![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/07/Ravindra.Parekh-300x234.jpg)
રવીન્દ્ર પારેખ
જેને આપણે ઘર કહીએ છીએ તે ઘણાં રહસ્યો સાચવીને બેઠું હોય છે. અંદર બધું વિખરાઈને પડ્યું હોય, પણ બહારથી તે રૂપકડું લાગતું હોય એમ બને. એ જ રીતે ઘર વેરવિખેર દેખાતું હોય ને અંદરથી સ્વસ્થ હોય એવું પણ બને. ઘર માબાપ બનાવે છે, પોતાને માટે ને સંતાનો માટે. દીકરા માટે વધુ વહાલ ને દીકરી માટે ઓછું, એવું એક તબક્કે હતું, તે સકારણ પણ હતું. તે સમયમાં દીકરી પારકી થાપણ કે સાપનો ભારો ગણાતી હતી ને તેને તેનાં ભાવિ પતિને માટે ઉછેરવામાં માબાપનું મન કચવાતું હતું, પણ આજે તો ભાગ્યે જ કોઈ માબાપને તે વધારાની હશે, જ્યારે દીકરો તો પહેલેથી જ સાત ખોટનો રહ્યો છે. તેનું મહત્ત્વ આજે ય એટલું જ છે. દીકરી એટલે વિદાય અને દીકરો એટલે સહાય – એ આજે પણ ઠીક ઠીક હદે ઘણાં કુટુંબોમાં સ્વીકારાતું આવ્યું છે. આમ તો દીકરો અને દીકરી બંને કુટુંબના વિસ્તાર માટે જરૂરી મનાયાં છે, પણ એક તબક્કો એવો ગયો જેમાં દીકરો વધુ મહત્ત્વ પામ્યો, આજે એ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. દીકરો પ્રથમ નંબરે હોય તો દીકરી પણ હવે પાછળ નથી. દીકરી જન્મ આજે આનંદનો અવસર બન્યો છે. ઘણાં કુટુંબમાં તેનાં શિક્ષણની, ઉછેરની જવાબદારી હવે સહજ રીતે ઉપાડાય છે. દીકરા-દીકરીનાં ઉછેરમાં હવે ભેદ લગભગ નથી. બંનેને સમાન તકો હવે અપાય છે.
આમ થવાનું પણ કારણ છે. મોટે ભાગે દીકરાઓ વધુ કમાવા માટે દેશ-વિદેશ ખેડતા થયા છે. કદાચ વધુ કમાણીની લાલચે, માબાપે જ દીકરાને વિદેશ ધકેલ્યો છે ને તે પછી વિદેશ જ વસી ગયો છે અને માબાપ છેવટ સુધી તેની વાટ જોવામાં આયખું ખુટાડતાં રહે છે. એવે વખતે પરણીને બહાર વસી હોય તો પણ, માબાપની અંતિમ અવસ્થાને દીકરી જ સાચવવા મથતી હોય છે. માબાપને પણ મોડું મોડું ભાન થાય છે કે જે દીકરીને બહુ ગણકારી ન હતી એ જ તેમને ગણકારતી થઈ છે. પોતાનાં માબાપની અવદશા જોઈ ચૂકેલાં આજનાં માબાપ એ સમજી ચૂક્યા છે કે દીકરી સાપ નથી ને ભારો તો નથી જ ! સમય બદલાતા માબાપ પણ બદલાયાં છે ને દીકરીને ભણાવી-ગણાવીને તૈયાર કરતાં થયાં છે. આજે તો ઘણી દીકરીઓ ઉચ્ચ હોદ્દા સંભાળતી, સી.ઇ.ઓ. કે વડા પ્રધાન કે રાષ્ટ્રપતિપદ પણ શોભાવતી થઈ છે ને બીજી તરફ દીકરા, ઠીકરા થયાના ઉદાહરણો શોધવા દૂર જવું પડે એમ નથી. દીકરો વિદેશ ગયો હોય ને માબાપનું ધ્યાન ન રાખી શકે એ તો સમજાય, પણ તે એક જ શહેરમાં હોય ને માબાપની અવગણના કરતો હોય એવા કિસ્સાઓ પણ ઓછા નથી. ઘણી વાર તો દીકરાના જન્મ પછી દીકરીને જન્મવા જ ન દીધી હોય એવું બન્યું છે ને એવાં માબાપને ન તો દીકરો કે કોઈ સંબંધી જોઈ શક્યા હોય ને છેલ્લે કરુણ રીતે ગુજરી ગયાં હોય એવું પણ બન્યું છે.
હવેના માબાપ કુટુંબનો વિસ્તાર નથી ઇચ્છતા. પહેલું સંતાન દીકરી હોય તો દીકરાની ઈચ્છા નથી પણ કરતાં. દીકરીને જ એવી રીતે ઉછેરે છે કે દીકરો ન હોવાની ખોટ ન લાગે, પણ એવી દીકરીઓ બે પ્રકારે કુટુંબમાં વર્ચસ્વ ભોગવે છે. દીકરી એટલી સક્ષમ હોય છે કે તેને લગ્નની જરૂર જ નથી લાગતી. એવી દીકરીને માબાપ પરણાવવા ઉત્સુક હોય છે, પણ દીકરી લગ્ન માટે તૈયાર જ નથી થતી. તેનાં મનમાં એવી ચિંતા પણ હોય છે કે લગ્ન પછી સાસરે ગઈ તો માબાપ એકલાં પડશે ને તેમને જોવાવાળું કોઈ નહીં હોય. કદાચને દીકરી લગ્ન માટે રાજી થઈ તો તે ભાવિ પતિ પાસે એવી શરત મૂકે છે કે લગ્ન પછી પોતાનાં માબાપ પણ સાથે જ રહેશે. જો કુટુંબમાં દીકરો હોય તો દીકરી એવો આગ્રહ નથી રાખતી, પણ કુટુંબનું તે એકલું જ સંતાન હોય તો લગ્ન પછી માબાપ સાથે જ રહેશે એવી શરત દીકરી મૂકે છે ને કોઈ એ શરત મંજૂર ન રાખે તો તે મુરતિયો જતો પણ કરે છે. દીકરી માબાપ માટે આટલું કરતી હોય, તો માબાપ માટે તે પણ પછી સર્વસ્વ બની રહે એમાં નવાઈ નથી.
આ તો થઈ એકની એક જ દીકરી કુટુંબમાં હોય તેની વાત, પણ કુટુંબમાં દીકરો મોટો હોય ને તે પછી એક કે બે દીકરીઓ હોય તો કુટુંબ કથા જુદી પણ હોય છે. દીકરો પરણીને જુદો રહેવા ચાલી ગયો હોય ને તે પછીની મોટી દીકરી સારી નોકરી કરતી હોય તો માબાપ નાની દીકરી કે દીકરીઓને પરણાવી દે છે, પણ મોટી દીકરીને પરણાવતાં નથી. એવું નથી કે મોટી માટે માંગા આવતાં નથી કે એવું પણ નથી કે દીકરી લગ્ન કરવા માંગતી નથી, પણ ગરીબ માબાપ ઊંડે ઊંડે એવું ઈચ્છતાં હોય છે કે મોટી ન પરણે તો સારું. ઘણીવાર તો માંગું બહારથી જ માબાપ નકારી દે એવું પણ બને છે. ક્યાંક તો એવું ય બને છે કે મોટો ભાઈ ઘરમાં જ હોય, પણ સાવ ફટોર કે બેકાર હોય ને માબાપનાં જ રોટલા તોડતો આવારાગર્દી કરીને બોજ વધારતો હોય ને દીકરીને પૈસે ઘર ચાલતું હોય, ત્યારે પણ માબાપ એવું ઇચ્છતાં હોય છે કે દીકરી લગ્ન માટે ઉત્સુક ન હોય અથવા લગ્ન માટે દીકરી એકાએક રાજી ન થઈ જાય એવું ઊંડે ઊંડે ઈચ્છતાં હોય છે. ક્યારેક દીકરી ઓચિંતો જ ધડાકો કરી દે છે કે પોતે અમુકના પ્રેમમાં છે અને લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે માબાપને ગરીબ ભવિષ્ય એવું ઘેરે છે કે અંધકાર સિવાય બીજું કશું કળાતું જ નથી. બને છે એવું કે માબાપથી કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો માબાપને છોડતો નથી. આ સારું નથી, પણ હકીકત જ એવી હોય છે કે સ્વાર્થ માબાપને લાચાર બનાવી મૂકે છે.
ક્યાંક એવું પણ બને છે કે દીકરીને માબાપ સ્વાર્થી લાગે છે, જ્યારે હકીકતે માબાપનો કોઈ સ્વાર્થ હોતો નથી. એક ઘરમાં નોકરિયાત દીકરી 30ની ઉંમર વટાવી ચૂકી છે. તેની બહેનપણીઓ પરણી ચૂકી છે ને કોઈ કોઈ તો એક બે સંતાનની માતા પણ બની ચૂકી છે, પણ દીકરીને લાગે છે કે માબાપ તેનાં લગ્ન અંગે વિચારતાં નથી. શરમની મારી તે કૈં બોલી શકતી નથી, પણ મનમાં એ વાતે સોરાય છે કે તેનાં લગ્ન થતાં નથી. તેને એવું જ લાગે છે કે પોતે કમાય છે એટલે માબાપ લગ્ન કરાવીને દીકરીની આવક જતી કરવા નથી માંગતાં. દીકરીને એવું લાગે તે સમજી શકાય એવું છે, કારણ તેની ઉંમર વધી રહી છે ને તેની બહેનપણીઓ પરણી ચૂકી છે. કેટલાંક માબાપો દીકરીની કમાણી પર લાચારીથી જીવતાં ય હશે, પણ મોટે ભાગે માબાપ દીકરીની કમાણીની લાલચે, દીકરીને પરણાવવા રાજી ન હોય એવું અપવાદ રૂપે જ હશે. જે માબાપે દીકરીને નાનેથી મોટી કરી હોય, ભણાવી-ગણાવી એટલી સક્ષમ કરી હોય કે તેની કમાણીનું ગૌરવ થાય. તે પરણી જશે તો ઘરની આવક જશે એટલે તેનાં લગ્નનો વિચાર માબાપ ન કરે એટલી હદે તો તેમનું પતન ન થયું હોય. બીજું, દીકરીએ એ ન ભૂલવું જોઈએ કે દીકરીની કમાણી માબાપે ના છૂટકે વાપરી હોય તો પણ, તેને ભણાવવા ગણાવવાનું માબાપને મફત તો નહીં જ થયું હોય, તેમને ય ખર્ચ થયો જ હશે. એ વખતે દીકરી માટે ખર્ચવાનો વાંધો ન પડ્યો હોય, તો દીકરીએ પણ એવું ન વિચારવું જોઈએ કે માબાપ તેની કમાણી ખાવા દીકરીને પરણાવવા નથી માંગતાં. એવું માબાપ વિચારતાં હોય તો તે ખોટું છે ને દીકરી વિચારતી હોય તો તે પણ ખોટું છે, કદાચ વધારે ખોટું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 30 જૂન 2024