Opinion Magazine
Number of visits: 9448747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈના મશાલચી  ડો. મફતભાઈ પટેલ : સંપાદક – દધીચિ ઠાકર 

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|2 August 2022

વિહંગાવલોકન :

નાનુબાપાના ‘સંવેદન સામયિક‘માં ‘અચલા’ની નોંધ કે જાહેરખબરમાં ડો. મફતભાઈ પટેલનું નામ જોયેલું ત્યારે એમની ઓળખાણ ન હતી. હજી પણ રૂબરૂ મેળાપ થયો નથી. દધીચિએ લગભગ એકસો ત્રેપન પરિચિતો-સ્વજનો-મિત્રો લિખિત ચારસો સાઠ પાનાનું દળદાર પુસ્તક મોકલ્યું અને મારી સામે મેં નજર ફેરવવા રાખ્યું ત્યારે પણ મને ખાતરી ન હતી કે હું એ પૂરું વાંચીશ. શરૂઆત કરી જેમના નામથી હું પરિચિત હતી એમના અને મફતભાઈના સંતાનોના લેખોથી. એમ કરતા ખાસ્સું વાંચી લીધું.

ડો. મફતભાઈ પટેલની ઓળખ આ રીતે મળી. હિંદી સાથે સુવર્ણચંદ્રક વિજેતા સ્નાતક, હિંદી, સંસ્કૃત અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપરાંત ડોક્ટરેટ. હિંદીમાં રાષ્ટ્રભાષા રત્ન, રત્નાકર, સંસ્કૃતમાં વિશારદ અને સાહિત્યશાસ્ત્રી. અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરપર્સન, શિક્ષણવિદ્, અચલા-ધરતી-હિંસા વિરોધ નામનાં સામયિકો સાથે સંલગ્ન તંત્રી-લેખક-સંપાદક, હિંદી ભાષા પ્રસારક, સમાજ સુધારક, સેવાદળથી રાષ્ટ્રીય સેવક સંઘ – જનસંઘ – ભારતીય જનતા પક્ષના મૂળસોતા કાર્યકર્તા, દુનિયાને સમજવા મથતા આકંઠ પ્રવાસી, હરિપુરા ગામના હામી અને નવસર્જક. તે પહેલાં તો પિતૃવત્સલ, મુઠ્ઠી ઊંચેરા, ઋજુ હૃદયી, ઉમદા માનવી.

દધીચિએ પોતાની કલમે એમનું જે શબ્દચિત્ર દોર્યું છે તેમાં પૌત્રભાવ છે તો સાથે દાદાના સમગ્ર વ્યક્તિત્વને પ્રમાણવાનો પ્રયત્ન પણ છે. સમાજસુધારક તરીકે રવિશંકર મહારાજથી પ્રેરાઈને એમણે યુવાવસ્થાથી જ સમાજના પ્રચલિત કુરિવાજો, રૂઢિ-રસમો અને વ્યવહારોનો વિરોધ કરવાનું વલણ કેળવેલું. તેઓ બાળલગ્નો, ખર્ચાળ લગ્નો, દહેજપ્રથાનો વિરોધ કરતા આવ્યા છે. મરણોત્તર ક્રિયાનું ભોજન ન ખાવું જેવા કુરિવાજો સામે આજીવન લડતા રહ્યા અને પોતે આચારવિચારનો મેળ જાળવી દાખલારૂપ પણ બન્યા. અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવા અને શિક્ષણસેવાને હંમેશાં પ્રાધાન્ય આપતા રહ્યા છે. વાંચન પ્રવૃત્તિને ધબકતી રાખવા એમણે પ્રયત્નો કર્યા છે જેનાં કારણે કડા ગામે એમણે સમૃદ્ધ પુસ્તકાલયનું સર્જન કર્યું. એમના ગુણાનુરાગીઓ એમને પ્રગતિશીલ, દીવાદાંડીરૂપ મુઠ્ઠી ઊંચેરા માનવી માને છે.

અનેક લેખકો ડો. અનિતા પટેલના મફતકાકા વિશેનાં વ્યક્તિ ચરિત્ર પ્રકારના પુસ્તક ‘માનવસેવાની સોનોગ્રાફી’થી પણ પ્રભાવિત થયા છે જે પુસ્તકમાંથી પસાર થતાં જણાય છે. ડંકેશ ઓઝાએ તો સરસ રીતે પુસ્તક પરિચય કરાવ્યો છે. એમના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પાસે એવા પ્રસંગો છે જે એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરે છે. એમની પાસે અપેક્ષા રાખીને નિજી કામ માટે આવનાર નિરાશ ન થાય, ગાંઠના ગોપીચંદન કરીને જાહેરકાર્ય માટે ન્યોછાવર થાય, પુસ્તકો વચ્ચે જીવન વ્યતિત કરનાર, બોલાયું તે બોલાયું …. હવે શું ? કાંઈ નહીં એવું વલણ ધરાવતા સાચુકલા ભડવીર, મોકળાશથી ખડખડાટ હસી શકનાર, પ્રેમાળ વડીલ, મિત્ર, સ્વજન તરીકે એમને યાદ કરવામાં આવ્યા છે.

એમનાં સંતાનોએ એમના હૂંફભર્યા વાત્સલ્યની ઊંડી અનુભૂતિ કરી છે. જાહેરજીવન સાથે અને ખાસ કરીને રાજકારણ સાથે સતત સંકળાયેલ દંપતીનાં સંતાનોનું જીવન પણ મોટાભાગે અંગત રહેતું નથી એ આ વ્યક્તિચરિત્ર દ્વારા આંખે ઊડીને વળગે એવું સત્યદર્શન કરાવે છે. ઘરમાં અગ્રિમ હરોળના નેતાઓની અવરજવર સાથે અંત્ય વર્ગના માનવીઓની અવરજવર રહેતી હોય તે વાતાવરણમાં બાળકોનું જે પ્રત્યક્ષ ઘડતર થાય તેનું આબેહૂબ વર્ણન સંજયભાઈ, હિનાબહેન, ધર્મ, અનારબહેન, જયેશભાઈ, સંસ્કૃતિએ કર્યું છે. એમણે દાદા કે પિતાને દેખાવે નાળિયેર જેવા કઠોર અને અંદરથી મલાઈદાર એ રીતે  નહીં  પણ બહાર કે ભીતર કોઈપણ રીતે ફક્ત ને ફક્ત પ્રેમાળ, ઋજુ, સંવેદનશીલ આપ્તજન તરીકે જ અનુભવ્યા છે.

એમને કેન્સરનું નિદાન થયું અને જે કારણ બહાર આવ્યું તે મને વાચક તરીકે આઘાતજનક લાગ્યું.  પ્રોફેસર કે શિક્ષક તરીકે સતત બોલવાના અને ચોકનો પાવડર ઊડવાના કારણે એમને ગળાનું કેન્સર થયું, કે તેઓ સાજા થઈ ગયા એ સારું થયું. શંકરસિંહ વાઘેલા-બાપુ, ડો. કેશુભાઈ પટેલ, રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, ડો. લીલાબહેન સ્વામી જેવાં પરિચિતો દ્વારા વર્ણવાયેલા મફતભાઈ વધારે સાચુકલા લાગે. નરહરિ અમીન, પ્રવીણભાઈ લહેરી, સુદર્શન આયંગાર, ભાગ્યેશ જહા, બળવંત જાની, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિનાયક રાવલ  જેવા મિત્રો-પરિચિતોની કલમે એમની જાહેર અને સેવાકીય કારકિર્દીની ઝલક પણ મળે છે. એમને માટે પોતાની લાગણી વ્યક્ત કરનારી વિવિધ અભિવ્યક્તિમાં  સંસ્કૃત, અંગ્રેજી ભાષા જોવા મળી તો કાવ્ય રચનાઓની ઝલક પણ જડી. એમનાં પુસ્તકોની નોંધ પણ લેવાયેલી છે જેમાં ‘દાદાની દીકરીઓ‘નો ઉલ્લેખ અનેક વાર થયો છે.

સામાન્ય રીતે આ પ્રકારનાં પુસ્તકો વ્યક્તિ પ્રત્યેનું ગુણાનુરાગી દર્શન કરાવતાં હોય છે એટલે વાચક તરીકે પણ ખ્યાલ હોય જ કે વાંચનસામગ્રીનું રૂપ કેવું હશે. મને અહીં વિશિષ્ટ શું લાગ્યું તો એ જ કે સામાન્ય રીતે આપણે પુરુષોની સફળ જીવનયાત્રામાં પત્નીના મૂકપ્રદાનની વાતો સાંભળતા-વાંચતા આવ્યાં છીએ, અહીં એક ઘરમાં દરેક સભ્ય સ્વતંત્ર વ્યક્તિ તરીકે કારકિર્દી બનાવે છે તે જાણવા મળ્યું. અલબત્ત, આનંદીબહેનની કલમનો પરિચય અહીં થયો નહીં. ગુજરાતનાં મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેનનાં નામ-કામથી પરિચિત પરંતુ ડો. મફતભાઈ પટેલ વિશે મને કોઈ વિશેષ જાણકારી ન હતી એટલે વિવિધ કલમો દ્વારા જે શબ્દાંકિત ચિત્ર જોવા મળ્યું એ ગમ્યું. એમાં સમાવિષ્ટ ચિત્રો સહિત એનું મુદ્રણ નયનરમ્ય છે. ભાઈ દધીચિએ આ પુસ્તક સપ્રેમ મોકલ્યું એ બદલ એનો આભાર અને માણસાઈના મશાલચીનું અભિવાદન.

[01 ઑગસ્ટ 2022]
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 August 2022 Vipool Kalyani
← ઋષિ સુનકમાં ખુશ થવા જેવું ભારતીયપણું શું છે?
કોરાંભીનાં સ્મરણો (૫) ચોરી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved