= = = = આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈપણ અનર્થને ભગાડી શકે છે = = = =
કોરોના જાણે એક નાનકડા બીજમાંથી ઝડપ ઝડપમાં ફાલીને વિકસેલા બિહામણા મોટા ઝાડ સમું ધૂણે છે; બબડે છે, માણસ ગંધાય, માણસ ખાઉં … ૨૦૧૯ના ડિસેમ્બરથી આછોપાતળો શરૂ થયેલો અને ૨૦૨૦ના પ્રારમ્ભથી રીતસરનો મંડાયેલો એ આજે જૂનની ૨૧-મીએ કેટલો તો વકર્યો છે એ તો હવે આપણા સૌના અનુભવની વાત છે. આ મહામારી પોતે જ ઠરીઠામપણે જિવાતા જીવનમાં જનમેલી એક મહામોટી અસંગતિ છે, ઍબ્સર્ડિટી છે, અનર્થ છે.
પણ જુઓ, એ અસંગતિ, એ ઍબ્સર્ડિટી કે એ અનર્થની સામે કશોક માતબર સંગીન બલકે અપરાજેય અર્થ રચવાને દુનિયા આખી મચી પડી છે.
વિજ્ઞાનીઓ રસી કે દવાના સંશોધનમાં ગરકાવ છે. સાહિત્યકારો અવનવું સરજી રહ્યા છે. સંગીતકારો, ચિત્રકારો અને કલામાત્ર સાથે જોડાયેલા રસિયાઓ, સૌ, એ અસંગતિને નષ્ટ કરવા પોતાનાથી થાય એટલી કોશિશ કરી રહ્યા છે.
જુઓને, આજનો દિવસ ૨૧ જૂન કેટલી બધી સુસંગત અને અર્થપૂર્ણ વસ્તુઓ લઈને આવ્યો છે. દીકરીએ યાદ કરાવ્યું કે આજે ફાધર્સ ડે છે. કેટલી સારી વાત. આજે વિશ્વ-યોગ દિવસ છે. ભોગગ્રસ્ત પ્રવર્તમાન કે કશી પણ ગતકાલીન સભ્યતાને જીવન-સંતુલનનો રાહ દર્શાવતી યોગવિદ્યા પોતે જ એક મહિમાવન્ત અર્થ છે. આજે સૂર્યગ્રહણ થવાનું છે. રોજ સવારે બે-ત્રણ મિત્રો મને good morning-નું અભિવાદન સ-ચિત્ર મોકલે છે. હું એમને વળતું ‘સુપ્રભાતમ્’ લગભગ દરેક દિવસે લખી મોકલું છું. આજે એમાંના એક મિત્રે મને સૂર્યગ્રહણ વિશેની ઋગ્વેદની ઉક્તિ મોકલી : O Sun ! When you are blocked by the one whom you gifted your own light (moon), then earth gets scared by sudden darkness : ( Rig Veda : 5. 40. 5, 5, 40.9 ). હું ખુશ થઈ ગયો કેમ કે આ વીગતની મને ખબર ન્હૉતી. મને થયું, ઋગ્વેદકારની વાત સૂર્ય માટે સાચી છે એટલી જ માણસો માટે પણ સાચી છે. જેને પ્રકાશિત કર્યો હોય તે જ તમારું ગ્રહણ કરી દે ! એ પણ જીવનની ઓછી અસંગતતા છે? અરે, એથી સ્તો વૅરઝૅર અને જીવનના હર કોઈ ક્ષેત્રે રાજકારણ સરજાય છે, જે પછી વિષવેલની જેમ પાંગરે છે …
હું આજની આ ૨૧ જૂન કેટલી તો સુસંગત છે એની વાત કરતો’તો. આજે મારી પુત્રવધૂ પાયલ પૂર્વરાગે અમને ફૅમિલી ગ્રૂપને ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો એને કહીએ …’ મોકલ્યું. એ ક્લિપની વિશેષતા એ છે કે એ ભજનને ૧૨૪ દેશના કલાકારોએ ગાયું છે ! એવા કલાકારો કે જેઓને ગુજરાતી ભાષાની સીધી જાણકારી નથી કે નથી તેઓ આના સર્જક આપણા સૌને વ્હાલા નરસૈંયાને જાણે છે. એટલું જ નહીં, કદાચ ન તો તેઓ હિન્દુ છે કે કદાચ ન તો તેઓ વૈષ્ણવધર્મને કે કોઈ વૈષ્ણવને ઓળખે છે. દેશ-વિદેશ, ધર્મ-પરધર્મ, કે નાતજાત કે કશાપણ ભેદનો આથી થયેલો ‘નાશ’ મને રોમાંચિત કરી ગયો, મારા મનને ગદ્ ગદ્ કરી ગયો. આનન્દભરી સજળ આંખે મેં આ ક્લિપને મારા મિત્રો પ્રતિ વ્હૅતી કરી દીધી. ત્યાં તો મને ‘અસ્તિત્વદર્શન’-ના કર્દમ આચાર્ય અને તેમના સાથી તેમ જ મારા મિત્ર વિશ્વમિત્ર દ્રુપદે યાદ દેવરાવી કે આજે સાર્ત્રનો જન્મદિવસ છે. એમણે ‘શબ્દ એવમ્ ચિન્તન કી કલાત્મક અભિવ્યક્તિ’ નામની એમની YuTube -સંલગ્ન ચૅનલ પર સાર્ત્રને વિશેનો એમનો વાર્તાલાપ આજે રી-રીલિઝ પણ કર્યો … સાર્ત્રે કરેલી વાત કે જીવનમાં બસ, સત છે અને શૂન્યતા છે. એથી અદકેરી શી હોઈ શકે જીવનવાસ્તવિકતા?
કોરોનાના પ્રતાપે એક સત્ય એ પુરવાર થઈ રહ્યું છે કે અનર્થોના પૂર્ણ સ્વરૂપના સાક્ષાત્કાર પછી જ અર્થને માટેની શોધ શરૂ થાય છે. પણ આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈ પણ અનર્થને ભગાડી શકે છે. કોરોના જો મહામારી છે તો એની સામેનો આ વૈશ્વિક જંગ વિશ્વયુદ્ધો પછીનો મહા બલિષ્ઠ જંગ છે. જો કે એ જંગ નિ:શસ્ત્ર છે. આપણે ભલે બોલીએ કે ‘હું છું કોરોના-વૉરિયર’ પણ સાથોસાથ, આપણે એ યાદ રાખવું જોઈશે કે આપણી વૉર જુદા પ્રકારની છે. વૉર છે ખરી પણ તમામ અનર્થો સામે છે અને તેની ભૂમિકા હમેશાં માનવીય સર્જકતા છે, નહીં હોય તો હોવી જોઈશે … કેમ કે આ તો દેખીતાં શસ્ત્રો વિનાનું અને માત્ર આત્મબળે લડવાનું યુદ્ધ છે … એનાં ખરાં કારગત શસ્ત્રો તો આપણી અંદર પડેલાં છે … લડવાનું પણ, સમજીએ તો, જાત જોડે જ છે …
= = =
(June 21. 2020: Ahmedabad)
વિશ્વના ૧૨૪ કલાકરોએ ગાયેલા 'વૈષ્ણવજન તો…' માટે આ link પર જાઓ :