Opinion Magazine
Number of visits: 9504392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિનો સંગ, કવિતા અને સંગીતનો રંગ

દીપક મહેતા|Opinion - Literature|26 August 2014

હરિને સંગે. ઓડિયો સીડી. સ્વરાંકન-સંકલન અમર ભટ્ટ. વાદ્ય સંગીત નિર્દેશન અમિત ઠક્કર. કલાકારો ગાર્ગી વ્હોરા, ઐશ્વર્યા મઝુમદાર, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઓસમાણ મીર અને અમર ભટ્ટ. રજૂઆત અગત્સ્ય ફાઉન્ડેશન, ૪૭ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી, એલિસ બ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬ 

આપણા આદિ કવિ નરસિંહ મહેતાનું એક અત્યંત જાણીતું પદ છે : ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.’ તેમાં એક પંક્તિ આ પ્રમાણે છે : ‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.’ પણ આમ તો કહી શકે કોઈ ગોપી કે નરસિંહ જેવો પરમ ભક્ત. પણ હરિ સંગે જાગવું એટલે શું એની ઝલક પામવી હોય તો એક સહેલો રસ્તો કાનવગો છે – ‘હરિને સંગે’ સીડીમાંનાં દસ ગીતો સાંભળવાં, ફરી ફરી સાંભળવાં. હરિના સંગની સાથે સાથે સંતર્પક સંગીતના રંગનો સંગ પણ માણવા મળશે.

કવિતા અને સંગીત બંનેની પાકી સમજ અને સૂઝ ધરાવતા આપણા અગ્રણી ગાયક-સંગીતકાર અમર ભટ્ટનાં સ્વરાંકનોમાં વૈવિધ્ય છે, પણ કાવ્યત્વને ભોગે નહિ. શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત, લોકસંગીતનો પાસ આ ગીતોનાં સ્વરાંકનોને લાગ્યો છે જરૂર, પણ કાવ્યના મૂળ રંગને ઢાંકી દે એવો અને એટલો નહિ. સંગીતકાર અને ગાયક કલાકારો અહીં કાવ્યકૃતિની આગળ ચાલતા નથી, સાથે ચાલે છે, કદાચ પૂરેપૂરા ઔચિત્યપૂર્વક એક ડગલું પાછળ રહે છે. આપણા ચાર ટોચનાં ગાયક-ગાયિકાનો સાથ આ સંગને સફળ બનાવે છે.

નરસિંહની ઉપર ઉલ્લેખેલી કૃતિ ગાર્ગી વ્હોરાએ આમ તો પારંપરિક ઢાળમાં રજૂ કરી છે, પણ સંગીતકારે અને ગાયિકાએ તેમાં ઘણું બારીક નકશીકામ પોતાની ગાંઠેથી ઉમેર્યું છે. મીરાંબાઈના ઘણાં કાવ્યો આપણે ગુજરાતી કે હિન્દીમાં સાંભળ્યાં હોય. પણ અહીં મારવાડી બોલીની મુલાયમતાને પૂરેપૂરી સાચવીને ગાર્ગી વ્હોરાએ ‘દરદ ન જાણ્યાં કોય’ કૃતિ અત્યંત નજાકતપૂર્વક રજૂ કરી છે. રાગ દેશી પર આધારિત બંદિશમાં બંધાયેલું આ પદ એક વાર સાંભળ્યા પછી ઝટ મનનો પીછો છોડે તેમ નથી. ઐશ્વર્યા મઝુમદારે બે કૃતિઓ રજૂ કરી છે : કવિ નાનાલાલનું કાવ્ય ‘હરિ આવો ને’, અને રમેશ પારેખની કૃતિ ‘હું મારી મરજીમાં નહિ.’ નાનાલાલની કૃતિને ગરબા રૂપે રજૂ કરવાનું પ્રલોભન ટાળવું સહેલું નથી. પણ અહી સંગીતકારે તાલનું વજન ગરબાના સ્વરૂપનું રાખ્યું હોવા છતાં તેની રજૂઆત ગરબાની બની ન જાય તેની કાળજી રાખી છે. કવિ સુંદરમનું ગીત ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને’ તથા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલ ‘ફર્યા કરે છે’ને પુરુષોત્તમ ઉપાધ્યાયનો સદાબહાર કંઠ મળ્યો છે. સુંદરમની કૃતિને પણ ભજન તરીકે કે મિસ્કીનની કૃતિને પરંપરાગત ગઝલ ગાયકીની ઢબે રજૂ કરવાનો સહેલો માર્ગ સંગીતકારે અપનાવ્યો નથી.

લોકસંગીતનાં ઉત્તમ તત્ત્વોને જાળવનાર છતાં લોકસંગીતને વટાવી ખાવાનો પ્રયત્ન ન કરનાર ઓસમાણ મીરના કંઠે અહીં બે કૃતિઓ સાંભળવા મળે છે : કવિ ઉશનસનું કાવ્ય ‘અષાઢે તણખલું ના તોડીએ જી,’ અને ચંદ્રકાંત શેઠનું ‘ગોદ માતાની ક્યાં?’ રાગ દુર્ગા પર આધારિત સ્વરાંકનમાં હરીશ મિનાશ્રુની કૃતિ ‘સાધો હરિ સંગે હરીફાઈ’ અમર ભટ્ટે પોતાના કંઠે નજાકતભરી રીતે રજૂ કરી છે. દયારામનું પદ નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ આમ તો ખૂબ જાણીતું છે, પણ તેની શબ્દયોજના અને લયકારી સરળ નથી, કૈંક અટપટી અને ગાઈને રજૂ કરવામાં દુર્ગમ બને તેવી છે. પણ તેને પોતાની રીતે સ્વરબદ્ધ કરીને પોતાને જ કંઠે રજૂ કરવાનું સાહસ અમરભાઈએ કર્યું છે. વાદ્ય સંગીતનો સાથ બધા ગીતોમાં એવી નાજુક રીતે લેવાયો છે કે ગીતના શબ્દો, ભાવ કે તેમના આકલન આડે તે ન આવે. સંગીત એ અમરભાઈનો પ્રોફેશન નથી, પણ સંગીત એમની પેશન છે. સારી અને સાચી કવિતાને પામવી એ એમને માટે ફેશન નથી પણ પોતે સ્વીકારી લીધેલ વોકેશન છે. પરિણામે આપણને તેમની પાસેથી કાવ્ય-સંગીતની કેટલીક ઉત્તમ રચનાઓ મળી છે. આ સીડીમાંનાં ગીતો સાંભળતાં હરિનો સંગ તો મળશે, પણ સાથોસાથ કાવ્યનો અને સંગીતનો રંગ પણ મળશે.

સૌજન્ય : ‘સાઉન્ડટૃેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014

Loading

26 August 2014 admin
← ધર્મો રક્ષતિ રક્ષિતા:
Ice-Bucket Mania →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved