Opinion Magazine
Number of visits: 9445842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કળા ઊંઘેલાને ઢંઢોળે છે અને ઊંઘી નહીં શકતાને પંપાળે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 March 2025

ખોટનો સોદો …

બે મિત્રોએ ભેગા મળીને દસ-વીસ છોકરીઓમાંથી એકને પસંદ કરી અને તેને બાવીસ રૂપિયા આપીને ખરીદી લીધી. 

રાત ગુજાર્યા પછી એક મિત્રએ તેને પૂછ્યું, ‘તારું નામ શું છે?’

છોકરીએ તેનું નામ કહ્યું, તો તે અકળાઈ ગયો : ‘અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે તું બીજા ધર્મની છું.’

છોકરીએ જવાબ આપ્યો : ‘તે જૂઠું બોલ્યો હતો.’

આ સાંભળીને, તે દોડતો દોડતો તેના મિત્ર પાસે ગયો : ‘એ હરામખોરે આપણી સાથે દગો કર્યો છે … આપણા જ ધર્મની પકડાવી દીધી … ચાલ, પાછી આપી આવીએ.’

— સઆદત હસન મન્ટો

——————————————

રાજ ગોસ્વામી

ગુજરાતના જાણીતા લેખક, શિક્ષક અને પત્રકાર હેમંતકુમાર શાહે, તાજેતરમાં, અમદાવાદમાં યોજાઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના જલસા ‘સપ્તક’માં હિસ્સો લેવા આવેલા વિખ્યાત સરોદવાદક અમઝદ અલી ખાંની એક વાતને ટાંકી હતી. ખાં સાહેબે ત્યાં મહાત્મા ગાંધીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની ધૂન વગાડ્યા પછી એક મહત્ત્વની વાત કહી હતી કે;

‘બીજા બધા દેશોની વાત છોડો, આપણા ભારત દેશમાં આ શું થઈ રહ્યું છે. રોજ સાંભળવા મળે છે કે મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમને ગટરમાં ફેંકી દેવામાં આવે છે, નદી-નાળાંમાં ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે! જે દેશમાં કે જ્યાં સ્ત્રી દેવી તરીકે પૂજાય છે ત્યાં આ બધું થઈ રહ્યું છે, એ ખરેખર બહુ જ દુઃખદ છે. આપણે દુર્ગા દેવીને પૂજીએ છીએ અને છતાં આ બધું થઈ રહ્યું છે એનાથી દુર્ગા દેવી રડી રહી છે.’

તેમની વાતથી પ્રભવિત થયેલા હેમંતકુમાર લખે છે કે, ‘કલાને અને સાહિત્યને માત્ર મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે, એવા આજના જમાનામાં અમઝદ અલી ખાં સાહેબની સામાજિક નિસબતને સો સો સલામ!’ 

આ વાત અગત્યની છે. સાચા કલાકારનું કામ લોકોના દુઃખને વાચા આપવાનું છે. એક કલાકારે પોતાની કળાને બજારની પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ જનહિતનું સાધન બનાવવું પડે છે. આજે આપણે જે સમાજમાં જીવીએ છીએ તે માનવદ્રોહી અને કલાદ્રોહી છે. કલાકાર આ સમાજમાંથી આવે છે, પરંતુ તેની કલા સમાજની મૂડીવાદી, મનોરંજનવાદી વિચારધારાની વિરુદ્ધ ઊભી રહે છે.

કલાનું કામ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનાં શોષણ પર આધારિત વર્તમાન સમાજ સામેના બળવામાં સૂર પુરવાનું છે. કલાકારે તમામ સામાજિક મુદ્દાઓમાં પોતાનો પક્ષ પસંદ કરવો પડે છે, તેણે દેશના નબળા, શોષિત, દબાયેલા, અન્યાયનો ભોગ બનેલા લોકોની તરફેણમાં પોતાનો અવાજ સાર્વજનિક કરવો પડે છે.

કારણ કે આજે કલાને બજારનો માલ બનાવી દેવામાં આવી આવી છે એટલે કલાની સામાજિક ભૂમિકા વિશે વાત કરવાનું ચલણ નથી. એ સંદર્ભમાં હેમંતકુમારનો મુદ્દો પ્રાસંગિક બની જાય છે. તેમણે તેમની ટીપ્પણીમાં લખ્યું પણ હતું કે, ‘મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોએ તેમના પુસ્તક ‘કળા એટલે શું?’માં કહ્યું હતું કે કળાનો જે ઇરાદો છે તે એ રહી નથી, પણ નવરા માણસોના ખોખલા આનંદનું સાધન બની ગઈ છે.’

આકરી લાગતી આ વાત સાચી છે. કલાનું કામ શું તેને લઈને દરેક સમયમાં ચર્ચા થતી રહે છે. ‘કલા’ શબ્દ ‘કલ’ ધાતુથી બનેલો છે. તેનો શાબ્દિક અર્થ છે, જે સુંદર છે, જે આનંદ આપે છે અથવા જેના દ્વારા સુંદરતા આવે છે તે. કલા તેનાં વિવિધ સ્વરૂપોમાં માનવ વૃત્તિઓની અભિવ્યક્તિ છે. મહાત્મા ગાંધી કલાને ‘આત્માનું દિવ્ય સંગીત’ ગણાવે છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે કલામાં, માણસ પોતાની જાતને વ્યક્ત કરે છે.

એકવાર એક એન્જિનિયરે તેના વ્યવસાયનો સંદર્ભ લઈને કહ્યું હતું કે એન્જિનિયરિંગમાં જ્યારે પણ કટીંગ ઓપરેશન થાય છે, ત્યારે લ્યુબ્રિકેન્ટ ઓઈલની જરૂર પડે છે જેથી ઘર્ષણ ઓછું થાય અને કામ સરળતાથી થઈ શકે. આવું જ કંઈક કદાચ સમાજ અને કલા વચ્ચે હોય છે. કલા લ્યુબ્રિકેન્ટ ઓઇલ જેવી છે, જે સમાજમાં જીવન જીવવાનું સરળ બનાવે છે. 

એક સભાન મનુષ્ય તરીકે આપણે સામાજિક સુવિધાઓ અને અસુવિધાઓ વચ્ચે રહીએ છીએ. એ બંને અંતિમો વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. માત્ર અસુવિધાઓમાં જ જીવીએ અથવા માત્ર સુવિધાઓમાં જ રહીએ તે કોઈ રીતે ઈચ્છનીય નથી. વાસ્તવમાં, કલા બંને સ્થિતિમાંથી માણસને ખલેલ પાડે છે. એ વધુ પડતી સુવિધામાં આપણે લિપ્ત થઇ ગયા હોઈએ તો ઝાટકો આપીને જગાડે છે અને વધુ પડતી અસુવિધામાં પરેશાન થઇ ગયા હોઈએ તો લ્યુબ્રિકેન્ટ ઓઇલની જેમ આપણને પંપાળે છે. 

કલા એક સામાજિક ઘટના છે. કલાકાર સમાજનો એક ભાગ છે અને તેનું સામાજિક વાતાવરણ તેની કલાને પ્રભાવિત કરે છે. કલાકારની કલા માત્ર તેના સામાજિક વાતાવરણને જ અસર કરતી નથી, પરંતુ કલા સામાજિક પણ હોય છે. અને તે સમાજને બદલવામાં ભૂમિકા ભજવે છે. 

પીડામાંથી કળા આવે છે એવું નહીં, અંગત દુઃખોને કોઈ માધ્યમથી સાર્વજનિક કરવાં કે જીવનની ટ્રેજેડીઓને સાર્વજનિક કરવી તેનું નામ કળા છે. કળાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે કળા અને ટ્રેજેડી હાથમાં હાથ નાખીને ચાલે છે. 

જે કળાકારો તેમના સમયની પીડાઓને લખાણમાં, સંગીતમાં, ચિત્રમાં કે અન્ય માધ્યમોમાં પકડી કરી શક્યા છે તેને ઇતિહાસ મહાન કળાકાર તરીકે યાદ રાખે છે. કળા એટલે કલ્પનાની અભિવ્યક્તિ માત્ર નથી. કળા એટલે આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેનો આંતરિક સંવાદ પણ છે. 

કોઈ પણ સમાજની પ્રગતિની સાબિતી, તે કેટલું મહાન સાહિત્ય, કળા અને સંગીત પેદા કરે છે, તેમાં છે. પ્રાચીનમાં ગ્રીક, રોમન અને સંસ્કૃત સમયમાં અને આધુનિકમાં યુરોપિયન, અમેરિકન, જર્મન અને ભારતમાં મુઘલ કાળમાં મહાન સર્જન આવ્યાં. જે સમાજ પતન તરફ હોય (જેમ કે નાઝી જર્મની અથવા આજનું મૂડીવાદી અમેરિકા અને બ્રિટન), તે કળાની ઉપેક્ષા કરે. કળાની ભૂમિકા, લોકોને તેમના અનુભવો માટે શબ્દો આપવાની છે. મનુષ્ય તરીકે આપણે કોણ છીએ અને શા માટે આપણે અહીં છીએ, તેની સમજ આપવાનું કામ સાહિત્ય, કળા અને સંગીતનું છે.

લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમે એકવાર અનેક લેખકો અને કલાકારોના ઇન્ટરવ્યુ કર્યાં હતાં. પછી તેના પરથી ‘સાત સવાલ’ નામનું પુસ્તક બહાર પડ્યું હતું. તેમાં એક વાતચીત તેમના પતિ અને ચિત્રકાર ઈમરોઝ સાથે પણ હતી. તેમાં આવી કંઇક વાત થઇ હતી :

અમૃતા : જીવન અને કલાને તમે અલગ ગણો છો કે એક?

ઈમરોઝ : હું માનું છું કે વર્તમાનની માટીમાં ચિંતનનું બીજ વાવીને તેને આવતીકાલના સૂરજનો તડકો આપવો એ કળા છે. બીજા શબ્દોમાં જીવન એક બિંદુ છે અને કલા એનો વિસ્તાર છે. જીવન પાણી છે અને કલા એનો પ્રવાહ.

અમૃતા : કલા અને ક્રાફટની પરિભાષા શું?

ઈમરોઝ : અહેસાસની અમીરી એક એવું દૂધ છે, જેમાં કલ્પનાનું દહીં મેળવાય છે. એ કલ્પનાનું નામ કલા. અને એને વલોવવાનું કામ એ ક્રાફ્ટ છે. ક્રાફ્ટ બહુ ઉત્તમ હોય, પણ કલાનું દહીં ના હોય તો અર્થહીન. 

અમૃતા : કલામાં અચેત ઈચ્છા અને સચેત કોશિશનું કેટલું મહત્ત્વ?

ઈમરોઝ : અચેત ઈચ્છા એક બીજ છે. અને મનની માટીને ખોદવી, એના પર ખાતર નાખવું, બીજ વાવીને પાણી સીંચવું, તડકો આપવો, છોડને કાપવો, નિંદામણ કાઢવું – આ સચેત કોશિશ છે.  

અમૃતા : એવો કોઈ કિસ્સો, જેમાં ધર્મ અને સમાજની સ્થાપિત રીતિ સામે સવાલ ઊભો થયો હોય?

ઈમરોઝ : મારા દાદા-દાદીના પાંચ દીકરા હતા. સૌથી મોટો જ પરણેલો હતો. મારો બાપ અને બીજા કુંવારા હતા. કુંવારામાંથી મોટા કાકા હતા તે ગામની છોકરીના પ્રેમમાં પડેલા. બંને ભાગી ગયા. પાછા પકડીને લાવ્યા. છોકરીને કોક ડોહા સાથે પરણાવી દીધી. એ પછી એક દિવસ દાદા-કાકાઓ પર ભાલા-તલવારો-બરછીઓ વરસી. બે લાશો પડી ગઈ. દાદા, ત્રણ ભાઈ અને મારા બાપને બાંધીની પોલીસ લઇ ગઈ. કેસ ચાલ્યો. મારો બાપ અને બે કાકા ઘટના સ્થળે ન હતા એટલે છૂટી ગયા. દાદા અને બીજા કાકાને ફાંસી થઇ. અપીલ થઇ તો ચાચાને કાળા પાણીની સજા થઇ અને દાદા મુલતાન જેલમાં ગયા. ઘર બર્બાદ થઇ ગયું. 

અમૃતા : કલા અને વિવેચકોની ફરજ શું?

ઈમરોઝ : કલાનાં ફળ-ફૂલનો માળી માત્ર કલાકાર જ છે. વિવેચક એનો માળી ન બની શકે, પણ એ એક સરસ મોસમ જરૂર હોઈ શકે. એક ઇતિહાસ છે કે વિવેચક સારી મોસમને બદલે ચોંચ મારવાવાળો પોપટ બને છે.   

અમૃતા : જીવનમાં તમે ક્યા રેય કળિયુગ કે સતયુગની ક્ષણ જોઈ છે?

ઈમરોઝ : પોતાની મનચાહી સ્ત્રી સાથે વીસ વર્ષ જીવી લેવું, એ મારા માટે સતયુગ છે. અને ૧૯૬૦માં જ્યારે મેં મારા મનની દુવિધાના કારણે એ સ્ત્રીને સ્વીકાર કરીને પણ ન સ્વીકારી, એ મારા માટે કળિયુગની ક્ષણ હતી. 

અમૃતા : આપણે ત્યાં સાત પુરી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતી અને દ્વારાવતી. સાતમી પુરી દ્વારાવતી સમુદ્ર કિનારે હતી, જે કૃષ્ણના દેહત્યાગ પછી સાતમા દિવસે સમુદ્રમાં અલોપ થઇ ગઈ. મારો સાતમો સવાલ તમારા મનના સમુદ્રમાં અલોપ થઇ ગયેલી પુરીનો છે, જેની ખોજ તમારે જાતે કરવાની છે, અને એનો ઇતિહાસ તમારે ખુદ શોધવાનો છે. 

ઈમરોઝ : હું અહીં કલેકટીવ મનની વાત કરીશ. આ મનના સમુદ્રમાં જે પુરી અલોપ થઇ ગઈ છે તે માણસના ધર્મની પુરી છે. એ દ્વારાવતી હવે અનેક ધર્મસ્થાનોના નામે અલગ-અલગ જગ્યાએ વસી છે, પણ કોઈ જગ્યાએ ધર્મનો આત્મા વસી શક્યો નથી. આત્મા સમુદ્રમાં અલોપ જ રહી ગઈ.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 31 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 March 2025 Vipool Kalyani
← મડદા મિયાં
ચલ મન મુંબઈ નગરી—281 →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved