Opinion Magazine
Number of visits: 9446380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્રની જનતા હાથમાં જૂતું લઈને ચાર રસ્તા પર ઊભી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 July 2023

રાજ ગોસ્વામી

એક મકાન માલિકે તેના બે માળના ઘરમાંથી ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડૂઆત એક કારખાનામાં સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો. 4 વાગે કામ પર જાય અને રાતે 12 વાગે પાછો આવે.

રોજ રાતે એ થાકીને આવે અને કમરામાં પેસતાં વેંત ખાટલામાં ફસડાઈ પડીને પગમાંથી જૂતાં કાઢીને ધડામ કરતાં ખૂણામાં ફેંકે.

બરાબર એ જ કમરા નીચે આવેલા કમરામાં માલિક સૂઈ જાય. ભાડૂઆત રોજ રાતે ધડામ કરતાં એક પછી એક જૂતાં ફેંકે એ સાથે તેના અવાજથી ગભરાઈને ઊંઘમાંથી ઊઠી જાય.

આવું થોડા દિવસ ચાલ્યું પછી માલિક પરેશાન થઇ ગયો. એક દિવસ ભાડૂઆત કામ પર જવા નીચે ઉતાર્યો એટલે માલિકે રોકીને કહ્યું કે, “ભ’ઈ સાબ, રાતે ઘરમાં આવો ત્યારે જૂતાંને કાઢીને ધીમેથી મૂકતા હો તો સારું, તમે એને ધડાધડ ફેંકો છો એમાં મારી ઊંઘ ઉડી જાય છે.”

ભાડૂઆતને ભૂલ સમજાઈ. તેણે કહ્યું ધ્યાન રાખીશ.

એ રાતે એ પાછો આવ્યો, ત્યારે હંમેશની જેમ થાકીને લોથ થઇ ગયો હતો. ફેકટરીમાં મશીન પર કામ કરીને દમ નીકળી ગયો હતો.

અંદર આવીને એ ખાટલામાં ફસડાઈ ગયો અને જૂતાંની દોરી છોડીને એક જૂતું ધડામ કરતું ખૂણામાં ફેંક્યું.

અચનાક તેને મકાન માલિકે કહેલી વાત યાદ આવી. તેને અફસોસ થયો અને બીજું જૂતું ઉપાડીને હળવેકથી ખૂણામાં મૂકી દીધું.

બીજા દિવસે તે કામ પર જવા નીકળ્યો એટલે મકાન માલિકે રોક્યો, “રાતે તમે ભારે કરી!”

ભાડૂઆતે માફી માંગી અને કહ્યું કે ભૂલમાં જૂતું ફેંકાઈ ગયું હતું.

માલિકે કહ્યું, “ભલા માણસ, એક જૂતાંનો અવાજ આવ્યો પછી હું ‘હમણાં બીજું જૂતું પડશે, હમણાં બીજું જૂતું પડશે’ની ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી ના શક્યો. ફેંકી દેવું હતું ને!”

°°°

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પછી જે ઉથલપાથલ થઇ છે તેના કેન્દ્રમાં આ જોક છે. જૂન 2022માં, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવિસે, સત્તારૂઢ મહાવિકાસ આઘાડી સરકારના ભાગીદાર શિવસેનામાં ઊભી તિરાડ પાડીને એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવી દીધી, ત્યારથી એક તેમની વચ્ચે ખટરાગભર્યા લગનની શરૂઆત થઇ હતી.

આ સગવડિયાં લગનનો ટૂંકા ગાળોનો ઉદેશ્ય સત્તા મેળવવાનો હતો, પરંતુ લાંબા ગાળાનો ઉદેશ્ય ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવાનો હતો, જેથી મતદારો પાસે એ વિકલ્પ જ ન બચે. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા પાછળનો મુખ્ય હેતુ ઈર્ષ્યા કે દુ:શ્મની નથી હોતો (કહેવત છે ને કે રાજકારણમાં કોઈ ન તો કાયમી દોસ્ત છે, ન કાયમી દુ:શ્મન), પરંતુ ચૂંટણી વખતે મતદારોના વિકલ્પને સીમિત કરવાનો હોય છે.

મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વ્હાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય, તો બે વિકલ્પ છે : ‘એક્સ’ જો ‘વ્હાય’ સાથે ભળી જાય, તો ‘એક્સ’ અને ‘વ્હાય’ના મતો એક થઇ જાય, અથવા, ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય, તો બધા મતો આપોઆપ ‘વ્હાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કરતા રહ્યા હતા કે શિવસેનાએ આઘાડી ગઠબંધન છોડીને ભા.જ.પ. સાથે જતા રહેવું જોઈએ, પણ ઉદ્ધવે ભા.જ.પ. સાથે વૈચારિક અંતર કેળવી લીધું હતું એટલે શિંદે અને ફડણવિસે બીજો વિકલ્પ અમલમાં મુક્યો; શિંદે શિવસેનાના વિધાનસભ્યો અને સિમ્બોલ સાથે ઉચાળા ભરીને ભા.જ.પ.ના બેન્ડવેગનમાં બેસી જાય તો કેવું?

વિધાનસભાની ચાર દીવાલો વચ્ચે તો થયું એવું, પરંતુ જમીન પર, એટલે કે મહારાષ્ટ્રમાં ઠાકરે સેના પ્રત્યે પ્રતિબદ્ધ મતદારોમાં તેની ઝાઝી અસર ન પડી. ભા.જ.પ.ને એકનાથ શિંદેની વફાદારી તો મળી, પરંતુ મતદારોનો પ્રેમ મળ્યો નથી. ભા.જ.પ.નો આંતરિક સર્વે કહે છે કે શિંદેએ પાટલી બદલી તેનાથી મતદારોમાં તેમના માટે નારાજગી અને ઠાકરે માટે સહાનુભૂતિ વધી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવ સેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પછી ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદે સેના અને ભા.જ.પ.ને ભરોસો નથી કે મતદારો મતદાન મથકમાં તેમની પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીએ લઈને છે. 15 મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને તેના પર બહુમતી મતદારોનો સ્ટેમ્પ વાગવો બીજો.

ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે પેલા મકાન માલિક જેવી છે. શિંદે અને ફડણવિસે સત્તાનું એક જૂતું તો કબજે કરી લીધું છે, પરંતુ ચૂંટણીમાં મતોનું બીજું જૂતું હાથમાં આવશે કે માથામાં વાગશે, તેની ચિંતામાં તેમને ઊંઘ નથી આવતી.

મહાવિકાસ આઘાડી ગઠબંધનની ત્રીજી હિસ્સેદાર, શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી સાથે. શિવસેનાવાળી જ કરવા પાછળ આ ચિંતા મુખ્ય કારણ છે. શિંદે – ફડણવિસ સત્તાના એવા સિંહ પર બેસી ગયા છે જેના પરથી ઉતરવું કોઈ કાળે પોષાય તેમ નથી (અને આ ક્ષણે ચૂંટણી યોજાય તો ઉથલી જવાના પૂરા ચાન્સ છે). તેમના માટે અગામી ચૂંટણી જીતવી અત્યંત અનિવાર્ય છે.

તેના માટે ઉદ્ધવ સેના, એન.સી.પી. અને કાઁગ્રેસ નબળા પડે તે જરૂરી છે. એમાં અડધું કામ શિંદેએ કર્યું હતું. કાઁગ્રેસને તોડવી એટલા માટે અઘરી છે કે વૈચારિક રીતે તે એકદમ છેડા પર છે અને તેના વિધાનસભ્યો જો ભા.જ.પ. સાથે જાય, તો તેમના મતવિસ્તારમાં તેમની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઇ જાય. તેના પ્રમાણમાં, એન.સી.પી.માં બળવો કરવો સરળ હતો, કારણ કે પવારના ઘરમાં જ (દીકરી સુપ્રિયા સુલે અને ભત્રીજા અજિત પાવર વચ્ચે) પાવર-સ્ટ્રગલ ચાલે છે.

2019માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી આ જ અજિત પવાર ભા.જ.પ.ના ટેકાથી 80 કલાક માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા (મંગળવારે એ પાંચમીવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા). તે વખતે સિનિયર પવારની કુનેહથી તે પાછા પાર્ટીમાં આવી ગયા હતા, પરંતુ તે દિવસથી આંતરિક ખટપટ વધી ગઈ હતી. ‘શોલે’માં સંજીવ કુમાર જય-વીરુને કહે છે તેમ, ભા.જ.પ. માટે હથોડો મારવા માટે એન.સી.પી.નું લોઢું ગરમ હતું.

એન.સી.પી.ના જે નવ નેતાઓએ શિંદે – ફડણવિસની સરકારમાં શપથ લીધા છે, તેમાંથી ઓછામાં ઓછા 4 – અજિત પવાર, છગન ભુજબળ, અદિતિ ટટકરે અને હસન મુશરિફ – સામે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું દૃઢપણે મનાય છે કે ઈ.ડી. વિરોધ પક્ષના નેતાઓ સામે તપાસ જ એટલા માટે કરે છે જેથી તેમને નબળા પાડી શકાય. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

વિડંબના જુઓ કે, એન.સી.પી.ના આ નેતાઓ એક તરફ વિધાનસભામાં શપથ લઇ રહ્યા હતા, તે જ વખતે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં કોર્ટને ઈ.ડી.ની શક્તિ પર લગામ કસવાની અપીલ કરી રહ્યા હતા. રિયલ્ટી ગ્રુપ એમ.3.એમ.ના ડાયરેક્ટરોની ધરપકડોને લઈને દલીલો કરતાં સાલ્વેએ કહ્યું હતું કે, “મની લોન્ડરિંગના કેસોની તપાસ કરવા માટે ઈ.ડી. પાસે અમાપ શક્તિઓ છે. તેને જો નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ દેશમાં કોઈ સલામત નથી.”

શરદ પવારે જ્યારે વડા પ્રધાન મોદીના એક બયાનને ટાંકીએ ટોણો માર્યો તે આ જ વિડંબનાને દર્શાવતો હતો. તેમણે કહ્યું હતું, “બે દિવસ પહેલાં વડા પ્રધાન એન.સી.પી. અંગે બોલ્યા હતા … તેમણે કહ્યું હતું કે એન.સી.પી. પતી ગયેલી પાર્ટી છે. તેમણે સિંચાઈ કૌભાંડ અને ભ્રષ્ટ્રાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા સાથીઓએ શપથ લીધા છે. એના પરથી સ્પષ્ટ છે તેમનાં પાપ ધોવાઇ ગયાં છે. હું વડા પ્રધાનનો અભાર માનું છું.”

મહારાષ્ટ્રના રાજકારણમાં આ અંતિમ અધ્યાય નથી. ચૂંટણી સુધી હજુ ઘણાં જૂતાંના અવાજ આવવાના છે. 

લાસ્ટ લાઈન :

રાજકારણમાં નૈતિકતા નથી જોવાતી, ફાયદો જોવાય છે. એક બદમાશ પણ એટલા માટે જ આપણા કામનો હોઈ શકે કારણ કે એ બદમાશ છે.

— વ્લાદિમીર લેનિન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

10 July 2023 Vipool Kalyani
← પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અપાઈ ન જાય તેની સરકાર ભારે કાળજી રાખે છે …
ખુલ્લા પુસ્તક સમો માણસ  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved