આ શીર્ષક વાંચતાં જ કેટલાકને ધક્કો પહોંચશે. ધર્મ તો સદીઓથી સર્વને માટે માનનીય, પૂજનીય અને અનુસરવા યોગ્ય વિભાવના રહી છે, જેનું યોગ્ય રીતે પાલન ન કરનારા પર કાયદેસર કાર્યવાહી થાય. ભલા ધર્મે એવું શું કૃત્ય કર્યું છે તે તેના પર કાયદેસર કાર્યવાહી થાય? આવું વિચારવાની ધૃષ્ટતા જ કોઈ કેમ કરી શકે, ભલા?
ખરી વાત છે. આજથી પાંચ-સાત દાયકાઓ પહેલાં કે આજે પણ કેટલાક સમૂહોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તો ખળભળાટ મચી જવાનો સંભવ છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના ઉપક્રમે ઉપરોક્ત શીર્ષક હેઠળ તાજેતરમાં એક ચર્ચાસભાનું આયોજન થયેલું. ચર્ચાસભાની પેનલમાં સોશિયલ રિસ્પોસિબિલિટી[social responsibility]ના ડાયરેક્ટર જુલિયન સ્કાયર્મ [Julian Skyrme], સ્થાનિક એમ.ઈ.પી. અફઝલ ખાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રોફેસર માઇકલ હોયલઝ્લ [Dr. Michael Hoelzl], ઉચ્ચ શિક્ષણના ચેપલિન રેવરન્ડ ટેરી બિડ્ડીંગ્ટન [chaplin of higher education Rev. Dr. Terry Biddington], ડાયવરસિટી ટીમના અધિકારી ટેસી મારિટીમ [Diversity team officer Tessy Maritim] અને સ્થાનક સાંસદ જ્હોન લીચ [John Leach] હતા.
કાર્યક્રમની શરૂઆતમાં હાજર રહેલા શ્રોતાઓને છ પ્રશ્નોમાંથી પોતાને જે અનુભવ થયો હોય તેના પર ચોકડી મારવા કહ્યું. એ પ્રશ્નો હતા :
1. મને આ દેશમાં અલગ અલગ ધર્મો અને ધાર્મિક માન્યતાઓ વિષે મળેલા શિક્ષણ વિષે સંતોષ છે.
2. મેં ત્રણ કે તેથી વધુ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે.
3. મારા મિત્રોમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓનો સમાવેશ થાય છે.
4. મારા ધર્મને કારણે લોકોએ પ્રચલિત માન્યતાઓ અનુસાર મારી સાથે વર્તન કરેલું છે.
5. મેં બીજા વિષે ધર્મને આધારે કેટલાક અનુમાનો બાંધ્યા છે.
6. મેં અન્યના હિંસક વલણ-વર્તન સાથે તેમના ધર્મને જોડ્યો છે.
રસ પડે એવી વાત તો એ છે કે જ્યારે આ પ્રશ્નોના જવાબનું તારણ કાઢવામાં આવ્યું ત્યારે જણાયું કે પ્રથમ ત્રણ પ્રશ્નોના જવાબથી આજની શિક્ષણ વ્યવસ્થા માટે ફરિયાદ કરી ન શકાય તેમ જ મોટા ભાગના લોકો ધાર્મિક સ્થળો અને વિવિધ ધર્મના લોકો પ્રત્યે મૈત્રીભર્યું વલણ દર્શાવે છે, એમ બહાર આવ્યું. આમ છતાં, સમાજમાં હજુ ચીલાચાલુ માન્યતાઓને આધારે કોઈ એક સમૂહ વિષે અભિપ્રાયો બાંધવાનું અને તેને આધારે અન્ય સાથે અન્યાયભર્યું વર્તન કરવાનું તથા ગેરકાયદેસરના કે હિંસક વલણ-વર્તન માટે ધર્મને જવાબદાર ઠેરવવાનું વલણ હજુ ઘણું પ્રવર્તે છે.
પેનલ પરના છ સભ્યોને ત્રણ પ્રશ્નો પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું કહેવામાં આવેલું :
અ) તમે ધર્મનો શો અર્થ ઘટાવો છો?
બ) રાજકારણમાં ધર્મને કોઈ સ્થાન છે ખરું?
ક) ધર્મ વિના આ દુનિયામાં વધુ શાંતિ રહેશે?
મુખ્ય વક્તાઓનાં વક્તવ્ય બાદ શ્રોતાઓનાં મંતવ્યો અને સવાલ-જવાબનો સાર ઘણો રસપ્રદ પૂરવાર થયો. સમાજશાસ્ત્રીઓનું એવું માનવું હતું કે જેમ જેમ સમાજની પ્રગતિ થશે તેમ તેમ ધર્મ અદ્રશ્ય થશે અને લોકો વધુ સેક્યુલર એટલેકે ધર્મ નિરપેક્ષ થશે. જ્યારે આજે આનાથી વિરુદ્ધ સ્થિતિ જોવા મળે છે. ધર્મ પ્રજાને મૂલ્યો વિષે જ્ઞાન આપે, એના પાલન માટે પ્રેરણા આપે અને તેની શક્તિને પડકારે એવો હોય એવી ધારણા હતી. આજે સવાલ થાય કે ધર્મ આડખીલી રૂપ છે કે માનવ-માનવ વચ્ચે પૂલ બાંધનાર બન્યો છે? એ એકતાનું વાહન બન્યો છે કે વિભાજનનું સાધન બન્યો છે? એક એવી માન્યતા છે કે ધર્મ વિનાની દુનિયા સારી નહીં હોય. શક્ય છે કે લોકો ધર્મને નામે નહીં તો બીજાં કોઈ કારણો સર લડતા રહેશે. ખરું જુઓ તો આતંક ફેલાવવા અને ગુનાઓ આચરવા માટે ધર્મ કારણભૂત નથી, એ તો એક માત્ર બહાનું છે. તો હિંસક અને ગુનાખોરી માનસ ધરાવનારા કોઈ બીજું બહાનું શોધી લેશે. માત્ર માનવ જ નહીં, સૃષ્ટિના તમામ સજીવ-નિર્જીવ પદાર્થોના સઘળાં કાર્યો કોઈ ને કોઈ પ્રકારની શ્રદ્ધા અને વિશ્વાસથી જ દોરવાયેલાં હોય છે. બાળક પડી જાય અને વાગે તો મા યાદ આવે તેમ માણસ તકલીફમાં હોય તો ધર્મને શરણે જાય એ તેનું એક સકારાત્મક પાસું છે. હાજર રહેલા વિદ્યાર્થી સમૂહનું કહેવું હતું કે જે ધર્મ લોકોના ઉદાર મતને ટેકો આપે અને સમાનતા તથા માનવ અધિકારોનાં મૂલ્યો પોષે તેવા ધર્મને આજની લોકશાહી રાજ્ય પદ્ધતિમાં સ્થાન મળી શકે, પરંતુ જે ધર્મ એક બાજુથી સ્કૂલો ચલાવે, ધર્મસ્થાનો ઊભાં કરે અને માનવતાનાં કાર્યો કરે એ જ ધર્મ પોતાના સિદ્ધાંતો બીજા પર ઠોકી બેસાડે, તે હવે એમને માન્ય નથી. ધર્મની ભૂમિકા સામાજિક વ્યવસ્થા જાળવવામાં છે તે ઊગતી પેઢીને પણ સ્વીકાર્ય છે, પણ ચર્ચ અને રાજ્ય જુદાં હોવાં જોઈએ એ મત ધરાવનારાની સંખ્યા વધતી જાય છે.
ધર્મનો ઉદ્દભવ એક જીવન પદ્ધતિ તરીકે થયેલો જેનો માનવ વિકાસમાં ઉત્તમ ફાળો રહ્યો. કમનસીબે છેલ્લા કેટલાક દાયકાઓથી બીજા પર દબાણ કરવામાં, જુદાઈ વધારવામાં અને તેને નામે હિંસા આચરવામાં વધુ જવાબદાર ગણાવા લાગ્યો છે. જો કે એવું માનવાને કારણ નથી કે સેક્યુલર પ્રજાએ હિંસા નથી કરી. ઇતિહાસ સાક્ષી છે કે લડાઈઓ અને રમખાણો કરનારા ધાર્મિક અને અધાર્મિક બંને જૂથમાંથી આવે છે. ધર્મ માનવ સર્જિત છે એ હકીકત છે એવી જ રીતે આત્યંતિક વિચારો પછી એ ધર્મ વિશેના હોય કે ધર્મ નિરપેક્ષતા વિશેના બંને માનવ જાતની એકતા અને સલામતી માટે સરખા જોખમકારક છે. એટલે ખરું જોતાં ધર્મ વિનાની નહીં પણ માણસ વિનાની દુનિયામાં પરમ શાંતિ હશે એમ માનવાનું મન થાય.
આમ આ ચર્ચાસભામાં અનેક મત-અભિપ્રાયોની લેવડ-દેવડ થઈ અને સહુ વિચારોનું ભાથું લઈને વિખેરાયા. કેટલાક નવયુવકો-યુવતીઓ સાથે એ સાંજે કોફી પીતાં ચર્ચા આગળ લંબાઈ. તેઓ મારા અંગત વિચારો જાણવા ઉત્સુક હતાં. મારા માટે ધર્મનો અર્થ છે, કુદરત અને તેની રચેલ તમામ સૃષ્ટિનો આદર કરવો, તેના અપાર વૈવિધ્યનો સ્વીકાર કરવો અને સહઅસ્તિત્વ વિકસાવવું. ધર્મનો અર્થ હું ફરજ એવો ઘટાવું છું. અંગત રીતે મારા ધર્મને સમજવાથી મારાં નૈતિક મૂલ્યો, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સમજણ ઘડાઈ અને વિકસી. ધર્મની મારી આ વ્યાખ્યા હોવાને કારણે એવા ધર્મને રાજકારણમાં સ્થાન છે તેમ મારું માનવું છે. જો રાજકારણનો અર્થ મુઠ્ઠીભર લોકોના સ્થાપિત હિતોનું રક્ષણ થાય, એના લાભથી વંચિત રહેલાનું સત્તા અને લાંચ-રૂશ્વતથી શોષણ થાય એવો થતો હોય, તો એવા રાજકારણનું માનવ સમાજમાં સ્થાન નથી અને એવા રાજકારણમાં ધર્મને હરગીજ સ્થાન નથી. હા, રાજકીય હોદ્દાઓ પર ધાર્મિક સંસ્થાઓના વડાઓની નિમણુક થાય એ વિષય વિવાદાસ્પદ છે. અને જો તેઓ રાજ્યનો વહીવટ કરવામાં અને કાયદાઓ ઘડવામાં ધાર્મિક નિયમો લાવે તો એ માનવ અધિકારની તરફેણમાં હોય તો જ સ્વીકારવામાં માનું છું.
આજના યુગમાં ધર્મનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને તેને નામે જે માનવ હિત વિરોધી હિંસક આચાર થઇ રહ્યા છે એવા કહેવાતા ‘ધર્મ’ વિના આ દુનિયા વધુ શાંતિથી જીવી શકશે. આજે કોઈ પણ પાયા ઉપર નભેલી ઓળખ જાણે એકબીજાને વિભાજીત કરનારી બની ગઈ છે. ધાર્મિક સ્થાનો પાસે અઢળક મિલકતના ઢગલા છે, એ સામાજિક અને રાજકીય સત્તાની પીઠ સમાં બની ગયાં છે, તેના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓનું શોષણ કર્તા બન્યા છે, પદ અને સત્તાની ચડ-ઉતર વ્યવસ્થા અને ક્રિયાકાંડને ચુસ્તપણે વળગી રહેવાને કારણે પાખંડી વધુ અને માર્ગદર્શક ઓછા રહ્યા છે, કેટલાક કિસ્સાઓમાં તો ધર્મ સ્થળો હિંસાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે એટલે નવી પેઢીને તેમના પરથી વિશ્વાસ ઊઠી જાય તે વ્યાજબી છે. અત્યાર સુધી અનેક પંથ બન્યા, વાડાઓ રચાયા, હવે સાચો ‘માનવ’ બનાવીએ, ધર્મ એની મેળે એની પાછળ પાછળ રચાશે. આપણે સહુ માનવ છીએ માટે આપણા સહુનો એક જ ધર્મ હોઈ શકે અને તે ‘માનવ ધર્મ’.
મારા આ મંતવ્ય સાથે યુનિવર્સિટીના એ વિદ્યાર્થીઓ મોટે ભાગે સહમત થતા જણાયા, અને એ પેઢી એક દિવસ માનવ ધર્મના ઉદ્દગાતા બને એવી શુભેચ્છા આપીને છુટ્ટી પડી.
e.mail : 71abuch@gmail.com