Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમ્મુ-કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2017

બ્રિટિશ આમની સભામાં ભારતને આઝાદ કરવાનો ખરડો પસાર થયો એ પછી ભારત સરકારે રિયાસતોને ભારતમાં ભેળવવા માટેનો એક વિભાગ શરૂ કર્યો હતો.

સરદાર પટેલ એનો હવાલો સંભાળતા હતા અને સનદી અધિકારી વી. પી. મેનન એમાં તેમને મદદ કરતા હતા. ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતમાંનાં કુલ ૫૬૫ રજવાડાંઓમાંથી ૫૬૨ ભારતમાં ભળવાને લગતા કરાર પર સહી કરી ચૂક્યાં હતાં. બાકી ત્રણ રહ્યાં હતાં જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ અને કાશ્મીર. જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં જોડાવું હતું અને હૈદરાબાદ તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજવીઓ નિર્ણય નહોતા લેતા.

રિયાસતોને ભારતમાં વિલીન કરવા માટેના બે કરારો હતા. એક ભારતમાં જોડાવાની ઇચ્છા દર્શાવતો કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેસન) અને બીજો વિલીનીકરણ સંપૂર્ણ અને બંધારણીય સ્વરૂપ ન પામે ત્યાં સુધી છે એ સ્થિતિ જાળવી રાખવાને લગતો (સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) ઠરાવ. પહેલા કરાર હેઠળ રાજવીઓએ તેમની રિયાસતોના સંરક્ષણની, વિદેશવ્યવહારની અને સંદેશવ્યવહારની જવાબદારી ભારત સરકારને સોંપવાની હતી. આ કરાર વહેલી તકે એટલા માટે કરવામાં આવતો હતો કે જો કોઈ રિયાસત પર એને આંચકી લેવાના ઇરાદાથી પાકિસ્તાન આક્રમણ કરે કે રાજ્યની અંદર રાજવીના નિર્ણય સામે બળવો થાય તો ભારત સરકાર લશ્કર મોકલવા સુધીની દરમ્યાનગીરી કરી શકે.

જમ્મુ અને કાશ્મીરના મહારાજા ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની ઇચ્છા દર્શાવતા કરાર પર સહી કરતા નહોતા અને એની જગ્યાએ તેમણે પાકિસ્તાન સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરી લીધું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખ્યો નહોતો. ઊલટું મોહમ્મદઅલી જિન્નાહે જમ્મુ અને કાશ્મીરની આઝાદીને બહાલ રાખી હતી. એની પાછળનાં બે કારણો હતાં. એક તો તેમને ખાતરી હતી કે જમ્મુ અને કાશ્મીરનો હિન્દુ મહારાજા તેમની રિયાસતને પાકિસ્તાનમાં ભેળવવાનો નથી અને બીજું એનાથી પણ મોટું કારણ એ હતું કે કાશ્મીરની ખીણના મુસલમાનોના નેતા શેખ અબદુલ્લા પાકિસ્તાનવિરોધી છે. જો પાકિસ્તાન સરકાર જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખશે તો મહારાજા વહેલી તકે ભારતમાં જોડાવાનો નિર્ણય લેશે અને શેખ અબદુલ્લા એમાં મહારાજા પર દબાવ લાવશે. આના કરતાં આઝાદીનું વચન આપવામાં આવે તો બન્નેના મોઢામાં પાણી આવશે અને ભારત સાથે જોડાવાનો કરાર નહીં કરે. દરમ્યાન અનિશ્ચિતતાની સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને ગળી જશે.

૧૯૪૭ના ઑક્ટોબર સુધી પાકિસ્તાનની ગણતરી મુજબ જ બધું થઈ રહ્યું હતું. મહારાજા સ્વતંત્ર કાશ્મીરનાં સપનાં જોતા હતા જે એશિયાનું સ્વિટ્ઝરલૅન્ડ બને. તેઓ ભારતમાં જોડાવાની સંધિ કરતા નહોતા એટલે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે લશ્કર મોકલી શકે એમ હતી નહીં. મોકો જોઈને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. પાકિસ્તાની લશ્કર શ્રીનગરથી માત્ર બાર કિલોમીટર દૂર હતું ત્યારે મહારાજાએ સંધિ પર સહી કરી હતી અને એ પછી ભારત સરકાર લશ્કર મોકલી શકી હતી. જાગતિક દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ જાહેર કરવો પડ્યો અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહી ગયો. આ બાજુ હજી તો ભારત વિધિવત યુનોમાં જાય એ પહેલાં જ ડિસેમ્બર મહિનામાં યુનોનું પ્રતિનિધિમંડળ શાંતિપ્રયાસો માટે ભારત આવ્યું હતું અને એણે લોકમત લેવાની ભલામણ કરી હતી.

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવો પડે એમ પણ હતું. જૂનાગઢમાં જનમત લેવામાં આવ્યો હતો એ જોતાં કાશ્મીરમાં જનમત ટાળી શકાય એમ હતો નહીં. બીજું, શેખ અબદુલ્લા ભારતમાં જોડાવાના મતના હતા એટલે ભારતને જનમત હારવાનો બહુ ડર નહોતો. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવામાં આવશે એવી જાહેરાત તો કરી, પરંતુ એ પહેલાં આખો મામલો મોડું થવાને કારણે ચેરાઈ ગયો. મારું એવું માનવું છે કે જો મહારાજાએ સમયસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો ભારતે જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા પ્રદેશ ગુમાવ્યો ન હોત. મોટા ભાગે લોકમત ભારતની તરફેણમાં આવ્યો હોત. ઉત્તરે ગિલગિટ અને બાલ્તિસ્તાનમાં લોકમત ભારતની વિરુદ્ધ ગયો હોત તો એટલો પ્રદેશ પાકિસ્તાનને આપીને પ્રશ્ન ઉકેલાઈ શક્યો હોત.

સંજોગવશાત જમ્મુ અને કાશ્મીરનો મામલો ગૂંચવાયો એટલે રિયાસતોના ભારતમાં વિલીનીકરણની બાકીની જે પ્રક્રિયા કરવામાં આવતી હતી એ જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકી નહીં. અહીં એક ઇતિહાસસિદ્ધ હકીકત નોંધી લો કે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સંપૂર્ણપણે નથી થયું. એ સમયે ભારતની બંધારણસભા બંધારણ ઘડવાનું કામ કરતી હતી. જો બધું સમુંસૂતરું પાર પડ્યું હોત તો જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં લોકમત લઈને વિલીનીકરણની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને બંધારણમાં એ બે રિયાસતોની ભૂમિ પર ભારતનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું એમ જમ્મુ અને કાશ્મીર પર પણ સાર્વભૌમત્વ સ્થાપિત થઈ શક્યું હોત. આવું બન્યું નહીં એટલે અધૂરા વિલીન થયેલા જમ્મુ અને કાશ્મીરને ભારતીય સંઘનો બંધારણીય હિસ્સો કઈ રીતે બનાવવાં એ પ્રશ્ન ઉપસ્થિતિ થયો હતો. બંધારણનો આર્ટિકલ ૩૭૦ આનો ઉપાય છે. એ આર્ટિકલ બંધારણ ઘડાઈ રહ્યા પછી ઉમેરવામાં આવ્યો હતો.

તો આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ નથી. અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે. ગઈ કાલે કહ્યું હતું એમ પરણેતરને પત્ની અને એ પછી પરિવારનું અભિન્ન અંગ બનાવવા માટે જે પ્રયન્નો કરવા ઘટે એ જમ્મુ અને કાશ્મીરમાં કરવા પડે એમ છે. બીજું, ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડી રાખનારી નાળ આર્ટિકલ ૩૭૦ છે. એના કારણે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે અને એના આધારે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર દાવો કરી શકે છે. આર્ટિકલ ૩૭૦ વિશે સંઘપરિવારે એવા ભ્રમ પેદા કર્યા છે કે જાણે એ કોઈ ભસ્માસુર હોય. આ આર્ટિકલ ૩૭૦ શું છે એની વાત હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે” 02 નવેમ્બર 2017

Loading

2 November 2017 admin
← ‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ’ : રઘુરામ રાજન
આર્ટિકલ ૩૭૦ ભારતની જરૂરિયાત છે, જમ્મુ અને કાશ્મીરની તો નથી જ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved