ભજવશે? અને તેમણે કહ્યું કે તેઓ ચોક્કસ આ પાત્રને ન્યાય આપશે.

આ સિવાય પણ સઈદ મિર્ઝાની દેશની ન્યાય વ્યવસ્થા પર કટાક્ષ કરતી મોહન જોષી હાઝિર હો ફિલ્મમાં જાણીતા સાહિત્યકાર ભીષ્મ સહાની એક્ટિંગ કરી ચૂક્યા છે. મિર્ઝા સાહબની અન્ય બે ફિલ્મ 'સલિમ લંગડે પે મત રો' અને 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે'માં દેશની હાંસિયામાં ધકેલવામાં આવેલ લઘુમતિ કોમના પ્રશ્નોની વાત છે. આ વિષયોની પસંદગીને લઈને મિર્ઝા સાહબ કહે છે કે હું જ્યારે યુવાન હતો ત્યારે મુંબઈની ગલીઓમાં ખૂબ જ રખડતો હતો અને બસ કંડક્ટર, ઈરાની હોટેલના વેઈટર્સ વગેરે સામાન્ય લોકો સાથે ખૂબ જ વાતો કરતો હતો, અને મારી ફિલ્મના પાત્રો પણ મુંબઈના સામાન્ય લોકો પૈકીના જ એક છે. હું આજે પણ દેશના વિવિધ સ્થળોએ ફરવા માટે જાઉ છું અને જે-તે વિસ્તારના સ્થાનિક લોકોની સાથે તેમના પોતાના અને દેશના વિવિધ મુદ્દે ચર્ચાઓ અને તેનું નિરીક્ષણ કરું છું.

સઈદ અખ્તર મિર્ઝા તેમની ફિલ્મ્સના લાંબા અને જુદા જ પ્રકારના નામ વિશે કહે છે કે ફિલ્મરસિકોને આ પ્રકારનાં નામ હંમેશાં આકર્ષિત કરે છે અને આ પ્રકારનાં નામ સાથે હું મારી ફિલ્મ્સને લોકશાહી સાથે જોડી શકું છું. કારણ કે જ્યારે તમે મારી ફિલ્મ જોશો ત્યારે તેના નામ થકી તમને ફિલ્મના વિષયની વધુ સ્પષ્ટતા થશે. જેમ કે મારી પ્રથમ ફિલ્મનું નામ અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન છે તો તમે એવું જાણી શકો કે આ ફિલ્મમાં અરવિંદ દેસાઈની આસપાસની જ વાર્તા હશે. કારણ કે પ્રેક્ષકો જ્યારે સિનેમાઘરમાં પ્રવેશે છે ત્યારે તેઓ જાગૃત હોય છે અને હું તેઓને મારી ફિલ્મ વિશે વધુ જાણવા માટેની પસંદગી આપુ છું. એક એવી લોકશાહીઢબની પસંદગી કે જેના થકી તમે મારી સાથે ચર્ચા કરી શકો. હું મારી ફિલ્મ્સને નિબંધની જેમ જોઉં છું કે જેનો તમે સ્વીકાર કરશો અથવા તેને નકારી દેશો.

હવે સઈદ મિર્ઝા તેમના સ્વર્ગસ્થ મિત્ર અને જાણીતા દિગ્દર્શક કુંદન શાહ (જાને ભી દો યારો ફિલ્મથી પ્રખ્યાત) વિશેનું એક પુસ્તક લખવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેઓ પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણી ચૂક્યા છે અને સાથે જ નુક્કડ નામની ક્લાસિક સિરિયલ પણ બનાવી ચૂક્યા છે. આ સિવાય તેઓ યે હે ઇન્ડિયા મેરી જાન નામનો એક ટ્રાવેલિંગ શો પણ બનાવી ચૂક્યા છે કે જેમાં દેશના વિવિધ સ્થળોના વિવિધ લોકો સાથેના તેમના અનુભવો દર્શાવવામાં આવ્યા હતા. હાલ સઈદ અખ્તર મિર્ઝા પોતાનો મોટાભાગનો સમય ગોવામાં પસાર કરી રહ્યા છે કે જ્યાં તેઓ દેશ-વિદેશનું સાહિત્ય વાંચે છે અને સિનેમા જુએ છે અને તેમનું લેખન કાર્ય કરે છે.

સઈદ અખ્તર મિર્ઝાનું કળા ક્ષેત્રે યોગદાનની યાદી:

ફિલ્મ્સ:

અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન (1978)
આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે (1980)
મોહન જોષી હાઝિર હો (1984)
સલિમ લંગડે પે મત રો (1989)
નસીમ (1995)

સિરિયલ:

નુક્કડ (1986)

પુસ્તકો:

Ammi: Letter to a Democratic Mother (2008)
The Monk, The Moor & Moses Ben Jalloun (2012)
Memory in the Age of Amnesia: A personal history of our Times (2018)

સમાંતર અથવા ન્યૂવેવ સિનેમાની ચળવળમાં યોગદાન આપનાર અન્ય દિગ્દર્શકોની યાદી:

શ્યામ બેનેગલ
ગોવિંદ નિહાલાની
સાંઈ પરાંજપે
મણિ કૌલ
કુમાર સહાની
કેતન મહેતા
અડૂર ગોપાલકૃષ્ણન્‌
બુદ્ધદેબ દાસગુપ્તા
મૃણાલ સેન
સત્યજીત રાય
ઋત્વિક ઘટક
કુંદન શાહ
સુધીર મિશ્રા

—————————————————————————————- 

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

18 October 2018 admin
← શોષણ સામેનો સંઘર્ષ : # MeToo અને # YouToo
એમ. જે. અકબરનું પતન ‘મીટૂ’ના કારણે નથી થયું, માનવતાવાદી પત્રકારો સ્વીકારી ન શકે એવાં સમાધાનો કરવાને કારણે થયું છે; ‘મીટૂ’ તો એક નિમિત્તમાત્ર હતું →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved