= = = = આપણે ઊભા કરેલા રેડ, ઑરેન્જ કે ગ્રીન ઝોનની સરહદો કોરોનાને નડતી નથી. એને કોઈ સરકાર કે કોઈ લૉકડાઉન જોડે કશી જ લેવાદેવા નથી. એ કોઈ પ્રધાનમન્ત્રીને રાષ્ટ્રપ્રમુખને કે મુખ્યમન્ત્રીને ઓળખતો નથી. એમને ગાંઠવાની કે એમના ગરબડિયા પ્રયાસોથી ભાગી જવાની તો વાત જ કેવી ! = = = =
સરકારે કેવા કેવા હેતુઓ પાર પાડવા લૉકડાઉન (4.0) લંબાવ્યો તેની ભરપૂર નુક્તેચિની જરૂર કરીએ.
(સરકાર, પ્રજા અને કોરોના સમ્બન્ધે સવિશેષે – સ્પેશ્યલિ – અણીશુદ્ધ ચર્ચા કરતું એક માત્ર સામયિક છે, પ્રકાશ ન. શાહ અને (દેશાવરે) વિપુલ કલ્યાણીના તન્ત્રીપદે ચાલતું 'નિરીક્ષક'. હંમેશાં અને આ દિવસોમાં તો 'નિરીક્ષક' અચૂક વાંચીએ.)
અને હા, મળેલી છૂટછાટોનો વિવેકથી વિનિયોગ પણ કરતા રહીએ. એટલું ખરું કે છૂટછાટોમાં લોકોને મૉજ પડે છે, પણ કોરોનાને બહુ જ ફાવટ આવી જાય છે. કેમ કે છૂટછાટો કોરોનાના કામમાં આડકતરી રીતે ઘણી જ મદદો પ્હૉંચાડે છે. જો કે, એ પણ એટલું જ ખરું છે કે ઘરમાં રહેનારાં મનુષ્યો જોડે કોરોનાને ખાસ ફાવટ નથી આવતી.
કેટલાક એવું માને છે કે છૂટછાટો મળી મતલબ, કોરોના ગયો ! એ નાદાનિયત છે, એમાં ન રાચીએ. સાથોસાથ, સમજી રાખીએ કે આપણે ઊભા કરેલા રેડ, ઑરેન્જ કે ગ્રીન ઝોનની સરહદો કોરોનાને નડતી નથી. એને કોઈ સરકાર કે કોઈ લૉકડાઉન જોડે કશી જ લેવાદેવા નથી. એ કોઈ પ્રધાનમન્ત્રીને રાષ્ટ્રપ્રમુખને કે મુખ્યમન્ત્રીને ઓળખતો નથી. એમને ગાંઠવાની કે એમના ગરબડિયા પ્રયાસોથી ભાગી જવાની તો વાત જ કેવી !
એ પણ સમજી રાખીએ કે કોરોના દયા-માયામાં કે સત્ય-પ્રેમમાં પણ નથી સમજતો. અહિંસાની તો વાત જ કેવી !
ટૂંકમાં, આપણું સઘળું ધ્યાન કોરોના પર રાખીએ, કેસિસ અને ડેથ્સના આંકડાને જોતા રહીએ.
વાતનો સાર એ કે આપણે માણસોએ આ કપરા દિવસોને ડાહ્યાડમરા થઈને જીવી લેવાના છે.
(May 17, 2020 : Ahmedabad)