Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદેહે સ્વર્ગલોકની સફર

નીલા શાહ|Opinion - Opinion|3 June 2016

દુનિયાભરના હવામાનશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય બેઠક મળી રહી હતી. પૃથ્વીનું વાતાવરણ ગરમાતું જાય છે, વરસાદ ઘટતો જાય છે, હવામાનની તીવ્રતા વધતી જાય છે અને સકળ જીવસૃષ્ટિ વિનાશને આરે પહોંચતી જાય છે, એથી આ સહુ પંડિતો ભારેખમ મોઢે, સામાન્ય માનવીને ન સમજાય તેવી ભારેખમ ભાષામાં ઊંડી, ગંભીર વિચારણામાં ઊતરીને ચર્ચા કરી રહ્યા હતા.

ચર્ચાનો વિષય હતો : પૃથ્વી અને એના પર વસતી જીવસૃષ્ટિનું અંધકારમય ભાવિ.

જો માનવી ચેતશે નહીં, તો તેના વિનાશની પળો નજીક ને નજીક આવતી જશે. હજારો, લાખો વર્ષની ઉત્ક્રાંતિ દરમિયાન પૃથ્વી પર જે રીતે જાતજાતની જીવસૃષ્ટિ વિકસી અને પૃથ્વીને હરિયાળી, રહેવાલાયક બનાવી તે અગનગોળો બની જશે, એની ચિંતા એમને સતાવી રહી હતી. જાતજાતના ઉપાયો, વિચારો, હકારાત્મક અને નકારાત્મક અભિગમો સાથે ચર્ચાથી વાતાવરણ ભારેખમ હતું. લોકજાગૃતિ ફેલાવવાની તાતી જરૂર છે. એ બાબતે સૌ સંમત હતા. એને અસરકારક રીતે જનસમક્ષ મૂકવી તે બાબતમાં ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી. કોઈના મતે બાળકને નાનપણથી પ્રકૃતિ રક્ષાનું શિક્ષણ આપવું, તો બીજાના મતે એ તો બહુ લાંબી વાત થઈ, અત્યારે જ જાગૃતિની જરૂર છે, તેનું શું ? જાણે આ પૃથ્વીનો આજે જ વિનાશ થવાનો હોય એમ સૌનાં મોઢા પર વિપત્તિનાં ચિહ્નો દેખાઈ રહ્યાં હતાં.

એક પ્રખર હવામાનશાસ્ત્રીનું કહેવું હતું કે આવી કોઈ ચિંતાની જરૂર નથી. આ તો કુદરતનો ક્રમ છે, વધઘટ ચાલ્યા જ કરે. આ ગરમાતી પૃથ્વી ઠંડી પડવાની જ. વળી, નવેસરથી જીવસૃષ્ટિનો વિકાસ થશે. આપણું હોવું ન હોવું ચિંતાનો વિષય નથી. આપણી આવરદા પૂરી થવાની હશે ત્યારે જ થશે. આપણી જગ્યાએ બીજાં આવશે, પણ ખગોળમાં એકેય ગ્રહ નષ્ટ થયો નથી. પૃથ્વીનાં ભાવિની ચિંતાને નામે ખરેખર આપણે આપણા ભાવિની ચિંતા કરીએ છીએ. બંને વસ્તુ જુદી છે.

એમના તર્કને કોઈ સચોટ જવાબ તો ન આપી શક્યું, પરંતુ હાલની પૃથ્વીનો પૃથ્વી પરની જીવસૃષ્ટિનો અંત તો ચોક્કસ છે એ પ્રતિપાદન કરવા કેટલાક વૈજ્ઞાનિકો જુસ્સાભેર રજૂઆત કરવા લાગ્યા. ચર્ચામાં ગરમી આવી – બે જુદા પક્ષો પડી ગયા, સામસામા આક્ષેપો થવા લાગ્યા.

આવાં બોઝિલ વાતાવરણને હળવું કરવા બે યુવાન વૈજ્ઞાનિકો સ્ટેજ પર આવ્યા. દસ મિનિટ માટે ચર્ચાવિચારણાને વિરામ આપવાની જાહેરાત કરીને એમણે ખેલ પાડ્યો.

***

યુવક-૧ : ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ! જ્યારે હોય ત્યારે, જ્યાં હોય ત્યાં આ બધા વૈજ્ઞાનિકો ભારેખમ મોઢે આમ બોલે જાય છે. એમને સહુને થયું છે શું? જબ આયેગા તબ દેખા જાયેગા, અત્યારથી શું બુમરાણ મચાવ્યું છે?

અને આ તો કુદરતનો ક્રમ છે. પૃથ્વી ગરમ થશે, પાછી ઠરશે, નવી-નવી જાતિઓ વિકસશે, ગૃહદશા બદલાશે. આટલી બધી હાયવોય શાની છે? કંઈ સમજાવો તો ખબર પડે.

યુવક-૨ : આમાં સમજવાનું કાંઈ નથી. એ સૌ કહે છે કે ઓઝોન-સ્તરમાં ગાબડું પડ્યું છે.

યુવક-૧ : જુઓ, મને ઓઝોન-બોઝોનની કોઈ ગતાગમ નથી. પણ એટલું સમજ્યો છું કે ઉપર આકાશમાં ગાબડું પડ્યું છે અને જો એમ જ હોય, તો તો એને મોટું કરવું જોઈએ.

યુવક-૨ : ભલા માણસ, જરા સમજો તો ખરા, એની કેવી અસર થાય એ જાણો છો?

યુવક-૧ : તમે તો એની અસરની વાત કરો છો, એના લાભની શક્યતા વિચારી છે?

યુવક-૨ : લાભ?  શેનો લાભ? આખી પૃથ્વી જ અગનગોળો બની જવાની. તમે કે હું ….

યુવક-૧ : સાંભળો તો ખરાં, આકાશમાં પોલાણ વધે તો આપણને સ્વર્ગલોક દેખાવાની શક્યતા વધે કે નહીં? દેવાધિદેવ ઇન્દ્રનો દરબાર, રંભા, મેનકા અને બીજી કામણગારી અપ્સરાઓનાં સંગીત-નૃત્ય, ઇન્દ્રસભામાં બિરાજેલાં બીજાં નાનાંમોટાં દેવી-દેવતાઓ, અને હા, આજકાલ તો સ્વર્ગલોકમાં પણ વસ્તીવધારો થઈ ગયો છે. ઇન્દ્રસભામાં બેઠકો ઓછી પડતી હશે. સ્વર્ગવિહાર કરતાં નવાં-નવાં સ્થાપિત થયેલાં દેવી-દેવતાઓ પણ જોવા મળે. આ ગાબડું તો જેમ જેમ મોટું એમ સારું. સદેહે સ્વર્ગલોકનાં દર્શનનો લહાવો મળી જાય!

મને એ બતાવો કે આને જલદી મોટું કરવા શું કરવું જોઈએ?

યુવક-૨ : આમ તો આપણે જે કરતાં આવ્યા છીએ, તે જ પ્રમાણે વગરવિચાર્યે પૃથ્વી પરની સંપત્તિનો ઉપભોગ વધારી દેવાનો. વૃક્ષોનું નિકંદન તો નીકળી જ ગયું છે. હવે સમુદ્રમાં શારડી ફેરવીને …

યુવક-૧ : હેં, હેં ? તો તો કદાચ શેષશાયી ભગવાન વિષ્ણુ અને એમની ભાર્યા લક્ષ્મીજીનાં દર્શન પણ થઈ શકે. આ તો વિશેષ ઉપલબ્ધિ, આ કામ તો બને એટલું જલદી કરવું જોઈએ.

શંખ, ચક્ર, ગદા, પદ્મમ્
સપીત વસ્ત્રં, સરસિરુહેક્ષણમ્

ભગવાન વિષ્ણુ તો અમારા આરાધ્યા દેવ. એમના દર્શનનો લાભ મેળવવા બીજું શું શું કરવું જોઈએ ? જલદી બોલોને, આમ ગળચા કેમ ચાવો છો ?

યુવક-૨ : તો પછી અવકાશમાં વધુ ને વધુ ઊંચાઈએ વિમાનો ઉડાવો …

યુવક-૧ : અરે, વાહ! આમાં તો પ્રવાસની શક્યતા પણ વધી જાય! જુદી-જુદી વિમાની સેવાઓની હરીફાઈ વધશે, જુદાં-જુદાં દેવદેવીઓનાં નામે ઍરલાઇન્સ દર્શનના સમય નક્કી કરીને ભગવાનને લલચાવશે; બંનેની આવક તગડી થવાની. આવો લાભ કોણ ચૂકે?

આ તો ભૂલોકના માનવીને સદેહે સ્વર્ગલોકની સફર કરવા મળશે. લીલાલહેર ભાઈ, લીલાલહેર કરો તમતમારે. આપણે આજે જ ઍરલાઇન્સ સાથે સંયુક્ત સાહસ ગોઠવવાના સહીસિક્કા કરીએ.

યુવક-૨ : તમે કશું સમજતા નથી કે સાંભળતા નથી? આ ગ્લોબલ વૉર્મિંગથી ….

યુવક-૧ : પાછું ગ્લોબલ વૉર્મિંગ? તમે કઈ દુનિયામાં જીવો છો? સ્પષ્ટ બોલવા માટે માફ કરજો, પણ હજીયે તમે સાવ વેદિયા જ રહ્યા. બિઝનેસ કરવો હોય, તો આવનારા સમયને સમજી શકવાની સમર્થતા જોઈએ. મને તો આમાં બહુ મોટા લાભની શક્યતા દેખાય છે. હું તો તાત્કાલિક કંપની ફોર્મ  કરીને ભવિષ્યમાં સદેહે સ્વર્ગની સફરની યોજના ઘડવાની તૈયારી કરું છું. તમે કોઈ નામ સૂચવી શકો?

યુવક-૨ : હું આજની દુનિયામાં હજી તો જીવતો છું. તમે વિચારો કે તમે …

યુવક-૧ : એ બધું છોડો. મેં વિચારી લીધું છે. તમે મને એ બતાવો કે આ આકાશના ગાબડાને મોટું કરવા, એનું કદ જલદી વધારવા શું-શું કરવું જોઈએ?

યુવક-૨ : તો પછી તમે જે કરો છો તે કર્યે જ જાવ. ભગવાન પરશુરામે પૃથ્વીને નક્ષત્રીય કરવાનું વ્રત લીધું હતું. તમે પૃથ્વી પરથી વૃક્ષોના નિકંદનનું વ્રત લ્યો. બહુ મહેનત નથી પડવાની.

યુવક-૧ : પણ અમે ક્યાં મહેનત કરવાની ના પાડીએ છીએ? જે કરવાનું હોય તે બધું જ જલદી બતાવો. આમ સહદેવની જેમ પૂછીએ એના જ જવાબ ન આપો.

યુવક-૨ : તો પછી કર્યે જાવ, થાવા દ્યો, નદીઓમાં, નાળાંઓમાં, તળાવોમાં, તમારાં કારખાનાંઓમાં દૂષિત પાણી નાંખતાં રહો. ચારે બાજુ ગંદકીના નાના-નાના ઉકરડાને બદલે ટેકરીઓ સજાવો, દેવી-દેવતાઓને ઉપર સંભળાય તે માટે જોરજોરથી બૅંડવાજાં વગાડો, એમને પણ કદાચ પોલાણમાંથી ભૂલોકના દર્શન થશે, દેવાધિદેવના ઇન્દ્રદેવના શાપ વગર!

યુવક-૧ :  અરે, વાહ! તો તો પછી સૌ પહેલાં રંભા-મેનકાની નૃત્ય મંડળીને જ બોલાવીશું. આપણી ગતિવિધિથી એ લોકો પણ અંજાઈ જશે.

યુવક-૨ : હા, તમારી વાત સાચી, એ સ્વર્ગવાસી દેવી-દેવતા ભૂલોકમાં અવતરશે, ત્યારે ખરેખર અચંબો પામશે. માનવોથી ખદબદતાં ભૂલોકની સ્મશાનવત્ શાંતિ, માનવીનાં કંકાલો અને સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ એમનાથી જોયો નહીં જાય! આપણે તો જોવાનો સવાલ જ નથી. સદેેહે, સ્વેચ્છાએ આપણી પૃથ્વીને નર્કાગારમાં ફેરવી નાખનાર આપણે લીલાલહેર ક્યાંથી કરવાના?

***

થોડી ક્ષણો માટે સભાગૃહ સ્તબ્ધ. પછી તાળીઓના ગડગડાટે સૌએ એ બંને યુવાનોને વધાવ્યા.

સૌ વૈજ્ઞાનિકો આ ચર્ચાસભા પડતી મૂકવા સંમત થયા. ગ્લોબલ વૉર્મિંગ હકીકત છે, એનો સંદેશો આટલી અસરકારક રીતે બીજાં કોઈ માધ્યમ દ્વારા નહીં આપી શકાય એમ નક્કી કરીને સભા બરખાસ્ત થઈ.   

વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 08-09

Loading

3 June 2016 નીલા શાહ
← સમાનતા + ન્યાય = શાંતિપૂર્ણ સમાજ
The Gulbarg →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved