Opinion Magazine
Number of visits: 9733836
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ સજ્જ માણસને નાણા પ્રધાન બનાવીને મંગલાચરણ કરવાની જગ્યાએ નિર્મલાચરણ કર્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 June 2019

નરેન્દ્ર મોદી ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો સાથે લોકસભાની ચૂંટણી જીત્યા, ત્યારે મારાં બે અનુમાન હતાં અને હજુ આજે પણ છે કે તેઓ આ વખતે તેમની બીજી મુદ્દત દરમ્યાન આર્થિક મોરચે ધ્યાન કેન્દ્રિત કરશે અને અર્ણવ ગોસ્વામીઓને તેમ જ આર્મી ઓફ ટ્રોલ્સને ડામીને રાખશે. આવાં બે અનુમાન કરવા પાછળનાં અનેક કારણો છે.

વાચકોને યાદ હશે કે પાંચ વરસના અંતે નરેન્દ્ર મોદીએ તેમની સિદ્ધિઓ બતાવીને લોકસભાની બીજી મુદ્દત માટે મત નહોતા માગ્યા; પરંતુ તેમણે દેશપ્રેમ, રાષ્ટ્રવાદ અને કૉન્ગ્રેસનો ઇતિહાસ યાદ કરાવીને મત માગ્યા હતા. તેઓ ચૂંટણી ભલે જીતી ગયા, પરંતુ તેમને પોતાને એટલી તો જાણ હોય જ કે તેમની પહેલી મુદ્દત આર્થિક મોરચે નાદારીની હતી તે ત્યાં સુધી કે તેઓ કોઈ બાબતે શ્રેય લઈ નહોતા શક્યા. તેમને (અને વાચકોને પણ) એ વાતની યાદ હશે કે આગલી યુ.પી.એ. સરકાર સામે પોતે ઝાંખા ન દેખાય એ માટે જી.ડી.પી.ના માપદંડ બબ્બે વાર સુધારવામાં આવ્યા હતા. પહેલીવારમાં માપદંડને બદલીને યુ.પી.એ. સરકારનો જી.ડી.પી. ઘટાડી નાખ્યો હતો અને એ પછી હજુ એક વાર જી.ડી.પી.નો માપદંડ બદલીને પોતાનો વધારી દીધો હતો. આને રમતગમતની ભાષામાં ખેલદિલીનો અભાવ કહેવાય અથવા અંચઈ કહેવાય, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ.   

તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે તેમણે રિઝર્વ બેંકની મરણ મૂડી માગવી પડી હતી અને એવું ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. નબળામાં નબળી સરકારે રિઝર્વ બેંકની મરણ મૂડી નથી માગી. સરકારે જ્યારે ડોશીની મરણમૂડી વાપરવાની જીદ કરી ત્યારે તેના વિરોધમાં રિઝર્વ બેંકના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રાજીનામું આપી દીધું હતું. તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે રિઝર્વ બેંકના બબ્બે ગવર્નરો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર, નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેન જેવા દેશનું અર્થતંત્ર સંભાળનારા અડધો ડઝન ચાવીરૂપ માણસો મુદ્દત પૂરી કર્યા વિના જતા રહ્યા છે અને તેમને એ વાતની પણ યાદ હશે કે તેમની જગ્યાએ કોઈ તેજસ્વી માણસ આવવા રાજી નથી. બી.એસ.સી. થયેલા માણસને રિઝર્વ બેકનો ગવર્નર બનાવવો પડ્યો છે, અર્થશાસ્ત્રમાં કોઈ ખ્યાતિ નહીં ધરાવનારા કોઈ એક અજાણ્યા આંગળિયાતને નીતિ આયોગનો ડેપ્યુટી ચેરમને બનાવવો પડ્યો છે અને આર્થિક સલાહકારની જગ્યા એક વરસથી ખાલી પડી છે.

તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ જાણ હશે કે બેકારીનો દર વધી રહ્યો છે એવું કહેનાર ચાવીરૂપ સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વેનો અહેવાલ દબાવી દીધો હતો. સરકાર પોતે જ પોતાની એજન્સીઓના અહેવાલ અને એ પણ સેમ્પલ સર્વેને દબાવે અને તેનો અસ્વીકાર કરે એવું પણ ભારતમાં પહેલી વાર બન્યું હતું. નેશનલ સેમ્પલ સર્વેની રચના શબ્દ જ સૂચવે છે એમ નમૂનારૂપ ડેટા એકઠા કરવા માટે કરવામાં આવી હતી જેને આધારે સરકાર પ્રાથમિકતા નક્કી કરી શકે અને જરૂર પડ્યે પ્રાથમિકતા બદલી શકે. જો રોજગારીમાં ઘટાડો થતો નજરે પડે તો સમજદાર શાસકો તેનો ઘટાડો કેમ રોકવો અને રોજગારી કઈ રીતે પેદા કરવી એ વિષે વિચારવા માંડે. શાસકોને સમયાંતરે નેશનલ સેમ્પલ સર્વે સેમ્પલ ડેટા ચકાસીને જાણ કરતી રહે કે દેશમાં શું બની રહ્યું છે. ઉદ્દેશ એ છે કે શાસકો ઊંઘમાં ઝડપાઈ ન જાય. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા શાસક છે જેમણે જગાડનારને જ ઓરડામાં પૂરી દીધો.

આટલાં પ્રમાણ પૂરતાં છે, નહીં? જો હજુ વધુ જોઈતાં હોય તો પંદર-વીસ બીજાં મળી શકે એમ છે. નરેન્દ્ર મોદી આ બધું જાણે છે એટલે તેમણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને નામે લડી હતી, કૉન્ગ્રેસને ગાળો આપીને લડી હતી; સિદ્ધિઓના નામે નહોતી લડી. પ્રજાને ભૂલવાડી દેવાય, પણ કર્તાને તો યાદ જ હોય જ કે આપણે શું ઉકાળ્યું છે.

આ હકીકત જોઈને મને એમ લાગતું હતું કે હવે તેમને બીજી મુદ્દત મળી જ છે તો તેનો ઉપયોગ તેઓ આર્થિક મોરચે ધ્યાન આપીને કરશે. જો દેશના સફળ વડા પ્રધાનમાંના એક તરીકે અમર થવું હોય તો આ કર્યે જ છૂટકો છે. દેશપ્રેમને બહેકાવીને અને બીજાને ગાળો દઈ દઈને તમે ક્યાં સુધી રોડવો? તમારે તમારું રળતર કરવું જ રહ્યું. અમર બનવાનો આ જ એક માર્ગ છે અને નરેન્દ્ર મોદી તો પાછા મહત્ત્વાકાંક્ષી માણસ છે. બીજું, જાગતિક સ્તરે આર્થિક પડકારો ઘણા મોટા છે અને તે વધવાના છે. જાગતિક મંદી, નિકાસમાં ઘટાડો, ચીન સાથેની હરીફાઈ, રોબોટાઈઝેશન, અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલી, ભારતને આપવામાં આવેલો ખાસ દરજ્જો અમેરિકાએ રદ્દ કર્યો વગેરે પ્રકારના અનેક પડકારો ઊભા છે અને તેમાં વધારો જ થવાનો છે. એ રીતે પણ વડા પ્રધાને આર્થિક મોરચે ધ્યાન આપવું પડે એમ છે.

મારા સહિત દેશમાં અનેક લોકોને એમ લાગતું હતું કે આ વખતે વડા પ્રધાન કોઈ પ્રોફેશનલ ઈકોનોમિસ્ટને નાણા પ્રધાન બનાવશે જેમ પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને બનાવ્યા હતા. વડા પ્રધાને નિર્મલા સીતારામનને નાણા પ્રધાન બનાવ્યાં ત્યારે જ અડધી ઉમેદ આથમી ગઈ હતી. આનો અર્થ એવો નથી કે નિર્મલા સીતારામન કાંઈ કરી શકે એમ નથી અને નિષ્ફળ નીવડવાનાં છે. તેઓ કદાચ જાદુ કરી પણ શકે, પરંતુ તેમની પૃષ્ઠભૂમિ જોતાં એવી શક્યતા બહુ ઓછી છે. આમ કેટલીક બાબતે સફળતા મેળવીને અમર બનવા માટે બીજી વાર દાવ રમવા મળ્યો હોવા છતાં પણ વડા પ્રધાને તેને ગંભીરતાથી લીધો નથી એમ તેમનું પ્રધાન મંડળ જોતાં લાગે છે. એક વિદેશ પ્રધાન છોડીને એ જ જૂના ચહેરાઓ છે જેમાંના ૯૦ ટકા લોકો પહેલી મુદ્દતમાં કાંઈ ઉકાળી શક્યા નહોતા.

બીજી વાર દાવ રમવા અને રેકોર્ડ સુધારવાની તક બહુ ઓછા નસીબદાર લોકોને જ મળતી હોય છે. નરેન્દ્ર મોદી આવા નસીબદાર છે અને છતાં ય કોઈ સજ્જ માણસને નાણા પ્રધાન બનાવીને મંગલાચરણ કરવાની જગ્યાએ નિર્મલાચરણ કર્યું છે. આમ અડધી ઉમેદ તો જતી રહી છે.

હવે રહી બીજાં અનુમાનની વાત તો એ આવતા અઠવાડિયે. 

[‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જૂન 2019]

Loading

17 June 2019 admin
← દુષ્કાળ અંગે ચિંતા અને ચિંતન
ખંડિત છતાં અખંડિત છે માનવી →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved