Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત છે ફુલસ્ટૉપ

રમેશ ઓઝા|Opinion - Opinion|21 June 2017

સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઇએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી

ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો સવાલ જો મને પૂછવામાં આવે તો હું ક્ષણભર પણ વિચાર કર્યા વિના એક દલિતનું નામ આપું. એ દલિત હતા કે. આર. નારાયણન્‌. કેરળના એક દલિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો, હરિજન સેવક સંઘની શાળામાં તેઓ ભણ્યા હતા, ભણવામાં અત્યંત બ્રાઇટ નારાયણન્‌ને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સ્કૉલરશિપ મળી હતી અને તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટ કરવા ગયા હતા. લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના વડા વિશ્વપ્રસિદ્ધ રાજનીતિશાસ્ત્રજ્ઞ હેરોલ્ડ લાસ્કી હતા. નારાયણન્‌ ડૉક્ટરેટ કરીને ભારત પાછા ફરતા હતા ત્યારે લાસ્કીએ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે આ યુવકનો સરકાર ઉપયોગ કરે; તેઓ અત્યંત ખંતીલા, બુદ્ધિમાન અને મૂલ્યનિષ્ઠ માણસ છે.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. નારાયણને સરકારી નોકરી કરી હતી અને એ પછી કૉન્ગ્રેસમાં જોડાઈને કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. તેમની સૌથી મોટી યશકલગી રાષ્ટ્રપતિપદ હતું. હોદ્દાની દૃષ્ટિએ નહીં, હોદ્દાની પ્રતિષ્ઠા જાળવવાની અને વધારવાની દૃષ્ટિએ. સંપૂર્ણપણે બંધારણનિષ્ઠ. તેમના કાર્યકાળમાં તેમણે બંધારણની જોગવાઈઓની અવગણના થવા દીધી નહોતી. કોઈ પ્રશ્ન વિશે જાહેરમાં બોલ્યા વિના કે જાહેરમાં બાખડ્યા વિના તેમણે સરકારના કાન આમળ્યા હતા. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ગોધરા અને અનુગોધરા ઘટનાઓ બની હતી અને રાષ્ટ્રપતિએ ત્યારે અટલ બિહારી વાજપેયી સરકારની નીંદ હરામ કરી નાખી હતી. બિહાર સરકારને ડિસમિસ કરવાના સરકારના પ્રસ્તાવને પણ તેમણે પાછો મોકલ્યો હતો.

રાષ્ટ્રપતિ પાસેથી બંધારણીય અપેક્ષા એવી છે કે તેઓ દેશના અંતરાત્માના અવાજ (કૉન્શ્યસ કીપર) તરીકે અને બંધારણના રખેવાળ તરીકે કામ કરે. ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ આ ફરજ બજાવવામાં તેમના પુરોગામીઓ કરતાં સવાયા સાબિત થયા હતા. તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ તટસ્થતા બતાવવા માટે મતદાન નથી કરતા. નારાયણને કહ્યું હતું કે તેઓ પહેલા નાગરિક છે અને પછી રાષ્ટ્રપતિ છે. ભારતના નાગરિક હોવું એ તેમની બંધારણદત્ત પ્રાથમિક ઓળખ છે અને બાકીની ઓળખ હોદ્દાની રૂએ મુદત પૂરતી મેળવેલી હોય છે. તટસ્થતાની આડે નાગરિકત્વ નથી આવતું જો બંધારણની સમજ હોય અને એના માટે નિષ્ઠા હોય.

એની સામે ભારતનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ નામે પ્રતિભા પાટીલ કેવાં હતાં એ આપણે જાણીએ છીએ. નામ સાંભળીને મનમાં કોઈ આદર જ પેદા ન થાય, બલકે રંજ થાય કે આટલાં નાનાં માણસોને રાષ્ટ્રપતિભવનમાં મોકલવામાં આવશે તો દેશનું શું થશે? કૉન્ગ્રેસે તેમને રાષ્ટ્રપતિ બનાવ્યાં એ અનુકૂળ નંબરની દાદાગીરી હતી. અમારી પાસે નંબર છે અને અમે રાજુલાના પાણાને પણ રાષ્ટ્રપતિ બનાવી શકીએ છીએ, જાઓ થાય એ કરી લો. ભારતીય જનતા પાર્ટીએ કોઈ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઘોષિત કર્યા એ આવી ઘટના છે. દેશના ૯૫ નાગરિકોએ નામની જાહેરાત કરવામાં આવી એ પહેલાં તેમનું નામ નહીં સાંભળ્યું હોય. મને તો શંકા છે કે તેમનું નામ અમિત શાહે વડા પ્રધાનને કે વડા પ્રધાને અમિત શાહને સૂચવ્યું હશે ત્યારે તે બેમાંથી એકે તે કોણ છે એવો સવાલ કર્યો હોય તો આશ્ચર્ય નહીં.

તેઓ દલિત છે. (પૂર્ણવિરામ. ફુલસ્ટૉપ.) બસ, ઓળખ પૂરી થઈ. તેઓ ભારતીય જનતા પાર્ટીની દલિત સેનાના અધ્યક્ષ હતા. દલિતોના કોઈ પ્રશ્ને આંદોલન તો ઠીક છે, બોલ્યા હોય એવું પણ યાદ નથી. તેઓ બે મુદત માટે રાજ્યસભાના સભ્ય હતા, પરંતુ રાજ્યસભામાં કોઈ દહાડો મોઢું ખોલ્યું હોય એવું પણ યાદ નથી. તેઓ અલાહાબાદની વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરતા હતા એમ કહેવામાં આવે છે, પરંતુ વકીલ તરીકે કોઈ મોટો ખટલો જીત્યા હોય કે અદાલતમાં લોકોના (લોકોના જવા દો, દલિતોના) હિત માટે લડ્યા હોય એવી કોઈ જાણકારી નથી. તેઓ ઉત્તર પ્રદેશમાંથી એક વાર લોકસભાની અને એક વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બન્ને વખત તેમનો પરાજય થયો હતો. બીજે તો ઠીક, તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ તેમનો દલિત નેતા તરીકે ક્યારે ય ઉપયોગ કરવામાં આવ્યો નથી જે બતાવે છે કે તેમનો દલિતો સાથે અને દલિતોના પ્રશ્નો સાથેનો સંબંધ નહીંવત્‌ છે.

રામનાથ કોવિંદ ૭૧ વરસના છે. આવું મૂલ્યવાન રતન યોગ્ય સમય માટે અત્યાર સુધી ઢાંકીને રાખવામાં આવ્યું હતું એવી કોઈ દલીલ કરે તો આશ્ચર્ય ન પામતા. પ્રતિભા પાટીલ કમસે કમ જાણીતાં તો હતાં. આ તો સાવ અજાણ્યું રતન છે. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ પાસે નંબર છે અને એ ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે છે. હા, એક વાત બનશે. તેઓ દેશની જનતાની કોઈ પણ પ્રકારની મોટી અપેક્ષા વિના રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશશે. આજના યુગમાં આ પણ સિદ્ધિ છે. સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત તરીકે તેઓ ભારતના પ્રત્યેક નાગરિક માટે પૂજનીય ડૉ. આંબેડકરને અનુસરશે તો દેશ પર મોટો ઉપકાર થશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન્‌ હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઈએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી.

વાચકોના મનમાં કદાચ સવાલ થતો હશે કે હજી તો રામનાથ કોવિંદને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તો અત્યારે જ તેમને ભાવિ રાષ્ટ્રપતિ માનીને લેખ કેમ લખ્યો છે? આનું કારણ એ છે કે જો કોઈ અસાધારણ ઘટના ન બને તો કોવિંદનો રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ નિશ્ચિત છે. ચૂંટણી લગભગ એકપક્ષીય છે. રહ્યો સવાલ દલિતને રાષ્ટ્રપતિ બનાવીને દલિતોને રીઝવવાનો તો નિસ્તેજ માણસને સત્તા વિનાના હોદ્દા પર બેસાડી દેવાથી દલિતો રાજી થઈ જાય એવું બનતું નથી. જો એમ હોત તો કે. આર. નારાયણન્‌ના કારણે ૧૯૯૮ અને ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય થવો જોઈતો હતો. નારાયણન તો પાછા દલિતો ગવર્‍ લઈ શકે એવા તેજસ્વી હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 જૂન 2017

Loading

21 June 2017 admin
← What was Gandhi’s Caste and what did Congress represent?
ગૌરક્ષા, ધર્મ અને સાવરકર →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved