તા. ૨૦-૫-૨૦૧૫ના રોજ હું ઉજ્જૈનમાં હતો. પ્રાતઃ કાળમાં ૪થી ૬ સુધી મહાકાળની ભસ્મઆરતી પૂર્ણ થઈ ચૂકી હતી. દર્શનની પરીક્ષામાં હજારોની સાથે હું પણ કતારમા હતો. ઊભા પગે અઢી કલાક સુધી પ્રતીક્ષા કરવાની હતી. પગ જવાબ આપી રહ્યા હતા. છતાં આશ્વાસન હતું. મારે બે પગે ઊભા રહેવાનું છે. જ્યારે ભૂતકાળમાં ભક્તોએ એક પગ ઉપર ઊભા રહીને તપસ્યા કરી છે.
આવા વિચારે પાછળ જોયું. મારી પાછળ જ એક મુસ્લિમ દરવેશ ઊભા હતા. નખ-શીખ લીલો લિબાસ. હાથમાં તસબી, ગળામાં અનેક જાતની સ્ફટિકની માળાઓ આદાબ કરીને હું બોલ્યો, ‘બાબાજી આપ કો દેખકર બડી ખુશી હુઈ હૈ.’ માનપૂર્વક એ દરવેશને ઊભા રહેવા જવા જગ્યા કરી આપી. બાબાએ લાલ મહેંદીથી રંગેલી દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું. ‘છત્તીસગઢ સે આયા હું. મેરે સાથ દો ઔર શાર્ગિદ હૈં. હમ તીનોં દેશ કે સભી તીરથ કે દર્શન કો નિકલે હૈ’ આશ્ચર્ય થોડું વધ્યું ત્યાં એક સુખદ વાક્ય એ ફકીરના મોંએથી સાંભળ્યું, ‘સબ એક હૈ અગર વહ એક હૈ તો હમ જુદા કૈસે? અગર હમ જુદા હૈ તો વહ એક કૈસા?’
ભારે ભીડ-ધક્કામુક્કી વચ્ચે દર્શન કરીને અમે બહાર નીકળ્યા. મેં ચઢાવેલો પ્રસાદ એ ફકીરને આપ્યો. મંદિરના પરિસરમાં બીજા કેટલાક દેવતાઓના પણ એ ફકીરે દર્શન કર્યાં. ભારતના તીર્થસ્થાનોએ નીકળ્યા છે એટલે ગુજરાત અને એમાં પણ સોમનાથનાં દર્શન કરવા એ ફકીર આવશે જ એવું ત્યારે મનમાં હતું.
અમદાવાદ આવ્યા પછી જ જૂનમાં જ સોમનાથના સમાચાર આવ્યા. હા, હન્તે! હન્તે! મહાકાળ જ્યોતિર્લિંગના દર્શન કરનારે એ ઉત્સાહી દરવેશને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે પરવાનગી લેવી પડશે!
આતંકવાદના માહોલમાં પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. પણ કસાબ તો ‘ક્લિનસેવ’ હતો ! હિંદુ ધર્મની ઓળખ રૂપની નહીં, સ્વરૂપની રહી છે. સૂકા ભેગું લીલુ ન બળી જાય એ જ જોવાનું છે. જે મંદિરોમાં વિધર્મીઓ કે વિદેશીઓને પ્રવેશ નથી તેનો દાખલો લઈને નવી કુપરંપરાઓ દાખલ કરવાની જરૂર નથી. ગઝની અને ઔરંગઝેબની સામે અમીરખુશરો અને રસખાન જવાબ છે. સંગીતકાર નૌશાદ કહેતા કે સંગીતનો જન્મ આદિદેવ ભગવાન શંકરના ડમરુંના ધ્વનિમાંથી થયો છે. ‘છછિયાબર છાછ’ માટે નચાવનાર ગોપીઓના કૃષ્ણના દીવાના રસખાનની ઇચ્છા પુર્નજન્મમાં ગોવર્ધન પર્વતના પથ્થર બનવાની છે !
ઝંડા બિરાદરી, ઉપદેશ-પ્રવચનો, સેમિનારો-ચિંતનો, સેક્યુલરો – નોન સેક્યુલરો, રાજકારણીઓ – સંસ્થાઓ વગર જ જોજનો દૂર સદીઓથી સમાજમાં અનઆયાસે પ્રેમ અને માનવીય સંબંધોની રેશમીડોરની ગાંઠ બંધાયેલી છે. ધર્મ મઝહબની બાબતમાં ‘ગોડ’ ખુશ થાય એ જોવું, ‘ગોડફાધર’ની ચિંતા ન કરવી.
સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટ સાથે સંકળાયેલા મહાનુભાવ કે ગુજરાત સરકારના સર્વોચ્ચ વડા પાસે મંદિર પ્રવેશની સંકીર્ણ માનસિકતા મુદ્દે વિશેષ કાળજીની અપેક્ષા છે.
હું પ્રયાગ કુંભ મેળામાં ૨૦૧૩માં પંદરેક દિવસ હતો. રોજ દસ-પંદર કિલોમિટર ચાલવાનું બનતું. ત્રીજા દિવસે ખબર પડી કે કુંભ હાઈ એલર્ટ પર છે. કારણ કે અફઝલ ગુરુને ફાંસી થઈ હતી. સરકારે અલાહાબાદ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધેલો. ‘ચપ્પે ચપ્પે’ પર નજર હતી. પરંતુ સેક્યુલર સરકારોના અનુમાન ખોટા નીકળેલા !
૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩. મૌની અમાવસ્યાનું શાહી સ્નાન. કરોડોની સંખ્યાથી બધું પૅક. બજાર બંધ હતા. શહેરની ગુલામ મોહમ્મદી કમિટી તરફથી તીર્થયાત્રીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કમિટીના નૌશાદ અહેમદ નુરૂલહસન, હાજી મુજાહિદ ઈસ્લામ, હાજી ફરિદ અહમદે સેવાની આગેવાની લીધી હતી. બીજી બાજુ બજ્મ પૈગામે વૈહદાનિયત કમિટી તરફથી કવીન્સ હૉસ્પિટલ સામે ભોજનાલય (લંગર) અને યાત્રીઓને ગંગાસ્નાન માટે લાલ ગમછા વહેંચવાનું શરૂ કર્યું. અલાહાબાદના ઉલેમાઓએ આ કામ સંભાળી લીધું. કમિટીના સદર મુક્તિ મોહસિને એલાન કર્યું, યાત્રિકોની શ્રદ્ધાનો પૂરો ખ્યાલ રાખવો. કેટલાક મુસ્લિમોએ ઘરના દરવાજા ખોલી નાંખેલા. ખુરશી, ગાદલા, રજાઈની વ્યવસ્થા થઈ. કેટલાક મુસ્લિમ વેપારી મંડળો તરફથી આરોગ્યકેમ્પ લગાવ્યા હતા. ખોયા-પાયા કેન્દ્ર શરૂ કરીને ભૂલેલાઓ માટે માર્ગદર્શન અપાતું હતું.
કુંભમાં તુર્કસ્તાનના સિત્તેર મુસ્લિમ યુવક-યુવતીઓએ વિહંગમયોગની દીક્ષા લીધી હતી. ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ અપાઈ રહી હતી. તુર્કી ટીમના નેતા હાજી મોહમ્મદના મત પ્રમાણે યોગ થકી મન ઉપર નિયંત્રણ થતાં જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન થાય છે.
ફ્રાંસની મેકલિન, જર્મીનીની ફેરિયદ (પતિ-પત્ની), ઇઝરાયલના ૬૦ વર્ષીય ચિત્રકાર ઇરોડ અને અમેરિકા, ઇટાલી તથા ઓસ્ટ્રેલિયાના કેટલાક નાગરિકો પણ ભસ્મ ચોળીને આનંદ માણતા જોવા મળ્યા. બધા વિદેશી અને વિધર્મી !! આ ઉત્તરાખંડ અને હિમાલયના મંદિર વિદેશી અને વિધર્મીઓથી ધમધમે છે.
હિન્દુની થોડીક વ્યવહારિક મર્યાદાઓ છે, જે કલંક છે છતાં તેનો વિચારપટ એટલો વિશાળ છે કે તેનો પનો ટૂંકો પડે એમ નથી. સમયને અનુકૂળ થવાની તેની સ્થિતિસ્થાપકતા છે.
સોમનાથ ટ્રસ્ટે સવાયા હિન્દુ નહીં, સવાયા માણસ બનવાની હિંદુ પરંપરાને આગળ લઈ જવાની જરૂર છે.
તા. ૧૦-૬-૨૦૧૫, ગુરુકુળ રોડ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 16