Opinion Magazine
Number of visits: 9484141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગત વિચારે છે કે શું ચીનનું મોડલ અપનાવી સફળતા મેળવી શકાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2021

એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કૉન્ગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો સુધી અર્થઘટનો કરવામાં આવતા. એક એક શબ્દની છણાવટ કરવામાં આવતી. આનાં બે કારણો હતાં. એક તો એ કે ઠરાવો અને ભાષણોની ભાષા ગૂઢ, સંકુલ તેમ જ જટિલ રહેતી. થોડું સુક્ષ્મ સમાજવિવેચનના કારણે અને વધુ કદાચ જાણીબૂજીને ‘થિયરી’ અને ‘લાઈન’ના ટિપીકલ સામ્યવાદી વળગણના કારણે. બીજું કારણ એ હતું કે ત્યારે સામ્યવાદી વિશ્વની સંભાવના નજરે પડતી હતી. અત્યારે ભલે સામ્યવાદી શાસન થોડાક દેશો પૂરતું મર્યાદિત હોય, પણ તેમનો ઉદ્દેશ જગતભરમાં ફેલાવાનો હતો. જે લોકો ડાબેરી હતા તેઓ તેમાં આશા શોધતા હતા અને જેઓ જમણેરી હતા તેઓ તેમાં ભયસ્થાન શોધતા હતા. આમાં પણ રશિયા કરતાં ચીનના નેતાઓના ઠરાવો અને ભાષણોની વધુ ઝીણી વિવેચના કરવામાં આવતી હતી. દલાઈ લામા કહે છે એમ માઓ ઝેદોંગ શત્રુ છે એમ માનીને તમે તેમને મળવા ગયા હોય અને તે મિત્ર છે એવો અભિપ્રાય બનાવીને પાછા ફરો. અત્યંત ગૂઢ નેતૃત્વ, ગૂઢ ભાષા અને ગૂઢ રાજકીય શૈલી ચીનનાં સામ્યવાદી શાસકોનાં લક્ષણો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવો અનુભવ થયો છે. અમદાવદમાં સાબરમતી નદીના તીરે વડા પ્રધાન શી ઝિંગપીંગને ઢોકળા ખવડાવતા હતા ત્યારે એ જ વખતે ચીની લશ્કર ભારતમાં લડાખમાં ઘૂસ્યું હતું.

ગઈ પહેલી જુલાઈએ ચીનના સામ્યવાદી પક્ષે તેની સ્થાપનાની શતાબ્દી ઉજવી. ઉજવણી દુનિયા જોતી રહે એવી ભવ્ય હતી. જગત ચીનમાંથી પ્રસરેલા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચીન તેનાથી લગભગ મુક્ત છે. આ પણ એક ગૂઢ રહસ્ય છે. આવો ભવ્ય સમારોહ બીજા દેશમાં યોજાવો શક્ય નથી. ભારતમાં ટ્રમ્પના સ્વાગતમાં તાયફો યોજાયો, કુંભમેળાનું આયોજન થયું અને ચૂંટણીની વિરાટ રેલીઓ યોજાઈ; પણ આપણે જાણીએ છીએ દેશની જનતાએ તેની મોટી કિંમત ચૂકવી. અનેક લોકોના જાન ગયા, પણ ચીનમાં આવું બન્યું નથી અને જો બન્યું છે તો આપણે જાણતા નથી. ખેર, ચીનના સામ્યવાદી પક્ષના શતાબ્દી સમારોહમાં ચીનના સર્વેસર્વાં શી ઝિંગપીંગે લાંબુ લગભગ દોઢ કલાકનું ભાષણ આપ્યું. એ ભાષણ એટલું સીધું અને સ્પષ્ટ છે કે કોઈએ તેના અર્થઘટન કરવા માટે રાત ઉજાગરા કરવા પડે એમ નથી.

એ ભાષણ એક વિજેતા દેશના સેનાપતિનું હોય એવું હતું. ‘ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો’ ચીની સામ્યવાદ સફળ નીવડ્યો છે તેની તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી. 'ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો' એવી સ્પષ્ટોક્તિ તેમણે તેમના ભાષણમાં અનેકવાર કરી છે. લગભગ પંદરથી વીસ વખત. શા માટે ન કરે? મુક્ત અર્થતંત્ર અને બંધિયાર રાજ્યતંત્રના વર્ણસંકર ચીની મોડેલની એક સમયે હાંસી ઉડાવવામાં આવતી હતી અને આ વર્ણસંકર મોડેલ તેના વિરોધાભાસને કારણે તૂટી પડશે એમ માનવામાં આવતું હતું. આજે એ મોડેલ સફળ સાબિત થયું છે, ટકાઉ પણ સાબિત થયું છે અને આશ્ચર્ય એ વાતનું છે કે જગત તેનું અનુકરણ કરવા મથી રહ્યું છે. ભાષણ વખતે શી ઝિંગપીંગની દેહભાષા (બોડી લેન્ગવેજ) જોશો તો ધ્યાનમાં આવશે કે તેઓ મૂછમાં નહોતા હસતા, પણ જાણે કે અટ્ટહાસ્ય કરતા હતા.

પરંપરાગત સામ્યવાદમાં મૂડી, માર્કેટ અને ઉત્પાદકતાના સાધનો (મીન્સ ઑફ પ્રોડક્શન) ઉપર અંકુશ રાખવામાં આવતો હતો. આ ત્રણ ચીજ અસમાન અર્થવ્યવસ્થા પેદા કરે છે અને સર્વહારાનું શોષણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થતંત્ર રાજ્ય દ્વારા અંકુશિત હતું. ૧૯૭૮માં દેંગ ઝીયાઓપીંગ ચીનમાં સર્વેસર્વા બન્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે અર્થતંત્રને અંકુશમાં રાખવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. એવું કોણે કહ્યું કે અર્થતંત્રની સફળતા માટે મોકળી સમાજવ્યવસ્થા (લોકતંત્ર) અનિવાર્ય છે અને એ બે વચ્ચેનો સબંધ અવિનાભાવી છે? ઊલટું લોખંડી રાજ્ય, સમાજને બંધિયાર રાખીને અર્થતંત્રને મોકળું મેદાન આપે તો હજુ વધારે ઝડપથી વિકાસ સાધી શકાય. તેમના એ વર્ણસંકર મોડેલને ત્યારે હસી કાઢવામાં આવ્યું હતું, પરંતુ આજે ચાર દાયકા પછી આપણે જોઈએ છીએ કે ચીનના સામ્યવાદી તાનાશાહ અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને જગત જોઈ રહ્યું છે.

આશ્ચર્યની વાત છે કે જગતના લોકશાહી દેશો, જે લોકતંત્ર માટે ગૌરવ અનુભવતા હતા એ અત્યારે ચીનની ઈર્ષા કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે પોતાને ત્યાં લોકતંત્ર ઘટાડીને કે ખતમ કરીને ચીનનો માર્ગ અપનાવીએ તો કેમ! મુક્ત સમાજ અને મૂડીવાદી અર્થતંત્ર વચ્ચે અવિનાભાવી સંબંધ છે એ ખોટી વાત છે અને સત્ય સામેના છેડે છે એવું તેમને લાગવા માંડ્યું છે. એક ડગલું વધારે ચાલશો તો એ પણ ધ્યાનમાં આવશે કે આ બ્રહ્મજ્ઞાન લોકશાહી દેશોમાં શાસકોને થયું છે એનાં કરતાં મૂડીપતિઓ શાસકોને કરાવી રહ્યા છે. દેશનો વિકાસ કરવો છે? બીજાની બરાબરી કરવી છે? આગળ નીકળી જવું છે? શાસક તરીકેનો યશ જોઈએ છે? તો સમાજને મુઠ્ઠીમાં રાખવો જરૂરી છે. સમાજને મુઠ્ઠીમાં બાંધો અને અમને આપો. અમે ડિજીટલ ટેકનોલોજી દ્વારા સમાજને મુઠ્ઠીમાં બાંધીએ તો વચ્ચે નહીં આવવાનું. મુઠ્ઠીમાં બાંધેલો માનવી અમારા માટે ગ્રાહક છે અને તમારા માટે એક મતદાતા છે. આનાથી વિશેષ તે કશું જ નથી. જો તેના અધિકારોનું રક્ષણ કરશો તો માર્કેટનું રક્ષણ નહીં કરી શકો અને જો માર્કેટનું રક્ષણ નહીં કરો તો પૈસો પેદા નહીં થાય. ટૂંકમાં પૈસા પેદા કરવા માટે સમાજને મુઠ્ઠીમાં રાખવામાં અમને મદદ કરશો અને એ રીતે અમારું રક્ષણ કરશો તો અમે તમારું રક્ષણ કરીશું. તમારું રક્ષણ પણ અંતે પૈસો જ કરવાનો છે. આમ શાસકો મૂડીપતિઓની મુઠ્ઠીમાં છે અને તે બન્નેની મુઠ્ઠીમાં સમાજ છે.

આ અસ્સલ પ્રિ-ડિજીટલ યુગનું ચીની મોડેલ છે અને અત્યારે ડિજીટલ યુગમાં જરૂરી ફેરફાર સાથે ભારત સહિત જગતના દેશો તેને અપનાવવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં શી ઝિંગપીંગ વિજેતાના મિજાજમાં હોય એમાં શું આશ્ચર્ય!

તેમણે એક વિજેતા તરીકે કહ્યું છે કે એક સમયે ચીનનું અપમાન કરવામાં આવતું હતું એ દિવસો ગયા. ચીન પાસે ધરાર તેની અનિચ્છાએ સમજૂતીઓ અને સંધિઓ કરાવવામાં આવતી હતી અને તેના પર ચીનની સહી લેવામાં આવતી હતી એ દિવસો ગયા. ચીનના બાવડા આમળવામાં આવતા હતા એ દિવસો ગયા. ચીનને સલાહો (દેખીતી રીતે લોકતંત્રની) આપવામાં આવતી હતી એ દિવસો ગયા. હવે કોઈ ચીનને હાથ લગાડી શકે એમ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ પાસે શક્તિશાળી લશ્કર પણ હોવું જોઈએ અને ચીન તે ધરાવે છે. ટૂંકમાં તેમણે વિશ્વસમાજને કહી દીધું છે કે ચીન એક નવી શક્તિશાળી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો તેના દરેક પાસા (મુખ્યત્વે આર્થિક અને લશ્કરી) સાથે સ્વીકાર કરવામાં આવે. સ્વીકાર કરવો જ પડે એમ છે એમ સ્પષ્ટ કહ્યા વિના તેમણે તે કહી દીધું છે.

તેમણે ચીનની પ્રજાને પણ ચેતવણી આપી છે. ચીનને આ જે યશ મળ્યો છે એ સામ્યવાદી પક્ષને કારણે મળ્યો છે. સામ્યવાદી પક્ષ આવો દૈવી યશ મેળવી શક્યો છે તેના કૃતનિશ્ચયી, દીર્ઘદૃષ્ટિ ધરાવતા સ્વાર્થરહિત નેતૃત્વના કારણે. આ શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ. પક્ષમાં અને નેતાઓમાં બન્ને. તેમની ભાષા અને દેહભાષા જોશો તો સ્પષ્ટ દેખાશે કે આ સલાહ નથી, અરજ તો બિલકુલ નથી, પણ ખુલ્લી ચેતવણી છે.

માનવીય મોકળાશના મૃત્યુઘંટનો મહિમા કરનારું તેમનું ભાષણ હતું જેની સામે જગતના શાસકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક દિવસ જગતમાં આવું પણ બનશે તેની કલ્પના આ લખનારે વીતેલી સદીમાં નહોતી કરી!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 જુલાઈ 2021

Loading

30 June 2021 admin
← લૂઝ કનેક્શન (18) : અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા
ભારતીય સમાજ એકબીજાના ધર્મનો આદર કરે છે, સંઘ-ભાજપે આ સમજવું પડશે →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved