Opinion Magazine
Number of visits: 9447725
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીએ રાષ્ટૃીય પ્રશ્નોની સંસદમાં ચર્ચા કરી

રમેશ ઓઝા|Opinion - Opinion|10 February 2022

ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલાં ભાષણની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એટલા માટે નહીં કે તેમણે છટાદાર ભાષણ આપ્યું હતું, પણ એટલા માટે કે તેમણે મુદ્દાસર ભાષણ આપ્યું હતું અને એ પણ પોતાની પીચ ઉપર રહીને. છટાદાર ભાષણ દરેક વક્તા નથી આપી શકતા. એ એક કલા છે જે બધાને નથી વરતી અને તેની જરૂર પણ નથી હોતી. ખાસ કરીને સંસદમાં તો જરા ય જરૂર નથી હોતી. એક જમાનામાં ડૉ. રામમનોહર લોહિયા, મધુ લિમયે, બેરિસ્ટર નાથ પૈ, એચ.વી. કામથ જેવા સંસદસભ્યો ઇન્દિરા ગાંધીની સરકારને હંફાવતા હતા એ તેમની વાક્પટુતા દ્વારા નહીં, પણ એવા કેટલાક પ્રશ્નો ઉઠાવીને જે સરકારને ડંખતા હતા. વિરોધ પક્ષના સભ્યોનું આ જ તો કામ છે. આમાંના કોઈ અટલ બિહારી વાજપેયી કે જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા પ્રભાવી વક્તા નહોતા. મોટા ભાગે તો એવું બનતું હોય છે કે પ્રભાવી વક્તાઓ ભાષણ છટાદાર આપતા હોય છે, પણ તેને નીચોવો તો તેમાંથી બે ટીપાં માંડ હાથમાં આવે. તેઓ શબ્દોથી રમતા હોય છે, તથ્યો અને તર્ક દ્વારા નહીં.

રાહુલ ગાંધી સ્લો લર્નર છે એમ તેમના વિષે જે કહેવાય છે તે સાવ ખોટી વાત નથી. પોતાની પીચ પરથી જ સરકાર ઘેરવી જોઈએ એ વાત સમજતા રાહુલ ગાંધીને ખાસો વખત લાગ્યો. તેઓ વર્તમાન શાસકોની પીચ ઉપરથી રમવાની ભૂલ કરતા હતા અને તેમાં તેઓ શાસકોને ઘેરવામાં નિષ્ફળ નીવડતા હતા. આ વખતે હવે એમ લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સુધારી લીધી છે.

લોકસભામાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા બે ભારતની વાત કહી હતી. એક ગરીબોનું ભારત અને બીજું શ્રીમંતોનું ભારત. નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓને પરિણામે ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે અને શ્રીમંતો વધુ શ્રીમંત. તેમણે યુવકોના ભવિષ્યની અને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે બે ઉદ્યોગપતિની અર્થતંત્રમાં ઝડપભેર વધતી જતી ઈજારાશાહીનો પ્રશ્ન ઉદ્યોગપતિઓનું નામ લઈને ઉઠાવ્યો હતો. તેમણે શાસકોનાં તાનાશાહી વલણની વાત ઉઠાવી હતી અને આરોપ કર્યો હતો કે સરકાર લોકશાહી સંસ્થાઓને નિસ્તેજ કરી રહી છે. ફરી વાર તેમણે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચનાં નામ લઈને કહ્યું હતું કે સરકાર આ બે સંસ્થાઓની સ્વાયત્તતા અને સ્વતંત્રતા ઉપર શાસકો તરાપ મારી રહ્યા છે. તેમણે સમવાય ભારત(ફેડરલ ઇન્ડિયા)નો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે, સંઘપરિવારની કલ્પનાનું રાષ્ટ્ર નથી.

તેમણે વિદેશનીતિનો પ્રશ્ન ઉઠાવીને કહ્યું હતું કે વર્તમાન સરકારે ચીન અને પાકિસ્તાનને નજીક લાવવાની ભૂલ કરી છે. ચીન અને પાકિસ્તાન એટલાં નજીક ક્યારે ય નહોતાં જેટલાં આજ છે. દક્ષિણ એશિયામાં ભારત એકલું પડી ગયું છે અને તેને કોઈની મદદ નથી. ચીન ભારતની છાતી ઉપર બેઠું છે અને સરકાર વાસ્તવિકતાથી ભાગી રહી છે. ભારતની ભૂમિ ઉપર ચીન લશ્કરી મથકો ઊભાં કરી રહ્યું છે એ બધા જાણે છે, પણ સરાકર તેના વિષે ચૂપ છે. સરકાર જગતને ચૌટે ચીનનાં આક્રમણકારી વલણ વિષે ઊહાપોહ કરતાં પણ શરમાય છે. પડકારો સામે આવે ત્યારે મોં છુપાવી લેવાનું વલણ વર્તમાન શાસકો ધરાવે છે. તેમણે કોવીડ મહામારી અને ખેડૂતોના પ્રશ્નો પણ લોકસભામાં ઉઠાવ્યા હતા.

ખરા રાષ્ટ્રીય પ્રશ્નો આ છે, કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ બુરખો પહેરે કે ન પહેરવો જોઈએ એ રાષ્ટ્રીય પ્રશ્ન નથી. એ તો નડતા પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાની તરકીબ માત્ર છે. આખો દેશ આપણે સેટ કરેલા એજન્ડા ઉપર ચર્ચા કરે એવું તેઓ ઈચ્છે છે. તેમાં તેમની મહારથ છે અને ગોદી મીડિયા તેમ જ સાઈબર સેલ દ્વારા તેમને હાંસિયામાં ધકેલી શકાય છે. રાહુલ ગાંધીએ ખરા રાષ્ટ્રીય પ્રશ્નોને સંસદના ફ્લોર ઉપર આણ્યા એને કારણે રાહુલ ગાંધી અને તેમનું ભાષણ ચર્ચામાં છે. આખો દેશ અને આખું જગત રાહ જોતું હતું કે ભારતની સંસદમાં સતાવનારા પ્રશ્નોની ચર્ચા થાય. વિદેશમાં પણ રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ આ ઘણું વહેલું શીખવું જોઈતું હતું.

ફાસીવાદી શાસકોને આમ પણ ભૌતિક વિકાસલક્ષી શાસનમાં રસ હોતો નથી. એને કારણે કોઈને ફાયદો થાય તો સામે કોઈને નુકસાન પણ થાય. કૃષિ કાનૂન આનું ઉદાહરણ છે. એક તો કાયદા પાછા લેવા પડ્યા અને એ પછી પણ ખેડૂતોના બે-પાંચ ટકા મતોનું નુકસાન થશે. પ્રજા વિકાસના લાભાલાભ દ્વારા વિભાજીત થાય એનાં કરતાં ધર્મના નામે વિભાજીત કરવામાં ફાયદો છે. જે મત આપવાના નથી એ તો આપવાના જ નથી, પણ ઘેટાંઓ નાસી ન જવા જોઈએ. હિંદુ જો ખેડૂત, લશ્કરી જવાન કે વેપારી બનીને લાભાલાભના આધારે નારાજ થાય અને હિંદુ હોવાપણું પાતળું પડે તો નુકસાન થાય. માટે જગત આખાનો ઇતિહાસ તમે જોશો તો તેમાં જોવાં મળશે કે ફાસીવાદી શાસકો વિકાસલક્ષી શાસન કરતા નથી. 

તેઓ સમાજમાં વિખવાદ પેદા કરશે અને વિખવાદની પીચ પર પ્રજાને વ્યસ્ત રાખશે. તેઓ વિકાસના પર્યાયરૂપે ભવ્ય ઇમારતો બાંધશે, ભવ્ય સ્મારકો બાંધશે, મોટી જાહેરાતો કરશે, લોકોની નજરે પડે એવા મહામાર્ગ બાંધશે, બુલેટ ટ્રેન લાવશે વગેરે. આમાં લોકો પોરસાયેલા રહે, કશુક થઈ રહ્યું છે તેનો આભાસી અહેસાસ અનુભવે અને હિંદુ બનીને મુસલમાનને લલકાર્યા કરે. શાસકીય નિર્ણયો માત્ર એવા લેવાના જેમાં બહુમતી પ્રજાને વાંધો ન હોય, જેમ કે અયોધ્યાનું મંદિર વગેરે.

૨૦૧૪થી આ ચાલી રહ્યું છે. રાજકીય નિષ્ણાતો કહી કહીને થાકી ગયા કે ભાઈ, એવા પ્રશ્નો લોકો સમક્ષ ઉપસ્થિત કરો જે ખરા અર્થમાં રાષ્ટ્રીય હિતના પ્રશ્નો છે, લોકોને જે પ્રશ્નો પજવે છે, જે શાસકોને પજવે છે અને જેનાથી શાસકો ભાગવા માગે છે. રાહુલ ગાંધી કદાચ ધીરેધીરે શીખનારા માણસ હશે, પણ શીખ્યા ખરા એ વાતનો આનંદ છે. હજુ એક બાબતની નોંધ લેવી જોઈએ. આ વખતે સંસદમાં લગભગ દરેક પક્ષના સભ્યોએ રાષ્ટ્રીય હિતના જ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. આનું પરિણામ એ આવ્યું કે દેશના વિદેશ પ્રધાને, સંરક્ષણ પ્રધાને અને ખુદ વડા પ્રધાને પ્રતિસાદ આપવો પડ્યો. વડા પ્રધાન ઊકળી ઉઠ્યા એ કોઈ ઓછી ઉપલબ્ધિ છે? અત્યાર સુધી તેઓ ઠેકડી ઉડાડીને હલકે મેં પ્રતિસાદ આપતા હતા. 

સામે રાહુલ ગાંધીએ યોગ્ય રીતે જ વડા પ્રધાનના આક્રમણનો પ્રતિસાદ આપ્યો. સાહેબ, તમારે મને કે મારા પક્ષને જેટલી ગાળો આપવી હોય એટલી ગાળો આપો, પણ મેં ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ આપો.

પ્રશ્નો પૂછતા રહો અને જવાબ માગતા રહો. નાગરિકોનો નાગરિકધર્મ પણ આ જ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ફેબ્રુઆરી 2022

Loading

10 February 2022 admin
← લૂઝ કનેક્શન શ્રેણી (25)
હિજાબનો હિસાબ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved