Opinion Magazine
Number of visits: 9447733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 September 2017

જે લોકો સરકારનું સમર્થન કરતા હતા એવા પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે એટલે તેઓ શરમાય છે

BJPના અધ્યક્ષ અમિત શાહે દેશના યુવાનોને સલાહ આપી છે કે તેમણે આંખ ખુલ્લી રાખીને અને બુદ્ધિ વાપરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર સરકારની બદનામી કરી રહ્યા છે અને તેમના કુપ્રચારથી સાવધાન રહેવું જોઈએ. તેમણે વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં ગુજરાત કેવું હતું. તેમણે ખાસ્સો સમય કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીને આપ્યો હતો એ આશ્ચર્યજનક ઘટના છે. જેમના અસ્તિત્વને ગણકારવામાં આવતું નહોતું એની નોંધ લઈને તેમનાથી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું હતું. જેમની (રાહુલ ગાંધીની બૌદ્ધિક ક્ષમતા વિશે) ઠેકડી ઉડાડવામાં આવતી હતી તેમના પર ઠંડે કલેજે BJP વિરુદ્ધ કાવતરાં કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. કાવતરાં કરવાં હોય તો ચતુરાઈની જરૂર પડે. રાહુલ ગાંધી કાવતરાં કરવાં જેટલા ચતુર છે એનો હવે અમિત શાહ સ્વીકાર કરવા લાગ્યા છે. આ પહેલાં વડા પ્રધાને યુવાનોને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ બદલાયેલા સૂર આશ્ચર્યજનક નથી?

શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી. દેશભરમાં ગૌરક્ષકોના દલિતો અને મુસલમાનો સામે જુલમ વધી રહ્યા હતા અને દેશભક્તિના નામે આતંક ફેલાવવામાં આવતો હતો ત્યારે વૉટ્સઍપ પર મેસેજ વહેતો થયો હતો કે અમે ‘નૉટ ઇન માય નેમ’નાં બૅનરો સાથે શહેરમાં ફલાણી જગ્યાએ દેખાવો કરવાના છીએ, એમાં જો તમે સંમત થતા હો તો જોડાવા વિનંતી. મેસેજ વહેતો થયો અને ભારતનાં અનેક શહેરોમાં પહોંચ્યો. મોદી-શાહના આશ્ચર્ય વચ્ચે ભારતનાં પચાસ કરતાં વધુ શહેરોમાં ‘નૉટ ઇન માય નેમ’નાં પ્લૅકાર્ડ્સ સાથે દેખાવો થયા જેમાં સેંકડોની સંખ્યામાં છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો. મુંબઈમાં તો ત્રણ સ્થળે આવા દેખાવો થયા હતા. એ દેખાવમાં ભાગ લેનારાઓ કોઈ સંસ્થાના સભ્યો નહોતા, કોઈ સંગઠનના કાર્યકરો નહોતા, કોઈ એક જ કૉલેજના વિદ્યાર્થીઓ નહોતા, કોઈ વિદ્યાર્થી સંઘના સભ્યો નહોતા. મોટા ભાગનાં યુવા-યુવતીઓ તો એકબીજાને ઓળખતાં પણ નહોતાં. તેમની સહિયારી નિસબત એટલી જ હતી કે ગાંધીજીની કલ્પનાના દેશ પર ફાસીવાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ અને દેશ બચાવવો જોઈએ.

અવાજ ઊઠ્યો અને સરકારના બહેરા કાન સુધી પહોંચી ગયો. ૧૫ ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહેવું પડ્યું હતું કે શ્રદ્ધાના નામે થતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. આ ઈમાનદારી વિનાની ચેતવણી ‘નૉટ ઇન માય નેમ’ના નામે યુવાનોએ દેશભરમાં કરેલા દેખાવોનું પરિણામ હતું. ઈમાનદારી વિનાની એટલા માટે કે આવી ચેતવણી આપવામાં આવી એના અઠવાડિયા પછી પંચકુલામાં શ્રદ્ધાના નામે હિંસાનું તાંડવ જોવા મળ્યું હતું જેમાં ૩૯ જણે જાન ગુમાવ્યા હતા. આવી હિંસાની શરમજનક ઘટના હરિયાણા સરકારના ગુરમીત સાથેના સોદાનું પરિણામ હતું એ હકીકત પણ સોશ્યલ મીડિયાના કારણે દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચી ગઈ હતી.

અધૂરામાં પૂરું, યુવાનોના બદલાતા મિજાજને પ્રગટ કરતી બીજી બે ઘટના ગયા અઠવાડિયે બની. દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘો વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં દરેક જગ્યાએ BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો પરાજય થયો. જ્યાં ગયા અઠવાડિયે ચૂંટણી યોજાઈ અને ABVPનો પરાજય થયો એ યુનિવર્સિટીઓમાં દિલ્હી યુનિવર્સિટી, દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી, ચંડીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગુવાહાટીની આસામ યુનિવર્સિટીનો સમાવેશ છે. આમાં દિલ્હી યુનિવર્સિટી તો ABVPનો ગઢ ગણાતો હતો અને એમાં ABVPનો થયેલો પરાજય BJPના નેતાઓ માટે ચોંકાવનારો છે. બીજી ઘટના મંગળવારે બૅન્ગલોરમાં બની હતી. ગૌરી લંકેશની હત્યા પછી યોજાયેલા દેખાવોમાં ૪૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો જેમાં ૮૦ ટકા વિદ્યાર્થીઓ હતા. એ દેખાવો અનોખા હતા અને એમાં અદ્ભુત શાલીનતા હતી. એ પહેલાં ગૌરી લંકેશની હત્યા પછી બીજા દિવસે દેશભરમાં વિવિધ શહેરોમાં દેખાવો યોજાયા હતા જેમાં સેંકડોની સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

હવે એમ લાગે છે કે વિરોધનો સૂર સમર્થનના સૂર કરતાં બુલંદ થઈ રહ્યો છે. BJPના સાઇબર સેલમાંથી જનરેટ કરવામાં આવતા મેસેજીઝ જેટલે દૂર પહોંચે છે એના કરતાં શંકા કરનારા લોકોના અને પ્રશ્નો પૂછનારા લોકોના મેસેજીઝ ઘણે દૂર સુધી પહોંચતા થયા હોવા જોઈએ. એમાં ગૌરી લંકેશને કુતિયા કહેનારા નિખિલ દધીચ નામમાં ટ્રોલના ટ્વિટર અકાઉન્ટને વડા પ્રધાન ફૉલો કરે છે એ બહાર આવ્યા પછી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા વધારે ઝાંખી પડી છે.

આમ તો આ કોઈ નવી વાત નથી. સ્વાતિ ચતુર્વેદીએ લખેલું ‘I Am a Troll : Inside the Secret World of the BJP's Digital Army’ નામનું પુસ્તક ગયા વરસે પ્રકાશિત થયું હતું. બિકાઉ મીડિયાએ અને બિકાઉ રાજકીય સમીક્ષકોએ એ પુસ્તક વિશે વાત ન કરીને સરકારને મદદ કરી હતી. નક્કર પુરાવાઓ સાથેની એ પુસ્તકમાંની વિગતો વાંચશો તો તમારા મનમાં વડા પ્રધાન માટે ધિક્કાર કરતાં દયાની લાગણી પેદા થશે. આપણા વડા પ્રધાન આવા લોકોની કંપની ધરાવે છે અને આવા લોકોની મદદ લે છે! મામલો રેકૉર્ડ પર છે એટલે ઇનકાર પણ થઈ શકે એમ નથી. ડિજિટલ મીડિયાની સમસ્યા એ છે કે એ સગડ છોડી જાય છે અને એને ભૂંસી શકાતા નથી અને સ્માર્ટ લોકો એ સગડ પકડીને ગંગોત્રી સુધી પહોંચી જાય છે.

તો નિખિલ દધીચને સોંપવામાં આવેલા મિશનમાં કારણે જે પુસ્તકની યોજનાબદ્ધ રીતે અવગણના કરવામાં આવી હતી એ લોકો સુધી પહોંચી રહ્યું છે. ત્રીસ-ત્રીસ રૂપિયામાં એ પુસ્તક ચણામમરાની જેમ વેચાઈ રહ્યું છે. એ પુસ્તકની પાછળ-પાછળ રાણા અયુબનું બીજું એક આવું જ પુસ્તક ‘Gujarat Files : Anatomy of a cover up’ પણ ચર્ચામાં આવ્યું છે જેની પણ યોજનાબદ્ધ અવગણના કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા દ્વારા આ બન્ને પુસ્તકો વંચાય છે અને વેચાય છે. આ બાજુ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમના દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. હવે એવું નજરે પડી રહ્યું છે કે વાહ-વાહ કરનારા લોકો કરતાં પ્રશ્નો કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને એ વાતે વડા પ્રધાન અને BJPના અધ્યક્ષ અમિત શાહ પરેશાન છે.

સ્વાભાવિકપણે વાહ-વાહ કરનારાઓ કરતાં શંકા કરનારા અને પ્રશ્નો કરનારા વધારે બુદ્ધિશાળી અને હિંમતવાન હોવાના. એક સમય હતો જ્યારે તેઓ નરેન્દ્ર મોદીના પ્રભાવમાં હતા. તેમને એમ લાગતું હતું કે ગુજરાતમાં રામરાજ્ય છે અને નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાના છે. નરેન્દ્ર મોદીનો એજન્ડા વિકાસ છે અને તેમની પાસે ડેવલપમેન્ટનું એક વિઝન પણ છે. કારણ વિના સેક્યુલરિસ્ટો નરેન્દ્ર મોદીને ગુજરાતનાં કોમી તોફાનોને કારણે બદનામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨ની સાલ કરતાં ક્યાં ય આગળ નીકળી ગયા છે, પરંતુ સેક્યુલરિસ્ટો ૨૦૦૨ ભૂલી શકતા નથી અને આગળ જોતા નથી. તેમણે વિકાસલક્ષી નરેન્દ્ર મોદીને એક ચાન્સ આપ્યો હતો.

યાદ રહે કે એ લોકોએ ચાન્સ આપ્યો હતો, બુદ્ધિ ગિરવી નહોતી મૂકી. ઝીણી આંખે દેશમાં શું બની રહ્યું છે અને વડા પ્રધાન ક્યાં કઈ રીતે વર્તે છે અને બોલે છે એના પર નજર રાખી રહ્યા છે. હવે તેમને સમજાઈ ગયું છે કે વડા પ્રધાન પાસે વિકાસનો કોઈ નક્કર એજન્ડા નથી. જો વિકાસની કોઈ દૃષ્ટિ અને સ્પષ્ટ રૂપરેખા હોત તો તેમણે નોટબંધી કરીને આ બૈલ મુઝે માર જેવું ન કર્યું હોત. તેમને એ પણ સમજાવા લાગ્યું છે કે દેશની સુરક્ષાની બાબતે પણ વડા પ્રધાન પાસે આગલી સરકારો કરતાં કોઈ અનોખી યોજના નથી. પાકિસ્તાન સરહદે અને ચીન સરહદે આ વારંવાર સાબિત થઈ રહ્યું છે. આમ ધીરે-ધીરે પ્રજાનો, ખાસ કરીને યુવાનોનો ભ્રમ ભાંગી રહ્યો છે અને આજે નરેન્દ્ર મોદીનો બચાવ કરનારા ઝાંખા પડી રહ્યા છે. એ લોકો ભોળા ભક્ત નહોતા, પણ નરેન્દ્ર મોદીના વિકાસના અને પરિવર્તનના એજન્ડાના સમર્થકો હતા. ભક્ત બુદ્ધિ ગિરવી મૂકી દેતો હોય છે, સમર્થક નહીં.

જે લોકો સમર્થન કરતા હતા એવા રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી. તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે અને એટલે તેઓ શરમાય છે. મારો પોતાનો અનુભવ એવો છે કે પહેલાં આઠ-દસ જણ મારા વિચારોની ટીકા કરતા હતા જે સંખ્યા ઘટીને હવે બે પર આવી ગઈ છે. એવું પણ હોય કે ભલે મોડે મોડે પણ તેમને સત્ય સમજાયું હોય. આમ સમર્થકો નિષ્ક્રિય થઈ રહ્યા છે અને બિકાઉ પત્રકારો અને આર્મી ઑફ ટ્રોલે પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. આવી કફોડી સ્થિતિ સરકારે, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતે પેદા કરી છે. ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે. એટલે તો અમિત શાહે યુવાનોએ સલાહ આપવી પડી છે કે તેમણે નીરક્ષીર વિવેક કરવો જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 સપ્ટેમ્બર 2017

Loading

18 September 2017 admin
← અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે
નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જઈ રહ્યાં છે, બડવાનીમાં લોકો ગોઠણસમાણા પાણીમાં જીવી રહ્યા છે અને સાહેબ જન્મદિવસ ઊજવી રહ્યા છે. શા માટે? કોઈ ખુલાસો કરશે? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved