નેલ્સન માંડેલા (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) ૯૫ વર્ષનું સુધીર્ઘ આયુષ્ય ભોગવીને આ ફાની દુનિયા છોડી ગયા. દુનિયા એમને ‘રંગભેદની નીતિ વિરુદ્ધના લડવૈયા, સમાનતાના પ્રહરી, ક્ષમાશીલ અને સમાધાનની અદ્દભુત શક્તિ ધરાવનાર મહામાનવ’ તરીકે યાદ કરશે.
એમની જીવન ઝરમર વાંચતાં અને સાંભળતાં સહેજે વિચાર આવ્યો કે દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદી નીતિ નાબૂદ કરવા માટે તેમણે ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ’ના ઓઠા હેઠળ અહિંસક ચળવળ શરુ કરી. એ હકીકતથી પુરવાર થાય છે કે તેમણે તેમના પુરોગામી મહામાનવોના જીવનમાંથી બોધ પાઠ લઈને શસ્ત્રવિહીન લડતનો માર્ગ પસંદ કર્યો. અલબત્ત, બીજી જુલમગાર સત્તાઓની માફક તે સમયની દક્ષિણ આફ્રિકાની સરકારે સમાન અધિકારની માંગણી કરનારા નિહથ્થા પ્રજાજનો પર હિંસક હુમલા કરીને એ ચળવળને કચડી નાખવાના ભરસક પ્રયત્નો કર્યા. તેવે સમયે નેલ્સન માંડેલાએ એ ક્રાંતિ વધુ લોહિયાળ ન બને એ ખાતર જરૂર પૂરતી આક્રમક હિંસક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના મુક્તિ સંગ્રામને સફળ કરવા ધાર્યું. જો તેઓ શ્વેત લોકોને જાનથી મારી નાખવામાં અને અશ્વેત લોકોને સત્તારૂઢ કરાવવામાં એ રીતે સફળ થયા હોત, તો કદાચ કેટલાક લશ્કરી વડાઓ કે સરમુખત્યારએ તેમનો વાંસો થાબડ્યો હોત. શું એમને જગત આખાની આમ પ્રજા અને અન્ય દેશોના વડાઓનો પૂજ્યભાવ સાંપડ્યો હોત? એ તો એમણે શાંતિમય ઉપાયોથી જીત મેળવી એથી જ આવું સન્માન મળ્યું એ નિ:શંક છે.
જયારે રંગભેદી સરકારના શાસનનો અંત આવ્યો અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે એમણે તથા તેમના સાથીદારોએ ‘જેવા સાથે તેવા’ એ ન્યાયે શ્વેત લોકો પર અન્યાય અને અત્યાચાર કરવાની નીતિ અપનાવી હોત, તો માંડેલાનાં કર્યા કારવ્યા પર પાણી ફરી વળ્યું હોત. એ પણ હકીકત છે કે જયારે માંડેલાને આજીવન કેદની સજા ફરમાવાઈ ત્યારે તેમનામાં એ શાસન પ્રથા માટે ઘણો રોષ હતો અને કદાચ સાવ અહિંસક લડાઈ વાટે તેઓ અને તેમના સાથીદારો કેટલો વખત ટક્કર ઝીલી શક્યા હોત અને પ્રજાને પોતાની સાથે રાખીને દોરવી શક્યા હોત તે કહેવું મુશ્કેલ છે. પરંતુ જેલવાસ દરમ્યાન રંગભેદી શાસન વ્યવસ્થાનો અંત માત્ર સાંપ્રત સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને વચલો માર્ગ કાઢવાથી જ શક્ય છે એવી પ્રતીતિ થઈ અને એ સિદ્ધાંતનું એમણે ખુદ પોતાના જ પક્ષના અને લોકોના વિરોધ છતાં પાલન કર્યું એથી તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી બની શક્યા.
અશ્વેત પ્રજા પર અન્યાય અને અત્યાચાર આચરનાર શ્વેત શાસકો અને સામાન્ય પ્રજાજનો પ્રત્યે ક્ષમા દાખવવી એ વિશાલ હૃદય અને નિર્વેર વૃત્તિ ધરાવનાર વ્યક્તિનું જ કામ છે. જો શ્વેત લોકોનો અશ્વેત પ્રત્યેનો અન્યાય અમાનવીય ગણાય તો અશ્વેત પ્રજા અને શાસકોનો શ્વેત નાગરીકો પ્રત્યેની ભેદભાવ ભરી નીતિ પણ એટલી જ અનિચ્છનીય ગણાય તેવું તેમણે દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિથી મુક્ત બનેલ આમ જનતાને પોતાના અસીમ પ્રેમ અને સર્વસમાવેશક વર્તનથી બતાવી આપ્યું. આજે આ ઇન્દ્ર્ધનુષિ રાષ્ટ્ર વિશ્વભરમાં પ્રતિષ્ઠા પામ્યું છે તે તેની લશ્કરી તાકાતને કારણે નહીં પણ ક્ષમા અને સમાધાન કરવાની શક્તિને કારણે.
જિસસ, બુદ્ધ અને મહાવીર જેવા અનેક આર્ષદ્રષ્ટાઓએ સમયે સમયે માનવ જાતને સત્ય, અહિંસા, પ્રેમ, નિર્વેર અને સમાનતાના પાઠ પોતાના જીવન થકી પઢાવ્યા. જે લોકોએ એ સિદ્ધાંતોને પગલે ચાલવાની હિંમત બતાવી તેઓ આપણી પંક્તિમાં ઉચ્ચ સ્થાને સ્થાપિત થવાનું માન પામ્યા. સૂર્ય એક છે. પૃથ્વી પર લાખો અને કરોડો દીવડાઓ યથાશક્તિ પ્રકાશ ફેલાવાવનું નમ્રાતિનમ્ર કાર્ય કરે છે તો આપણે અંધકારથી દૂર રહી શકીએ છીએ તેવી રીતે યુગે યુગે ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન માંડેલા જેવા મશાલચીઓ આપણો પથ ઉજાળી આપે છે પણ એમના પાર્થિવ શરીરની વિદાય થવાની સાથે બાકી રહેલ તમામ જાગૃત નાગરિકોની ફરજ છે કે તેઓએ જીવી બતાવેલા સહિષ્ણુતા, ક્ષમા, સમાધાન અને સમાનતાના મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ તો જ સાચું તર્પણ કર્યું કહેવાશે.
e.mail : 71abuch@gmail.com