Opinion Magazine
Number of visits: 9448746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 September 2018

હૈયાને દરબાર

કેટલાંક ગીતો અમરત્વ લઈને આવે છે. જેમ કે અવિનાશ વ્યાસ-આશા ભોંસલેનું માડી તારું કંકુ, રમેશ પારેખ – ગૌરાંગ વ્યાસ, આશા ભોંસલેનું સાંવરિયો, વેણીભાઈ પુરોહિત – અજિત મરચન્ટ અને દિલીપ ધોળકિયાનું આંખનો અફીણી, નિનુ મઝુમદાર અને મન્ના ડેનું પંખીઓએ કલશોર અને એ જ શ્રેણીમાં આગળ વધીએ તો હરીન્દ્ર દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેનું પાન લીલું જોયું ગીત આવે. આ યાદીમાં હજુ બીજાં ઘણાં ગીતો ઉમેરી શકાય. આ ગીતો વિશે વિચારીએ તો એમ થાય કે આ ગીતકાર-સંગીતકાર અને ગાયકના આ કોમ્બિનેશનને બદલે બીજું જ હોત તો ગીત કેવું બનત! વધુ સારું પણ બની શકે અને કદાચ અણગમતું પણ થઈ શકે.

આજે એવાં જ એક અત્યંત લોકપ્રિય ગીતની વાત કરવી છે, જે સુગમ સંગીતના લગભગ દરેક કાર્યક્રમનું મહામૂલું ઘરેણું બની રહ્યું છે. ક્યારેક લગ્ન પ્રસંગે તો કદીક ભજન સંધ્યામાં ય ગવાય છે! અરે, યંગસ્ટર્સ મોડર્ન ટચ આપીને કવર સોંગ તરીકે પણ રજૂ કરી રહ્યા છે. સારું છે પ્રાર્થના સભામાંથી બાકાત છે. બાકી, દિવંગતોની સ્મૃિતમાં આપણી પ્રજા તમે યાદ આવ્યાં … જેવું ગીત ગવડાવવાની હિંમત કરી શકે! ગીતની દરેક પંક્તિએ કવિ સ્મૃિતની વાત કરે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં, પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં અને પ્રિયજનના ઠાલાં સ્મિતમાં આખું બ્રહ્માંડ દેખાયાની વાત પણ કવિ બહુ ઋજુતાથી કરે છે. કવિની રગેરગમાં જ નહીં, કુદરતના કણ-કણમાં પ્રિયજનની યાદ સમાયેલી છે.

સ્મૃિત એ આનંદની અનુભૂતિ છે. સ્મૃિતઓ સુખદ ઘટના સાથે સંકળાયેલી હોય ત્યારે આનંદ આપે છે. એટલે જ કેટકેટલા કવિઓએ યાદને પોતાનાં ગીતોમાં વણી લીધી છે. પછી એ હિન્દી ફિલ્મનું વો જબ યાદ આયે .. ગીત હોય કે પછી આપણી માતૃભાષાનું આ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ગીત હોય. સુખદ સ્મૃિતઓમાં મહાલવું આપણને હંમેશાં ગમે છે. મન જાણે સ્મૃિતઓનું સંગ્રહાલય! એમાં વળી, સ્મૃિત અને પ્રેમને તો ગાઢ સંબંધ! સ્મૃિત અંદરથી ઉષ્મા અને હૂંફ આપે તો ક્યારેક આંસુ ય લાવે. ગમતી વ્યક્તિની વિદાય કે અવહેલના સૌથી દુ:ખદ સ્મૃિત બની રહે છે. સ્મૃિત વહેંચાય તો બેવડાય. પ્રેમમાં ગમે એટલી પીડા ભોગવી હોય તો ય તમે એની સાથે સંકળાયેલી યાદ ભૂલવા ઇચ્છતાં નથી. યાદ જ એવી જણસ છે જેને સમય પણ ભૂંસી શકતો નથી. ભૂતકાળ દરેકના દેહમાં બીજા હૃદયની જેમ ધબકતો હોય છે. ફોટોગ્રાફ્સ આપણને એટલે જ ગમે છે કારણ કે ગયેલી ક્ષણોને એ જીવંત રાખે છે.

અલબત્ત, જૂની દુ:ખદ યાદોને મમળાવ્યા કરવાની વૃત્તિ ત્યજવી કારણ કે, એ ઘા ઉપર નમક છિડકવાનું જ કામ કરે છે અને વર્તમાનને બગાડે છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે ક્યાંક લખ્યું છે કે આપણું હૃદય હંમેશાં ખરાબ સ્મૃિતઓને ફેંકી દે છે અને સારી યાદોને મેગ્નિફાય (વિશાળ) કરીને રાખે છે. માનવમનની આ કરામત કે હુન્નરને લીધે જ આપણે ભૂતકાળનો બોજ વહન કરી શકીએ છીએ. ખરાબ સ્મૃિતઓનો બોજ માથે લઈને ફરીએ તો સૌથી પહેલાં તો આપણે જ દબાઈ જઈએ. એટલે અણગમતી સ્મૃિતઓને વિસર્જિત કરી દેવામાં જ સાર છે. અહીં કવિ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાંની વાત નજાકતથી કરે છે ત્યારે એ પોતાની કૂણી લાગણીઓને-સ્મૃિતઓને કુદરત સાથે જોડે છે. એમાં સંગીત અને સુંદર કંઠ ભળે ત્યારે ઉત્તમ સંગીતકૃતિ સર્જાય. કહેવાય છે કે એક ગીત હજાર સ્મૃિતઓ સાથે લઈને આવે છે. એટલે જ દરેક ગીત સાથે કેટલી આસાનીથી આપણે આપણી જાતને જોડી શકીએ છીએ. મોરિશિયસના બોટનિકલ ગાર્ડનમાં પિન્ક લીલીનાં ખૂબ મોટાં પતરાળાં જેવાં સુંદર પાનને જોઈને અમને હજારો માઈલ દૂર આ ગીત અને ગમતી વ્યક્તિઓ યાદ આવી ગયાં હતાં. યાદ એ રીતે આપણા જીવનનું અભિન્ન અંગ છે. અલબત્ત, યાદ વિના જીવવાનો પ્રયોગ કરી જુઓ. જીવન એકાએક તાજું થઈ જશે. તમારાં પતિ કે પત્નીનાં પ્રેમમાં તમે નવેસરથી પડી શકો છો! જો કે, ‘મેમરી પાવર’માંથી છટકવું સહેલું નથી. એક નાનકડું પાન જોતાં જ કવિ યાદોનાં મધુવનમાં ખોવાઈ જાય છે.

હરીન્દ્ર દવે ઊર્મિશીલ કવિ છે. વ્યવસાયે પત્રકાર એવા હરીન્દ્રભાઈ ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી તરીકે છેવટ સુધી કાર્યરત હતા. હરીન્દ્ર દવે એટલે ઉત્તમ ગીતકાર અને સંવેદનશીલ ગઝલકાર. એમનું કવિત્વ રાધા-કૃષ્ણનાં ગીતોમાં, પ્રેમ વ્યક્ત કરતાં ગીતોમાં તો છે જ પણ ફૂલ કહે ભમરાને, એક રજકણ જેવાં એમનાં અન્ય ગીતો લોકપ્રિય તથા કાવ્યતત્ત્વથી સભર છે. એમનાં કાવ્યોમાં લય જાણે દરિયાઈ લહેરની જેમ સ્વાભાવિક ગતિથી વહે છે તેમ જ અપ્રતિમ ભાવ માધુર્ય ધરાવે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા હરીન્દ્ર દવે સ્વભાવે ઋજુ, સંવેદનશીલ અને અંતર્મુખી. કૃષ્ણ ગીતોમાં એમનો હાથ કોઈ ઝાલી ન શકે. એમનાં ગીતોએ શ્રોતાઓને હંમેશાં ડોલાવ્યા છે. પાન લીલું જોયું પણ એમાંનું જ એક ગીત છે.

આ ગીતનાં ગાયિકા હંસા દવે એટલે સૌમ્ય વ્યક્તિત્વ અને સુમધુર અવાજ. તેઓ નાનાં હતાં ત્યારે ઘરમાં સંગીતનું કોઈ જ વાતાવરણ નહીં. રેડિયો સુધ્ધાં નહીં. સૌપ્રથમ સ્વરો ઘરની પ્રાર્થનામાં ચાર- પાંચ વર્ષની ઉંમરે વહ્યા હશે એવું કંઈક એમને યાદ છે. અમદાવાદમાં બચપણ વીત્યું હતું અને કોલેજકાળ દરમિયાન કોલેજની સ્પર્ધાઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગાવાની શરૂઆત કરી હતી. લતા મંગેશકરથી ખૂબ પ્રભાવિત છતાં એમણે અવાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ક્યારે ય કોઈની કોપી કરવાની કોશિશ કરી નથી. એમનો અવાજ જ એમની ઓળખ બની રહે એવું ઇચ્છતા હંસાબહેનની પ્રિય પંક્તિ છે : નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે! પાન લીલું … ગીતને લોકપ્રિય બનાવનાર ગાયક કલાકાર હંસા દવે આ ગીત વિશે કહે છે, "હું માનું છું કે ગીત ફક્ત કવિનું જ કહેવાય. કવિ પહેલો શબ્દ લખે ત્યારે જ ગીતની કુંડળી બની જતી હોય છે. ઉત્તમ કવિની કવિતાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો સાથ મળે પછી પૂછવું શું? આ ગીત બે જ સિટિંગમાં બેસાડી દીધું હતું. પહેલાં તો મને આ ગીત સાવ સીધું-સરળ લાગ્યું. મને એમ થયું કે આવું આ ધીમી લયનું ગીત કેવી રીતે ઉપડશે? પરંતુ ગાતાં ગાતાં ગીતના શબ્દો સાથે ભાવ ઉમેરાતો ગયો. પછી તો અંગત રીતે પણ મને ખૂબ ગમવા માંડ્યું હતું. રેડિયો પર રજૂ થયા બાદ એટલું પ્રસિદ્ધ થયું કે એંસીના દાયકામાં વિસનગરમાં અમારો એક પ્રોગ્રામ હતો. ઓડિટોરિયમ ભરચક હતું. એમાં પાન લીલું જોયુંની ફરમાઈશ આવી. મેં ગાયું, વન્સ મોર થયું. એવામાં ઓડિયન્સમાંથી અચાનક એક બહેન હાર લઈને આવ્યાં. સ્ટેજ પર બેઠેલાં અમને ત્રણેય-ગાયક, સ્વરકાર અને સંચાલકને થયું કે બહેન હાર કોને પહેરાવશે! વધુ કંઈ વિચારીએ એ પહેલાં એમણે મારા ગળામાં હાર પહેરાવી દીધો અને કહ્યું કે હંસાબહેન તમારે માટે મારી પાસે શબ્દો નથી. અત્યંત સુંદર ગીત તમે એટલું ભાવવાહી રીતે ગાયું કે મારાથી રહેવાયું નહિ એટલે હું ઊભી થઈ અને મારા ગળાનો હાર તમને પહેરાવી દીધો. અગાઉ કહ્યું તેમ દરેક ગીત નસીબ લઈને આવતું હોય છે. આ ગીત બીજું કોઈ પણ સ્વરબદ્ધ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે પણ કવિના શબ્દને કોઈ હલાવી શકે નહીં. ગીતના પહેલા શબ્દે જ એની કુંડળી મંડાઈ જતી હોય છે. રાધાનું નામ …. ગીત લખાયું ત્યારે ધાર્યું નહોતું કે આટલું લોકપ્રિય થશે. ઘણીવાર એવું પણ બને કે શબ્દો સરસ હોય, સ્વરાંકન સુંદર હોય, ગાયક-સંગીતકારને ગીત ખૂબ ગમતું હોય છતાં લોકપ્રિય ન થાય. મને શ્રેષ્ઠ કવિઓની રચનાઓ ગાવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એ પણ નસીબની બલિહારી! આ ગીતમાં, કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ એ શબ્દો તો ગીતની પરાકાષ્ઠા છે.

હંસાબહેનની વાત સાચી છે. પ્રિયજનની તીવ્ર સ્મૃિત કવિને ક્યાંથી ક્યાં કલ્પનાવિહાર કરાવે છે. ‘ચવાઇને ચુથ્થો’ થઈ ગયેલા આ ગીતનો ઉઘાડ જે પ્રકારના વશીભૂત કરનારા સંગીતથી થાય છે એ તમને ફરી ફરી સાંભળવા મજબૂર કરે છે. રાગ પીલુની છાંટ ધરાવતા આ ગીતની સંગીતમાધુરીમાં વિરહવેદનાની જે ટશર ફૂટે છે એ ગીતને અપેક્ષિત ઊંચાઈએ લઇ જાય છે. હંસા દવેનો અવાજ આ ગીતમાં અત્યંત ફ્રેશ અને મીઠો લાગે છે. આ ગીત વિશે સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "ઓલ ઇન્ડિયા રેડિયો પર મારે નિયમિત ત્રણ-ત્રણ રચનાઓ મોકલવાની રહેતી હતી એમાંનું આ એક ગીત છે. લગભગ પાંત્રીસેક વર્ષ જૂનું. મહેન્દ્ર મેઘાણીના ‘કાવ્ય કોડિયાં’માંથી મને આ કાવ્ય મળ્યું અને જોતાં જ ગમી ગયું હતું એટલે તરત જ કમ્પોઝ કરી, રેડિયો પર હંસા દવે પાસે ગવડાવ્યું. ત્યારથી એ લોકપ્રિય થઈ ગયું છે. આ ગીત સાંભળીને હરીન્દ્રભાઈએ મને કહ્યું હતું કે, "દોસ્ત, તમારા હાથમાં મારાં ગીતોને માન મળે એવી રેખા પણ છે. પુરુષોત્તમભાઈના સંગીત નિર્દેશનમાં હરીન્દ્ર દવેનાં, પ્રેમમાં ચકચૂર થઇ ચાલ્યા કરીએ તથા જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં એ બંને ગીતો પણ ખૂબ લોકપ્રિય થયાં હતાં. અંતમાં એટલું જ કહેવું છે કે ગુજરાતી સુગમ સંગીતના અજરામર ગીતોમાં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં … ગીત હકપૂર્વક બેસી શકે છે. હંસા દવેએ ગાયેલાં બીજાં કેટલાંક ગીતો પણ અદ્ભુત છે જેની વાત ફરી ક્યારેક કરીશું.

હંસા દવેનાં સુંદર ગીતો સાંભળવા માટે યુટયુબ તો છે જ પણ આવતી કાલે, એટલે કે ૨૮મી સપ્ટેમ્બરે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીમાં હંસા દવેનાં ગીતોનો એક સુંદર કાર્યક્રમ શાંભવી આર્ટ્સ દ્વારા સાંજે સાડાછ વાગ્યે યોજાયો છે. આ કોલમમાં અવાર-નવાર સાચા જવાબ આપનાર સંગીતનાં ચાહક નેહા યાજ્ઞિક દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, અગ્રગણ્ય ગાયિકાઓ હંસા દવેનાં ગીતો રજૂ કરશે. આ નિ:શુલ્ક કાર્યક્રમમાં તમે હંસા દવેને મળી શકો છો તથા એમનાં ગીતો માણી પણ શકશો. સો, બી ધેર!

——————————-

• કવિ : હરીન્દ્ર દવે       • સ્વરકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય    • ગાયિકા : હંસા દવે

————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=439536

Loading

27 September 2018 admin
← સમલૈંગિકતાઃ અરેબિયન નાઈટ્સ અને કરાચીનાં પુરુષ બજારો
શારદાબહેન : પંચાણુમા વર્ષે બે દાદરા ચઢીને લાઈબ્રેરીમાંથી પુસ્તકો લઈને વાંચતાં પૂર્વ ગ્રંથપાલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved